ઇરાન ભારતનું મિત્ર મટીને ચીનનું ભાગીદાર કેમ બની ગયું?

આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કેટલીક એવી મહત્ત્વની ઘટનાઓ બનતી હોય છે, જેના પર મીડિયા પડદો ઢાંકી દેતું હોવાથી તેના સમાચાર આપણા સુધી પહોંચતા જ નથી. ગઈ તા. ૫ જુલાઈના રોજ ઇન્ટરનેશનલ ન્યૂઝ એજન્સી દ્વારા સમાચારો વહેતા કરવામાં આવ્યા હતા કે ઇઝરાયલે ઇરાનના અણુઉર્જા મથક ઉપર મિસાઇલ વડે હુમલો કર્યો છે અને યુરેનિયમને સમૃદ્ધ કરતી યંત્રણાનો નાશ કર્યો છે. આ ઘટના એટલી બધી મહત્ત્વની હતી કે તેને કારણે ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તેવી તમામ સંભાવનાઓ હતી. નવાઇની વાત એ છે કે આ સમાચારો ગણતરીની ક્ષણોમાં પાછા ખેંચી લેવામાં આવ્યા હતા અને તેના પર પડદો પાડી દેવામાં આવ્યો હતો. ટીવીની ચેનલો ઉપરકે બીજા દિવસનાં અખબારોમાં તે ઘટનાનો કોઈ નાનકડો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નહોતો. તેને કારણે શંકા જતી હતી કે વહેતા થયેલા સમાચારો ફેક ન્યૂઝ તો નહોતા ને?

આ ઘટનાના બરાબર ૧૦ દિવસ પછી સમાચાર આવ્યા છે કે ઇરાને ચાબહાર બંદરથી અફઘાનિસ્તાનની સરહદ સુધી રેલવે લાઇન નાખવાની યોજનામાંથી ભારત સાથેનો છેડો ફાડી કાઢ્યો છે. બીજા સમાચારો આવ્યા છે કે ઇરાને ભારતના દુશ્મન ચીન સાથે ભાગીદારી કરી છે, જે મુજબ ચીન આગામી ૨૫ વર્ષ દરમિયાન ઇરાનમાં ૪૦૦ અબજ ડોલરનું રોકાણ કરવાનું છે. બહુ જાણીતી વાત છે કે ઇરાન ભારતનું પરંપરાગત મિત્ર છે. અમેરિકાએ ઇરાન પર આર્થિક પ્રતિબંધો લાદ્યા ત્યારે પણ ભારત અમેરિકાનો રોષ વહોરીને ઇરાનની પડખે ઊભું રહ્યું હતું. પાકિસ્તાને કરાચી નજીક આવેલું ગ્વાદર બંદર ચીનને સોંપ્યું તેમ ઇરાને ગ્વાદરથી માત્ર ૭૨ કિલોમીટર પશ્ચિમે આવેલું ચાબહાર બંદર ભારતને સોંપ્યું હતું. આ બંદરેથી અફઘાનિસ્તાન સરહદે આવેલા ઝાહેદાર સુધી ૬૨૮ કિલોમીટર લાંબી રેલવે લાઈન નાખવાનો કોન્ટ્રેક્ટ ભારતને મળ્યો હતો. હવે ઇરાને એમ કહીને કોન્ટ્રેક્ટ કેન્સલ કર્યો છે કે ભારત સમયસર આ કામ શરૂ કરવામાં નિષ્ફળ ગયું છે.

તા. ૫ જુલાઇના ઇરાનના અણુમથક પર થયેલા હુમલા અને ઇરાન દ્વારા ભારતની કંપનીને આપવામાં આવેલો કોન્ટ્રેક્ટ કેન્સલ થવા વચ્ચે સંબંધ છે, જેની માહિતી આપણને મીડિયા આપતું નથી. આ લખનારે થોડું સંશોધન કર્યું ત્યારે ખ્યાલ આવ્યો હતો કે ઇઝરાયલે ખરેખર તા. ૨ જુલાઈના ઇરાનના અણુમથક પર હુમલો કર્યો હતો. ધ ટાઈમ્સ ઓફ ઇઝરાયલના હેવાલ મુજબ ઇઝરાયલે નાતાંઝ ખાતે આવેલા ઇરાનના અણુમથક પર મળસ્કે મિસાઇલ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇરાનના યુરેનિયમને સમૃદ્ધ કરતા પ્લાન્ટને ભારે નુકસાન થયું હતું. સંભવ છે કે તેને કારણે ઇરાનનો સમૃદ્ધ યુરેનિયમનો મોટો જથ્થો નાશ પામ્યો હોય, જેનો ઉપયોગ અણુબોમ્બ બનાવવા માટે કરવામાં આવતો હોય છે. ધ ટાઈમ્સ ઓફ ઇઝરાયલના હેવાલ મુજબ ઇઝરાયલના એફ-૩૫ લડાયક વિમાનોએ ઇરાનના પારચીન ખાતે આવેલા મિસાઇલ કોમ્પ્લેક્સ ઉપર બોમ્બમારો કર્યો હતો અને તેને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ઇઝરાયલનાં અખબારના હેવાલ મુજબ ઇરાને ઇઝરાયલને પાણીપુરવઠો પહોંચાડતી સિસ્ટમના કોમ્પ્યુટરો હેક કરીને પાણીમાં ક્લોરિનની માત્રા વધારી દેવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો; જેનો બદલો લેવા ઇઝરાયલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

નવાઇની વાત છે કે ઇરાનના અણુમથક અને મિસાઇલ મથક પર કરવામાં આવેલા હુમલાનું ઇઝરાયલ કે ઇરાન દ્વારા પણ સમર્થન કરવામાં આવ્યું નહોતું. ઇઝરાયલી સત્તાવાળાઓએ આ બાબતમાં મૌન રહેવાનું પસંદ કરવામાં આવ્યું હતું. ઇરાને પણ આ હુમલાની અવગણના કરવાનો નિર્ણય કર્યો હતો. ઇરાનના એટમિક એનર્જી ઓર્ગેનાઈઝેશનના પ્રવક્તા કમાલવંડીએ જણાવ્યું હતું કે નાતાંઝ ખાતે આવેલા અણુમથકમાં નાનકડી આગ લાગી હતી, પણ તેનાથી ખાસ કોઈ નુકસાન થયું નથી. જોકે આ ઘટના પછી ઇરાનના અણુ કાર્યક્રમના વડા અલી અકબર સાલેહી ત્યાં ધસી ગયા હતા. તેવી જ રીતે પારચીન ખાતે આવેલા મિસાઇલ સંકુલ પર બોમ્બમારો થયો તે ઇરાનની રાજધાની તહેરાનથી માત્ર ૨૦ કિલોમીટરના અંતરે આવેલું છે. બોમ્બ ધડાકા એટલા પ્રચંડ હતા કે તેનો અવાજ છેક તહેરાનમાં સંભળાયો હતો. યુરોપના જાસૂસી માટેના સેટેલાઈટ દ્વારા પણ આ ધડાકાઓની જાણ થઇ હતી.  શરૂઆતમાં હેવાલો આવ્યા હતા કે ગેસની ટાંકીમાં ધડાકાને કારણે અવાજો આવ્યા છે, પણ હકીકતમાં ઇઝરાયલના બોમ્બરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઇરાને આવો કોઈ હુમલો થયાનો જ ઇનકાર કર્યો હતો, જે રીતે પાકિસ્તાન ભારત દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકને સ્વીકારવાનો ઇનકાર કરે છે. કદાચ ઇરાન આ તબક્કે ઇઝરાયલ સામે યુદ્ધ છેડવા માગતું નથી. 

ઇરાનમાં બનેલી આ ઘટનાઓનો સંબંધ ભારત-ચીન સરહદે વર્તમાનમાં ચાલી રહેલા સંઘર્ષ સાથે હોવાની સંભાવના છે. સોશિયલ મીડિયામાં ફરી રહેલી પોસ્ટ પર ભરોસો કરીએ તો તા. ૫ જુલાઈ પહેલાં ચીનની ચડામણીથી પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કરવાની યોજના બનાવી હતી. આ માટે ચીનના સૈનિકોને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઊતારી પણ દેવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયાની પોસ્ટ મુજબ ભારતને ઇઝરાયલની મોસાદ અને અમેરિકાની સીઆઈએ જેવી ગુપ્તચર સંસ્થાઓ દ્વારા ચીનની આ યોજનાની જાણ થઈ ગઈ હતી. ભારતે સાવચેતીનાં પગલાં તરીકે પોતાની સબમરીનો કરાચી બંદર તરફ મોકલી દીધી હતી. જો પાકિસ્તાન કાશ્મીર પર હુમલો કરે તો ભારતે કરાચી પર હુમલો કરવાની તૈયારી કરી લીધી હતી. આ બાજુ ઇઝરાયલે ઇરાન પર હુમલો કરીને ચીનને સંકેત આપી દીધો હતો કે તે પણ લડી લેવા તૈયાર છે. ભારત ઉપર ત્રાટકવા ચીન-પાકિસ્તાન-ઇરાનની ધરી બની ગઈ હતી તેમ ભારત-ઈઝરાયલ-અમેરિકાની પણ ધરી રચાઈ હતી. અમેરિકાએ દક્ષિણ ચીની સમુદ્રમાં પોતાનો નૌકાકાફલો મોકલીને સંકેત આપી દીધો હતો કે જો ચીન ભારત ઉપર હુમલો કરશે તો અમેરિકા દક્ષિણ ચીની સમુદ્રમાં હુમલો કરશે. ચીન અને પાકિસ્તાનને જ્યારે તેનો ખ્યાલ આવ્યો ત્યારે તે પીછેહઠ કરવા તૈયાર થઈ ગયું હતું.

આ સ્ટોરી સોશિયલ મીડિયામાં ફરી રહી છે, પણ તેને કોઈ સત્તાવાર સમર્થન મળતું નથી. જોકે આ દરમિયાન જ સમાચાર આવ્યા હતા કે ચીન પાકિસ્તાનને કુલ આઠ સબમરીન આપવાનું છે, જેમાંની ચારનું બાંધકામ ચીનમાં કરવામાં આવશે અને ચારનું બાંધકામ પાકિસ્તાનના કરાચી બંદરમાં કરવામાં આવશે. હકીકતમાં પાકિસ્તાન પાસે વર્તમાનમાં કામ કરે તેવી એક જ સબમરીન બાકી રહી ગઈ છે. અમેરિકાએ પાકિસ્તાનને મદદ આપવાનું બંધ કર્યું તે પછી ચીને તેને તમામ પ્રકારની મદદ કરવાનું વચન આપ્યું છે. ભારતે પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધની તૈયારી કરી લીધી હતી, તેના સમર્થનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અચાનક લડાખ મુલાકાત ટાંકવામાં આવે છે.

ઇરાન ભારતથી દૂર ખસીને ચીન તરફ સરક્યું છે, તેનાં પણ રાજનૈતિક કારણો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા તે પછી તેમણે ઇરાન સાથેનો અણુકરાર ફોક કરી નાખ્યો હતો. તેને કારણે ઇરાન ચીનની વધુ નજીક સરક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલી મિત્રતા જોઈને ઇરાનને ચીન સાથેની મિત્રતા વધુ ભરોસાલાયક લાગી હશે. ચીનના પ્રમુખ શી જિનપિંગે ૨૦૧૬માં તહેરાનની મુલાકાત લઈને ઇરાન સાથે મૈત્રીનો પાયો નાખ્યો હતો તે હવે મજબૂત બની ગયો છે.

કોઇને પરાણે ઉપવાસ કરાવી શકાતા નથી : જૈન ધર્મના ઉપવાસનું રહસ્ય : હૈદરાબાદની કન્યાનું મૃત્યુ ઉપવાસના કારણે થયું નથી

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૧૧  ઓક્ટોબર , મંગળવાર

jain-girl-hyderabad_650x400_81475898544

 

જૈન ધર્મમાં ૬ બાહ્ય અને ૬ અભ્યંતર એમ ૧૨ પ્રકારના તપનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. તેમાં પહેલો પ્રકાર અનશન અથવા ઉપવાસ છે. જૈન ધર્મના અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરે ૬ મહિનાના ઉપવાસ કર્યા હતા. ત્યાર બાદ અકબર બાદશાહના કાળમાં દિલ્હીમાં થયેલી ચંપા શ્રાવિકાએ ૬ મહિનાના ઉપવાસની તપશ્ચર્યા કરી હતી. આ ઉપવાસ પરથી પ્રેરણા લઇને વર્તમાનમાં પણ અનેક સાધુ, સાધ્વીજી, શ્રાવક અને શ્રાવિકા એક ઉપવાસથી લઇને ૧૮૦ ઉપવાસ સુધીની તપશ્ચર્યા કરે છે. જૈન ધર્મમાં બાહ્ય અને અભ્યંતર તપનો એકમાત્ર ઉદ્દેશ આત્માના કલ્યાણનો અને મોક્ષનો હોય છે. કોઇ સાધુ કે સાધ્વીજી ભગવંતો કદી ધંધાના વિકાસ માટે કોઇને ઉપવાસ કરવાનો ઉપદેશ આપતા નથી.

હૈદરાબાદમાં ૧૩ વર્ષની જૈન કન્યા આરાધનાએ કોઇ સાધુ ભગવંતની પ્રેરણાથી ૬૮ ઉપવાસની મહાન તપશ્ચર્યા કરી તે દરમિયાન તેનું આરોગ્ય અકબંધ રહ્યું હતું. તપશ્ચર્યાના પહેલા ૨૫ દિવસ સુધી તો તે સ્કૂલે જતી હતી અને કોઇને ખ્યાલ પણ નહોતો આવતો કે તે ઉપવાસ કરી રહી છે. ૬૮ ઉપવાસની તપશ્ચર્યાનું પારણું કર્યું તે દિવસે પણ તે ખુશખુશાલ જણાતી હતી. પારણાં પછીના દિવસે તેને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેનું મરણ થયું તેને કેટલાક લોકો ગેરસમજણને કારણે તેની તપશ્ચર્યા સાથે જોડી રહ્યા છે. જો તપશ્ચર્યાને કારણે આરાધનાનું મરણ લખાયેલું હોત તો તે ૬૮ દિવસના ઉપવાસ દરમિયાન જ થયું હોત. જૈન ધર્મના ઉપવાસ કરતાં કોઇનું મરણ થાય તો તે પંડિતમરણ ગણવામાં આવે છે, કારણ કે આ રીતે મરણ પામનાર અવશ્ય સદ્ગતિમાં જાય છે, તેવું જૈન શાસ્ત્રો કહે છે. જોકે આરાધનાનું મરણ ૬૮ ઉપવાસના બે દિવસ પછી થયું હતું માટે તેના ઉપવાસને દોષ દેનારાઓ ભીંત ભૂલે છે.

કેટલાક લોકો અજ્ઞાનથી પ્રેરાઇને એવો પ્રચાર કરી રહ્યા છે કે આરાધનાના પિતાશ્રીને કોઇ જૈન સાધુ ભગવંતે જણાવ્યું હતું કે જો તમે તેને ૬૮ ઉપવાસ કરાવશો તો ધંધામાં બરકત આવશે. પહેલી વાત એ કે જૈન સાધુ ભગવંતો ક્યારેય અર્થ કે કામ માટે ધર્મ કરવાનો ઉપદેશ આપતા નથી. તેમનો ઉપદેશ માત્ર મોક્ષ માટે જ ધર્મ કરવાનો હોય છે. વળી જૈન ધર્મના ઉપવાસનું સ્વરૂપ જ એવું હોય છે કે કોઇ પણ વ્યક્તિને તેની મરજીથી વિરુદ્ધ ૬૮ તો શું એક ઉપવાસ પણ કરાવી શકાતો નથી. માટે ૧૩ વર્ષની આરાધનાને કોઇ ભય કે લાલચથી ૬૮ ઉપવાસ કરાવાયા હતા તે આક્ષેપ સાબિત થઇ શકે તેવો નથી.

જૈન ધર્મની સામાજીક પરિસ્થિતિ જાણનારને ખ્યાલ હશે કે જૈન બાળકનો જન્મ થાય ત્યારથી તેને સામાયિક, પૂજા, પ્રતિક્રમણ, આયંબિલ, ઉપવાસ, પૌષધ, દાન વગેરે ધર્મનું પાલન કરવાની પ્રેરણા કરવામાં આવે છે. આ કારણે ૬ વર્ષની ઉંમરે બાળકો અઠ્ઠાઇ તપ જેવી ઉગ્ર તપશ્ચર્યા હસતાં રમતાં કરતાં થઇ જાય છે. પર્યુષણ પર્વ દરમિયાન ૧૨ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો અઠ્ઠાઇ કરે તેવા સેંકડો કિસ્સાઓ નોંધાય છે. હૈદરાબાદની આરાધનાએ એક વર્ષ પહેલાં પણ ૩૦ ઉપવાસની મહાન તપશ્ચર્યા કરી હતી. આ તપશ્ચર્યા નિર્વિઘ્ને થવાથી ગુરુ ભગવંતે તેને ૬૮ ઉપવાસ કરવાની પ્રેરણા કરી હતી. ગયા ઉનાળાના વેકેશનમાં આરાધનાએ પાટણ જઇને ૪૫ દિવસનું ઉપધાન તપ પણ કર્યું હતું. આ ઉપરથી સાબિત થાય છે કે આરાધનાએ ૬૮ ઉપવાસની તપશ્ચર્યા કોઇના પણ દબાણ વિના સ્વેચ્છાએ કરી હતી.

જૈન ધર્મ આત્માના પૂર્વજન્મમાં અને પુનર્જન્મમાં માને છે. આરાધના જેવાં બાળકો પોતાના પૂર્વજન્મમાં કોઇ મહાન યોગી કે તપસ્વી હોય તો જ તેઓ વર્તમાન જન્મમાં આટલી કઠોર તપશ્ચર્યા આટલી કુમળી ઉંમરમાં કરી શકે છે. મારા કે તમારા જેવા ખાવાના રસિયાઓને કરોડો રૂપિયાના ઇનામની લાલચ આપવામાં આવે તો પણ ૬૮ દિવસની તપશ્ચર્યા કરી શકે તે સંભવિત નથી. જૈન ધર્મમાં તો એવાં ઉદાહરણો પણ આવે છે કે કોઇ સાધુ ભગવંતે કોઇ વ્યક્તિને તપશ્ચર્યા કરવાની પ્રેરણા કરી હોય અને તપશ્ચર્યા દરમિયાન તેનું મરણ થાય તો પણ સાધુ ભગવંત દોષિત ગણાતા નથી, કારણ કે તેમણે તે વ્યક્તિના આત્માનું કલ્યાણ કરવાના ઉમદા હેતુથી જ તેને ઉપવાસ કરવાનો ઉપદેશ આપ્યો હતો. જોકે આરાધનાને આ વાત લાગુ પડતી નથી, કારણ કે તેનું મરણ ઉપવાસ પછી થયું હતું.

કેટલાક લોકો આરાધનાના ૬૮ ઉપવાસને બાળકો પ્રત્યેની ક્રૂરતા ગણાવી રહ્યા છે. જો કોઇ બાળકને તેની મરજીથી વિરુદ્ધ ભૂખ્યું રાખવામાં આવ્યું હોય તો તેને જરૂર ક્રૂરતા ગણાય. આરાધનાએ સંપૂર્ણપણે પોતાની મરજીથી અને રાજીખુશીથી ઉપવાસ કર્યા હતા. વળી તેનું મરણ પણ ઉપવાસ દરમિયાન થયું નથી. તો પછી આરાધનાનાં માબાપ પર ક્રૂરતા આચરવાનો કે તેને આપઘાતની પ્રેરણા આપવાનો આરોપ કેવી રીતે મૂકી શકાય? ભારતનાં બંધારણની ૨૫મી કલમ મુજબ દેશના દરેક નાગરિકોને પોતાની પસંદગીનો ધર્મ પાળવાનો અધિકાર છે. દરેક નાગરિકોમાં બાળકોનો પણ સમાવેશ થઇ જાય છે. ઉપવાસ જૈન ધર્મનો સ્વીકૃત આચાર છે. દરેક બાળકને ઉપવાસ કરવાનો અધિકાર છે. આ અધિકાર પર દેશની સરકાર, પોલિસ તંત્ર કે અદાલતો પણ તરાપ મારી શકતી નથી.

આજે દેશનાં બાળકો જાતજાતના અત્યાચારોના ભોગ બને છે. તેમાં સૌથી મોટો અત્યાચાર અઢી વર્ષનાં બાળકોને સ્કૂલ બેગના ભાર હેઠળ કચડી નાંખીને પરાણે સ્કૂલે મોકલવાનો છે. જે સંસ્થાઓ બાળકોના હક્કો માટે લડતી હોય તેમણે ધાર્મિક પરંપરાઓ સામે સમજ્યા વિના લડાઇ કરવાને બદલે શિક્ષણની ચક્કીમાં પીસાતાં બાળકોની દશા સુધારવાની લડત આરંભવી જોઇએ. સમગ્ર ભારતનો જૈન સંઘ તપસ્વી આરાધનાના સ્વજનો સાથે ઊભો છે, માટે તેમની ફિકર કોઇએ કરવાની જરૂર નથી.

 

 

નોબેલ શાંતિ પારિતોષિક હાસ્યાસ્પદ બની ગયું છે

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૦૮  ઓક્ટોબર , શનિવાર

download

કોલંબિયાના રાષ્ટ્રપતિની સિદ્ધિ :

શાંતિ સ્થાપવા માટે શું યુદ્ધ કરવું જરૂરી છે?

 

દર વર્ષે ઓક્ટોબર મહિનામાં શાંતિનું નોબેલ પારિતોષિક કોને મળશે? તેની આતુરતાથી રાહ જોવાતી હોય છે. જ્યારે વિજેતાનું નામ જાહેર કરવામાં આવે ત્યારે અચંબાની કે આઘાતની પણ લાગણી થતી હોય છે. ઇ.સ.૨૦૧૬ના નોબેલ શાંતિ પારિતોષિક માટે કુલ ૩૭૬ અરજીઓ આવી હતી, જેમાં પોપ ફ્રાન્સિસથી લઇને શ્રી શ્રી રવિશંકરનો અને ડોનાલ્ડ ટ્રમ્પથી લઇને એન્જેલા માર્કેલનો સમાવેશ થતો હતો. નોબેલ પીસ પ્રાઇઝની પસંદગી સમિતિએ કળશ કોલોમ્બિયામાં શાંતિકરાર સ્થાપવામાં નિષ્ફળ ગયેલા રાષ્ટ્રપતિ જુઆન મેન્યુઅલ સાન્ટોસના માથે ઢોળવાની જાહેરાત કરીને આશ્ચર્ય પેદા કર્યું છે.

ઇ.સ.૨૦૦૬થી ૨૦૦૯ દરમિયાન જુઆન સાન્ટોસ કોલોમ્બિયાના સંરક્ષણ પ્રધાન હતા ત્યારે તેમણે રિવોલ્યુશનરી આર્મ્ડ ફોર્સિસ ઓફ કોલોમ્બિયા નામના ગેરિલા સંગઠન સામે યુદ્ધ છેડી દીધું હતું, જેમાં હજારો લોકોના જીવ ગયા હતા. ઇ.સ.૨૦૧૦માં તેઓ રાષ્ટ્રપતિ બન્યા તે પછી તેમણે ગેરિલાઓના નેતા ટિમોચેન્કો સાથે શાંતિ સ્થાપવા માટે મંત્રણાઓ ચાલુ કરી હતી, જે ચાર વર્ષ સુધી ચાલી હતી. આ મંત્રણાઓ દ્વારા તેમણે કોલોમ્બિયાની પ્રજામાં આશા પેદા કરી તેને કારણે તેઓ ઇ.સ.૨૦૧૪ની ચૂંટણી પણ જીતી ગયા હતા. ઇ.સ.૨૦૧૫માં તેમણે ગેરિલા નેતા સાથે કરાર કર્યા તેનો પ્રજાએ વિરોધ કર્યો હતો, કારણ કે તેમને લાગતું હતું કે ૫૨ વર્ષ સુધી કોલોમ્બિયાની પ્રજાનું લોહી વહેવડાનાર ગેરિલા સંગઠનને તેમની લાયકાત કરતાં વધુ લાભ કરાવી દેવામાં આવ્યો છે. ગયા સપ્તાહે કોલોમ્બિયાની પ્રજાએ ઐતિહાસિક રેફરન્ડમમાં પાતળી બહુમતીથી આ કરારની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. તેમ છતાં રાષ્ટ્રપતિ  જુઆન સાન્ટોસને આશ્વાસનના રૂપમાં નોબેલ ઇનામ આપવામાં આવ્યું છે.

ઇ.સ.૨૦૧૬ના નોબેલ શાંતિ પારિતોષિક માટે આવેલી ૩૭૬ એન્ટ્રીઓ પર નજર નાખીએ તો લાગશે કે કોલોમ્બિયાના રાષ્ટ્રપતિ કરતાં ઘણી વધુ યોગ્ય વ્યક્તિઓ કે સંસ્થાઓ રેસમાં હતી. જો દલાઇ લામા કે મધર ટેરેસા જેવા ધર્મગુરુઓને નોબેલ પારિતોષિક મળી શકતું હોય તો લાખો યુવાનોને અધ્યાત્મના માર્ગે વાળનારા શ્રી શ્રી રવિશંકરને કેમ ન મળી શકે? જુઆન સાન્ટોસ કરતાં કદાચ જર્મનીનાં ચાન્સેલર એન્જેલા માર્કેલ વધુ યોગ્ય ઉમેદવાર હતાં, કારણ કે તેમણે યુદ્ધગ્રસ્ત મુસ્લિમ દેશોના આશરે દસ લાખ નિરાશ્રીતોને જર્મનીમાં આશ્રય આપીને જબરદસ્ત માનવતાનાં દર્શન કરાવ્યા છે.

ઇ.સ.૧૯૦૧માં શાંતિનું નોબેલ પારિતોષિક આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારથી અનેક વિવાદાસ્પદ નેતાઓને આ ઇનામ આપવામાં આવ્યું છે. નોબેલ પારિતોષિકના સ્થાપક આલ્ફ્રેડ નોબેલ પોતે વિજ્ઞાની હોવા ઉપરાંત પાકા વેપારી પણ હતા. તેમણે ડાઇનેમાઇટની શોધ કરી હતી, એટલું જ નહીં પણ યુદ્ધ માટે જરૂરી વિસ્ફોટકોનું કારખાનું પણ નાખ્યું હતું. આ ધંધામાંથી જે કમાણી થઇ તેમાંથી નોબેલ પારિતોષિકો આપવાની શરૂઆત કરવામાં આવી હતી. તોપ બનાવતી સ્વિડનની બોફોર્સ કંપની પણ આજે આલ્ફ્રેડ નોબેલના બિઝનેસ અમ્પાયરનો હિસ્સો છે. દુનિયાને રક્તરંજિત કરતા શસ્ત્રસરંજામની કમાણીમાંથી શાંતિ માટેના પારિતોષિકની સ્થાપના કરવામાં આવે તે મોટો વિરોધાભાસ છે. કદાચ આ કારણે જ યુદ્ધના સમર્થકો નોબેલ શાંતિ પારિતોષિકના વિજેતાઓ રહ્યા છે.

ઇ.સ.૧૯૭૩માં અમેરિકાના વિવાદાસ્પદ વિદેશ મંત્રી હેન્રી કિસિન્જરને વિયેટનામમાં શાંતિની સ્થાપના કરવા માટે શાંતિનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું ત્યારે ઘણાને વીજળીનો આંચકો લાગ્યો હતો. આ ઇનામ વિયેટનામના નેતા લે ડોક થકને પણ સંયુક્તપણે આપવામાં આવ્યું હતું, પણ તેમણે તેને નકારી કાઢ્યું હતું. લે ડોક થકની દલીલ એવી હતી કે હેન્રી કિસિન્જરે પહેલાં વિયેટનામનું યુદ્ધ ભડકાવ્યું હતું અને પછી શાંતિની સ્થાપના કરી હતી, જે કામચલાઉ હતી, માટે તેઓ પોતાની જાતને તેમ જ હેન્રી કિસિન્જરને શાંતિના નોબેલ પારિતોષિક માટે લાયક ગણતા નથી. હેન્રી કિસિન્જરે નોબેલ પારિતોષિક મેળવ્યા પછી પણ કમ્બોડિયા પર બોમ્બમારો કરવામાં ભૂંડી ભૂમિકા ભજવી હતી.

ઇ.સ.૧૯૯૪નું નોબેલ શાંતિ પારિતોષિક પેલેસ્ટાઇન ગેરિલાઓના નેતા યાસર અરાફતને અને ઇઝરાયલના તત્કાલીન વડા પ્રધાન યિત્ઝાક રાબિન તેમ જ તત્કાલીન વિદેશ પ્રધાન શિમોન પેરેઝને સંયુક્તપણે આપવામાં આવ્યું હતું. મધ્ય-પૂર્વમાં વર્ષો સુધી લોહિયાળ જંગ લડ્યા પછી શાંતિની સ્થાપના કરવાના પ્રયાસોના ભાગરૂપે ઓસ્લો કરાર કરવા બદલ તેમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. શિમોન પેરેઝ ઇઝરાયલના અણુશસ્ત્રોના જનક ગણાય છે, તે હકીકત ભૂલી જવામાં આવી હતી.

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરે યુનોના ઠરાવનું પાલન કરાવવા માટે ઇરાકમાં લશ્કર મોકલવાનો નિર્ણય કર્યો તે પછી તરત તેમને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ઇ.સ.૨૦૦૮માં બરાક ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા તેનાં બે સપ્તાહમાં તેમને નોબેલ પારિતોષિક આપવા માટેનું નોમિનેશન ફાઇલ કરવામાં આવ્યું હતું. ઇ.સ.૨૦૦૯માં નોબેલ પ્રાઇઝ મળ્યા પછી તેમણે ૧૩ ટનનો બોમ્બ બનાવવાની જાહેરાત કરી હતી.

ભારતના જે મહાનુભાવોને નોબેલ પારિતોષિક મળ્યું છે તેની યાદીમાં બાળમજૂરી સામે લડનારા કૈલાસ સત્યાર્થીનો સમાવેશ થાય છે, પણ ભારતને આઝાદી અપાવનારા મહાત્મા ગાંધીનો કે ભારતને અખંડ બનાવનારા સરદાર પટેલનો સમાવેશ થતો નથી. તેના પરથી ખ્યાલ આવે છે કે નોબેલ પારિતોષિક પણ પશ્ચિમી મહાસત્તાઓના સ્થાપિત હિતોના હાથનું રમકડું જ બની ગયું છે.

સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવાઓ આપવા જરૂરી છે?

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા
  • તા૦૬ ઓક્ટોબર , ગુરુવાર

533561-indian-army-fighting

દેશની સુરક્ષા જોખમાઇ જશે :

ભારતના વિપક્ષો દ્વારા પાકિસ્તાનની વકીલાત

 

 

આ દુનિયામાં કેટલીક વસ્તુઓ એવી હોય છે, જેના પુરાવા માગવામાં આવતા નથી અને આપવામાં પણ આવતા નથી. બાળકનો જન્મ થાય ત્યારે તેનો પિતા કોણ છે? તેના પુરાવા આપવાનું કોઇ માતાને જણાવવામાં આવે તો તે તેના માતૃત્વનું અપમાન ગણાય છે. ઉરીના આતંકવાદી હુમલાના જવાબમાં ભારતના લશ્કરે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઘૂસીને આતંકવાદના પાંચ અડ્ડાઓ ખતમ કર્યા તેના આઘાતમાંથી પાકિસ્તાન હજુ બહાર આવ્યું નથી. પાકિસ્તાને પોતાનું નાક બચાવવા ઇરાદાપૂર્વકનો પ્રચાર ચાલુ કર્યો હતો કે ભારતે કોઇ સર્જિકલ સ્ટ્રાઇક કરી જ નથી. આ પ્રચારની જાળમાં ભારતના કેટલાક રાજકારણીઓ પણ ફસાઇ ગયા છે. હકીકતમાં જે રાજકારણીઓ ભારતના સૈન્ય પાસે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવાઓ માગી રહ્યા છે તેઓ પાકિસ્તાનની વકીલાત કરી રહ્યા છે અને ભારતની સુરક્ષા પણ જોખમમાં મૂકી રહ્યા છે.

ભારતના બહાદુર સૈનિકોએ વિવાદગ્રસ્ત ભૂમિમાં ઘૂસીને આતંકવાદીઓના લોન્ચપેડ ખતમ કર્યા તે ઘટનાનું સૈનિકોના શરીર ઉપર બાંધવામાં આવેલા કેમેરા દ્વારા વીડિયો રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું હતું. પાકિસ્તાનની વકીલાત કરનારા રાજકારણીઓ કેન્દ્ર સરકાર સમક્ષ આ વીડિયો ફૂટેજ જાહેર કરવાની માગણી કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે તો ત્યાં સુધી કહી દીધું છે કે જો સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા આપવામાં નહીં આવે તો તેઓ તેને બનાવટી માની લેશે. સંજય નિરૂપમ પાકિસ્તાની ટીવી ચેનલોના હીરો બની ગયા છે. સંજય નિરૂપમનાં વિધાનનો અર્થ એવો થાય છે કે તેમને ભારતના લશ્કર ઉપર અને ભારત સરકાર પર વિશ્વાસ નથી; પણ પાકિસ્તાન પર વધુ વિશ્વાસ છે. અરવિંદ કેજરીવાલ પણ ચાલુ ગાડીમાં ચડી ગયા છે.

ભારતના લશ્કરે ભારપૂર્વક કહ્યું છે કે વીડિયો ફૂટેજ જાહેર કરવાથી આપણી વ્યૂહરચના દુશ્મનને ખબર પડી જાય અને દેશની સલામતી જોખમાઇ જાય તેમ છે. જોકે વીડિયો ફૂટેજ સિવાય એવા સંખ્યાબંધ પુરાવાઓ છે, જેના પરથી સાબિત થાય છે કે ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે.

(૧) ભારતના એક અંગ્રેજી દૈનિકનો રિપોર્ટર લાઇન ઓફ કન્ટ્રોલના ભારતીય ભાગમાં પહોંચી ગયો હતો. ત્યાંથી તેણે કાશ્મીરના કેટલાક રહેવાસીઓની મદદથી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં રહેતા તેમના સગાવહાલાઓ સાથે મોબાઇલના ટેક્સ્ટ મેસેજ વડે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમણે ૨૯ સપ્ટેમ્બરે મૃતદેહોને ખટારામાં ભરીને લઇ જવાતા જોયા હતા.

(૨) પાકિસ્તાનના લશ્કરે પહેલા તો ભારતના લશ્કરની સર્જિકલ સ્ટ્રાઇકના સમાચારને રદિયો આપ્યો હતો, પણ પાછળથી તેના ઇન્ટર સર્વિસિસ પબ્લિક રિલેશન્સ વિભાગે કબૂલ કર્યું હતું કે ભારતના લશ્કરે લાઇન ઓફ કન્ટ્રોલની ત્રણ કિલોમીટર અંદર આવીને ફાયરિંગ કર્યું હતું, જેમાં પાકિસ્તાનના બે સૈનિકોનાં મોત થયાં હતાં. જો ભારતના લશ્કરે સર્જિકલ સ્ટ્રાઇક નહોતી કરી તો બે સૈનિકોનાં મોત કેવી રીતે થયાં હતાં? આ સૈનિકો આતંકવાદીઓ માટેના લોન્ચપેડમાં શું કરતા હતા? હકીકતમાં અન્ય હેવાલ મુજબ સર્જિકલ સ્ટ્રાઇકમાં પાકિસ્તાનના નવ સૈનિકો ઉપરાંત ૩૮થી ૪૫ જેટલા આતંકવાદીઓનાં મોત થયાં હતાં.

(૩) ભારતની સર્જિકલ સ્ટ્રાઇકથી ગભરાઇ ગયેલા પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. ત્યાર બાદ તેઓ સૈન્યના વડા રાહીલ શરીફને મળવા દોડી ગયા હતા. ત્યાર બાદ પાકિસ્તાની સૈન્યના ટોચના અફસરોની રજાઓ રદ્દ કરવામાં આવી હતી. ત્યાર બાદ પાકિસ્તાની સૈન્યની છ બટાલિયનો સરહદ પર રવાના કરવામાં આવી હતી. જો ભારત દ્વારા કોઇ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં જ નહોતી આવી તો પાકિસ્તાને આટલા બધા ગભરાઇ જવાની જરૂર શી હતી?

(૪) ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે તેવા સમાચારોને ખોટા સાબિત કરવા પાકિસ્તાની સૈન્ય દ્વારા વિશ્વ મીડિયાના ૪૦ જેટલા પત્રકારોને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં લાઇન ઓફ કન્ટ્રોલ નજીક લઇ જવામાં આવ્યા હતા. હકીકતમાં તેમને સર્જિકલ સ્ટ્રાઇકના સ્થળથી ૨૦ કિલોમીટર દૂર રાખવામાં આવ્યા હતા અને ત્યાંથી સર્જિકલ સ્ટ્રાઇકની જગ્યા બતાવીને તેમને એવું સમજાવવાની કોશિષ કરવામાં આવી હતી કે ત્યાં સર્જિકલ સ્ટ્રાઇકની કોઇ નિશાની જોવા મળતી નથી. એક પત્રકારને દૂરથી ખંડેર જેવાં મકાનો દેખાયાં હતાં. આ બાબતમાં તેણે જે સવાલો પૂછ્યા તેના સંતોષકારક જવાબો મળ્યા નહોતા.

(૫) ભારતની સર્જિકલ સ્ટ્રાઇકથી પાકિસ્તાન એટલું હચમચી ગયું હતું કે તેણે બીજા ૨૪ કલાકમાં બારામુલ્લા, અખનૂર અને ગુરુદાસપુર સહિત ભારતની પાંચ લશ્કરી છાવણીઓ પર હુમલા કર્યા હતા, જેમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સનો એક જવાન શહીદ થઇ ગયો હતો. જો ભારતે કોઇ સર્જિકલ સ્ટ્રાઇક કરી જ ન હોય તો તેનો આવો જવાબ આપવાની જરૂર શા માટે ઊભી થઇ હતી?

(૬) ભારતીય સૈન્યના ભૂતપૂર્વ અને વર્તમાન અફસરો સ્પષ્ટ જણાવે છે કે સર્જિકલ સ્ટ્રાઇકનું વીડિયો ફૂટેજ બહાર પાડવાથી આપણી વ્યૂહરચનાનો દુશ્મનને ખ્યાલ આવી જશે, જેને કારણે દેશની સુરક્ષા પણ જોખમાઇ જશે. પાકિસ્તાનના જૂઠા પ્રચારનો જવાબ આપવા વીડિયો ફૂટેજ જારી કરવાની કોઇ જરૂર નથી. વીડિયો ફૂટેજ જારી કરવામાં આવશે તો પણ પાકિસ્તાન તેને બનાવટી ગણાવી શકે છે.

(૭) કોંગ્રેસી નેતા અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પી.ચિદમ્બરમ્ કહે છે કે, યુપીએના કાળમાં પણ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી, પણ તેની જાહેરાત કરવામાં આવતી નહોતી. શું ચિદમ્બરમ્ આ સર્જિકલ સ્ટ્રાઇકના કોઇ પુરાવા આપશે? તો પછી તેઓ વર્તમાનમાં કેમ પુરાવા માગી રહ્યા છે?

સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માગતા વિપક્ષી નેતાઓ હકીકતમાં આ પરાક્રમને કારણે નરેન્દ્ર મોદીની સરકારને જે પ્રસિદ્ધિ મળી છે તેને કારણે વ્યથિત થઇ ગયા છે. નરેન્દ્ર મોદીની સરકારને મૂંઝવણમાં મૂકવા માટે તેઓ પાકિસ્તાનની બ્રીફ પકડીને પુરાવા માગી રહ્યા છે. આ નેતાઓ એ વાત ભૂલી જાય છે કે નરેન્દ્ર મોદીને નુકસાન પહોંચાડવા જતાં તેઓ દુશ્મન દેશ પાકિસ્તાનને ફાયદો કરાવી રહ્યા છે.

પાકિસ્તાની કલાકારો સાથે કેવો વર્તાવ થવો જોઇએ?

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૦૩ ઓક્ટોબર , સોમવાર

fawad-khan_650_093014061916

યુદ્ધના કાળમાં ભજન ગવાય નહીં :

પાકિસ્તાની કલાકારો આતંકવાદની ટીકા કરવા તૈયાર છે?

 

જ્યારે કોઇનું મરણ થયું હોય ત્યારે લગ્નનાં ગીતો ગાનારો મૂર્ખમાં ખપી જાય. સરહદ પર યુદ્ધના નગારા સંભળાતા હોય ત્યારે શાંતિનાં ભજનો ગાનાર ઉપહાસનું પાત્ર બને. પાકિસ્તાન એક બાજુ ભારતમાં ત્રાસવાદીઓની નિકાસ કરતું હોય ત્યારે તેના કલાકારોની આયાત કરવામાં અને તેમનાં ગુણગાન ગાવામાં કોઇ ડહાપણ નથી. શાંતિના કાળમાં જે નિયમો લાગુ પડતા હોય છે તે યુદ્ધના કાળમાં બદલવા જ પડે છે. પાકિસ્તાને ભારતની લશ્કરી છાવણી પર હુમલો કરાવ્યો તે પછી બે દેશોના સંબંધો કથળી ગયા છે ત્યારે ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિયેશને જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી પાકિસ્તાની કલાકારોને ભારતીય ફિલ્મોમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તે પહેલા જ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પાકિસ્તાની કલાકારોને ભારત છોડવાનું અલ્ટિમેટમ આપી દીધું હતું. હવે સલમાન ખાન સામા પ્રવાહે તરીને પાકિસ્તાની કલાકારોની વકીલાત કરી રહ્યો છે ત્યારે તેને એક જ સવાલ પૂછાઇ રહ્યો છે કે, શું બોલિવૂડમાં કામ કરતાં પાકિસ્તાની કલાકારો પાકિસ્તાનપ્રેરિત આતંકવાદની ટીકા કરવા તૈયાર છે? જો પાકિસ્તાનથી આવતા કલાકારો આતંકવાદની નિંદા કરવા તૈયાર ન થતા હોય તો તેનો અર્થ એટલો જ થાય છે કે તેઓ આતંકવાદના છૂપા સમર્થક છે. જે પાકિસ્તાનીઓ આતંકવાદીઓ માટે કૂણી લાગણી ધરાવતા હોય તેમને આપણે ગળે લગાવવાની કોઇ જરૂર નથી.

ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિયેશ(ઇમ્પ્પા)ને મૂકેલા પ્રતિબંધને કારણે પાકિસ્તાનના ફવાદ ખાન, અલી જાફર અને માહિરા ખાન જેવા કલાકારો ઉપરાંત સંગીત ઉદ્યોગ પર પણ અસર થવાની છે. ફવાદ ખાન તો ભારત છોડીને પાકિસ્તાન ચાલ્યો ગયો છે, પણ તેની ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ના રિલીઝ સામે સવાલ ઊભો થયો છે. કરણ જોહરે આ ફિલ્મ પાછળ કરોડો રૂપિયા લગાવ્યા છે. જો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના આ ફિલ્મ રિલીઝ નહીં થવા દે તો કરોડોનું નુકસાન થઇ શકે છે. શાહરૂખ ખાનની રઇસ ફિલ્મમાં પણ પાકિસ્તાની માહિરા ખાન હોવાથી તે ચિંતિત છે. કહેવાય છે કે સલમાન ખાને પણ ફવાદ ખાન સાથે આગામી ફિલ્મ સાઇન કરી હોવાથી તે પાકિસ્તાની કલાકારોનો બચાવ કરી રહ્યો છે. ગૌરી શિંદેની ડિયર જિંદગી નામની ફિલ્મમાં તો આલિયા ભટ્ટ સામે ફવાદ ખાન અને અલી જાફર બંને સાથે ચમકી રહ્યા છે. ઇમ્પ્પાનો પ્રતિબંધ નવી ફિલ્મોને જ લાગુ પડે છે.

પાકિસ્તાનમાં પ્રદર્શિત થયેલી ટીવી સિરિયલ હમસફરને કારણે ફવાદ ખાન પાકિસ્તાનમાં રાતોરાત સુપરસ્ટાર બની ગયો હતો. ભારતમાં ઝી ગ્રુપની જિંદગી ચેનલ પર ફવાદ ખાનની સિરિયલ ઝરૂનનું પ્રસારણ કરવામાં આવ્યું ત્યારથી તે લોકપ્રિય બની ગયો હતો. માહિરા ખાન પણ પાકિસ્તાનમાં અત્યંત લોકપ્રિય અભિનેત્રી છે. તેની એક પણ હિન્દી ફિલ્મ હજુ રિલીઝ થઇ નથી. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની ધમકીને પગલે ફવાદ ખાન ડરીને પાકિસ્તાન ચાલ્યો ગયો તે પછી તેણે પાકિસ્તાન પહોંચીને પહેલું નિવેદન એ કર્યું હતું કે, મારા માટે મારો દેશ પાકિસ્તાન પહેલો છે. આ નિવેદન પરથી સલમાન ખાને કોઇ બોધપાઠ લેવો  જોઇએ. જે ફવાદ ખાન ભારતમાં રહેતો હતો ત્યારે ભારતના લોકોની મહેમાનગતિના વખાણ કરતો હતો તેણે પાકિસ્તાન પહોંચીને ભારતની ટીકા કરતા કહ્યું હતું કે ભારતના લોકો સંકુચિત છે. ફવાદ ખાનની અસલિયત ભારતના દર્શકોને પણ ખબર પડી ગઇ છે.

ભારતની પ્રજા પાકિસ્તાનના કલાકારો પ્રત્યે હંમેશા સહિષ્ણુ રહી છે. પાકિસ્તાનથી આવતા અદનાન સામી, રાહત ફતેહ અલી ખાન, ગુલામ અલી, નુસરત ફતેહ અલી ખાન, શાફકત અમાનત અલી, આતિફ અસલામ, જાવેદ બશીર જેવા ગાયકોને ભારતમાં લોકચાહના મળતી રહી છે. ઝી ગ્રુપની જિંદગી ચેનલ પર તો લોકપ્રિય પાકિસ્તાની સિરિયલો જ પ્રસારિત કરવામાં આવે છે. તાજેતરમાં રિલીઝ થયેલી પિન્ક ફિલ્મનું કારી કારી ગીત પાકિસ્તાની કલાકાર કુરાતુલૈન બલોચે ગાયું છે. પરંતુ યુદ્ધના કાળમાં માહોલ બદલાય છે. ઝી ગ્રુપે જિંદગી ચેનલ પર પાકિસ્તાની સિરિયલોનું પ્રસારણ બંધ કરવાની જાહેરાત કરી છે. બેંગલોરમાં તેમ જ ગુરુગ્રામમાં પાકિસ્તાની ગાયકોના કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.

પાકિસ્તાનના કલાકારોને બોલિવૂડમાં દિલથી આવકારવામાં આવે છે, પણ પાકિસ્તાનનો ફિલ્મોદ્યોગ ભારતના કલાકારો માટે એટલો ઉત્સુક નથી. બોલિવૂડના કોઇ મોટા ગજાના કલાકારનેહજુ સુધી કોઇ પાકિસ્તાની ફિલ્મમાં રોલ ઓફર કરવામાં આવ્યો નથી, જેમાં ખાન બ્રધર્સનો પણ સમાવેશ થાય છે. નંદિતા દાસ, નસરૂદ્દીન શાહ અને ઓમ પુરી જેવા કલાકારો તેમાં અપવાદ છે. કલ્પના કરો કે ભારતની સર્જીકલ સ્ટ્રાઇક પછી નસરૂદ્દીન શાહ કે ઓમ પુરી પાકિસ્તાનમાં હોય તો તેમને ત્યાં કામ કરવા દેવાની છૂટ આપવામાં આવે ખરી? ભારતની ઘણી ફિલ્મો પાકિસ્તાનમાં લોકપ્રિય થાય છે, પણ ફેન્ટમ જેવી દેશભક્તિની ફિલ્મ પર પાકિસ્તાનમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.

ભારતમાં કામ કરતા પાકિસ્તાની કલાકારો આતંકવાદની જાહેરમાં ટીકા કરતા ગભરાય છે, કારણ કે તેમને ડર છે કે તેને કારણે પાકિસ્તાનમાં રહેતા તેમના સગાવહાલાઓ તકલીફમાં મૂકાઇ જશે.જે દેશમાં આતંકવાદીઓ આટલી તાકાત ધરાવે છે, તે દેશમાં રહેવું શા માટે જોઇએ? જો પાકિસ્તાનના કલાકારો ભારતમાં કામ કરવા માગતા હોય તો તેમણે પાકિસ્તાનની નાગરિકતા છોડીને ભારતના નાગરિક બની જવું જોઇએ. જો કોઇ એમ માનતું હોય કે પાકિસ્તાની કલાકારો બોલિવૂડમાં કામ કરશે તો પાકિસ્તાન આતંકવાદનો સાથ છોડી દેશે; તો તેઓ મૂર્ખાઓના સ્વર્ગમાં વસે છે.

અબજોપતિ બાલકૃષ્ણનો પગાર શૂન્ય રૂપિયા છે

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૨૪  સપ્ટેમ્બર , શનિવાર

 

photo

 

બાબા રામદેવ અને તેમના ચેલા આચાર્ય બાલકૃષ્ણની કથા કોઇ પરીકથાનાં પાત્રો જેવી છે. ફોર્બ્સ મેગેઝિને ભારતના જે ૧૦૦ અબજોપતિઓની યાદી બહાર પાડી છે તેમાં આચાર્ય બાલકૃષ્ણ ૪૮મા ક્રમાંકે પહોંચી ગયા છે. ફોર્બ્સ મેગેઝિનની ગણતરી પ્રમાણે બાલકૃષ્ણ કુલ ૨.૫ અબજ ડોલરના આસામી છે, કારણ કે પતંજલિ આયુર્વેદ કંપનીમાં તેમનો ૯૭ ટકા હિસ્સો છે. ઇ.સ.૧૯૯૫માં બાબા રામદેવ અને બાલકૃષ્ણ પતંજલિ કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવા ગયા ત્યારે તેમનાં ખિસ્સામાં કુલ ૩,૫૦૦ રૂપિયા હતા, પણ રજિસ્ટ્રેશન માટે ૧૩,૦૦૦ રૂપિયાની જરૂર હતી. તેમણે બે મિત્રો પાસેથી પાંચ-પાંચ હજાર રૂપિયા ઉધાર લીધા અને પતંજલિનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આજે પતંજલિ આયુર્વેદ ભારતની સૌથી ઝડપથી વિકાસ પામતી કંપની બની ગઇ છે. ઇ.સ.૨૦૧૫-૧૬માં તેનું ટર્નઓવર ૫,૦૦૦ કરોડ રૂપિયા હતું, જે ઇ.સ.૨૦૨૦ સુધીમાં ૨૦,૦૦૦ કરોડ પર પહોંચી જવાની ધારણા છે. નવાઇની વાત એ છે કે પતંજલિ માટે દિવસના ૧૫ કલાક કામ કરતાં બાલકૃષ્ણ એક પણ રૂપિયાનો પગાર લેતા નથી.

જાણીને નવાઇ લાગશે, પણ આચાર્ય બાલકૃષ્ણ મૂળ નેપાળના રહેવાસી હતા. ઇ.સ.૧૯૭૨માં બાલકૃષ્ણનો જન્મ થયો તે પછી તેમના માબાપ નેપાળ છોડીને ભારતમાં રહેવા આવી ગયા હતા. તેમનું પ્રારંભિક શિક્ષણ હરિયાણાના કલવામાં આવેલાં પ્રાચીન પદ્ધતિનાં ગુરુકુળમાં થયું હતું. તેમના ગુરુનું નામ આચાર્યજી બલદેવજી હતું. તેઓ આર્ય સમાજના સંત હતા. બલદેવજીના આશ્રમમાં બાલકૃષ્ણ અને રામદેવજી પહેલી વખત મળ્યા હતા. બાલકૃષ્ણે સંસ્કૃતનો અભ્યાસ કરીને વારાણસીની સંપૂર્ણાનંદ વિશ્વવિદ્યાલયમાંથી અનુસ્નાતક ઉપાધિ મેળવી હતી, જ્યારે રામદેવ યોગવિદ્યામાં પારંગત થયા હતા.

ઇ.સ.૧૯૯૫માં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ હરિદ્વારમાં રહેવા આવ્યા હતા. ત્યાં તેમણે આયુર્વેદિક દવાઓ બનાવવા માટે દિવ્ય ફાર્મસી ખોલી અને લોકોનો ઉપચાર કરવા લાગ્યા. બાબા રામદેવ યોગની શિબિરો કરવા લાગ્યા તો આચાર્ય બાલકૃષ્ણ તેમની શિબિરની બહાર આયુર્વેદિક દવાઓનો સ્ટોલ લગાડવા લાગ્યા. ઇ.સ.૨૦૦૬માં તેમણે પતંજલિ આયુર્વેદના માધ્યમથી આયુર્વેદિક દવાઓ ઉપરાંત વિવિધ ખાદ્ય પદાર્થો પણ વેચવા માંડ્યા. ત્યારે કેન્દ્રમાં યુપીએનું રાજ હોવાથી બાબા રામદેવ અને બાલકૃષ્ણની અગ્નિપરીક્ષા થઇ. તેમની પર જાતજાતના આક્ષેપો થવા લાગ્યા.

બાબા રામદેવ પોતાની યોગ શિબિરોમાં ખુલ્લેઆમ ભાજપનું સમર્થન કરતા હોવાથી કોંગ્રેસીઓ અને ડાબેરીઓ તેમના પર રોષે ભરાયા હતા. બાબા રામદેવ પતંજલિ કંપનીમાં એક પૈસાનો પણ ભાગ ધરાવતા ન હોવાથી તેમણે આચાર્ય બાલકૃષ્ણને સાણસામાં લીધા હતા. પહેલા ડાબેરીઓ દ્વારા જૂઠો પ્રચાર કરવામાં આવ્યો કે બાબા રામદેવની દવાઓમાં મનુષ્યની ખોપડીનો પાવડર ભેળવવામાં આવે છે. પછી જાહેર કરવામાં આવ્યું કે આચાર્ય બાલકૃષ્ણની ડિગ્રી બોગસ છે. પછી તેમની સામે બનાવટી પાસપોર્ટનો કેસ કરીને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. બાલકૃષ્ણ પર સીબીઆઇ, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ વગેરે એજન્સીઓ દ્વારા જાતજાતના જૂઠા કેસો કરવામાં આવ્યા. ઇ.સ.૨૦૧૪માં કેન્દ્રમાં એનડીએની સરકાર આવી ત્યારે રામદેવ અને બાલકૃષ્ણના નસીબનું પાસું પલટાયું. તેમની સામેના તમામ જૂઠા કેસો પાછા ખેંચી લેવાયા. હવે બાબા રામદેવે પોતાની તમામ શક્તિ પતંજલિના બ્રાન્ડ એમ્બેસેડર બનીને તેનો વિકાસ કરવામાં લગાડી દીધી.

પતંજલિ આયુર્વેદ કંપની દ્વારા સાબુ અને શેમ્પૂથી માંડીને ટૂથપેસ્ટ અને નૂડલ જેવી આશરે ૪૦૦ પ્રોડક્ટો બજારમાં ઊતારી દેવામાં આવી. ઇ.સ.૨૦૧૪માં નેસ્લેના મેગી નૂડલ્સ પર પ્રતિબંધ હતો ત્યારે જ બાબા રામદેવે આટા નૂડલ્સ બજારમાં ઊતારીને મેગીની માર્કેટ કબજે કરવાનો પ્રયાસ કર્યો. વર્તમાનમાં દેશભરમાં આશરે ૧૦,૦૦૦ સ્ટોર્સ એવા છે, જે માત્ર પતંજલિની જ પ્રોડક્ટો વેચે છે. પતંજલિના સપાટાને કારણે ભારતમાં એક સદી કરતાં વધુ સમયથી ધંધો કરતી મલ્ટિનેશનલ કંપનીઓ અસલામતીનો અનુભવ કરવા લાગી. ભારત સરકારની ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની નીતિનો લાભ લઇને પતંજલિએ ફૂડ પાર્કના ધંધામાં પણ ઝંપલાવી દીધું છે. હવે ટૂંક સમયમાં માત્ર પતંજલિની જ પ્રોડક્ટ વેચતા આલિશાન મોલ શરૂ કરવાની પણ તેમણે જાહેરાત કરી છે.

આચાર્ય બાલકૃષ્ણ પતંજલિ આયુર્વેદમાં ૯૭ ટકા હિસ્સો ધરાવે છે તો બાકીનો ત્રણ ટકા હિસ્સો કોની પાસે છે? તેવો સવાલ પણ કેટલાકને થતો હશે. આ હિસ્સો બિનનિવાસી ભારતીય યુગલ સુનિતા અને શ્રવણ પોદ્દારના હાથમાં છે. ઇ.સ.૨૦૦૬માં આચાર્ય બાલકૃષ્ણ પતંજલિની બ્રાન્ડ સાથે ધંધામાં આગળ વધવા માગતા હતા, પણ તેમની પાસે મૂડી નહોતી. તેમનું બેન્કમાં ખાતું પણ નહોતું, માટે તેમને બેન્ક કોઇ લોન આપે તેવી સંભાવના નહોતી. આ સંયોગોમાં બાબા રામદેવના ભક્ત પોદ્દાર યુગલે તેમને ૫૦ કરોડ રૂપિયાની લોન આપી હતી. આ લોન સામે તેમણે પોદ્દાર યુગલને પતંજલિના ત્રણ ટકાના ભાગીદાર બનાવ્યા છે. હવે પતંજલિને બેન્કની ૭૦૦ કરોડની લોન મળવાની છે.

અબજોપતિ બન્યા પછી પણ આચાર્ય બાલકૃષ્ણની જીવનશૈલીમાં કોઇ ફરક પડ્યો નથી. તેઓ હજુ સફેદ વસ્ત્રો પહેરે છે અને સવારે સાતથી રાતે દસ સુધી પતંજલિની ઓફિસમાં કામ કરે છે. તેમને કોમ્પ્યુટર ચલાવતા આવડતું નથી, પણ તેઓ આઇ ફોન વાપરે છે. આચાર્ય બાલકૃષ્ણ બ્રહ્મચારી છે, માટે તેમને રજાની જરૂર પડતી નથી. છેલ્લાં દસ વર્ષમાં તેમણે એક પણ દિવસની રજા લીધી નથી.

રફાલ સોદામાં ભાવતાલ કરીને ભારત ખાટી ગયું

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૨૩  સપ્ટેમ્બર , શુક્રવાર

 

download

 

કોઇ પણ ગુજરાતી ગૃહિણી બજારમાં ખરીદી કરવા જાય ત્યારે ભાવતાલ કર્યા વિના રહેતી નથી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાવતાલ કરવાની કળામાં પાવરધા છે. ભારતે ફ્રાન્સની દસોલ્ટ કંપની સાથે ગયાં વર્ષના મે મહિનામાં ૩૬ રફાલ ફાઇટર જેટ ખરીદવા માટે વાટાઘાટો શરૂ કરી ત્યારે તેની કુલ કિંમત ૧૨ અબજ યુરો માગવામાં આવી હતી. ભારતે રફાલ વિમાન ખરીદવાનો નિર્ણય કરી લીધો હતો; પણ ભાવ ઘટાડવાનો આગ્રહ પણ ચાલુ રાખ્યો હતો. આ વર્ષની તા.૨૬ જાન્યુઆરીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇઝ ઓલાન્દે ભારતના મહેમાન બન્યા ત્યારે તેઓ આ સોદો ફાઇનલ કરવા માગતા હતા, માટે તેમણે કિંમત ઘટાડીને ૮.૬ અબજ યુરો કરી નાખી હતી. ભારતના વડા પ્રધાનને લાગ્યું કે આ ખરીદીમાં હજુ કસ મારી શકાય તેમ છે, માટે તેમણે સોદો મુલતવી રાખ્યો હતો.

હવે ૧૭ મહિનાની રકઝક પછી દસોલ્ટ કંપની ૩૬ જેટ વિમાન તેના સશસ્ત્રસરંજામ સાથે ૭.૮૮ અબજ યુરોમાં વેચવા તૈયાર થઇ છે, ત્યારે હવે વધુ બાર્ગેઇનિંગને અવકાશ ન હોવાની ખાતરી થતાં ભારતે સોદો ફાઇનલ કર્યો છે. ભારતના વડા પ્રધાનની વણિકગીરીને કારણે દેશને ઓછામાં ઓછા ચાર અબજ યુરોનો ફાયદો થયો છે. બીજા શબ્દોમાં ફ્રેન્ચ કંપનીએ રફાલ વિમાનો માટે જે મૂળ ભાવ આપ્યા હતા તેમાં ૩૫ ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. જો આ સોદામાં કોઇ વચેટિયો રાખવામાં આવ્યો હોત તો આ ચાર અબજ યુરો વચેટિયો લઇ ગયો હોત. દેશના સંરક્ષણ માટે ખરીદવામાં આવતા શસ્ત્રસરંજામની ખરીદીમાં કેટલા ભ્રષ્ટાચારની ગુંજાઇશ છે, તેનો ખ્યાલ આ સોદા પરથી આવે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના નગારા વાગી રહ્યા છે ત્યારે દીવા જેવી સ્પષ્ટ હકીકત એ છે કે ભારતીય વાયુસેના પાસે અદ્યતન ફાઇટર જેટ વિમાનો જ નથી. ભારત પાસે જે મિગ સિરીઝના રશિયન બનાવટનાં ફાઇટર જેટ છે તેનો કાફલો જરીપુરાણો થઇ ગયો છે. મિગ વિમાનોને એટલા અકસ્માતો નડે છે કે તે ઉડતાં કોફીન તરીકે ઓળખાય છે. આજથી ૧૬ વર્ષ પહેલાં ભારતીય વાયુસેનાએ સરકારને જણાવ્યું હતું કે તેને અદ્યતન ફાઇટર જેટની જરૂર છે. ઇ.સ.૨૦૦૭માં યુપીએ સરકારે ફાઇટર જેટ ખરીદવાનો નિર્ણય લઇ લીધો હતો, પણ સંરક્ષણ સોદાઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપના ડરથી તેણે કોઇ નિર્ણય કર્યો નહોતો. હવે એનડીએ સરકારે છેવટે રફાલ બાબતમાં હિમ્મતભર્યો નિર્ણય લીધો છે.

યુપીએ સરકારે ઇ.સ.૨૦૦૭માં નિર્ણય કર્યો હતો કે મિગ વિમાનોના કાફલાને ક્રમશ: રજા આપીને તેના સ્થાને અદ્યતન ફાઇટર જેટનો કાફલો ઊભો કરવો. આ માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા. લોકહીડ, મિકોયાન, સાબ અને દસોલ્ટ જેવી ચાર મોટી કંપનીઓ દ્વારા ટેન્ડરો ભરવામાં આવ્યાં હતાં. તે પૈકી દસોલ્ટનું રફાલ વિમાન ભારતીય વાયુદળમાં વપરાતાં મિરાજ વિમાન સાથે મળતું આવતું હોવાથી તેના પર પસંદગી ઉતારવામાં આવી હતી. રફાલ વિમાનનો વધારાનો ફાયદો એ હતો કે તેને અણુશસ્ત્રોના વહન માટે પણ ઉપયોગમાં લઇ શકાય તેમ છે. ઇ.સ.૨૦૧૨માં યુપીએ સરકાર દ્વારા રફાલનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું તે સોદો ૧૨૬ વિમાનો માટે હતો. તેમાં પણ પાછળથી બીજાં ૭૪ વિમાનો ખરીદવાની જોગવાઇ હતી. આ રીતે કુલ ૨૦૦ વિમાનોનો સોદો કરવામાં આવ્યો હતો.

યુપીએ સરકાર દ્વારા ઇ.સ.૨૦૧૨માં રફાલ વિમાનોનો સોદો કરવામાં આવ્યો તો પણ સોદો ટેકનિકલ બાબતોમાં અટવાઇ ગયો હતો. ઇ.સ.૨૦૧૪માં નરેન્દ્ર મોદીની સરકાર સત્તા પર આવી તેણે સોદાને આગળ ધપાવવા માટેનો પુરૂષાર્થ આદર્યો હતો. તેમાં પણ નરેન્દ્ર મોદીએ વાણિયાબુદ્ધિ વાપરીને નક્કી કર્યું હતું કે આપણે એક સાથે ૧૨૬ વિમાનો ખરીદવા નથી. તેને બદલે પહેલા તબક્કામાં ૩૬ વિમાનો ખરીદવા અને વિમાનના કાર્યથી સંતોષ થાય તો જ આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. દસોલ્ટ કંપની ૧૨ અબજ યુરોથી ભાવ ઘટાડવા તૈયાર નહોતી, માટે તેને થોડા સમય માટે પડતી મૂકવામાં આવી હતી. છેવટે તેણે ભાવ ઘટાડીને ૭.૮૮ અબજ યુરો કર્યો ત્યારે સોદાને મંજૂરી આપવામાં આવી હતી.

ભારતે જે ૩૬ રફાલ વિમાનનો સોદો કર્યો છે તેની મૂળ કિંમત તો ૩.૮ અબજ યુરો છે. તેમાં રડાર સિસ્ટમ, સોફ્ટવેર, પાંચ વર્ષની સર્વિસ તેમજ સ્પેર પાર્ટની સપ્લાય વગેરે ઉમેરતા કુલ કિંમત ૭.૮૮ અબજ યુરો થાય છે. તેમાં પણ ભારતે શરત કરી છે કે ભારત સરકાર દ્વારા ફ્રેન્ચ કંપનીને જેટલી રકમ ચૂકવવામાં આવે તેના ૫૦ ટકાનું રોકાણ તેઓ ભારતમાં જ કરશે. રફાલ વિમાન બનાવતી દસોલ્ટ કંપની ભારતમાં પોતાનું કારખાનું નાખશે તો વડા પ્રધાનના મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ ભારતના હજારો યુવાનોને તેમાં રોજી મળશે. ભારતે જે ૩૬ રફાલ વિમાનોનો ઓર્ડર આપ્યો છે તેને ભારત પહોંચતા હજુ બીજા ૩૬ મહિનાઓ થશે. ત્યાર બાદ ભારત સરકારને જે રફાલ વિમાનોની જરૂર હશે તેનું જો ભારતમાં જ ઉત્પાદન કરવામાં આવશે તો તેની ડિલિવરી પણ ઝડપથી મળશે.

ભારતીય વાયુદળને ત્રણ પ્રકારનાં ફાઇટર જેટ વિમાનોની જરૂર છે. ઉચ્ચ કક્ષાએ વાપરવા માટે આપણી પાસે સુખોઇ વિમાનો છે. મધ્યમ કક્ષામાં મિગ વિમાનો વપરાય છે, જેનું સ્થાન લેવા માટે રફાલનો ઉપયોગ કરવામાં આવશે. નિમ્ન કક્ષા માટે ભારતે પોતાનું લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ બનાવ્યું છે, જે તેજસના નામે ઓળખાય છે. હજુ ભારત રશિયાના સહયોગમાં ઉચ્ચ કક્ષાનું ફાઇટર જેટ વિકસાવી રહ્યું છે. રફાલના આગમન સાથે ભારતીય વાયુસેના પાસે અત્યંત ઘાતક હથિયાર આવી જશે.

મહારાષ્ટ્રમાં મરાઠાઓનું પ્રચંડ સ્વયંભૂ આંદોલન

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૨૨  સપ્ટેમ્બર , ગુરુવાર

 

maratha-759

 

ગુજરાતના પાટીદારોનો જેમ અનામત પદ્ધતિ સામે વિરોધ છે તેમ મહારાષ્ટ્રના મરાઠાઓને પણ લાગતું હતું કે અનામત પદ્ધતિને કારણે તેમને શૈક્ષણિક સંસ્થાઓમાં અને સરકારી નોકરીઓમાં તકોથી વંચિત રાખવામાં આવે છે. ગુજરાતના પાટીદારોએ અનામતની માગણી સાથે હિંસક અને બોલકું આંદોલન કરીને ગુજરાતમાં ખળભળાટ મચાવી દીધો હતો, પણ મહારાષ્ટ્રના મરાઠાઓ કોઇ પણ જાતની હિંસા કે ઘોંઘાટ વિના પોતાના પ્રચંડ આંદોલનને જે રીતે આગળ ધપાવી રહ્યા છે તે જોઇને મહારાષ્ટ્રના દિગ્ગજ રાજકારણીઓની ઉંઘ પણ હરામ થઇ ગઇ છે. નવમી ઓગસ્ટે ઔરંગાબાદમાં જબરદસ્ત મૌન રેલી સાથે શરૂ થયેલાં આંદોલનમાં અત્યાર સુધીમાં ૧૦ જિલ્લામાં રેલીઓ યોજાઇ ગઇ છે. આ દરેક રેલીમાં એક લાખથી વધુ મરાઠાઓ હાજર રહ્યા હતા. કેટલીક રેલીમાં તો આ સંખ્યા ત્રણથી ચાર લાખ પર પણ પહોંચી હતી. રેલીમાં કોઇ ભાષણો નહોતાં કરવામાં આવ્યાં કે નારાઓ પોકારવામાં આવ્યા નહોતા. ફેસબુક અને વ્હોટ્સ અપના માધ્યમથી ચાલી રહેલાં આ પ્રચંડ આંદોલનનું સંચાલન કોણ કરે છે? તેનો કોઇને ખ્યાલ નથી આવતો, પણ તેમની માગણીઓ બહુ સ્પષ્ટ જણાય છે.

મહારાષ્ટ્રમાં એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા મરાઠા આંદોલનની મુખ્ય ત્રણ માગણીઓ છે : (૧) મહારાષ્ટ્રની વસતિના આશરે ૩૩ ટકા મરાઠાઓને અનામતનો લાભ મળે. (૨) દલિતોના રક્ષણ માટે ઘડવામાં આવેલા એટ્રોસિટી એક્ટનો કેટલાક દલિતો દુરૂપયોગ કરી રહ્યા છે, જેનો ભોગ મરાઠાઓ બની રહ્યા છે; માટે આ કાયદો દૂર કરવામાં આવે. (૩) તા.૧૩ જુલાઇના રોજ અહમદનગર જિલ્લાના કોપર્ડી ગામે કેટલાક દલિત યુવાનો દ્વારા મરાઠા કન્યા સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા કરવામાં આવી હતી. આ દુષ્કર્મ આચરનારાઓને કડકમાં કડક સજા કરવામાં આવે.

મહારાષ્ટ્રની વસતિના ૩૩ ટકા મરાઠાઓ છે. ગુજરાતના પાટીદારોની જેમ ૮૦ ટકા મરાઠાઓનો મુખ્ય વ્યવસાય કૃષિ છે, પણ જમીનોનું વિભાજન થવાને કારણે તેમની હાલત બગડતી જાય છે. સવર્ણ ગણાતા મરાઠાઓને પણ દલિતોની જેમ અનામતનો લાભ જોઇએ છે. મરાઠાઓની જે બીજી બે માગણીઓ છે એ તેમને દલિતો સાથેના સીધા સંઘર્ષમાં ઉતારે તેવી છે. મરાઠાઓની માગણી મુજબ એટ્રોસિટી એક્ટને નાબૂદ કરવાની હિમ્મત દેશનો કોઇ રાજકીય પક્ષ કરી શકે તેમ નથી.

મરાઠા આંદોલનનું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે કોઇ પણ રાજકીય પક્ષ કે રાજકારણીની સંડોવણી કે પ્રેરણા વિના આ સમગ્ર આંદોલન ઊભું થયું છે અને આગળ વધી રહ્યું છે. કદાચ આ આંદોલનની કમાન કોલેજિયન યુવકયુવતીઓના હાથમાં છે, જેઓ કોઇ પણ જાતની રાજકીય દખલ વિનાના ન્યાય અને સમાનતાના સિદ્ધાંતવાળા સમાજની કલ્પના કરે છે. આંદોલનમાં સમાજના દરેક વર્ગના લોકો સામેલ થાય છે, જેમાં ડોક્ટરો, વકીલો અને શિક્ષકોનો પણ સમાવેશ થાય છે.

લાતુરમાં સોમવારે યોજાયેલી મરાઠા મૌન રેલીના હેવાલ પરથી આપણને આ આંદોલન કઇ રીતે આગળ વધી રહ્યું છે, તેનો ખ્યાલ આવશે. આ રેલીની જાહેરાત માટે કોઇ પોસ્ટર બનાવવામાં નહોતાં આવ્યાં કે પેમ્ફલેટો વહેંચવામાં નહોતાં આવ્યાં. માત્ર ફેસબુક અને વ્હોટ્સ એપ પર રેલીની જાહેરાત વાંચીને આશરે એક લાખ લોકો ભેગા થયા હતા. તેમની રેલી ચાર કલાક ચાલીને કલેક્ટરની કચેરી પર પહોંચી હતી. તેમણે કોઇ નારાઓ પોકાર્યા નહોતા, રસ્તા પર બિલકુલ કચરો કર્યો નહોતો અને પોલિસ સાથે કોઇ ટસલ પણ કરી નહોતી. રેલીમાં ભાગ લેનારી પાંચ કોલેજિયન યુવતીઓ કલેક્ટરને મળવા ગઇ હતી અને તેમના હાથમાં પોતાની માગણીઓની યાદી પકડાવી દીધી હતી. બારમાં ધોરણમાં ભણતી તૃપ્તિ કદમ નામની વિદ્યાર્થિનીએ ત્રણ માગણીઓ વાંચી સંભળાવી હતી. યુવતીઓ કલેક્ટરને મળીને પાછી આવી ત્યારે લોકો રાષ્ટ્રગીત ગાઇને શાંતિથી વિખરાઇ ગયા હતા.

કલેક્ટરને આવેદનપત્ર આપનાર તૃપ્તિ કદમ પોતે બારમાં ધોરણમાં ભણતી હતી. તેણે મેડિકલની પ્રવેશ પરીક્ષા આપી છે અને પરિણામની રાહ જોઇ રહી છે. તૃપ્તિએ પત્રકારોને જણાવ્યું હતું કે, ‘‘કોપર્ડીમાં મરાઠા કન્યા સાથે જે દુષ્કર્મ થયું તેને કારણે હું હચમચી ગઇ હતી. અમારું આંદોલન તદ્દન બિનરાજકીય છે. વળી તે કોઇ જ્ઞાતિ કે જાતિ સામે નથી. અમારા સમાજના ૯૦ ટકા લોકોનું ગુજરાન ખેતીવાડીથી ચાલે છે. દર વખતે ચોમાસું નિષ્ફળ જાય ત્યારે અમારા ખેડૂતોને આપઘાત કરવાની ફરજ પડે છે. અમારી કોમને પણ શિક્ષણમાં અને સરકારી નોકરીઓમાં અનામતની જરૂર છે.’’ કોલેજમાં ભણતી તૃપ્તિની આ વાત દ્વારા મહારાષ્ટ્રની મરાઠા કોમની વિટંબણાનો ખ્યાલ આવે છે.

મહારાષ્ટ્રના મરાઠા આંદોલનને કારણે મરાઠા રાજકારણીઓ સહિતના નેતાઓ ઉંઘતા ઝડપાઇ ગયા છે. જ્યારે તેમના પોતાના મતવિસ્તારમાં પ્રજાની વિરાટ રેલી નીકળે ત્યારે તેમણે પોતાની મતબેન્ક જાળવવા તેમાં હાજર રહેવું જરૂરી બની જાય છે. સોમવારે લાતુરમાં જે રેલી યોજાઇ તેમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વર્તમાન સંસદસભ્ય અશોક ચવાણ વગર આમંત્રણે દોડી આવ્યા હતા, પણ કોઇ પણ જાતની વીઆઇપી ટ્રિટમેન્ટ વિના તેમણે રેલીમાં ભાગ લીધો હતો. અત્યાર સુધી ઔરંગાબાદ ઉપરાંત પરભણી, બીડ, જલગાંવ, ઓસમાનાબાદ અને લાતુર જિલ્લાઓમાં આ પ્રકારની રેલીઓ યોજાઇ ગઇ છે. હવે મુંબઇમાં પ્રચંડ રેલી યોજવાની તૈયારીઓ ચાલી રહી છે. જો આ પ્રકારનું આંદોલન આડે માર્ગે ફંટાયા વિના સફળ થાય તો તેના થકી સમાજમાં કોઇ ક્રાંતિ થયા વિના રહેશે નહીં.

બ્રહમદાગ બુગતી બાબતમાં ભારતનો માસ્ટર સ્ટ્રોક

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૨૧  સપ્ટેમ્બર , બુધવાર

 

download-1

 

ભારતની જનતા ઉરી પર આતંકવાદી હુમલો કરનારા પાકિસ્તાન પર વળતો હુમલો કરવાની માગણી કરી રહી છે ત્યારે ભારત સરકારે બળવાખોર બલૂચ નેતા બ્રહમદાગ બુગતીને રાજ્યાશ્રય આપવાનો નિર્ણય કરીને પાકિસ્તાનના અસ્તિત્વને જ મિટાવી દેવાની યોજનાનો અમલ શરૂ કર્યો છે. બલૂચ રિપબ્લિકન પાર્ટીના સ્થાપક બ્રહમદાગ બુગતી પાકિસ્તાની સેનાથી પોતાનો જીવ બચાવવા માટે ઇ.સ.૨૦૦૬ થી બલૂચિસ્તાન છોડીને નાસતા ફરે છે.ઇ.સ.૨૦૧૦ સુધી તેઓ અફઘાનિસ્તાનમાં રહ્યા હતા, પણ ત્યાં પણ પાકિસ્તાની લશ્કરે તેમની હત્યા કરવાનો પ્રયાસ કરતાં તેઓ સ્વિત્ઝર્લેન્ડ ચાલ્યા ગયા હતા. જીનિવામાં રહીને તેઓ વિશ્વભરમાં ચાલતી બલૂચિસ્તાનની આઝાદી માટેની ચળવળનું સંચાલન કરે છે. બ્રહમદાગ બુગતીને જો રાજ્યાશ્રય મળશે તો તેનો અર્થ થશે કે તેમની ચળવળને ભારતનું ખુલ્લું સમર્થન છે. દલાઇ લામા જેમ ભારતમાં રહીને તિબેટની નિર્વાસિત સરકારનું સંચાલન કરે છે તેમ બ્રહમદાગ બુગતી પણ ભારતમાં રહીને બલૂચિસ્તાનની નિર્વાસિત સરકારનું સંચાલન કરશે.

હજુ ૩૪ વર્ષના બ્રહમદાગ બુગતીનું જીવન કોઇ રહસ્યકથાનાં પ્રકરણો જેવું રોમાંચક છે. તેમના દાદા નવાબ અકબર ખાન બુગતી બલૂચિસ્તાનના લડાયક કબીલાના મુખી હતા. ઇ.સ.૧૯૮૯માં તેઓ ચૂંટણી જીતીને બલૂચિસ્તાનના મુખ્ય મંત્રીના હોદ્દા સુધી પહોંચી ગયા હતા. ઇ.સ.૨૦૦૫માં તેમણે બલૂચિસ્તાનની આઝાદી માટે પાકિસ્તાન સામે યુદ્ધ છેડી દીધું હતું.પાકિસ્તાનના તત્કાલીન શાસક પરવેઝ મુશર્રફે અકબર ખાન બુગતીની હત્યા કરવાનો લશ્કરને આદેશ કર્યો હતો.

ઇ.સ.૨૦૦૫ના ડિસેમ્બરમાં પાકિસ્તાનનું લશ્કર ૮૦ વર્ષના વૃદ્ધ અકબર ખાન બુગતી અને તેમના પરિવારની હત્યા કરવા તેમના ઘરે પહોંચ્યું હતું, પણ અકબર ખાનને તેના સમાચાર મળી ગયા હોવાથી તેઓ પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા. તેમની સાથે તેમના બે પૌત્રો પણ હતા. અકબર ખાન મહિનાઓ સુધી પોતાના પરિવાર સાથે કોહલુ જિલ્લાના પર્વતોમાં આવેલી ગુફામાં સંતાઇ રહ્યા હતા. ઇ.સ.૨૦૦૬ની ૨૬મી ઓગસ્ટે પાકિસ્તાનના લશ્કરે તેમને શોધી કાઢ્યા હતા. લશ્કરે ગુફાના દરવાજા નજીક સુરંગ ગોઠવી વિસ્ફોટ કરાવ્યો હતો, જેમાં આખી ગુફા નાશ પામી હતી. આ હુમલામાં નવાબ અકબર ખાન બુગતી ઉપરાંત તેમના એક પૌત્ર સહિત ૩૭ સાથીદારો પણ માર્યા ગયા હતા.

પાકિસ્તાનના લશ્કરે નવાબ અકબર ખાનની હત્યા કરી તે પહેલા તેમનો ૨૪ વર્ષનો પૌત્ર બ્રહમદાગ પોતાનો જીવ બચાવીને સામેના પહાડ પર આવેલી ગુફામાં સંતાઇ ગયો હતો. ત્યાં રહીને તેણે ત્રણ દિવસ ચાલેલું પાકિસ્તાની મિલેટરીનું ઓપરેશન જોયું હતું, જેમાં ટેન્કો અને હેલિકોપ્ટરો ઉપરાંત ફાઇટર જેટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. દાદાની હત્યાના બીજા દિવસે બ્રહમદાગે પોતાના સાથીદારોને ભેગા કર્યા હતા અને તેઓ જીવ બચાવવા ત્યાંથી નાસી છૂટ્યા હતા.

બ્રહમદાગને ખાતરી થઇ ગઇ હતી કે હવે બલૂચિસ્તાનમાં તેઓ જીવતા રહી શકશે નહીં, માટે ભાગીને અફઘાનિસ્તાનમાં આશરો લેવાનો તેમણે નિર્ણય કર્યો હતો. પોતાના કબીલાના સશસ્ત્ર ચોકીદારોની સુરક્ષા હેઠળ તેઓ પર્વતોના રસ્તે ૧૯ દિવસ ચાલીને અફઘાનિસ્તાનમાં પહોંચી ગયા હતા. અફઘાનિસ્તાનમાં પહોંચીને તેમણે પોતાની માતાને, પત્નીને અને બે બાળકોને પણ પોતાની પાસે બોલાવી લીધા હતા. પાકિસ્તાનની સરકારને જાણ થઇ ગઇ હતી કે બ્રહમદાગ બુગતી અફઘાનિસ્તાનમાં છે. તેમણે તાલિબાન અને અલ કાયદાને બુગતીની હત્યાની સુપારી આપી હતી. તેમનાથી બચવા બ્રહમદાગ બુગતીએ ૧૮ મહિનામાં ૧૮ રહેઠાણો બદલ્યાં હતાં. એક વખત તો બુગતી કાબુલમાં જ્યાં રહેતા હતા ત્યાં નજીકમાં જ બોમ્બ પડ્યો હતો, પણ સદનસીબે તેઓ બચી ગયા હતા.

બ્રહમદાગ બુગતીએ ક્યારેય બલૂચિસ્તાનની આઝાદી માટે સશસ્ત્ર સંઘર્ષની હિમાયત કરી નહોતી; તો પણ પાકિસ્તાની સરકારે તેમને આતંકવાદી તરીકે જાહેર કરીને અફઘાનિસ્તાન સરકાર પર તેમની સોંપણી માટે દબાણ વધાર્યું હતું. પાકિસ્તાનનો બ્રહમદાગ બુગતી પરનો રાજદ્વારી હુમલો એટલો ઉગ્ર બની ગયો હતો કે હવે નાટોના દેશોએ અને અમેરિકાએ પણ અફઘાનિસ્તાન પર બુગતીને દેશવટો આપવા માટે દબાણ કર્યું હતું. અફઘાનિસ્તાન આ દબાણ સામે ટકી શકે તેમ ન હોવાથી ઇ.સ.૨૦૧૦ના ઓક્ટોબરમાં બ્રહમદાગ બુગતીએ પોતાના પરિવાર સાથે સ્વિત્ઝર્લેન્ડમાં આશરો લીધો હતો.

ઇ.સ.૨૦૦૮માં બ્રહમદાગ બુગતીએ બલૂચિસ્તાનની આઝાદીની લડતને આગળ ધપાવવા બલૂચિસ્તાન રિપબ્લિકન પાર્ટી નામના રાજકીય પક્ષની રચના કરી હતી. પાકિસ્તાને આ પક્ષના બલૂચિસ્તાનમાં રહેલા નેતાઓ પર પણ અત્યાચારો ગુજારવાનું શરૂ કર્યું હતું. તેના કેન્દ્રિય સંગઠનના આઠ નેતાઓ માર્યા ગયા છે અને પાંચ નેતાઓ ગુમ થઇ ગયા છે. બાકીના નેતાઓ બલૂચિસ્તાન છોડીને ભાગી ગયા છે અને બ્રિટન, જર્મની, ફ્રાન્સ જેવા વિવિધ દેશોમાં આશરો લઇ રહ્યા છે.

બ્રહમદાગ બુગતીએ જાહેર કર્યું છે કે તેઓ ટૂંક સમયમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ જનરલ પરવેઝ મુર્શરફ સહિતના સેનાધ્યક્ષો સામે બલૂચ પ્રજાની સામૂહિક હત્યા બદલ આંતરરાષ્ટ્રીય અદાલતમાં ખટલો માંડવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે ભારત ઉપરાંત બાંગ્લા દેશ અને અફઘાનિસ્તાન જેવા દેશોને પણ બલૂચિસ્તાનની આઝાદીની લડાઇમાં ટેકો આપવાની વિનંતી કરી છે. ભારત જો બુગતી અને તેમના સાથીદારોને રાજ્યાશ્રય આપશે તો તે પાકિસ્તાન પરનો બહુ મોટો પ્રહાર હશે.

ઉરીના હુમલામાંથી ભારતે લેવા જેવો બોધપાઠ

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૨૦  સપ્ટેમ્બર , મંગળવાર

 

uri_encounter_reuters_650

 

ભારતના કોઇ પણ ભાગમાં આતંકવાદી હુમલો થાય ત્યારે ગુપ્તચર તંત્રનો વાંક કાઢવામાં આવે છે કે તેણે સમયસર ચેતવણી આપી નહોતી. ઉરીમાં રવિવારે જે પ્રચંડ હુમલો થયો તે પહેલા ગુપ્તચર તંત્ર દ્વારા બહુ સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં કોઇ સ્થળે જબરદસ્ત હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ચેતવણી છતાં પાકિસ્તાનમાં તાલીમ પામેલા ત્રાસવાદીઓ સરહદ પાર કરીને ઉરીની ૧૯ કિલોમીટર અંદર બેરોકટોક ઘૂસીને હુમલો કરી ગયા તે આપણા સુરક્ષા તંત્રની ઘોર નિષ્ફળતા સૂચવે છે. ઇ.સ.૨૦૦૨ની ૧૪મી મેના રોજ કાલુચકના હુમલામાં ૨૨ સુરક્ષા કર્મીઓ શહીદ થયા હતા અને ૧૪ નાગરિકો પણ ભોગ બન્યા હતા. ત્યાર પછીના આ સૌથી ગંભીર હુમલાનો જવાબ આપવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૬ ઇંચની છાતી બતાવવી પડશે.

ગુપ્તચર તંત્રની સ્પષ્ટ ચેતવણીને પરિણામે આ વખતે આપણા વાયુમથકોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા હતા, પણ સરહદની નજીક આવેલી છાવણી બાબતમાં આટલી ઉપેક્ષા કેમ સેવવામાં આવી હતી તે સમજી ન શકાય તેવી વાત છે. આતંકવાદીઓ સરહદ પાર કરીને શસ્ત્રો સાથે ૧૯ કિલોમીટર સુધી ઘૂસી આવ્યા, તો તેમને કોઇએ જોયા કેમ નહીં? ઉરીની છાવણી ભૂતકાળમાં પણ આતંકવાદી હુમલાનો ભોગ બની ચૂકી છે. ઇ.સ.૨૦૧૪ના ડિસેમ્બરમાં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર હતી ત્યારે પણ ઉરીમાં આતંકવાદી હિમલો થયો હતો, જેમાં નવ જવાનો શહીદ થયા હતા. જે બારામુલ્લા શહેરમાં સુરક્ષા દળો પર પથ્થરમારાની ઘટનાઓ થઇ રહી છે તે ઉરીથી માત્ર ૪૦ કિલોમીટર દૂર છે. આ પથ્થરમારામાં સંડોવાયેલા કોઇ ભારતીય નાગરિકે આતંકવાદીઓને છૂપાવામાં સહાય નહીં કરી હોય ને? તેવા સવાલનો જવાબ શોધવો પણ દેશની સુરક્ષાની દૃષ્ટિએ જરૂરી બની જાય છે.

ઉરીમાં જે હુમલો થયો તેમાં કોઇ ઘરના ઘાતકીની સંડોવણી હોવાના નિર્દેશો મળે છે. આતંકવાદીઓ લશ્કરી છાવણીની અંદરની વ્યવસ્થાની સચોટ માહિતી ધરાવતા હતા. તેમણે છાવણી પર પાછળથી હુમલો કર્યો હતો, કારણ કે તેમને ખબર હતી કે છાવણીના આગળના ભાગમાં ભારે સલામતી બંદોબસ્ત હોય છે. તેમને ખબર હતી કે છાવણીમાં તે સમયે સૈનિકો બદલાવાના છે. વળી તેમણે લાગ જોઇને ઓફિસરોના મેસ પર હુમલો કર્યો હતો, જ્યાં વધુ જવાનો સૂતા સપડાઇ ગયા હતા.

ઉરીમાં જે હુમલો થયો તેમાં આતંકવાદીઓની ગોળીથી જેટલા જવાનો શહીદ થયા તેના કરતાં વધુ જવાનો આગમાં હોમાઇ ગયા હતા. આ હુમલો કરનારા ફિદાઇન આતંકવાદીઓ હતા, જેમને મહિનાઓ સુધી આ પ્રકારના હુમલાઓ કરવાની તાલીમ આપવામાં આવે છે. તેમને મોતનો ડર નથી હોતો. તેમણે જીવતા પાછા ફરવાનું નથી તે નક્કી હોય છે. આ કારણે તેઓ ગમે ત્યાં પહોંચીને હુમલો કરી શકે છે. ઉરીમાં થયેલા હુમલામાં ફિદાઇન હુમલાખોરો ભારતીય લશ્કરની વર્દીમાં જ આવ્યા હતા, માટે તેમને ઓળખવાનું અઘરું બની ગયું હતું. ઉરીના હુમલામાં ભારતમાં કાર્યરત ત્રાસવાદીઓના કોઇ સ્લિપર સેલની સંડોવણીની સંભાવના છે, જેમાં આતંકવાદીઓને સહાય કરવા કાશ્મીર ખીણના યુવાનોને જ ભરતી કરવામાં આવ્યા હોય. આ સ્લિપર સેલને શોધી તેનો નાશ કરવો જરૂરી છે.

કોઇ પણ આતંકવાદી હુમલાનું મુખ્ય ધ્યેય લોકોના મનમાં ડરની ભાવના પેદા કરીને તેમનો સરકાર તેમ જ સુરક્ષા દળો પરનો વિશ્વાસ ડગમગાવી દેવાનું હોય છે. જમ્મુ અને કાશ્મીરમાં જ્યારથી મહેબૂબા મુફ્તિની સરકાર આવી છે ત્યારથી આતંકવાદીઓ વધુ ભૂરાટા થયા છે. ભાજપ અને પીડીપી જેવા પરસ્પર વિરોધી વૈચારિક ભૂમિકા ધરાવતા પક્ષો આતંકવાદના ઉન્મૂલન બાબતમાં એક વેવલેન્ગ્થ પર આવી ગયા તેને કારણે આતંકવાદીઓને પોતાનાં મૂળિયા ઉખડી જવાનો ડર લાગ્યો છે. આ કારણે પીડીપી-ભાજપની સરકારને પરેશાન કરવા તેઓ વધુ જોરથી હુમલાઓ કરી રહ્યા છે.

પાકિસ્તાન એક ધાર્મિક રાષ્ટ્ર તરીકે દુનિયાના નકશામાં અસ્તિત્વમાં આવ્યું હતું. તાજેતરમાં બલૂચિસ્તાનમાં જે ઘટનાઓ બની રહી છે તેનાથી પુરવાર થાય છે કે ધર્મના પાયા પર પાકિસ્તાનનું અસ્તિત્વ ટકાવી રાખી શકાય તેમ નથી. પાકિસ્તાનના વિવિધ પ્રાંતોને એક રાખવા માટે ત્યાંની સરકાર અને સૈન્ય સતત કાશ્મીરનો મુદ્દો સળગતો રાખવા માગે છે. કાશ્મીરનો મુદ્દો એક એવું ફેવિકોલ છે જે પાકિસ્તાનના ટુકડા થતા અટકાવે છે. ભારતે દુનિયાનું ધ્યાન કાશ્મીરના મુદ્દા પરથી બીજે વાળવા બલૂચિસ્તાનનો ઉપયોગ કર્યો તેને કારણે પણ પાકિસ્તાન ભૂરાટું થયું છે. ઉરીમાં જે બન્યું તે ટ્રેઇલર છે. ભારતે હજુ મોટા હુમલાઓની અને તેને ખાળવાની તૈયારી કરી રાખવી પડશે.

પઠાણકોટ અને ઉરી જેવા હુમલાનો ભારતે જવાબ કેવી રીતે આપવો જોઇએ? તે બાબતમાં વિવિધ વિકલ્પોની ચર્ચા ચાલી રહી છે. તેમાં એક વિકલ્પ લાઇન ઓફ કન્ટ્રોલ પાર કરીને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ચાલતી આતંકવાદી છાવણીઓને ખતમ કરવાનો છે, જેને લશ્કરની ભાષામાં સર્જીકલ સ્ટ્રાઇક તરીકે ઓળખવામાં આવે છે. સર્જીકલ સ્ટ્રાઇકમાં પરિણામ નક્કી મળી શકે છે, પણ તેને કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે ફુલફ્લેજ્ડ યુદ્ધ ફાટી નીકળે તેવી તમામ સંભાવનાઓ છે. પાકિસ્તાન પાસે અણુશસ્ત્રોનો જથ્થો જોતા યુદ્ધ છેડતા પહેલાં સો વખત વિચારવું જોઇએ. આતંકવાદને ડામવા માટે યુદ્ધ કરતાં વધુ સારો ઉપાય કુટનીતિ છે. જો અમેરિકા અને ચીન જેવા દેશો પાકિસ્તાનને સહાય કરવાનું બંધ કરી દે તો પાકિસ્તાનના આતંકવાદીઓને મળતો પ્રાણવાયુ જ બંધ થઇ જાય તેમ છે.