ઓલિમ્પિક્સમાં ડ્રગ્સનું દૂષણ

  • સંજય વોરા…
  • તા.  ૩૧  જુલાઇ, રવિવાર

 

રશિયાના ૧૦૫ ખેલાડીઓ ડોપિંગ ટેસ્ટમાં નપાસ થયા છે

બીબીસી દ્વારા તાજેતરમાં કરાવવામાં આવેલા સર્વે મુજબ રમતગમતમાં ડોપિંગનાં

દૂષણને કારણે દુનિયાભરના દર્શકોને ઓલિમ્પિક રમતોમાં દિલચશ્પી ઘટી રહી છે.

 

કુસ્તીની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં કાંસ્યચન્દ્રક મેળવનાર પહેલવાન નરસિંહ યાદવ પ્રતિબંધિત સ્ટેરોઇડનો ઉપયોગ કરતા પકડાઇ ગયો હોવાથી ભારતના ખેલકૂદ જગતમાં ઉહાપોહ મચી ગયો છે. ભારતની નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા કરવામાં આવેલાં પરીક્ષણમાં નરસિંહ યાદવના લોહીમાં મિથેનડાઇનોન નામનું કેમિકલ મળી આવ્યું હતું, જેનો ઉપયોગ સ્નાયુઓની તાકાત વધારવા માટે થતો હોય છે. બ્રાઝિલના રિયો ડિ જાનેરોમાં તા.૫ ઓગસ્ટથી શરૂ થનારી ઓલિમ્પિક રમતોમાં ૭૪ કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કુસ્તીની કક્ષામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે બે વખત ઓલિમ્પિકમાં ચન્દ્રકો જીતનારા સુશીલ કુમાર અને નરસિંહ યાદવ વચ્ચે વિવાદ થયો હતો. દિલ્હી હાઇ કોર્ટના ચુકાદાને કારણે નરસિંહ યાદવની પસંદગી થઇ હતી, પણ હવે ડોપિંગ ટેસ્ટમાં ફેલ થતાં તેને ભારતની ટીમમાંથી પડતો મૂકવામાં આવે તેવી સંભાવના છે. જો નરસિંહ યાદવ રિયોમાં રમી નહીં શકે તો ભારતની કુસ્તીમાં મેડલ મેળવવાની આશા પણ ધૂંધળી બની જશે.

નરસિંહ યાદવની સાથે તેનો રૂમસાથી સંદીપ યાદવ પણ ડોપિંગ ટેસ્ટમાં ફેલ ગયો હોવાથી કોઇ કાવતરાંની ગંધ આવી રહી છે. એવો આક્ષેપ થઇ રહ્યો છે કે આ બંને ખેલાડીઓના ખોરાકમાં તેમની જાણ બહાર નશાકારક પદાર્થ ભેળવી દેવામાં આવતો હતો. નરસિંહ યાદવનો છેલ્લાં ૧૦ વર્ષનો ટ્રેક રેકોર્ડ અત્યંત સ્વચ્છ હોવાને કારણે કાવતરાંની શંકા બળવત્તર બને છે. ભારતના રમત જગતમાં ડ્રગ્સનો વિવાદ નવો નથી. ભૂતકાળમાં ઘણા ખેલાડીઓ ડ્રગ્સ લેતા પકડાયા છે. ભારતમાં ડ્રગ્સનું ટેસ્ટિંગ કરવાની લેબોરેટરીની સ્થાપના છેક ઇ.સ.૧૯૯૦માં થઇ હતી, પણ તેને વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા માન્યતા છેક ૨૦૦૮માં આપવામાં આવી હતી. ત્યાં સુધી કોઇ પણ ખેલાડીને ડ્રગ્સ લેવા બદલ ગેરલાયક ઠરાવવામાં આવે તો મામલો અદાલતમાં જતો હતો.

બ્રાઝિલમાં યોજાનારી ઓલિમ્પિક રમતો નશાકારક દ્રવ્યોના વિવાદને કારણે કુખ્યાત થઇ જાય તેવી તમામ સંભાવના છે. ભારતના બે ખેલાડીઓ ડોપિંગ ટેસ્ટમાં ફેલ થયા તેનો આટલો વિવાદ થયો છે તો રશિયાના ૩૮૭ પૈકી ૧૦૫ ખેલાડીઓ ફેલ થવાને કારણે કેટલો વિવાદ થયો હશે તેની કલ્પના કરવા જેવી છે. રશિયાના એક પછી એક ખેલાડીઓ ડોપિંગ ટેસ્ટમાં ફેલ જતાં રશિયાની આખી ટીમને જ ડિસ્ક્વોલિફાય કરવાની માગ ઉઠી હતી, પણ ઓલિમ્પિક્સના આયોજકોએ આ નિર્ણય વ્યક્તિગત સ્પર્ધાઓના આયોજકો પર છોડ્યો હતો. ટ્રેક એન્ડ ફિલ્ડ કેટેગરીમાં રશિયાના ૬૭ એથ્લેટો ડોપિંગ ટેસ્ટમાં ફેલ જતાં તેમને સ્પર્ધા માટે ગેરલાયક જાહેર કરવામાં આવ્યા છે.

રશિયામાં ઓલિમ્પિકસમાં ભાગ લેનારા ખેલાડીઓનું પરીક્ષણ કરવા માટે સરકાર દ્વારા લેબોરેટરી ચલાવવામાં આવે છે, પણ તેનાં પરિણામોમાં ગોલમાલ કરવામાં આવે છે. આ ગોલમાલ રશિયાની સરકારના નિર્દેશ હેઠળ જ કરવામાં આવતી હતી. વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા આ કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. રશિયાના જે ૧૦૫ ખેલાડીઓને રિયો ઓલિમ્પિકમાં ભાગ લેતા અટકાવવામાં આવ્યા છે તેમાં ઇ.સ.૨૦૧૨ની સ્પર્ધામાં મેન્સ ડબલ્સ કાયાક ૨૦૦ મીટરમાં ગોલ્ડ મેડલ જીતનારા એલેક્ઝાન્ડર દાઇચેન્કોનો પણ સમાવેશ થાય છે. કેનોઇંગ સ્પર્ધામાં કુલ આઠ અને રોવિંગની સ્પર્ધામાં રશિયાના ૨૨ ખેલાડીઓને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.

ઇ.સ.૧૯૦૪માં ઓલિમ્પિક ગેમ્સનો પ્રારંભ થયો ત્યારથી નશાકારક દ્રવ્યો બાબતમાં વિવાદો થતા આવ્યા છે. અમેરિકાના સેન્ટ લુઇસમાં યોજાયેલી પહેલી ઓલિમ્પિકમાં મેરેથોન જીતનારો ખેલાડી થોમસ હિક્સ સ્ટ્રિકનાઇન નામનો નશાકારક પદાર્થ લેતો હોવાનું પાછળથી બહાર આવ્યું હતું. ઇ.સ.૧૯૬૮ની મેક્સિકો ઓલિમ્પિકમાં ડોપિંગનો પહેલો કિસ્સો સાબિત થયો હતો, કારણ કે ત્યારે નશાકારક પદાર્થોના સેવનની ગંભીરતા ખ્યાલમાં આવી હતી. ઇ.સ.૧૯૬૮માં પુરૂષોની પેન્ટેથેલોન હરિફાઇમાં સ્વિડનનો ખેલાડી હાન્સ ગુન્નર કાંસ્યચંદ્રક જીત્યો હતો, પણ તેણે આલ્કોહોલનું સેવન કર્યું હોવાનું બહાર આવતાં તેનો ચંદ્રક છીનવી લેવામાં આવ્યો હતો.

ઇ.સ.૧૯૮૮માં પુરૂષોની ૧૦૦ મીટરની રેસમાં કેનેડાના બેન જોન્સને સુવર્ણચંદ્રક જીત્યો હતો, પણ તે ડોપિંગ ટેસ્ટમાં નપાસ થતાં તેનો ચંદ્રક છીનવી લેવામાં આવ્યો હતો. ઇ.સ.૨૦૦૦માં સિડનીમાં યોજાયેલી રમતોમાં અમેરિકાની મારિયોન જોન્સે ટ્રેક એન્ડ ફિલ્ડમાં ત્રણ સુવર્ણચંદ્રકો સહિત કુલ પાંચ મેડલ જીત્યા હતા, પણ ડોપિંગ ટેસ્ટમાં ફેલ જતાં બધા મેડલો રદ્દ થયા હતા.

ઇ.સ.૨૦૧૨માં લંડનમાં યોજાયેલી ઓલિમ્પિક રમતોમાં પણ કુલ ત્રણ ખેલાડીઓના મેડલો ડોપિંગ ટેસ્ટમાં ફેલ થવાને કારણે ઝૂંટવી લેવામાં આવ્યા હતા. આજ દિન સુધી ઓલિમ્પિકમાં અમેરિકાના ૧૨ અને રશિયાના ૧૧ ખેલાડીઓના મેડલો ઝૂંટવી લેવામાં આવ્યા છે. પુરૂષોની વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં સૌથી વધુ ૧૩ મેડલો કેફી દ્રવ્યોને કારણે ઝૂંટવી લેવામાં આવ્યા છે.

ઇ.સ.૧૯૬૮ની સાલથી ઓલિમ્પિક રમતોમાં ડોપિંગ ટેસ્ટ શરૂ કરવામાં આવી ત્યારથી દરેક રમતમાં કેટલાક ખેલાડીઓ તેમાં પકડાય જ છે. તેમાં અપવાદ ઇ.સ.૧૯૮૦માં યોજાયેલી મોસ્કો ઓલિમ્પિકનો હતો, જેમાં ડોપિંગનો એક પણ કિસ્સો પકડાયો નહોતો. જોકે સોવિયેટ રશિયાનું વિભાજન થયું અને લોખંડી પડદો હટી ગયો તે પછી બહાર આવ્યું હતું કે ઇ.સ.૧૯૮૦માં રશિયાની સરકારે લેબોરેટરીમાં ગોલમાલ કરી હોવાને કારણે ડોપિંગનો કિસ્સો પકડાયો નહોતો.

આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેતા કોઇ ખેલાડી ડ્રગ્સનું સેવન તો નથી કરતા ને? તેની તપાસ કરવા માટે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીની સ્થાપના કરવામાં આવી છે. તેમની પાસે દર વર્ષે આશરે બે લાખ લોહીના નમૂનાઓ પરીક્ષણ માટે આવે છે. તેમાંના આશરે બે હજાર નમૂનામાં નશાકારક પદાર્થોની હાજરી જોવા મળે છે. ઇ.સ.૨૦૧૨ની લંડન ઓલિમ્પિકમાં જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો તેમાંના અડધાની ડોપિંગ ટેસ્ટ કરવામાં આવી હતી. લંડન ઓલિમ્પિક વખતે તમામ ખેલાડીઓને ચેતવણી આપવામાં આવી હતી કે નિરીક્ષકો ગમે ત્યારે તમારી રૂમમાં પ્રવેશ કરી શકે છે. રિયોમાં તો આ યંત્રણાને વધુ કડક બનાવવામાં આવી છે.

ઓલિમ્પિકમાં ભાગ લેતા ખેલાડીઓ પર તેમના દેશ તરફથી સારો દેખાવ કરવાનું અને મેડલ જીતવાનું દબાણ હોય છે, જેને કારણે તેઓ નશાકારક પદાર્થો લેતા થઇ જાય છે. આજની તારીખમાં જે પદાર્થોનું સૌથી વધુ સેવન થાય છે તેમાં ડાર્બેપોટિન, ફુરોસેમાઇડ અને ટીએચજી તરીકે ઓળખાતા પદાર્થો સૌથી વધુ વ્યાપક છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિયેશન દ્વારા દર વર્ષે પ્રતિબંધિત પદાર્થોની યાદી બહાર પાડવામાં આવે છે. ખેલાડીઓ દર વર્ષે આ યાદીમાં જેનો સમાવેશ ન થયો હોય તેવા નવા નશાકારક પદાર્થો શોધી કાઢે છે, જેને કારણે યાદીમાં સતત વધારા કરવા પડે છે. ક્રિકેટમાં જેમ સટ્ટાનું દૂષણ ઘૂસી ગયું છે તેમ ઓલિમ્પિકમાં ડ્રગ્સનું દૂષણ ગંભીર બની ગયું છે. બીબીસી દ્વારા તાજેતરમાં કરાવવામાં આવેલા સર્વે મુજબ રમતગમતમાં ડોપિંગનાં દૂષણને કારણે દુનિયાભરના દર્શકોને ઓલિમ્પિક રમતોમાં દિલચશ્પી ઘટી રહી છે.

ઝાકિર નાઇક પ્રલોભન આપીને ધર્માંતરણ કરાવે છે?

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૩૦  જુલાઇ , શનિવાર

 

કેરળમાં કૌભાંડ બહાર આવ્યું :

૨૧ યુવાનોને વટલાવીને આતંકવાદી બનાવ્યા હતા?

 

ઇસ્લામના વિવાદાસ્પદ પ્રચારક ઝાકિર નાઇક પર ધર્માંતરણનો ગંભીર આક્ષેપ થતાં તેની મુશ્કેલી વધી શકે છે. આતંકવાદીઓના ગુરુ તરીકે ઓળખાતો ઝાકિર નાઇક ઢાકાના બનાવ પછી ભારત પાછો ફરવાને બદલે સાઉદી અરેબિયામાં રોકાઇ ગયો છે અને સ્કાઇપે પર પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની નિર્દોષતાની દુહાઇ દઇ રહ્યો છે, પણ મહારાષ્ટ્રની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે કેરળની પોલિસના સહયોગમાં ઝાકિર નાઇક સામે કેસ ફાઇલ કરી દીધો છે અને તેની ધરપકડની તૈયારી શરૂ કરી દીધી છે.

મુંબઇ પોલિસની સ્પેશિયલ બ્રાન્ચના કહેવા મુજબ ઝાકિર નાઇકના ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશને આશરે ૮૦૦ હિન્દુઓને અને ખ્રિસ્તીઓને વટલાવીને મુસલમાન બનાવ્યા હોવાના પુરાવા તેમના હાથમાં આવ્યા છે. ઝાકિર નાઇક જાહેર કાર્યક્રમોમાં આવતા દર્શકોનું ધર્માંતરણ કરીને પોતાનો પ્રભાવ બતાવતો હતો. ધર્માંતરણ કરનાર વ્યક્તિને ૫૦,૦૦૦ રૂપિયા રોકડાનું પ્રલોભન આપવામાં આવતું હતું. આ રૂપિયા સાઉદી અરેબિયા સહિતના દેશોમાંથી આવતા હતા. જે હિન્દુઓ કે ખ્રિસ્તીઓ ઝાકિર નાઇકના ઉપદેશથી ઇસ્લામ અંગિકાર કરવા તૈયાર થાય તેમની ફાઇલ બનાવવામાં આવતી હતી અને તેના માટે કોર્ટની પરવાનગી પણ લેવામાં આવતી હતી. ધર્માંતરણ વિરોધી કાયદા મુજબ કોઇ પણ વ્યક્તિને જો રૂપિયાની લાલચ આપીને વટલાવવામાં આવે તો તે ફોજદારી ગુનો બને છે.

થોડા સમય પહેલા કેરળની પોલિસના જાણમાં આવ્યું હતું કે કેરળના ઓછામાં ઓછા ૨૧ યુવાનોએ ઇસ્લામ અંગિકાર કરી લીધો છે અને તેઓ ઇસ્લામિક સ્ટેટમાં જોડાવા ચાલ્યા ગયા છે. એટલામાં કોચિનો એબિન જેકોબ નામનો ખ્રિસ્તી યુવાન પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવ્યો હતો કે તેની બહેન મેરિનનું મુંબઇના કોઇ મૌલવીએ ધર્માંતરણ કર્યું છે અને તેને મધ્ય પૂર્વમાં મોકલી દેવામાં આવી છે. એબિનની ફરિયાદ મુજબ તેની બહેન મેરિન મુંબઇમાં નોકરી કરવા ગઇ હતી. નોકરી દરમિયાન તે યાહ્યા નામના મુસ્લિમ યુવાનના પ્રેમમાં પડી હતી. યાહ્યા મૂળ ખ્રિસ્તી હતો, પણ વટલાઇને મુસ્લિમ બન્યો હતો. યાહ્યાએ મેરિનને ઇસ્લામ અંગિકાર કરવા દબાણ કર્યું હતું. મેરિન ઇસ્લામ અંગિકાર કરીને મારિયમ બની હતી. મુંબઇના મઝગાંવમાં રહેતા રિઝવાન નામના મૌલવીએ તેના નિકાહ કરાવી આપ્યા હતા અને તેમને બંનેને ઇસ્લામિક સ્ટેટમાં જોડી દેવામાં આવ્યા હતા.

મુંબઇમાં યાહ્યાને અને મારિયમને ઇસ્લામ અંગિકાર કરવામાં મદદ કરનારો અર્શીદ કુરેશી નામનો શખસ ઝાકિર નાઇકના ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનનો કાર્યકર છે. પોલિસે તેના કાર્યાલય પર દરોડો પાડ્યો ત્યારે તેની પાસેથી ધર્માંતરણ કરવામાં આવેલા ૮૦૦ લોકોની ફાઇલો મળી આવી હતી. ફાઇલોમાંથી મળેલી વિગતો મુજબ વટલાઇને મુસ્લિમ બનનારા તમામને અર્શીદ રોકડા ૫૦ હજાર રૂપિયા આપતો હતો. રિઝવાન ખાન મઝગાંવના અલ-બીર ફાઉન્ડેશન માટે કામ કરે છે. ઝાકિર નાઇકના ફાઉન્ડેશન દ્વારા જેટલા લોકોને વટલાવવામાં આવે તેમના નિકાહ પઢાવવાનું કામ રિઝવાન કરે છે. મુંબઇની પોલિસે અર્શીદ અને રિઝવાનની ધરપકડ કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે.

ઝાકિર નાઇકના ભાષણોનું પ્રસારણ કરતાં પીસ ટીવી પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પણ તેના કાર્યક્રમોના વીડિયો યુ-ટ્યૂબ પર આજે પણ ઉપલબ્ધ છે. આવા એક વીડિયોમાં ઝાકિર નાઇક એક ખ્રિસ્તી મહિલાનું બ્રેઇનવોશિંગ કરીને તેને મુસ્લિમ બનાવતો નજરે પડે છે. ૧૬ મિનિટના વીડિયોમાં ખ્રિસ્તી મહિલા ઝાકિર નાઇકને પડકાર કરે છે કે જો તમે મારા બધા સવાલોના જવાબો આપી શકશો તો હું તરત જ ઇસ્લામ અંગિકાર કરી લઇશ. મહિલા વર્તમાન કાળમાં ઇસ્લામની મહત્તા બાબતમાં સવાલો પૂછે છે અને ઝાકિર નાઇક તે બધાના જવાબો આપે છે. મહિલા પોતાની હાર કબૂલ કરે છે અને ઝાકિર નાઇક તેને હજારો લોકોની હાજરીમાં ઇસ્લામ અંગિકાર કરાવડાવે છે.

મહારાષ્ટ્ર કોસ્મોપોલિટન એડ્યુકેશન સોસાયટીના પુણે કેમ્પસમાં આવેલી કોલેજના હોલમાં ઝાકિર નાઇકનો જાહેર કાર્યક્રમ ઇ.સ.૨૦૦૮માં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઝાકિર નાઇકે હિન્દુ અને જૈન ધર્મમાં શ્રદ્ધા ધરાવતા ૧૨ લોકોને જાહેરમાં વટલાવીને મુસ્લિમ બનાવ્યા હતા. આ યુવાનોને પણ ઝાકિર નાઇકે જાહેરમાં પડકાર કર્યો હતો કે જો તમે ચર્ચામાં મને હરાવી ન શકો તો તમારે ઇસ્લામ અંગિકાર કરી લેવો પડશે. જોકે આ કોલેજના પ્રમુખ પી.એ.ઇનામદારનું કહેવું છે કે આ લોકોને કોઇ પ્રલોભન આપીને અગાઉથી વટલાવવામાં આવ્યા હતા અને પછીથી તેમને જાહેરમાં ઇસ્લામ અંગિકાર કરાવવાનું નાટક કરવામાં આવ્યું હતું. ઇનામદારના કહેવા મુજબ સાઉદી અરેબિયા જેવા મુસ્લિમ દેશોમાંથી આવતા ફંડનો ઉપયોગ ઝાકિર નાઇક વટાળ પ્રવૃત્તિ માટે કરે છે.

મુંબઇની હાજી અલી દરગાહ સાથે સંકળાયેલા મુફ્તિ મન્ઝૂર ઝિઆઇ વર્ષોથી ઝાકિર નાઇકની પ્રવૃત્તિઓનું અવલોકન કરતા આવ્યા છે. તેમના કહેવા મુજબ હિન્દુ કે ખ્રિસ્તી ધર્મ છોડીને મુસ્લિમ બનવા માટે ઝાકિર નાઇકનાં ફાઉન્ડેશન દ્વારા રોકડ રકમ ઉપરાંત બીજાં પણ ઘણાં પ્રલોભનો આપવામાં આવે છે. તેમને ધંધામાં મદદ કરવામાં આવે છે અને સમાજમાં સ્વીકૃતિ પણ અપાવવામાં આવે છે. મુફ્તિના કહેવા મુજબ ઝાકિર નાઇકનાં ફાઉન્ડેશનને અખાતી દેશોમાંથી ભારતમાં ધર્માંતરણ કરાવવા માટે કરોડો રૂપિયા મળે છે, પણ તેનો ઉપયોગ યુવાનોને ત્રાસવાદમાં જોડવા માટે કરવામાં આવે છે. કેરળના ગુમ થયેલા ૨૧ યુવાનોનો જો પત્તો લાગે તો તેમાંથી ચોંકાવનારી હકીકતો બહાર આવે તેમ છે.

ચીનની ઘૂસણખોરીને ગંભીરતાથી લેવી જોઇએ

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૨૯  જુલાઇ , શુક્રવાર

 

ભારતના ગુપ્તચર તંત્રને કેમ જાણ ન થઇ? :

ચીન ઘૂસણખોરીના માધ્યમથી સંદેશો આપે છે.

 

ઇ.સ.૧૯૬૦ના દાયકામાં ‘હિન્દી ચીની ભાઇ ભાઇ’ના વહેમમાં રહેલા પંડિત જવાહરલાલ નેહરુને ચીને પીઠમાં ખંજર માર્યું હતું. ઇ.સ.૨૦૧૪માં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મહેમાનગતિ કરી તેનો બદલો જિનપિંગે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં ભારતની વિરુદ્ધ મતદાન કરીને આપી દીધો હતો. તાજેતરમાં ભારતે ચીનના ત્રણ પત્રકારોના વીસા લંબાવવાનો ઇનકાર કર્યો ત્યારે ચીને ચેતવણી આપી હતી કે તેનાં ગંભીર પરિણામો આવશે. આ ગંભીર પરિણામોની ઝલક ચીને ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ઘૂસણખોરી કરીને આપી દીધી છે. ગૃહ ખાતાંના રાજ્ય પ્રધાન કિરણ રિજિજુને આ ઘટના બહુ ગંભીર નથી લાગતી, પણ સંરક્ષણ બાબતોના નિષ્ણાત પી.કે. સેહગલ કહે છે કે ચીને ચમોલીમાં ઘૂસણખોરી કરી તેમાં ભારતના જાસૂસી તંત્રની નિષ્ફળતા છે.

ઉત્તરાખંડમાં ભારત-ચીન વચ્ચે ૩૪૫ કિલોમીટર લાંબી સરહદ આવેલી છે. જમ્મુ-કાશ્મીર અને અરૂણાચલ પ્રદેશની સરખામણીએ ઉત્તરાખંડની સરહદે ચીન સાથે વિવાદો ઓછા થતા હોય છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બારાહોટી નામનો ૮૦ ચોરસ કિલોમીટરનો ભૂખંડ વિવાદાસ્પદ છે. તેની માલિકી ચીનની કે ભારતની? તે નક્કી થઇ શકતું નથી. આ બાબતનો નિર્ણય ન આવે ત્યાં સુધી નક્કી કરવામાં આવ્યું છે કે બારાહોટીમાં બંને દેશોના લશ્કરે પ્રવેશ કરવો નહીં. તા. ૧૯ જુલાઇએ ઉત્તરાખંડ સરકારના મહેસૂલ ખાતાના અધિકારીઓ આ વિસ્તારમાં માપણી માટે ગયા ત્યારે તેમણે જોયું કે ચીનના સૈનિકો ત્યાં તંબૂ તાણીને બેઠા હતા. તેમણે ઇન્ડો તિબેટ બોર્ડર પોલિસના જવાનોને વાત કરી. જવાનોએ વિરોધ કર્યો ત્યારે ચીનના સૈનિકો બારાહોટી વિસ્તારમાંથી ચાલ્યા ગયા હતા.

ચીનની ઘૂસણખોરીમાં પણ એક મેથડ હોય છે. તેઓ પહેલા ભારતીય વિસ્તારોમાં ઘૂસી આવે છે અને પોતાનો અડ્ડો જમાવે છે. આ ઘૂસણખોરી પકડાઇ જાય ત્યારે તેઓ ‘સોરી’ કહીને પાછા ચાલ્યા જાય છે. સાથે ભારતીય લશ્કરના સૈનિકોને ચોકલેટ આપતા જાય છે. ઇ.સ.૨૦૧૩માં ચીનના લશ્કરે લડાખના દૌલત બેગ વિસ્તારમાં ભારતીય સીમામાં ૩૦ કિલોમીટર સુધી ઘૂસણખોરી કરી હતી. ભારતે રાજદ્વારી રીતે વિરોધ કર્યો ત્યારે તેમને પાછા ફરતાં ત્રણ અઠવાડિયાં લાગ્યાં હતાં. ઇ.સ.૨૦૧૪માં ચીનના રાષ્ટ્રપતિ ભારતમાં હતા ત્યારે તેમના સૈન્યે લડાખના ચુમાર વિસ્તારમાં ઘૂસણખોરી કરી હતી.

ભારત અને ચીનની સરહદની કુલ લંબાઇ ૩,૪૮૮ કિલોમીટર છે, જે વિશ્વની સૌથી લાંબી વિવાદાસ્પદ સરહદ છે. આ સરહદના ૧,૫૯૭ કિલોમીટર જમ્મુ-કાશ્મીરમાં, ૧,૧૨૬ કિલોમીટર અરૂણાચલ પ્રદેશમાં, ૨૦૦ કિલોમીટર હિમાચલ પ્રદેશમાં, ૩૪૫ કિલોમીટર ઉત્તરાખંડમાં અને ૨૨૦ કિલોમીટર સિક્કીમમાં આવેલા છે. ઇ.સ.૧૯૬૨ના યુદ્ધમાં ચીને આખો અક્સાઇ ચીનનો પ્રદેશ ભારત પાસેથી પડાવી લીધો હતો. હવે તેની નજર લેહ-લડાખ પર છે. ઇ.સ.૧૯૫૯માં ચીને તિબેટ પર કબજો જમાવ્યો ત્યારે હિન્દુઓની આસ્થાનાં કેન્દ્ર સમા કૈલાસ-માનસરોવર પણ તેના કબજામાં આવી ગયા હતા. હવે આ સ્થળોએ જવા માટે ભારતના યાત્રિકોએ ચીનના વીસા લેવા પડે છે. ચીનનો ઇરાદો ઉત્તરાખંડમાં આવેલાં ચાર ધામ પર કબજો જમાવવાનો છે, માટે તે ગતકડાં કર્યાં કરે છે.

ઇ.સ.૧૯૬૨માં ભારતનું ચીન સાથે યુદ્ધ થયું ત્યારે તેણે અક્સાઇ ચીન ઉપરાંત અરૂણાચલ પ્રદેશ પર પણ પોતાનો કબજો જમાવી દીધો હતો. યુદ્ધવિરામ થયો તે પછી તેણે અક્સાઇ ચીન પર પોતાનો કબજો ચાલુ રાખ્યો હતો પણ અરૂણાચલ પ્રદેશ છોડી દીધું હતું. યુદ્ધ પછી થયેલી મંત્રણાઓ દરમિયાન ચીને ઇશારો કર્યો હતો કે ભારત જો અક્સાઇ ચીન પર પોતાનો દાવો જતો કરે તો તે અરૂણાચલ પ્રદેશ પરનો પોતાનો દાવો જતો કરવા તૈયાર છે. ભારતે આ દરખાસ્ત અમાન્ય રાખી ત્યારથી તેણે અરૂણાચલ પ્રદેશ પર પોતાનો દાવો આગળ કર્યો છે. ચીન પોતાના નકશામાં અરૂણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ તરીકે પોતાના ભાગ તરીકે ઓળખાવે છે. અરૂણાચલ પ્રદેશનો કોઇ નાગરિક ચીનની મુલાકાતે જાય તેને વીસા આપવાનો પણ ચીન ઇનકાર કરે છે. બે વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામા અરૂણાચલ પ્રદેશની મુલાકાતે ગયા ત્યારે પણ ચીને તેનો પણ વિરોધ કર્યો હતો.

અંગ્રેજ અધિકારી મેકમોહને ભારત અને ચીનની સરહદ નક્કી કરી હતી, પણ ચીન તેને માનવાનો ઇનકાર કરે છે. ઇ.સ.૧૯૬૨ના યુદ્ધ પછી ભારત અને ચીન વચ્ચે લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ નક્કી કરવામાં આવી છે, પણ સરહદ નક્કી થઇ શકી નથી. આ કારણે ચીનનાં લશ્કરની જેમ ભારતનાં લશ્કર દ્વારા પણ યુદ્ધવિરામરેખાના ભંગની ઘટનાઓ બન્યા કરે છે. અરૂણાચલ પ્રદેશમાં અને લડાખમાં આવી ઘટનાઓ નિયમિત બનતી હોય છે, પણ ઉત્તરાખંડમાં તેવી ઘટનાઓ બહુ ઓછી બને છે. બારાહોટીમાં ઘૂસણખોરીની ઘટના બની તેના ત્રણ દિવસ પહેલાં જ આ વિસ્તારમાં ચીનનું એક હેલિકોપ્ટર ભારતની હવાઇ સીમામાં ઘૂસ્યું હતું અને પાંચ મિનિટ ચક્કર લગાવી ચાલ્યું ગયું હતું.

ચીનની સરકાર ભારતને કોઇ સંદેશો આપવા માગતી હોય ત્યારે તેનું લશ્કર ભારતની સરહદમાં ઘૂસણખોરી કરીને પાછું ચાલ્યું જાય છે. આ વર્ષના એપ્રિલમાં ભારત-ચીન વચ્ચે સરહદ બાબતમાં વાટાઘાટો થઇ હતી પણ નિષ્ફળ નીવડી હતી. જૂન મહિનામાં ચીને અરૂણાચલ પ્રદેશમાં ઘૂસણખોરી કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ઉત્તરાખંડમાં ચીની સૈન્યની ઘૂસણખોરીની જાણ ભારતના જાસૂસી તંત્રને છેક છેલ્લે સુધી કેમ ન થઇ? તે સૌથી મોટી ચિંતાનો વિષય છે.

ઈરોમ શર્મિલાને ૧૬ વર્ષ પછી બ્રહ્મજ્ઞાન થયું ?

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૨૮  જુલાઇ , ગુરુવાર

 

અહિંસક સત્યાગ્રહની મર્યાદા :

લોકશાહીમાં બધાનું પાણી મપાઇ જાય છે.

 

ઈમ્ફાલમાં રહેતી ઈરોમ શર્મિલા ડોક્ટર બનવા માગતી હતી પણ હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ  બની ગઇ હતી. ઇ.સ.૨૦૦૦ના નવેમ્બરમાં ઈરોમે છાપાંમાં વાંચ્યું કે આસામ રાઇફલ્સના જવાનો દ્વારા બસ સ્ટોપ પર ઊભેલા ૧૦ યાત્રિકોનું એન્કાઉન્ટર કરી નાખવામાં આવ્યું છે ત્યારે તેને સૈન્યના જવાનો પર બહુ ગુસ્સો આવ્યો હતો. ઈરોમને કહેવામાં આવ્યું કે મણિપુરમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (આફ્સ્પા)નામનો કાયદો અમલમાં હોવાથી એન્કાઉન્ટર કરનારા સૈનિકો સામે ખટલો માંડી ન શકાય ત્યારે તેનો ગુસ્સો ઔર વધી ગયો હતો. આ કાયદો આસામ અને મણિપુરમાં ઇ.સ.૧૯૫૮થી અમલમાં હતો અને તેનો ઉપયોગ પૂર્વોત્તર રાજ્યોમાં ત્રાટકતા આતંકવાદીઓ સામે કરવામાં આવતો હતો. ઈરોમ શર્મિલાએ આ કાયદાના વિરોધમાં આમરણ અનશન કરવાનું જાહેર કર્યું હતું.

છેલ્લાં ૧૬ વર્ષથી ઇરોમા શર્મિલાના અનશન ચાલુ છે, પણ તે હજુ જીવતી છે. તેનું કારણ એ છે કે અનશનના ત્રણ દિવસ થાય ત્યારે ઈરોમની ધરપકડ કરીને તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવે છે અને તેના નાકમાં નળી ભરાવીને તેના વાટે પ્રવાહી ખોરાક ખવડાવવામાં આવે છે. ઈરોમનો હોસ્પિટલમાંથી છૂટકારો થાય એટલે તે પાછી અનશન આદરી દે છે. પોલિસ ફરી તેની ધરપકડ કરીને તેને હોસ્પિટલમાં ભરતી કરી દે છે. આ સિલસિલો ૧૬ વર્ષથી ચાલી રહ્યો છે. પોતાની જિંદગીનાં ૨૮માં વર્ષે અનશન ચાલુ કરનારી ઈરોમ અત્યારે ૪૪ વર્ષની થઇ ગઇ છે. કેન્દ્ર સરકાર આફ્સ્પાનો કાયદો હટાવવા તૈયાર નથી થઇ પણ હવે ઈરોમ પોતાના અનશન સમાપ્ત કરવા તૈયાર થઇ ગઇ છે.

૧૬ વર્ષ સુધી સતત અનશન કરવાને કારણે ઈરોમ શર્મિલા દુનિયાભરમાં પ્રસિદ્ધ થઇ ગઇ છે. દુનિયાભરમાં માનવ અધિકારો માટે લડતી સંસ્થાઓનું ધ્યાન આફ્સ્પાના જલદ કાયદા ભણી ગયું છે. તેમણે પણ તેનો વિરોધ કર્યો છે, પણ કેન્દ્ર સરકાર ટસની મસ થવા તૈયાર નથી. સરકારને લાગે છે કે આ કાયદો નાબુદ કરવામાં આવશે તો પૂર્વોત્તરનાં રાજ્યોમાં ત્રાસવાદની સમસ્યા કાબૂ બહાર નીકળી જશે. ૧૬ વર્ષના સત્યાગ્રહ પછી ઈરોમને બ્રહ્મજ્ઞાન લાધ્યું છે કે દુનિયાની કોઇ સરકાર ક્યારેય અહિંસક આંદોલન સામે નમતું જોખતી નથી, સિવાય કે તેને અહિંસક આંદોલન હિંસક બનવાનો ડર લાગે. ઈરોમ શર્મિલા હવે ચૂંટણી લડશે અને તેના દ્વારા પોતાનો હેતુ સિદ્ધ કરવાની કોશિષ કરશે.

સ્વતંત્ર ભારતનો ઇતિહાસ કહે છે કે સરકાર કાયમ શાંતિપૂર્ણ આંદોલન કરવાની સલાહ આપે છે, પણ ક્યારેય શાંતિપૂર્ણ આંદોલન સામે ઝૂકતી નથી. જ્યારે આંદોલન હિંસક બને છે ત્યારે સરકારને પોતાની ખુરશી જવાનો ભય લાગે છે અને તે સમાધાન કરવા તૈયાર થઇ જાય છે. મેધા પાટકરે નર્મદા યોજના સામે વર્ષો સુધી વનવાસીઓના અહિંસક આંદોલનનું નેતૃત્વ કર્યું, પણ ગુજરાત સરકારે નમતું જોખ્યું નહીં. સરદાર સરોવર બંધ બની ગયો અને મેધા પાટકરનું આંદોલન નિષ્ફળ ગયું. ઇ.સ.૨૦૧૨માં મધ્ય પ્રદેશના સેંકડો ખેડૂતો જલસત્યાગ્રહના રૂપમાં ૧૭ દિવસ સુધી નર્મદાના પાણીમાં ગળા સુધી ડૂબેલા રહ્યા, તેમના સત્યાગ્રહને મીડિયામાં પ્રસિદ્ધિ મળી, પણ સરકાર પીગળી નહીં.

કોઇ પણ અહિંસક આંદોલન ત્યારે જ સફળ થાય છે, જ્યારે તેને પ્રજાનો વ્યાપક ટેકો મળ્યો હોય અને સરકારને તેને કારણે હિંસા ફેલાઇ જવાનો ડર લાગ્યો હોય. ગાંધીજીનું અહિંસક આંદોલન સફળ થયું હતું, કારણ કે તેને ભારતની પ્રજાનો વ્યાપક ટેકો મળ્યો હતો. બ્રિટીશ સલ્તનતને ભય લાગ્યો હતો કે જો પ્રજા હિંસક બનશે તો શું થશે? તેનું નાનકડું સેમ્પલ ઇ.સ.૧૯૨૦માં ચૌરી ચૌરા હત્યાકાંડમાં અને ઇ.સ.૧૯૪૪માં નૌકાદળના સૈનિકોના બળવામાં મળી ગયું હતું. ઇ.સ.૧૯૪૨માં ભારત છોડો આંદોલન વખતે પણ સત્યાગ્રહીઓના એક જૂથે હિંસા આચરવાની તૈયારી કરી રાખી હતી. અંગ્રેજોને જ્યારે લાગ્યું કે હવે આંદોલન હિંસક બનશે, ત્યારે તેઓ ભારત છોડીને ચાલ્યા ગયા હતા.

ઈરોમ શર્મિલાનાં અનશન આંદોલનને પ્રારંભમાં પ્રજાનો ટેકો મળ્યો હતો, પણ આંદોલન જેમ લંબાતું ગયું તેમ ટેકેદારો ખસતા ગયા હતા. ઈરોમ શર્મિલાના વિરોધીઓ તેના પર ભારતીય સૈન્યને બદનામ કરવા માગતા દેશવિરોધી તત્ત્વોનો હાથો બનવાના આક્ષેપો કરતા હતા. તેના સમર્થકો પણ માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે તેનો ઉપયોગ કરતા હતા. ઇમ્ફાલની જે હોસ્પિટલમાં ઈરોમ સારવાર લઇ રહી હતી ત્યાં તેની ખબર કાઢવા પણ કોઇ ફરકતું નહોતું. જે મણિપુરની પ્રજા માટે ઈરોમે પોતાની અંગત જિંદગીનો અને સુખસગવડોનો ભોગ આપ્યો તેમને આંદોલનમાં રસ રહ્યો નહોતો. હવે ઈરોમે અનશન છોડીને પરણી જવાનો અને હેતુસિદ્ધિ માટે ચૂંટણીનાં રાજકારણમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો છે.

ઈરોમ શર્મિલાના આ નિર્ણય પરથી ગુજરાતના પાટીદારોએ અને કાશ્મીર ખીણના અલગતાવાદીઓએ પણ પ્રેરણા લેવાની જરૂર છે. અણ્ણા હઝારેના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનમાં જોડાયેલા અરવિંદ કેજરીવાલને લાગ્યું કે સરકાર સામે લડવાને બદલે સરકારમાં બેસી જવામાં શાણપણ છે ત્યારે તેઓ ચૂંટણીઓ લડ્યા હતા અને જીત્યા હતા. હવે તેઓ પોતાના હેતુને સિદ્ધ કરી શકે છે. ગુજરાતના પાટીદારોને લાગતું હોય કે સરકાર તેમની ન્યાયી માગણી પણ સ્વીકારતી નથી તો તેમણે ચૂંટણી લડવી જોઇએ અને સરકાર બનાવવી જોઇએ. આ વાત કાશ્મીરના અલગતાવાદી નેતાઓને તથા નક્સલવાદીઓને પણ લાગુ પડે છે. લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણી જીતવી તે પ્રજાના ટેકાની સૌથી સ્વીકૃત કસોટી છે. આ કસોટીમાં જેઓ ખરા ઊતરે તેમનું આંદોલન જ સફળ થયું કહેવાય છે.

ટાઇગર હિલના કબજા માટે જીવસટોસટનો જંગ

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૨૭  જુલાઇ , બુધવાર

 

જરા યાદ કરો કુર્બાની:

જનરલ પરવેઝ મુશર્રફે ભારતની પીઠમાં ખંજર માર્યું હતું.

 

ઇ.સ.૧૯૯૯માં લડાયેલાં કારગિલના યુદ્ધમાં ફરી એક વખત સાબિત થઇ ગયું હતું કે પાકિસ્તાનનો બિલકુલ ભરોસો કરી શકાય તેમ નથી. ભારતના તત્કાલીન વડા પ્રધાન અટલબિહારી વાજપેયી પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફના આમંત્રણથી લાહોર ગયા હતા. બંને દેશોના વડા પ્રધાનો લાહોરમાં મૈત્રી કરાર પર હસ્તાક્ષર કરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાનના તત્કાલીન લશ્કરી વડા જનરલ પરવેઝ મુશર્રફ લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અઝિઝ સાથે બેસીને કારગિલમાં ભારતીય ચોકીઓ કબજે કરવાની યોજના ઘડી રહ્યા હતા. ઇ.સ.૨૦૧૫માં પાકિસ્તાનના જીયો ટીવીને આપેલી મુલાકાતમાં જનરલ પરવેઝ મુશર્રફે ડંફાસ મારી હતી કે કારગિલમાં પાકિસ્તાનના બીજી હરોળના લશ્કરે ભારતની ગરદન પકડી હતી,જેને પાછળથી પહેલી હરોળના લશ્કરનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

કારગિલમાં શિયાળામાં માઇનસ ૩૬ ડિગ્રી જેટલું તાપમાન થઇ જતું હોવાથી ભારતની અને પાકિસ્તાનની લશ્કરી ટુકડીઓ કેટલીક ચોકીઓ પરથી હટાવી લેવામાં આવતી હતી, જેને માર્ચ મહિનામાં પાછી ગોઠવી દેવામાં આવતી હતી. આ પરંપરા દાયકાઓથી ચાલી આવતી હતી. ઇ.સ.૧૯૯૯ના શિયાળામાં પાકિસ્તાની લશ્કરે કાયમ મુજબ કેટલીક ચોકીઓ ખાલી કરી, પણ ફેબ્રુઆરી મહિનામાં તેના પર પાછો કબજો જમાવી દીધો,એટલું જ નહીં કેટલીક ભારતની ચોકીઓ પર પણ અડિંગો જમાવી દીધો. આ આક્રમણ પાકિસ્તાનના સ્પેશિયલ સર્વિસ ફોર્સે કર્યું હતું, જેમાં કેટલાક અર્ધ લશ્કરી દળો પણ જોડાયા હતા. ભારતને તેની જાણ છેક મે મહિનામાં થઇ હતી.

પ્રારંભમાં ભારતને હતું કે કેટલાક જિહાદીઓ કારગિલમાં ઘૂસી આવ્યા છે અને તેમણે ભારતની કેટલીક ચોકીઓનો કબજો લઇ લીધો છે, પણ આક્રમણ ધાર્યા કરતાં ઘણું મોટું હતું. ઘૂસણખોરો દ્વારા ૧૮,૦૦૦ ફીટની ઊંચાઇએ ભારતની આશરે ૨૦૦ ચોરસ કિલોમીટર જમીન પર કબજો જમાવી દેવાયો હતો. સૌથી ગંભીર બાબત એ હતી કે શ્રીનગરને લેહ સાથે જોડતો નેશનલ હાઇવે ૧-ડી પણ ઘૂસણખોરોના બોમ્બમારાની રેન્જમાં આવી ગયો હતો, જેને કારણે લડાખ કાશ્મીરથી વિખૂટું પડી જવાનો ભય ઊભો થયો હતો. તત્કાલીન વડા પ્રધાન અટલબિહારી વાજપેયીને આ ઘૂસણખોરીની જાણ કરવામાં આવી ત્યારે તેમણે તત્કાળ ‘ઓપરેશન વિજય’ નામે પ્રતિઆક્રમણ કરવાનો આદેશ છોડ્યો હતો.

કારગિલનું યુદ્ધ ૩મેથી ૨૬ જુલાઇ સુધી ચાલ્યું હતું, પણ તેમાં સૌથી ભીષણ જંગ ટાઇગર હિલ તરીકે ઓળખાતી ટેકરીના કબજા માટે લડાયો હતો. પોઇન્ટ ૫૧૪૦ તરીકે ઓળખાતી ટાઇગર હિલની ટોચ પર દુશ્મને કબજો જમાવી દીધો હતો. ભારતના સૈનિકો ટેકરી પર ચઢવાની કોશિષ કરે કે ઉપરથી ગોળાઓ વરસાવી સૈનિકોને પાછા ધકેલી દેવામાં આવતા હતા. ટાઇગર હિલને કબજે કરવાની જવાબદારી ૧૮ ગ્રેનેડિયર્સ નામની ચુનંદી ટુકડીના લેફ્ટનન્ટ બલવાન અને કેપ્ટન સચિન નિમ્બાલકરને સોંપવામાં આવી હતી. તેમની ટુકડી ટાઇગર હિલની ટોચથી ૫૦ મીટર દૂર હતી.

ટાઇગર હિલ પર અંતિમ હુમલો કરવા માટે રાતનો સમય પસંદ કરવામાં આવ્યો હતો. રાત્રિના ગાઢ અંધકારમાં ૬ સૈનિકોની ટુકડી રસ્સીના સહારે ટેકરી પર ચઢવા લાગી હતી. તેમની બંદૂકો તેમની પીઠ પર બાંધી દેવામાં આવી હતી અને રસ્સીના સહારે તેઓ ટેકરીની ધાર પર લટકતા હતા. તેમણે જેવું માથું ઊંચું કર્યું કે સામે ૬ પાકિસ્તાની સૈનિકો દેખાયા. તેમણે પણ ભારતીય સૈનિકોને જોઇ લીધા હતા. પાકિસ્તાની સૈન્યે તરત જ ફાયરિંગ શરૂ કર્યું, જેમાં ભારતના પાંચ જવાનો શહીદ થઇ ગયા. યોગિન્દર યાદવ નામનો ૬ઠ્ઠો જવાન ઘાયલ થયો હતો તો પણ લડતો રહ્યો હતો.

હવે બીજી ટુકડી મોકલવામાં આવી હતી. ૬ સૈનિકોની આ ટુકડીની આગેવાની કેપ્ટન સચિન નિંબાલકરે લીધી હતી. આ ટુકડી સડસડાટ ટાઇગર હિલ પર ચઢી ગઇ હતી. આ કામ તેમણે એટલી કુશળતાથી કર્યું હતું કે દુશ્મનો ગફલતમાં રહી ગયા હતા. ટેકરી પર પહોંચી તેમણે ફાયરિંગ શરૂ કર્યું અને સાત પૈકી એક બન્કર પર કબજો જમાવી દીધો હતો. બાકીના બન્કરો પર ત્રાટકીને તેમણે ફાયરિંગ શરૂ કર્યું હતું. હાથોહાથની લડાઇમાં તેમણે પાંચ સૈનિકોને મોતને ઘાટ ઊતારી દીધા હતા. ટાઇગર ટોપ પર કબજા પછી પણ ટાઇગર હિલનો કેટલોક ભાગ હજુ દુશ્મનના કબજામાં હતો. ભારતીય સૈનિકો તેના કબજા માટે આગળ વધ્યા હતા, પણ સામેથી પાકિસ્તાને તોપમારો શરૂ કર્યો હતો. ખુલ્લા આકાશમાં તોપમારાથી બચવા માટે તેમણે પાકિસ્તાની સૈનિકોના મૃતદેહોને આડા ધરી દીધા હતા. ઘૂસણખોરો અટકી ગયા હતા. મોંસૂઝણું થયું ત્યારે ટાઇગર હિલ ભારતના કબજામાં હતી.

ભારતના પરાક્રમી સૈનિકોએ તા. ૪ જુલાઇના રોજ ૧૧ કલાકના યુદ્ધ પછી ટાઇગર હિલ પર કબજો જમાવ્યો તે કારગિલ યુદ્ધનો ટર્નિંગ પોઇન્ટ હતો. બીજા દિવસે ભારતે દ્રાસ પર ફરીથી પોતાનો કબજો જમાવી દીધો હતો. નવાઝ શરીફે કારગિલમાંથી પાકિસ્તાની લશ્કર પાછું ખેંચવાની જાહેરાત કરી દીધી હતી. તા. ૭ જુલાઇના ભારતે બટાલિકમાં જુબાર હાઇટ્સ પર કબજો જમાવ્યો હતો. તા.૧૧ જુલાઇના પાકિસ્તાની લશ્કરે કારગિલમાંથી પીછેહઠ શરૂ કરી હતી. તા.૧૪ જુલાઇએ અટલબિહારી વાજપેયીએ ઓપરેશન વિજય સફળ થવાની ઘોષણા કરી હતી. તા. ૨૬ જુલાઇના કારગિલ યુદ્ધનો અંત આવવાની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી. કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનના સ્પેશિયલ ગ્રુપના આશરે ૭૦૦ સૈનિકો મરાયા હતા, જ્યારે ભારતના આશરે ૫૦૦ જવાનો શહીદ થયા હતા.

સસ્તી બ્રાન્ડેડ એલોપથી દવાઓ કેવી રીતે ખરીદવી ?

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૨૬  જુલાઇ , મંગળવાર

 

નેટર્ફિંગ કરી બચત કરો :

ડોક્ટરો શા માટે મોંઘી દવાઓ લખી આપે છે?

 

એલોપથી દવાઓના ઉત્પાદકો દર્દીઓને બેફામ લૂંટે છે તે જાણીતી બાબત છે. તેમાં પણ કેન્સર જેવી અસાધ્ય બીમારીઓની દવાના ભાવો તો આસામાને પહોંચી ગયા છે. ફાઇવ સ્ટાર હોસ્પિટલના સંચાલકો ફાર્મા કંપનીઓ પાસેથી ભારે ડિસ્કાઉન્ટમાં દવાઓ ખરીદે છે અને પોતાના દર્દીઓને છાપેલી કિંમતે દવાઓ વેચીને અઢળક કમાણી કરે છે. હોસ્પિટલોને દવાની કિંમત પર ૮૫ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. હોસ્પિટલોનો ૨૫થી ૩૫ ટકા નફો દવાના વેચાણમાંથી થતો હોય છે.

દિલ્હી નજીક આવેલા ગુરગાંવની ફાઇવ સ્ટાર હોસ્પિટલમાં એક મહિલા કેન્સરની સારવાર માટે આવતી હતી. તેને નોવાર્ટીસ કંપની દ્વારા ઉત્પાદિત ઝોમેટા નામનું ઇન્જેક્શન દર ત્રણ-ચાર અઠવાડિયે લેવું પડતું હતું. હોસ્પિટલ તેની પાસેથી એક ઇન્જેક્શનના ૧૫,૨૦૦ રૂપિયા વસૂલ કરતી હતી, જે તેની છાપેલી કિંમત હતી. મહિલાએ સતત બે વર્ષ માટે ઝોમેટા ઇન્જેક્શનો લીધાં હતાં. મહિલાને એક વખત કોઇ કામ માટે બેંગલોર જવાનું થયું. ત્યાં તેને ડોક્ટરે કોઇ બીજી બ્રાન્ડનું ઇન્જેક્શન આપ્યું તેના માત્ર ૪,૦૦૦ રૂપિયા લીધા હતા. બ્રાન્ડ અલગ હતી,પણ દવા સમાન જ હતી.

મહિલાને લાગ્યું કે ગુરગાંવની હોસ્પિટલ તેની સાથે છેતરપિંડી કરી રહી છે. દિલ્હી પાછા આવી તેણે હોસ્પિટલના સંચાલકો સાથે ઝઘડો કર્યો કે માર્કેટમાં સસ્તું ઇન્જેક્શન મળતું હતું તો તમે મને મોંઘું ઇન્જેક્શન કેમ આપતા હતા? સંચાલકો ગભરાઇ ગયા એટલે તેમણે મહિલાને સિપ્લા કંપનીનું ઝોલ્ડ્રિયા ઇન્જેક્શન આપવાનું શરૂ કર્યું, જેની કિંમત માત્ર ૨,૮૦૦ રૂપિયા જ હતી. હવે તે મહિલાએ તપાસ કરી કે ઝોમેટા જેવી જ મૂળ દવા ધરાવતાં અલગ અલગ બ્રાન્ડનાં ઇન્જેક્શનો બજારમાં કઇ કિંમતે મળે છે? તેને જાણીને નવાઇ લાગી કે નાટકો નામની કંપની દ્વારા ઉત્પાદિત ઝોલ્ડોનટ નામનું ઇન્જેક્શન બજારમાં માત્ર ૮૦૦ રૂપિયામાં મળે છે. ક્યાં ૧૫,૨૦૦ રૂપિયા અને ક્યાં ૮૦૦ રૂપિયા?

આપણા દેશમાં એક જ દવા અલગ અલગ કંપનીઓ દ્વારા ઉત્પાદિત થાય છે અને અલગ અલગ બ્રાન્ડનેમ સાથે અલગ અલગ ભાવે બજારમાં વેચાય છે. મોટા ભાગના ડોક્ટરો પોતાના દર્દીઓને સસ્તી દવા લખી આપવાને બદલે મોંઘીદાટ દવા લખી આપતા હોય છે, કારણ કે તેમાં તેમને વધુ કમિશન મળતું હોય છે. જો કોઇ દર્દી બજારમાંથી સસ્તી દવા ખરીદવા માગતો હોય તો શું કરે?

મોટા ભાગના દર્દીઓને એ વાતનું જ્ઞાન નથી હોતું કે તેમને ડોક્ટરે જે બ્રાન્ડેડ દવા લખી આપી છે તેમાં મૂળ કેમિકલ ક્યું છે અને તે કેમિકલ ધરાવતી બીજી કઇ બ્રાન્ડની દવાઓ બજારમાં સસ્તા ભાવે મળે છે? જો દર્દીને કોઇ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે તો તેમને ફાયદો થઇ શકે છે.

મુંબઇના વિનોદકુમાર મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટે http://www.medguideindia.com નામની વેબ્સાઇટ બનાવી છે. તેના ઉપયોગથી ડોક્ટર દ્વારા લખી આપવામાં આવતી કોઇ પણ બ્રાન્ડેડ દવાનું મુખ્ય તત્ત્વ ક્યું છે? અને આ મુખ્ય તત્ત્વ ધરાવતી બીજી કઇ બ્રાન્ડની દવાઓ બજારમાં કઇ કિંમતે મળે છે? તેની જાણકારી બે મિનિટમાં બહુ સહેલાઇથી મળી જાય છે. આ જાણકારીના આધારે દર્દી પોતાના ડોક્ટરને આ દવા લખી આપવાનું જણાવી શકે છે. આ વેબ્સાઇટ પર સસ્તી બ્રાન્ડેડ દવાની જાણકારી મળી શકે છે. આ માટે નીચે મુજબ ૯ પગથિયાં ચડવાનાં રહે છે.

(૧) ઉપરોક્ત લિન્ક પર ક્લિક કરીને વેબ્સાઇટનું હોમપેજ ઓપન કરો.

(૨) હોમપેજ પર ડાબી બાજુએ તમને રેપિડ સર્ચ બાય બ્રાન્ડ ઓફ ધ ડ્રગ બોક્સ મળશે.

(૩)આ બોક્સમાં તમારે ડોક્ટરે લખી આપેલી દવાનું બ્રાન્ડ નેમ ટાઇપ કરવાનું રહેશે.

(૪)સબ્મિટ બટન પર ક્લિક કરતાં તમને દવાની પૂરી વિગતો મળશે.

(૫)જમણી બાજુ એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ બટન પર ક્લિક કરો.

(૬)નવી વિન્ડોમાં દવાનાં મૂળ તત્ત્વનું નામ વાંચવા મળશે.

(૭)નવી વિન્ડોમાં મેચેડ બ્રાન્ડના બટન પર ક્લિક કરો.

(૮)આ મૂળ તત્ત્વ ધરાવતી તમામ બ્રાન્ડની દવાની વિગતો મળશે.

(૯)તેમાંથી સસ્તામાં સસ્તી દવા તમે ખરીદી શકો છો.

ઉદાહરણ તરીકે મારા ડોક્ટરે મને મર્ક ઇન્ડિયા નામની કંપની દ્વારા ઉત્પાદિત કોન્કોર નામની બ્રાન્ડેડ દવા લખી આપી છે. આ દવાની ૧૦ ટેબ્લેટની કિંમત ૪૪.૮૦ રૂપિયા છે. આ દવામાં બાઇસોપ્રોલોલ નામનું મૂળ તત્ત્વ ૨.૫ મિલિગ્રામ જેટલું હોય છે. મારે આ મૂળ તત્ત્વ ધરાવતી બીજી કોઇ બ્રાન્ડની સસ્તી દવા બજારમાં મળે છે કે કેમ? તે જાણવું છે. હું ઉપર મુજબ તપાસ કરું છું.

મને જાણવા મળે છે કે બાઇસોપ્રોલોલ ધરાવતી સાત બ્રાન્ડેડ દવાઓ બજારમાં મળે છે, જે દરેકના ભાવો અલગ અલગ છે. રુસાન હેલ્થકેર નામની કંપની આ દવા બાઇસોકાર નામે બજારમાં વેચે છે, જેની ૧૦ ટેબ્લેટ માત્ર ૧૭ રૂપિયામાં મળે છે. ઇન્ટાસ લેબોરેટરી આ દવા બાઇસિલેક્ટ નામે બજારમાં વેચે છે, જેની કિંમત ૧૯.૪૩ રૂપિયા છે. યુનિકેમ લેબોરેટરી આ દવા કોર્બિસ નામે ૨૦.૩૦ રૂપિયામાં વેચે છે તો વીએચબી લાઇફસાયન્સ કંપની તેને બેબેડોલ નામે ૨૫ રૂપિયામાં વેચે છે.

અહીં સવાલ એ થાય છે કે જ્યારે બજારમાં સસ્તી દવા ઉપલબ્ધ હોય ત્યારે તમારા ડોક્ટર તમને મોંઘી દવા કેમ લખી આપે છે? આ સવાલ તમારે તમારા ડોક્ટરને જ પૂછવો જોઇએ.

કોલેજમાં ભણ્યા વિના બિઝનેસ માસ્ટર બની શકાય

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૨૫  જુલાઇ , સોમવાર

 

ભણતર કરતાં મહત્ત્વનું ગણતર :

ઉચ્ચ શિક્ષણ લેનારા વિદ્યાર્થીઓ ડરપોક બની જાય છે.

 

મેનેજમેન્ટનો એક સ્ટુડન્ટ બેંગલોરના ચિકપેટમાં આવેલી રેડિમેડ કપડાંની એક દુકાનમાં ગયો. દુકાનમાં ભારે ભીડ હતી. દુકાનનો માલિક રાજસ્થાની યુવક હતો. બ્રહ્મદેવ દસમાં ધોરણમાં નપાસ થયો ત્યારે તેના કાકા તેને બેંગલોર લઇ આવ્યા હતા. બે-ત્રણ વર્ષ કાકાની દુકાનમાં નોકરી કરીને તેણે પોતાની દુકાન શરૂ કરી હતી. બ્રહ્મદેવે મેનેજમેન્ટના સ્ટુડન્ટને કન્નડ ભાષામાં આવકાર આપ્યો. તેણે જોયું કે રાજસ્થાની બ્રહ્મદેવ બધા કન્નડ ગ્રાહકો સાથે અણિશુદ્ધ કન્નડ ભાષામાં જ વાત કરતો હતો.

વિદ્યાર્થીએ બ્રહ્મદેવને પૂછ્યું, તું કન્નડ ભાષા કેવી રીતે શીખ્યો?

બ્રહ્મદેવ કહે, હું ગ્રાહકો સાથે વાત કરતાં કરતાં જ કન્નડ શીખી ગયો. શરૂઆતમાં મને બહુ મુશ્કેલી પડતી હતી; પણ હું ગ્રાહકો સાથે જેમ જેમ કન્નડમાં વાત કરતો ગયો તેમ મારું કન્નડ સુધરતું ગયું. કન્નડ ઉપરાંત હું મરાઠી, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, તામિલ, તેલુગુ અને મલયાલમ ભાષાઓ પણ બોલી શકું છું. આ બધી ભાષાઓ હું ગ્રાહકો પાસેથી જ શીખ્યો છું.

બ્રહ્મદેવ બાબતમાં વધુ જાણવાની સ્ટુડન્ટને ઇચ્છા થઇ. તેણે પૂછ્યું, તું કેટલાં વર્ષોથી રેડિમેડ ગાર્મેન્ટનો ધંધો કરે છે? બ્રહ્મદેવ કહે, મને આ ધંધામાં દસ વર્ષ થયાં છે. હું ૧૫ વર્ષનો હતો ત્યારે રાજસ્થાનથી આવ્યો હતો. અત્યારે મારી ઉંમર ૨૫ વર્ષની છે. આ ચિકપેટ વિસ્તારમાં તમને જેટલી કપડાંની દુકાનો જોવા મળે છે તે ચલાવતા મોટા ભાગના રાજસ્થાની યુવાનો કોલેજમાં ગયા નથી.

મેનેજમેન્ટના સ્ટુડન્ટને હવે બ્રહ્મદેવની ઇર્ષ્યા થવા લાગી હતી. તે પોતે ૨૧ વર્ષની ઉંમરે સ્નાતક થયો હતો. બે વર્ષ તેણે એમબીએ થવામાં ગાળ્યા હતા. તેને હજી ૧૦ હજાર રૂપિયાના પગારની નોકરી પણ નહોતી મળી. એટલે તે હવે કંપની સેક્રેટરીનો કોર્સ કરી રહ્યો હતો. તેણે બ્રહ્મદેવને કહ્યું, મારે ન પૂછવું જોઇએ, પણ મને જાણવાની ઇચ્છા છે કે તારી કમાણી કેટલી છે?

બ્રહ્મદેવ કહે, તેનો આધાર સિઝન પર છે. સામાન્ય રીતે મારું માસિક ટર્નઓવર ૮-૯ લાખ રૂપિયા રહે છે; પણ તહેવારોમાં તે માસિક ૧૫ લાખ પર પહોંચી જાય છે. ઓફ્ફ સિઝનમાં હું મહિને ત્રણથી ચાર લાખ રૂપિયા કમાઉં છું, પણ સિઝનમાં મારી કમાણી સાતથી આઠ લાખ પર પહોંચે છે.

આ જવાબ સાંભળીને મેનેજમેન્ટના વિદ્યાર્થીને લગભગ ચક્કર આવી ગયા. વિદ્યાર્થીને વિચાર આવ્યો : શું બ્રહ્મદેવે કોલેજનું શિક્ષણ લીધું હોત તો તે પોતાની કારકિર્દીમાં વધુ સફળ થયો હોત?

તેણે બ્રહ્મદેવને જ પૂછ્યું, તને કોલેજનું શિક્ષણ પૂરું ન કરવાનો અફસોસ નથી?

બ્રહ્મદેવે જે જવાબ આપ્યો તે આપણને વિચારતા કરી મૂકે તેવો છે. તે કહે, જો મારે મારું શિક્ષણ પૂરું કરવું હોત તો મેટ્રિક પછી બીજાં પાંચ-છ વર્ષ ભણવું પડ્યું હોત. એટલો સમય મેં ધંધામાં આપ્યો તો હું આ સ્થાન પર પહોંચી ગયો છું. મારા જે મિત્રો સ્નાતક થયા છે તેઓ અત્યારે નોકરી શોધી રહ્યા છે.

વિદ્યાર્થીએ પૂછ્યું, તેમ છતાં તને નથી લાગતું કે તે ઉચ્ચ શિક્ષણ લીધું હોત તો તારો વધુ વિકાસ થયો હોત? તું અત્યારે જેટલા રૂપિયા કમાય છે, તેના કરતાં વધુ રૂપિયા કમાતો હોત?

બ્રહ્મદેવ કહે, ના સર! મારો અનુભવ કહે છે કે આજનું શિક્ષણ લેનારા ડરપોક બની જાય છે. તેમનામાં સ્વતંત્ર ધંધો કરવાની હિંમત રહેતી નથી. તેઓ નોકરી જ શોધે છે.  નોકરી મળે તો પણ તેઓ સતત ભય નીચે જીવે છે કે નોકરી ચાલી જશે તો શું થશે?

આ દરમિયાન એક ગ્રાહક શર્ટ-પેન્ટની ૧૦ જોડી લઇને પેમેન્ટ કરવા આવ્યો. બ્રહ્મદેવે તેનું બિલ બનાવ્યું અને કેલ્ક્યુલેટરની મદદ વિના જ સરવાળો કરી તેમાંથી ૧૦ ટકા ડિસ્કાઉન્ટ બાદ કરી હિસાબ કરી નાખ્યો.  આમ કરતાં તેને માંડ ૧૦થી ૧૫ સેકન્ડ લાગી હતી.

વિદ્યાર્થી કહે, બોસ! તને તો કેલ્ક્યુલેટરની પણ જરૂર નથી પડતી?

બ્રહ્મદેવ કહે, કેલ્ક્યુલેટરની જરૂર તો તમને ભણેલાને પડે છે. હું તો અભણ છું, માટે કેલ્ક્યુલેટર વગર જ હિસાબ કરું છું. જો હું ગણતરીમાં જરાય ભૂલ કરું તો મને નુકસાન જાય છે; માટે મારી ગણતરી સચોટ હોય છે. બ્રહ્મદેવ સાથેની મુલાકાત પછી વિદ્યાર્થીને જે બોધપાઠ મળ્યો તે જાણવા જેવો છે :

૧.  કોલેજનાં શિક્ષણ વગર પણ બ્રહ્મદેવ જોબલેસ નથી. જ્યારે ડિસ્ટિન્ક્શન સાથે સ્નાતક થયેલા આપણા યુવાનો નોકરી શોધે છે અને નોકરી ન મળે તો હતાશ થઇ જાય છે.

૨. મેનેજમેન્ટનો કોર્સ કર્યા વિના પણ બ્રહ્મદેવમાં કોમ્યુનિકેશનની કુનેહ છે, જેને કારણે તે ધંધામાં સફળ થયો છે. મેનેજમેન્ટના સ્નાતકોમાં પણ આટલી કોમ્યુનિકેશન સ્કિલ હોતી નથી.

૩. કોલેજમાં ગયા વગર પણ બ્રહ્મદેવ મહિને લાખો રૂપિયા કમાય છે; જ્યારે આજના સ્નાતકો ફરિયાદ કરે છે કે તેમનો પગાર હપ્તાઓ ભરવામાં જ પૂરો થઇ જાય છે.

૪. ઉચ્ચ શિક્ષણ લીધા વિના પણ બ્રહ્મદેવનું મગજ ગણતરીમાં તેજસ્વી છે. બીજી બાજુ ગણિતના વિષય સાથે એન્જિનિયર થયેલા વિદ્યાર્થીઓ પણ કેલ્ક્યુલેટર વગર હિસાબ કરી શકતા નથી. હકીકતમાં તેમને પોતાના ગણિતનાં જ્ઞાન ઉપર વિશ્વાસ હોતો નથી.

૫.  બ્રહ્મદેવ પાસે મેનેજમેન્ટની ડિગ્રી નથી; તો પણ તેને પોતાની રોજી ગુમાવવાનો થય નથી. તેની સરખામણીએ મેનેજમેન્ટની ડિગ્રી ધરાવતા મોટી કંપનીઓના ટોચના ઓફિસરો પણ નોકરી ચાલી જવાના ભય હેઠળ જીવે છે, જેને કારણે તેઓ જાતજાતના માનસિક રોગોનો ભોગ બને છે.

ગાંધીહત્યા અને આરએસએસ : સત્ય બે અંતિમોની વચ્ચે રહેલું છે

બદનક્ષીના કેસમાં સજાથી બચવા માટે રાહુલ ગાંધીએ પુરવાર કરવું પડશે કે ગાંધીજીની

હત્યામાં આરએસએસનો હાથ હતો અને તે હવે જાહેર કરવાથી સમાજને ફાયદો થાય તેમ છે.

 

ઇ.સ.૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કરેલું વિધાન તેમને ભારે પડી ગયું છે.  મુંબઇ નજીક ભિવંડી ખાતે ચૂંટણી સભાને સંબોધતા રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના માણસોએ ગાંધીજીની હત્યા કરી હતી. આ વિધાન સામે વાંધો ઉઠાવી આરએસએસના ભિવંડીના સ્વયંસેવકે રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ કર્યો છે. આ કેસને રદ્દ કરાવવા રાહુલ ગાંધીએ સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી ત્યારે સર્વોચ્ચ અદાલતે તેમને સ્પષ્ટ સૂચના આપી છે કે ક્યાં તેમણે માફી માગવી જોઇએ; ક્યાં ખટલો લડવાની તૈયારી રાખવી જોઇએ. રાહુલ ગાંધીએ માફી માગવાને  બદલે ખટલાનો સામનો કરવાનું પસંદ કર્યું છે. રાહુલ ગાંધીએ હવે અદાલતમાં સાબિત કરવું પડશે કે ગાંધીજીની હત્યા આરએસએસના માણસોએ કરાવી હતી.  આ કેસને કારણે ૬૮ વર્ષ જૂનો વિવાદ પાછો જીવતો થયો છે.
ગાંધીજીની હત્યાના મુખ્ય આરોપી નાથુરામ ગોડસે અને તેના ભાઇઓ કોઇ સમયે આરએસએસના સભ્યો હતા તેનો ઇનકાર સંઘપરિવાર પણ કરી શકે તેમ નથી, પણ મહત્ત્વનો સવાલ એ છે કે શું ગાંધીજીની હત્યામાં સંઘપરિવારની કોઇ સક્રિય ભૂમિકા હતી ખરી? ગાંધીજીની હત્યા થઇ તેના ગણતરીના દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા આરએસએસ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો, પણ પ્રતિબંધના ઓર્ડરમાં ક્યાંય જણાવવામાં આવ્યું નહોતું કે ગાંધીજીની હત્યામાં આરએસએસનો હાથ હતો. ગાંધીજીની હત્યાનો જે ખટલો ચલાવવામાં આવ્યો તેમાં પણ ક્યાંય આરએએસ પર હત્યામાં સામેલ થવાનો આરોપ મૂકવામાં આવ્યો નહોતો. ઇ.સ.૧૯૬૫માં ગાંધીજીની હત્યાની તપાસ કરવા માટે નિમાયેલા જસ્ટિસ કપૂર કમિશને પોતાના હેવાલમાં જણાવ્યું હતું કે ગાંધીજીની હત્યામાં સંઘપરિવારની ભૂમિકા હોવાના કોઇ પુરાવા મળતા નથી.
સરદાર વલ્લભભાઇ પટેલ માનતા હતા કે ઇ.સ.૧૯૪૭ પછી આરએસએસ દ્વારા હિન્દુત્વના મુદ્દાને લઇને જે ઝેરી પ્રચાર કરવામાં આવ્યો તેને કારણે જે વાતાવરણ દેશમાં પેદા થયું તેના પરિણામસ્વરૂપ ગાંધીજીની હત્યા થઇ હતી. આ વાતનો ઉલ્લેખ સરદાર વલ્લભભાઇ પટેલે ઇ.સ.૧૯૪૮ની ૧૧ સપ્ટેમ્બરે આરએસએસના તત્કાલીન સરસંચાલક ગુરુ ગોલવલકર પરના પત્રમાં પણ કર્યો હતો.  સરદાર પટેલે આ પત્રના પ્રારંભમાં સંઘપરિવાર દ્વારા હિન્દુ પ્રજાની સેવા માટે ચાલતી પ્રવૃત્તિઓને બિરદાવી હતી, પણ પાછળથી લખ્યું હતું કે, ‘‘ સંઘપરિવારે ફેલાવેલા કોમી ઝેરને કારણે ગાંધીજીને પોતાની જિંદગીનું બલિદાન આપવું પડ્યું હતું.
 ’’
ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસાની જિંદગીની કિતાબ વાંચતા ખ્યાલ આવે છે કે તે સાંગલીમાં રહેતો હતો ત્યારે સંઘપરિવારની કટ્ટર હિન્દુત્વવાદી વિચારધારાથી આકર્ષાઇને શાખામાં નિયમિત જવા લાગ્યો હતો. તેનો શાખાનો બૌદ્ધિક પ્રચારક પણ બનાવવામાં આવ્યો હતો. પરંતુ નાથુરામગોડસેને લાગ્યું કે સંઘપરિવારનું હિન્દુત્વ જોઇએ તેવું જલદ નથી; માટે તે સંઘપરિવાર સાથે છેડો ફાડીને વીર સાવરકરની હિન્દુ મહાસભામાં જોડાઇ ગયો હતો. નાથુરામ ગોડસે સાથેના સંબંધોને કારણે વીર સાવરકરને પણ ગાંધીજીની હત્યાનાં કાવતરાંમાં સહ આરોપી બનાવવામાં આવ્યા હતા, પણ પુરાવાને અભાવે કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા.
ગાંધીજીની હત્યા થઇ ત્યારે શ્યામાપ્રસાદ મુખરજી જવાહરલાલ નેહરુની કેબિનેટના સભ્ય હતા. તેમણે વીર સાવરકરને ગાંધી હત્યાકાંડમાં આરોપી બનાવવાનો વિરોધ કર્યો હતો. તેમણે સરદાર વલ્લભભાઇ પટેલ પર પણ પત્ર લખ્યો હતો. વલ્લભભાઇ પટેલે આ પત્રના જવાબમાં જણાવ્યું હતું કે, ગાંધીજીની હત્યાનો કેસ અદાલતમાં ચાલતો હોવાથી હું આરએસએસ અને હિન્દુ મહાસભાની પ્રવૃત્તિ બાબતમાં વધુ નહીં લખું, પણ અમારો હેવાલ એમ કહે છે કે આ બે સંસ્થાઓની પ્રવૃત્તિન કારણે દેશમાં એવો માહોલ પેદા થયો હતો કે ગાંધીજીની હત્યા થઇ હતી.
ઇ.સ.૧૯૬૫માં નાથુરામ ગોડસેનો ભાઇ ગોપાલ ગોડસે જન્મટીપની સજા ભોગવીને છૂટી ગયો ત્યારે દેશમાં ફરી વિવાદ થયો હતો. આ વિવાદને પગલે તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા જસ્ટિસ જીવણલાલ કપૂર કમિશનની રચના કરવામાં આવી હતી. આ કમિશને ગાંધીજીની હત્યા બાબતમાં આરએસએસને ક્લિન ચીટ આપી હતી, પણ વીર સાવરકરની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા હતા. જોકે કમિશનનો રિપોર્ટ આવ્યો તે પહેલાં જ વીર સાવરકરનું મૃત્યુ થઇ ગયું હતું.
ગોપાલ ગોડસે જન્મટીપની સજા ભોગવ્યા પછી પુણેમાં સ્થાયી થયો હતો અને લાંબું જીવ્યો હતો. તેણે ઇ.સ.૧૯૯૪માં ફ્રન્ટલાઇન નામના અંગ્રેજી પાક્ષિકને આપેલી મુલાકાતમાં ધડાકો કર્યો હતો કે નાથુરામ ગોડસેએ ક્યારેય આરએએસમાંથી રાજીનામું આપ્યું નહોતું. ગોપાલ ગોડસેના કહેવા મુજબ ગાંધીજીની હત્યામાં આરએસએસની સંડોવણીની અફવા ફેલાઇ જતાં ગુરુ ગોલવલકર બહુ દુ:ખી થઇ ગયા હતા, માટે નાથુરામ ગોડસેએ નિવેદન કર્યું હતું કે તેણે આરએએસ છોડી દીધો છે. ગોપાલ ગોડસેને જ્યારે પૂછવામાં આવ્યું કે, ભાજપના નેતા લાલ કૃષ્ણ અડવાણી દાવો કરે છે કે નાથુરામ ગોડસે સાથે આરએસએસને કોઇ લેવાદેવા નહોતી, તે  માટે તમારે શું કહેવું છે?
આ સવાલના જવાબમાંગોપાલ ગોડસેએ જે જણાવ્યું હતું તે બહુ સૂચક છે. ગોપાલ ગોડસેના કહેવા મુજબ તેણે પોતે પણ અડવાણી સાથે આ બાબતમાં ચર્ચા કરી હતી, પણ તેઓ કાયર છે.  ગોપાલ ગોડસે કબૂલ કરે છે કે આરએસએસ દ્વારા ગાંધીજીની હત્યા બાબતમાં કોઇ ઠરાવ નહોતો કરવામાં આવ્યો અને નાથુરામ ગોડસેને તે કામ સોંપવામાં નહોતું આવ્યું; પણ નાથુરામ ગોડસેને આરએસએસ સાથે કંઇ લેવાદેવા નથી તેમ કહેવામાં કાયરતા છે. બીજા શબ્દોમાં ગોપાલ ગોડસે પણ કબૂલ કરે છે કે ગાંધીજીની હત્યામાં આરએસએસની કોઇ સીધી ભૂમિકા નહોતી.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે સંઘપરિવાર દ્વારા જે બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો છે તેમાં સુપ્રિમ કોર્ટ દ્વારા બે મહત્ત્વની ટિપ્પણી કરવામાં આવી છે. એક, કોઇ વ્યક્તિના કૃત્ય માટે આખી સંસ્થાને કેમ જવાબદાર ઠરાવી શકાય? બે, રાહુલ ગાંધીનો આક્ષેપ કદાચ સાચો હોય તો પણ તેનાથી જાહેર જનતાને શો ફાયદો થવાનો છે? જેઓ બદનક્ષીના કાયદાને જાણે છે તેમને બીજા સવાલનું મહત્ત્વ બરાબર સમજાશે. બદનક્ષીનો કાયદો એમ કહે છે કે કદાચ કોઇ વાત સાચી હોય તો પણ તે જો કોઇને બદનામ કરવાના ઇરાદા સાથે કહેવામાં આવી હોય તો તે ગુનો બને છે. સાચી વાત પણ ત્યારે જ બહાર પાડવી જોઇએ કે જ્યારે તેના જાહેર થવાથી સમાજને કોઇ ફાયદો થવાનો હોય.
જો રાહુલ ગાંધી બદનક્ષીના કેસમાં સજાથી બચવા માગતા હશે તો તેમણે હવે બે વાતો પુરવાર કરવી પડશે. પહેલી વાત એ કે ગાંધીજીની હત્યામાં આરએસએસનો હાથ હતો. આ વાત હજુ સુધી ભારતની કોઇ અદાલતમાં પુરવાર થઇ શકી નથી. રાહુલ ગાંધી પાસે એવા ક્યા નવા પુરાવા છે કે જેના આધારે તેઓ આ વાત પુરવાર કરી શકશે? બીજું, આ વાત હાલના તબક્કે જાહેર કરવાથી સમાજને કોઇ ફાયદો થાય તેમ છે. આ વાત રાહુલ ગાંધી પુરવાર કરી શકે તેમ નથી.

પોકેમોન ગો નાસ્તિકને પણ આસ્તિક બનાવી દેશે ?

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૨૩  જુલાઇ , શનિવાર

 

દોઢ કરોડ લોકો રમી રહ્યા છે :

આ રમત જીવલેણ ન બને તેની  કાળજી રાખવી પડશે.

 

મોબાઇલ અને ઇન્ટરનેટના માધ્યમથી રમાતી વીડિયો ગેમની ટીકા કરતાં કહેવાતું હતું કે તેને કારણે બાળકો કાઉચ પોટેટો બની જાય છે અને ઘરમાંથી બહાર નીકળવાનું ભૂલી જાય છે. પોકેમોન ગો નામની નાવીન્યપૂર્ણ ગેમના આગમન સાથે વીડિયો ગેમના ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. આ ગેમ તેના રમનારને ઘરની બહાર કાઢે છે, રસ્તા પર દોડાવે છે અને મંદિરમાં પણ મોકલી આપે છે. ભારતનાં જે માબાપો પોતાનાં બાળકોને મંદિરે જવાનું કહી કહીને થાક્યાં હતાં તેમને અચાનક ખબર પડી છે કે તેમનાં બાળકો સવાર પડતાં જ હાથમાં સ્માર્ટ ફોન લઇને મંદિર તરફ દોડે છે. આ બાળકો મંદિરમાં ભગવાનનાં દર્શન કરવા નથી જતાં પણ પોકેમોન નામના કાલ્પનિક પ્રાણીને પકડવા દોડે છે.

અમેરિકાની સોફ્ટવેર કંપની નિયાન્ટિકે જપાનની પોકેમોન કંપની સાથે મળીને ૨૦ વર્ષના સંશોધનના પરિપાકરૂપે જે ગેમ બનાવી છે તેણે ગેમિંગની દુનિયામાં તોફાન મચાવી દીધું છે. પોકેમોન ગો લોન્ચ થઇ તેના પહેલા સપ્તાહમાં જ દુનિયાના દોઢ કરોડ લોકોએ તેને ડાઉનલોડ કરી લીધી હતી. ભારતમાં હજુ સત્તાવાર રીતે પોકેમોન ગો લોન્ચ કરવામાં નથી આવી તો પણ ભારતના આશરે દસ લાખ લોકો ઇન્ટરનેટ પરથી આ ગેમ ડાઉનલોડ કરીને રમવા લાગ્યા છે. આ ગેમ ડાઉનલોડ કરનારાઓ રોજની સરેરાશ ૪૩ મિનિટ તેની પાછળ ગાળી રહ્યા છે,જે ટ્વિટર અને ફેસબુક કરતાં પણ વધુ છે.

પોકેમોન ગો રમવા માટે તમારી પાસે કેમેરાવાળો સ્માર્ટ ફોન, ઇન્ટરનેટનું કનેક્શન અને જીપીએસ સિસ્ટમ હોવી જરૂરી છે. રમત શરૂ કરવામાં આવે ત્યારે તમને મોબાઇલના સ્ક્રીનમાં તમારી આજુબાજુનાં સ્થળો દેખાડવામાં આવે છે, જેમાં વિવિધ પ્રકારના પોકેમોનને સંતાડીને રાખવામાં આવ્યાં છે. તમે હાથમાં સ્માર્ટ ફોન લઇને રસ્તા પર પહોંચી જાઓ ત્યારે તમને મોબાઇલના સ્ક્રીન પર ચારે બાજુ પોકેમોન ઉડતા દેખાય છે. આ પોકેમોનનો ફોટો પાડીને તમારે તેને કેચ કરી લેવાના હોય છે.

આ રમતના નિર્માતાઓ દ્વારા એવી કરામત કરવામાં આવી છે કે ભારતમાં વધુમાં વધુ પોકેમોન મંદિરોમાં અને મેદાનોમાં જ છૂપાડવામાં આવ્યાં છે. આ કારણે બાળકો પોકેમોનનો શિકાર કરવા મંદિરમાં પહોંચી જાય છે. જાણકારો કહે છે કે મુંબઇમાં શિવાજી પાર્કના મેદાનમાં ચિક્કાર પોકેમોન સંતાડવામાં આવ્યાં છે. તેને કારણે શિવાજી પાર્કમાં બાળકોની ભીડ વધી ગઇ છે.

બાળકોને ઘરની બહાર કાઢીને મેદનામાં દોડાવતી ગેમ જો સાવચેતીથી રમવામાં ન આવે તો દુર્ઘટનાનું કારણ પણ બની શકે છે. પોકેમોન ગો રમવાનું શરૂ કરવામાં આવે ત્યારે પ્રારંભમાં જ ચેતવણી આપવામાં આવે છે કે આ રમત રમતી વખતે તમારી આજુબાજુની દુનિયાનું ધ્યાન રાખવું જોઇએ. આ ચેતવણીની અવગણના કરવામાં આવે ત્યારે અકસ્માત્ થઇ શકે છે. મુંબઇમાં અને દિલ્હીમાં અનેક બાળકો અને ટીનએજરો હાથમાં સ્માર્ટ ફોન લઇને શહેરના રસ્તાઓ પર પોકેમોન શોધવા નીકળી પડે છે. તેમની નજીક કોઇ વાહન આવી જાય ત્યાં સુધી તેમને ખબર જ હોતી નથી. પોકેમોનની શોધમાં નીકળેલું બાળક વાહન નીચે કચડાઇ તો નહીં જાય ને? તેવી ચિંતા માબાપને સતાવ્યા કરે છે.

પોકેમોન ગો રમત શોધનારી કંપનીને પણ ખબર નહીં હોય કે તેમની ગેમ રમવાને કારણે કોઇનું મોત પણ થઇ શકે છે. ગ્વાટેમાલામાં પોકેમોન ગો રમતો એક યુવક કોઇ ખાનગી કંપનીના પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી ગયો હતો. સુરક્ષા કર્મીએ તેને ચોર સમજીને ફાયરિંગ કર્યું તેમાં તેનું મોત થયું હતું. કેલિફોર્નિયામાં બે કિશોરો પોકેમોનની શોધમાં પર્વતની ધાર સુધી પહોંચી ગયા હતા. ત્યાં જે ચેતવણીની નિશાની હતી તે વાંચ્યા વગર તેઓ આગળ વધ્યા હતા અને ખાઇમાં પડી ગયા હતા. અમેરિકામાં એક ડ્રાઇવર ટ્રક ચલાવતા ચલાવતા પોકેમોન ગો રમી રહ્યો હતો. સામેથી આવતી કારમાં તેને પોકેમોન દેખાતા તેણે સલામતીની પરવા કર્યા વિના કાર સાથે ટ્રક ભટકાવી દીધી હતી.

આ વીડિયો ગેમ સત્તાવાર રીતે હજુ દુનિયાના ૨૬ દેશોમાં જ લોન્ચ થઇ છે ત્યાં તેના કારણે પેદા થયેલા વિવાદના વાવડ આવવા લાગ્યા છે. ઇજિપ્તની સરકારે નિવેદન બહાર પાડ્યું છે કે પોકેમોન ગો દેશની સલામતી માટે જોખમરૂપ છે. રમતના નિર્માતાઓએ કેટલાક પોકેમોન લશ્કરી થાણાંઓમાં પણ છૂપાવ્યાં છે. બાળકો પોકેમોન મેળવવાના લોભમાં સંવેદનશીલ વિસ્તારોમાં પ્રવેશી જાય છે અને તેના ફોટા પાડે છે. આ ફોટાનો ઉપયોગ જાસૂસી માટે થઇ શકે છે. રશિયાએ તો આક્ષેપ કર્યો છે કે દુનિયાની જાસૂસી કરવા અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઇએ દ્વારા આ રમત તૈયાર કરવામાં આવી છે. મોબાઇલના કેમેરા દ્વારા જે ફોટા પાડવામાં આવે છે તે અમેરિકાના સર્વરમાં પહોંચી જાય છે. સાઉદી અરેબિયાના મૌલવીઓએ આ ગેમને ઇસ્લામવિરોધી ગણાવી પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. બોસ્નિયાની સરકાર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે પોકેમોન ગો રમનારાએ અમુક ચોક્કસ વિસ્તારમાં પ્રવેશવાથી દૂર રહેવું જોઇએ, કારણ કે ત્યાં સુરંગો બિછાવવામાં આવી હતી.

જગત આજે ખરેખર એક નાનકડું ગામડું બની ગયું છે. અમેરિકામાં શોધાયેલી કોઇ રમતને ભારત સુધી પહોંચતાં વર્ષો લાગતાં હતાં તે ગણતરીના કલાકોમાં ભારતમાં પહોંચી જાય છે અને લાખો લોકો તે રમતાં પણ થઇ જાય છે. પોકેમોન ગો એક એવી રમત છે કે જેને કારણે યુવાપેઢીની લાઇફસ્ટાઇલ બદલાઇ જશે. જ્યારે સેલ્ફીની શોધ કરવામાં આવી ત્યારે કોને ખબર હતી કે તેને કારણે લોકોનાં મોત થશે? સેલ્ફીની જેમ આ રમત પણ જીવલેણ ન બને તેની કાળજી રાખવી પડશે.

સ્વ. બાળ ઠાકરેની સંપત્તિનો વરવો વિવાદ

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૨૨  જુલાઇ , શુક્રવાર

 

જયદેવ ઠાકરેનો ચોંકાવનારો દાવો :

ગંદાં લૂગડાં જાહેરમાં ધોવાઇ રહ્યાં છે.

 

શિવસેના સુપ્રિમો બાળ ઠાકરે જીવતા હતા ત્યારે તેમણે અનેક વિવાદો પેદા કર્યા હતા, પણ તેમના અવસાન પછી પણ વિવાદો તેમનો કેડો મૂકતા નથી. આ વખતે જે વિવાદ થયો છે તે તેમની સંપત્તિ બાબતનો છે, પણ તેને કારણે ઠાકરે પરિવારમાં ભૂતકાળમાં બનેલી ચિત્રવિચિત્ર ઘટનાઓના પોપડા પણ ઉખેડાઇ રહ્યા છે. બાળ ઠાકરેની સંપત્તિનો જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં કેન્દ્રસ્થાને બાંદ્રાના કલાનગરમાં આવેલો રાજાશાહી માતોશ્રી બંગલો છે. દસ હજાર ચોરસ ફીટ ક્ષેત્રફળ ધરાવતા આ બંગલાની માર્કેટ કિંમત આજની તારીખમાં ૧૦૦ કરોડ રૂપિયા છે. બાળ ઠાકરેએ પોતાની વસિયતમાં બીજા પુત્ર જયદેવ ઠાકરેને બંગલામાં કોઇ હિસ્સો આપ્યો નથી, પણ તેમના ૨૦ વર્ષના પુત્ર ઐશ્વર્યને ૨,૦૦૦ ચોરસ ફીટનું ક્ષેત્રફળ ધરાવતો આખો પહેલો માળ આપી દીધો છે. ઐશ્વર્ય જયદેવ ઠાકરેની બીજી પત્ની સ્મિતા ઠાકરેનો પુત્ર છે, જેની સાથે છૂટાછેડા લઇને જયદેવ અલગ રહેતો હતો. જયદેવ ઠાકરેએ ભરી અદાલતમાં ધડાકો કર્યો છે કે ઐશ્વર્ય તેમનો પુત્ર નથી. જો ઐશ્વર્ય જયદેવનો પુત્ર ન હોય તો પહેલો સવાલ એ થાય છે કે તે કોનો પુત્ર છે? અને બીજો સવાલ એ થાય છે કે બાળ ઠાકરેએ માતોશ્રી બંગલાનો પહેલો માળ ઐશ્વર્યને આપવાનું પોતાની વસિયતમાં કેમ લખ્યું હશે?

પોતાના પ્રખર વિચારોને કારણે વિવાદમાં રહેતા બાળ ઠાકરેને ત્રણ પુત્રો હતા. મોટો પુત્ર બિન્દુમાધવ ઠાકરે ઇ.સ.૧૯૯૬માં એક કાર અકાસ્માતમાં માર્યો ગયો હતો. બિન્દુમાધવ ઠાકરેની પત્ની માધવીને માતોશ્રી બંગલામાં બીજો માળ આપવામાં આવ્યો છે, જ્યારે શિવસેનાના વર્તમાન પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને બંગલાનો ત્રીજો માળ વસિયતમાં આપવામાં આવ્યો છે. આ ઉપરાંત બાળ ઠાકરે પાસે કર્જતમાં એક ફાર્મહાઉસ હતું તે અને ભંડારધારાનો પ્લોટ પણ ઉદ્ધવ ઠાકરેને આપવામાં આવ્યો છે. બાળ ઠાકરેનું ઇ.સ.૨૦૧૨ના નવેમ્બરમાં અવસાન થયું તેના આશરે એક વર્ષ પહેલાં તેમણે વસિયત પર સહી કરી ત્યારે ઉદ્ધવ ઠાકરેને બાદ કરતાં કુટુંબના કોઇ સભ્યને હાજર રાખવામાં આવ્યા નહોતા. મૃત્યુ વખતે બાળ ઠાકરેના બેન્ક ખાતાંમાં જે સંપત્તિ હતી તે પણ ઉદ્ધવ ઠાકરેને આપવામાં આવી હતી. જયદેવ ઠાકરેને સ્મિતા ઠાકરેથી રાહુલ નામનો મોટો પુત્ર છે, તેને પણ કોઇ સંપત્તિ આપવામાં આવી નથી. ઐશ્વર્યને બાદ કરતાં બાળ ઠાકરેએ પોતાના કોઇ પૌત્રને સંપત્તિમાં હિસ્સો આપ્યો નથી.

જયદેવ બાળ ઠાકરેનો બીજા નંબરનો પુત્ર છે. જયદેવનાં પહેલાં લગ્ન જયશ્રી કેલકર સાથે થયાં હતાં, જે એક જાણીતા મરાઠી સાહિત્યકારની પુત્રી હતી. જયશ્રીએ એક પુત્રને જન્મ આપ્યો તે પછી જયદેવે તેને છૂટાછેડા આપી દીધા તેથી બાળ ઠાકરે નારાજ થયા હતા. તેમને હતું કે આ છૂટાછેડાને કારણે ઠાકરે પરિવારની આબરૂને ધક્કો પહોંચશે. જયદેવ ઠાકરેનાં બીજાં લગ્ન સ્મિતા ઠાકરે સાથે થયાં હતાં. સ્મિતા ઠાકરેથી જયદેવને રાહુલ અને ઐશ્વર્ય નામના પુત્રો અને  એક પુત્રી પણ થયા હતા.

ઇ.સ.૧૯૯૫માં જયદેવ અને સ્મિતા વચ્ચે કોઇ વિવાદ થયો, જેને કારણે જયદેવ ઠાકરે માતોશ્રી બંગલો છોડીને કાલિનામાં રહેવા ચાલ્યા ગયા. જયદેવના ચાલ્યા ગયા પછી તેમનાં પત્ની સ્મિતા ઠાકરે માતોશ્રીમાં પોતાનાં સંતાનો સાથે રહેતાં હતાં. ઇ.સ.૧૯૯૫માં બાળ ઠાકરેનાં પત્ની મીનાતાઇનું મરણ થયું તેનો બાળ ઠાકરેને ભારે ધક્કો લાગ્યો હતો. ત્યાર બાદ તેમણે બાયપાસ સર્જરી કરાવી હતી. આ કપરા સમયમાં સ્મિતા ઠાકરેએ બાળ ઠાકરેની સારસંભાળ રાખી હતી.

ઇ.સ.૧૯૯૯માં મહારાષ્ટ્રમાં પહેલી વાર શિવસેના-ભાજપની યુતિ સરકાર આવી હતી, જેનું રિમોટ કન્ટ્રોલ બાળ ઠાકરેના હાથમાં હતું. માતોશ્રી બંગલો મહારાષ્ટ્રનું પાવર સેન્ટર બની ગયું હતું. આ અરસામાં સ્મિતા ઠાકરે રાજકારણમાં સક્રિય થયાં હતાં. બાળ ઠાકરેને કોઇ પણ મળવા આવે તો તેમણે પહેલા સ્મિતા ઠાકરેને મળવું પડતું હતું. સ્મિતા ઠાકરેની ગણતરી મહારાષ્ટ્રની સૌથી શક્તિશાળી મહિલા તરીકે થવા લાગી હતી. ઇ.સ.૨૦૦૩માં સ્મિતા ઠાકરે અને બાળ ઠાકરે વચ્ચે કોઇ અણબનાવ થયો, જેને કારણે સ્મિતા ઠાકરે માતોશ્રી બંગલો છોડીને શિવાજી પાર્કના ફ્લેટમાં રહેવા લાગ્યાં હતાં.

સ્મિતા ઠાકરે માતોશ્રી છોડીને ચાલ્યાં ગયાં તે પછી જયદેવ ઠાકરેની ઇચ્છા માતોશ્રીમાં પાછા ફરવાની અને પરિવાર સાથે રહેવાની હતી, પણ બાળ ઠાકરેની તેમાં સંમતિ નહોતી. જયદેવ ઠાકરે ફિલ્મનિર્માણના વ્યવસાયમાં પડ્યા હતા. જયદેવ ઠાકરે પહેલા કાલિનામાં રહેતા હતા. પાછળથી તેમણે બાંદ્રાના કલાનગર વિસ્તારમાં માતોશ્રીની બાજુમાં જ બંગલો ખરીદ્યો હતો. એક વાર જયદેવ ઠાકરે બીમાર હતા ત્યારે બાળ ઠાકરે તેમની ખબર કાઢવા તેમના બંગલામાં પણ ગયા હતા. જયદેવ ઠાકરેનો દાવો છે કે બાળ ઠાકરેનાં મરણ પહેલા એક મહિના સુધી તેઓ માતોશ્રી બંગલામાં તેમના પિતાને મળવા નિયમિત જતા હતા, પણ ત્યાં રાત રહેતા નહોતા. જયદેવ ઠાકરેના જણાવ્યા મુજબ માતોશ્રી બંગલાનો પહેલો માળ હંમેશા લોક રહેતો હતો, જ્યાં હવે ઐશ્વર્ય રહે છે. જયદેવ ઠાકરેએ અનુરાધા નામની મહિલા સાથે ત્રીજાં લગ્ન કર્યાં છે, જેનાથી તેમને માધુરી નામની પુત્રી પણ છે.

જયદેવ ઠાકરેનો દાવો છે કે ઇ.સ.૨૦૧૧માં બાળ ઠાકરેએ જ્યારે વસિયત પર સહી કરી ત્યારે તેમની તબિયત એટલી ખરાબ હતી કે તેઓ વસિયતમાં શું લખ્યું છે તે સમજી શકે તેમ નહોતા. વળી બાળ ઠાકરે મરાઠી ભાષાના ચાહક હતા, જ્યારે તેમનું વસિયત અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે. જો બે ભાઇઓ વચ્ચે સમાધાન નહીં થાય તો ઠાકરે પરિવારની વધુ વિવાદાસ્પદ વાતો જાહેર થશે તે નક્કી છે.