મધર ટેરેસા બાબતમાં રાજકારણીઓનો દંભ

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૩૧ ઓગસ્ટ , બુધવાર

 

સંતની પદવી પાછળની અંધશ્રદ્ધા :

વિશ્વ હિન્દુ પરિષદ કેમ નરેન્દ્ર મોદીથી નારાજ છે?

 

રાજકારણનું બીજું નામ જ દંભ છે. જે સંઘપરિવારે મધર ટેરેસા દ્વારા કરવામાં આવતાં ધર્માંતરણનો ઉગ્ર વિરોધ કર્યો હતો તેના ભૂતપૂર્વ પ્રચારક અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ‘મન કી બાત’ રેડિયો સંબોધનમાં મધર ટેરેસાને વેટિકન દ્વારા અપાઇ રહેલી સંતની પદવી બાબતમાં ગર્વની લાગણી વ્યક્ત કરી છે. જે ભારત સરકાર બિનસાંપ્રદાયિક હોવાનો દાવો કરે છે તે હાડોહાડ અંધશ્રદ્ધાને પોષતા કાર્યક્રમમાં પોતાનું ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધિમંડળ વેટિકન મોકલવાની છે, જેની આગેવાની ભારતનાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ લેવાનાં છે. જે મમતા બેનરજી અને અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓ ભારતમાં બિનસાંપ્રદાયિકતાનો ચિપિયો પછાડતા થાકતા નથી, તેઓ પણ જૂઠા ચમત્કારોના આધારે મધર ટેરેસાને અપાનારી સંતની પદવીના સમારંભમાં સામેલ થવાના છે. જે રેશનાલિસ્ટો હિન્દુ બાબાઓ અને સંન્યાસીઓ દ્વારા કરવામાં આવતા તથાકથિત ચમત્કારો સામે દાયકાઓથી ઝુંબેશ ચલાવી રહ્યા છે, તેઓ પણ મધર ટેરેસા બાબતમાં મૌન થઇ ગયા છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાયમનો દાવો રહ્યો છે કે મધર ટેરેસા સહિતના ખ્રિસ્તી મિશનરીઓ ગરીબોને વટલાવવાના આશયથી જ તેમની સેવાની પ્રવૃત્તિ કરે છે. ઇ.સ.૨૦૧૫ના ફેબ્રુઆરી મહિનામાં સંઘના વડા મોહન ભાગવતે રાજસ્થાનના ભરતપુરમાં એક અનાથાશ્રમનું ઉદ્ઘાટન કર્યું ત્યારે તેમણે જાહેરમાં કહ્યું હતું કે, તેમણે ગરીબોની સારી સેવા કરી હતી, પણ તેમનો ઉદ્દેશ તેમને વટલાવવાનો હતો. ઇ.સ.૧૯૯૦ના દાયકામાં મધર ટેરેસાએ અમદાવાદની મુલાકાત લીધી ત્યારે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર કે.એસ. વર્માએ પોતાના નિવાસસ્થાને તેમનું અભિવાદન કરવાનો સમારંભ યોજ્યો હતો, પણ ગુજરાત ભાજપના કોઇ નેતા તેમાં ઉપસ્થિત રહ્યા નહોતા.

હવે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કરતાં મધર ટેરેસાને બિરદાવ્યાં છે તેનો વિરોધ કરવા વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં આવી ગઇ છે. તેના સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈને જાહેરમાં જણાવ્યું છે કે મધર ટેરેસાને સંતની પદવી મળવાથી ભારતના મિશનરીઓને મળતા ભંડોળમાં વૃદ્ધિ થશે અને ભારતમાં વટાળપ્રવૃત્તિમાં પણ ઉછાળો આવશે. વિશ્વ હિન્દુ પરિષદે તો નરેન્દ્ર મોદીની ટીકા કરતાં કહ્યું છે કે, તેમણે વેટિકનમાં ડેલિગેશન મોકલતા પહેલા પણ વિચારવું જોઇતું હતું.

ઇ.સ. ૧૯૯૭માં મધર ટેરેસાનું મરણ થયું તે પછી રોમન કેથોલિક ચર્ચે તેમને મરણોત્તર સંતની પદવી આપવાની પ્રક્રિયા શરૂ કરી હતી. કોઇ પણ વ્યક્તિને સંતની પદવી આપવી હોય તો તેના નામે ઓછામાં ઓછા બે ચમત્કારો હોવા જોઇએ. સંતની પદવી આપતાં પહેલાં બિટીફિકેશન નામની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે વ્યક્તિના મોત પછી પાંચ વર્ષે બિટીફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે,પણ મધર ટેરેસાની બાબતમાં આ પ્રક્રિયા એક વર્ષમાં જ હાથ ધરવામાં આવી હતી. બિટીફિકેશન માટે મધર ટેરેસાના નામે ઓછામાં ઓછો એક ચમત્કાર પુરવાર કરવો જરૂરી હતો. કોલકાતામાં રહેતી મોનિકા બેરસા નામની મહિલાએ દાવો કર્યો હતો કે મધર ટેરેસાના ફોટામાંથી નીકળતા પ્રકાશના કિરણના પ્રભાવે તેની કેન્સરની ગાંઠ મટી ગઇ હતી. આ દાવાને આધારે મધર ટેરેસાનું બિટીફિકેશન કરી દેવામાં આવ્યું હતું. જોકે આ મહિલાની સારવાર કરતા ડો. રંજન મુસ્તફીએ સ્પષ્ટ કહ્યું હતું કે મોનિકાને કેન્સરની ગાંઠ નહોતી પણ સાદી ગાંઠ હતી. કહેવાય છે કે મધર ટેરેસાએ બ્રાઝિલના પુરૂષના મગજની કેન્સરની કાલ્પનિક ગાંઠ પણ દૂર કરી હોવાથી તેમના નામે બીજો ચમત્કાર લખાઇ જતાં તેમને તા. ૪ સપ્ટેમ્બરે વેટિકનમાં સંતની પદવી આપવાનું નક્કી થયું હતું.

ઇ.સ. ૧૯૯૫માં ક્રિસ્ટોફર હિચેન્સ નામના લેખકે મધર ટેરેસાની જીવનકથા લખીને તેમના દંભનો પર્દાફાશ કર્યો હતો. આ પુસ્તકમાં મધર ટેરેસા સાથે સંકળાયેલા અનેક વિવાદોની છણાવટ કરવામાં આવી છે. ક્રિસ્ટોફર હિચેન્સ પોતાનાં પુસ્તકમાં એવો દાવો કરે છે કે મધર ટેરેસા પાસે જે દર્દીઓ આવતા હતા તેમને સાજા કરીને જીવાડવા કરતાં તેમને શાંતિથી મરવા દેવામાં જ તેમને વધુ રસ હતો.

બ્રિટનના વિખ્યાત લાન્સેટ મેગેઝિનના લેખક ડો. રોબિન ફોક્સે કોલકાતાના કાલિઘાટ ખાતે આવેલી મિશનરીઝ ઓફ ચેરિટીઝની હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે તેમને જોઇને આંચકો લાગ્યો હતો કે તેમાં દર્દીઓને ભાગ્યે જ કોઇ આધુનિક સારવાર આપવામાં આવતી હતી. આ હોસ્પિટલમાં લગભગ ૨૩,૦૦૦ લોકોનાં મોત થયાં હતાં. કોલકાતા ખાતે આવેલી મિશનરીઝ ઓફ ચેરિટીઝની હોસ્પિટલમાં દર્દીઓને ભગવાન ભરોસે છોડી દેવામાં આવતા હતા, પણ મધર ટેરેસાને જ્યારે હૃદય રોગનો હુમલો આવ્યો કે વૃદ્ધાવસ્થાને કારણે સારવારની જરૂર પડતી ત્યારે તેમને અમેરિકાની અદ્યતન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હતાં. મધર ટેરેસામાં લોકોને સાજા કરવાની ચમત્કારિક શક્તિઓ હોવાનો દાવો કરવામાં આવતો હતો, પણ તેઓ માંદા પડતાં ત્યારે આ શક્તિઓ કામ લાગતી નહોતી.

મિશનરીઝ ઓફ ચેરિટીઝને ભારતમાંથી અબજો રૂપિયાનું ડોનેશન મળતું હતું, પણ તેનો ઉપયોગ ભારતની પ્રજાના કલ્યાણ માટે ભાગ્યે જ કરવામાં આવતો હતો. ભારતમાં વિનાશક પૂરો આવ્યાં ત્યારે પૂરરાહતમાં ફાળો આપવાને બદલે મધર ટેરેસાએ પૂરગ્રસ્તો માટે પ્રાર્થના સભાઓ યોજી હતી. એક હેવાલ મુજબ મધર ટેરેસાને મળેલા ભંડોળમાંથી દુનિયાના ૧૦૦ દેશોમાં ૫૧૭ કોન્વેન્ટ શાળાઓ ખોલવામાં આવી હતી, જેમાં આજની તારીખમાં વટાળપ્રવૃત્તિઓ જોરમાં ચાલી રહી છે.

સિંધ પણ પાકિસ્તાનથી આઝાદ થવા માગે છે

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૩૦ ઓગસ્ટ , મંગળવાર

 

સિંધુદેશની સ્થાપના માટેની ઝુંબેશ :

પાકિસ્તાનના ચાર ટુકડા થાય તે વિશ્વશાંતિના હિતમાં છે.

 

પાકિસ્તાન એક બાજુ કાશ્મીરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચ પર ચગાવવાનાં હવાતિયાં મારી રહ્યું છે ત્યારે તેના પોતાનાં ઘરમાં આગ લાગી છે. બલૂચિસ્તાનમાં અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર, ગિલગિટ તેમ જ બાલ્ટિસ્તાનમાં જેમ આઝાદીની લડાઇ ચાલી રહી છે તેમ પાકિસ્તાનનો સિંધ પ્રાંત પણ હવે આઝાદી માગી રહ્યો છે. પાકિસ્તાનના સિંધીઓની માતૃભાષા સિંધી છે. પાકિસ્તાને જેમ બાંગ્લા દેશના રહેવાસીઓ પર ઉર્દૂ ભાષા ઠોકી બેસાડવાનો પ્રયાસ કર્યો હતો તેમ સિંધની પ્રજા પણ ઉર્દૂ ભાષાની જોહુકમી સામે લડી રહી છે. સિંધને પાકિસ્તાનથી આઝાદ કરવા માટે કરાચીમાં ‘જિયે સિંધ કોમી મહઝ’ નામના રાજકીય પક્ષની સ્થાપના કરવામાં આવી છે. આ પક્ષના નેજા હેઠળ સોમવારે હજારો સિંધીઓ કરાચીના રસ્તાઓ ઊપર ઊતરીને ‘જય સિંધુદેશ’ના નારાઓ પોકારતા જોવા મળ્યા હતા.

ઇ.સ.૧૯૪૭માં ભારતના ભાગલા થયા ત્યારે ઇસ્લામના નામે પાકિસ્તાનની રચના થઇ હતી. સાંસ્કૃતિક રીતે પાકિસ્તાન ચાર જુદા જુદા જૂથોનો સમૂહ હતો, જેની વચ્ચે ઇસ્લામ સિવાય કોઇ સામાન્ય બાબત હતી નહીં. આ ચાર સમૂહોમાં પંજાબ, પૂર્વ બંગાળ, બલૂચિસ્તાન અને સિંધનો સમાવેશ થતો હતો. પાકિસ્તાનનું નિર્માણ થયું તેને ૬૯ વર્ષ વીતી ગયાં તે પછી પણ તેના શાસકો આ ચાર દેશોનો એક દેશ બનાવવામાં સફળ થયા નથી. ઇ.સ.૧૯૭૨માં બાંગ્લા દેશ પાકિસ્તાનથી અલગ થઇ ગયું તે પછી પણ બલૂચિસ્તાનની અને સિંધની પ્રજાને લાગતું જ નથી કે પાકિસ્તાન તેમનો દેશ છે. સિંધ અને બલૂચિસ્તાનને સતત લાગે છે કે તેમના માથે પંજાબના મુસ્લિમો જોહુકમી ચલાવી રહ્યા છે.

ભારતના ભાગલા પડ્યા તે પહેલા સિંધ પ્રાંતમાં હિન્દુઓની મોટી વસતિ હતી. ભાગલા વખતે લાખો સિંધી હિન્દુઓ કત્લેઆમના ડરથી પોતાના માદરેવતનનો ત્યાગ કરીને નિરાશ્રીત બનીને ભારતમાં ચાલી આવ્યા હતા. તેમનો પુનર્વસવાટ કરતા ભારત સરકારના નાકે દમ આવી ગયો હતો. આજે પણ ભારતમાં વસતા સિંધીઓને લાગે છે કે તેઓ પોતાના વતનથી વિખૂટા પડી ગયા છે. જે હિન્દુઓ ભાગલા વખતે સિંધમાં રહ્યા હતા તેમનું બળજબરીથી ધર્માંતરણ કરાવવામાં આવ્યું હતું; અથવા તેમની હત્યા કરી નાખવામાં આવી હતી. આજે સિંધ પ્રાંતમાં જે ચાલીસેક લાખ હિન્દુઓ રહી ગયા છે તેમની દીકરીઓનાં અપહરણ કરીને તેમને બળજબરીથી મુસ્લિમો સાથે પરણાવવામાં આવે છે.

સિંધના મુસ્લિમોની મુખ્ય ફરિયાદ એ છે કે પાકિસ્તાનના શાસકો તેમના માથે ઉર્દૂ ભાષા ઠોકી બેસાડીને તેમની સાંસ્કૃતિક અસ્મિતા ખતમ કરવાની કોશિષ કરે છે. ભારતના ભાગલા થયા ત્યારે ભારતમાં રહેતા જે મુસ્લિમો ભાગીને પાકિસ્તાનમાં આવ્યા તેમને મોટી સંખ્યામાં સિંધમાં વસાવવામાં આવ્યા હતા. સિંધમાં સરકારી નોકરીઓમાં પણ પંજાબથી આવેલા મુસ્લિમોને પ્રાધન્ય આપવામાં આવે છે. આ કારણે સિંધીઓને ડર લાગે છે કે પોતાના જ દેશમાં તેઓ પરાયા બની જશે.

ઇ.સ.૧૯૭૦ના દાયકામાં જ્યારે બાંગ્લા દેશની આઝાદીની ચળવળ ચાલતી હતી ત્યારે તેમાંથી જ પ્રેરણા લઇને સિંધની આઝાદીની ચળવળ પણ શરૂ થઇ હતી. ઇ.સ.૧૯૬૭માં જી.એમ.સૈયદ અને પીર અલી મોહમ્મદ રશદી જેવા નેતાઓની આગેવાની હેઠળ સ્વાયત્ત સિંધની ઝુંબેશ શરૂ થઇ હતી. તેમણે પાકિસ્તાનની અંતર્ગત રહીને જ સ્વાયત્ત સિંધુદેશની રચનાની હિમાયત કરી હતી. ઇ.સ.૧૯૭૦માં પાકિસ્તાનમાં ચૂંટણી થઇ તેમાં પાકિસ્તાન પિપલ્સ પાર્ટીનો વિજય થયો અને ઝુલ્ફિકાર અલી ભુટ્ટો પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા તેને કારણે અલગ સિંધુદેશની ઝુંબેશ નબળી પડી ગઇ હતી. અલગ સિંધુદેશની માગણી કરતા રાજકીય પક્ષો ચૂંટણીમાં બહુમતી મેળવવામાં નિષ્ફળ ગયા હતા.

ઝુલ્ફિકાર અલી ભુટ્ટો અને તેમની પુત્રી બેનઝીર મૂળ સિંધનાં હતાં, પણ તેઓ કટ્ટર પાકિસ્તાનવાદી હોવાને કારણે તેમના શાસન કાળ દરમિયાન સિંધુદેશની ઝુંબેશ ઠંડી પડી ગઇ હતી. ઇ.સ.૨૦૦૭માં બેનઝીર ભુટ્ટોની હત્યા થઇ તે પછી સિંધુદેશની ઝુંબેશ પાછી વેગવંતી થઇ હતી. આ ઝુંબેશની આગેવાની જિયે સિંધ કોમી મહઝ અને વર્લ્ડ સિંધી કોંગ્રેસ જેવી સંસ્થાઓએ લીધી છે. તેમણે સિંધને પાકિસ્તાનથી આઝાદ કરવા સિંધુદેશ લિબરેશન આર્મી નામના ઉગ્રવાદી સંગઠનની સ્થાપના પણ કરી છે. તાજેતરમાં તેમણે પાકિસ્તાનના દમન સામે પોતાનો વિરોધ વ્યક્ત કરવા રેલવેના પાટા પણ ઉખેડી કાઢ્યા હતા. તેમણે જે પત્રિકાઓ વહેંચી તેમાં સિંધની આઝાદીની માગણી કરવામાં આવી હતી.

ઇ.સ.૨૦૧૪ના માર્ચ મહિનામાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાના જાસૂસો દ્વારા જિયે સિંધ કોમી મહઝના નેતાઓ મકસૂદ કુરેશિની અને સલમાન વાઢોની શંકાસ્પદ હાલતમાં હત્યા કરવામાં આવી તેને પગલે કરાચીમાં પાકિસ્તાન સરકાર સામે પ્રચંડ દેખાવો ફાટી નીકળ્યા હતા. સીએનએન ચેનલના હેવાલ મુજબ આ દેખાવોમાં આશરે ૫૦ લાખ સિંધીઓ જોડાયા હતા. તેમણે માથા પર સિંધી ટોપી ધારણ કરી હતી અને તેઓ સિંધની આઝાદી માટે બનાવવામાં આવેલું રાષ્ટ્રગીત પણ ગાઇ રહ્યા હતા. જિયે સિંધ કોમી મહઝના નેતા સુનન કુરેશીએ વિશ્વની મહાસત્તાઓને મદદ કરવા માટે અપીલ પણ કરી હતી.

પાકિસ્તાન એક રાષ્ટ્ર તરીકે સરિયામ નિષ્ફળ પુરવાર થયું છે. પાકિસ્તાનના સૈન્ય અને અણુશસ્ત્રોનો કબજો પણ આતંકવાદીઓના હાથમાં આવી જવાનો ભય પેદા થયો છે. આ સંયોગોમાં પાકિસ્તાનના જો ચાર ટુકડા થતા હોય તો તે ભારતના અને વિશ્વશાંતિના પણ હિતમાં છે. ભારતે બલૂચિસ્તાનની અને સિંધની આઝાદીની ચળવળમાં સહાયક બનીને આ પ્રક્રિયા ઝડપી કરવી જોઇએ.

જૈન ધર્મનો અભ્યુદય જોવા મળી રહ્યો છે

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૨૯ ઓગસ્ટ , સોમવાર

 

યુવાનો ધર્માભિમુખ બની રહ્યા છે :

શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠાની તૈયારી

 

પરમાત્મા મહાવીર સ્વામી ભગવાનના નિર્વાણ પછી તરત જ પ્રભુના જન્મનક્ષત્ર હસ્તોત્તરમાં એક ભસ્મક ગ્રહની સક્રાંતિ થઈ, જેને પરિણામે બે હજાર વર્ષ સુધી ભગવાન મહાવીરે સ્થાપેલા ધર્મશાસનમાં અનેક સંકટો આવ્યા હતા. બે હજાર વર્ષ પછી આ ભસ્મક ગ્રહની અસર ઓછી થઈ પણ ૫૦૦ વર્ષ આ ગ્રહ વક્રી બનવાને કારણે વિનાશ વેરતો રહ્યો. ભગવાનના નિર્વાણના ૨,૫૦૦ વર્ષ પછી જૈન શાસન ભસ્મગ્રહની અસરમાંથી બહાર આવ્યું છે અને જૈન ધર્મની તમામ ક્ષેત્રે પ્રગતિ થઈ રહી છે.

પરમાત્મા મહાવીરના નિર્વાણને ૨,૫૦૦ વર્ષ થયાં ત્યાર પછી તરત જ જૈન શાસનનો અભ્યુદય થઈ રહ્યો છે, એવી એક પછી એક એંધાણો મળવા લાગી હતી. આ વાતની છેલ્લામાં છેલ્લી નિશાની રવિવારે મુંબઈમાં મળી ગઈ. વિશ્વવિખ્યાત શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાનના નૂતન ભવ્ય જિનાલયની પ્રાણપ્રતિષ્ઠાના વધામણા કરવા વરલીના નેશનલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સના ડોમમાં સમગ્ર મુંબઇના જૈન સંઘો દ્વારા સામૂહિક મંત્રજાપનું અનુષ્ઠાન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નિશ્રા આપવા તપાગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજયપ્રેમસૂરિજી સહિત દક્ષિણ મુંબઇમાં બિરાજમાન અનેક આચાર્ય ભગવંતો, પંન્યાસ ભગવંતો, ગણિ ભગવંતો અને શ્રમણ-શ્રમણી ભગવંતો પધાર્યા હતા.

આજથી ૧૫૦ વર્ષ અગાઉ જૈન ધર્મની પરિસ્થિતિ એવી હતી કે સાધુઓ માત્ર ૧૦૦ આસપાસ હતા. એ વખતના રજવાડાંઓએ દીક્ષાની વિરૂદ્ધમાં એવા કાયદાઓ બનાવ્યા હતા કે દીક્ષા લેવી હોય તો લોઢાના ચણા ચાવવા જેવો સંઘર્ષ કરવો પડતો હતો. આ પરિસ્થિતિમાં મૂળ સ્થાનકવાસી આત્મારામજી મહારાજા પોતાના શિષ્યો સાથે પંજાબથી ગુજરાતમાં આવ્યા અને સંગેવી દીક્ષા લઈ આચાર્ય વિજયાનંદસૂરિજી મહારાજા બન્યા હતા. આત્મારામજી મહારાજે સંવેગી સાધુઓની સંખ્યા વધારી હતી. દીક્ષાધર્મ દ્વારા સમાજને ઉત્કૃષ્ટ સાધુઓની ભેટ આપવાની આ ઝુંબેશને આત્મારામજી મહારાજાની પરંપરામાં થયેલા આચાર્ય ભગવંતોએ આગળ ધપાવી. વડોદરા રાજ્યે જ્યારે બાળદીક્ષાની વિરૂદ્ધમાં કાયદો કર્યો ત્યારે આચાર્યશ્રી વિજયનેમિસૂરિજી મહારાજા, આચાર્યશ્રી આનંદસાગરજી મહારાજા અને આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજાએ દીક્ષાની ઝુંબેશને ઝળહળતી રાખી, જેનાં પરિણામે આજે જૈન શ્રીસંઘમાં પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોની સંખ્યા આશરે તેર હજાર ઉપર પહોંચી ગઈ છે.

આજથી ૫૦ વર્ષ અગાઉ એવી પરિસ્થિતિ હતી કે ધર્મ સ્થાનકોમાં યુવાનો બહુ ઓછા જોવા મળતા હતા. આ વાતાવરણમાં આચાર્યશ્રી વિજયપ્રેમસૂરિજી મહારાજાએ પ્રેરણા કરી યુવાનોને ધર્માભિમુખ બનાવવા માટે શિબિરો શરૂ કરાવડાવી, આ શિબિરોનું સંચાલન પ્રારંભમાં આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરિજી મહારાજા કરતા હતા. ત્યાર બાદ પંન્યાસશ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજાએ પોતાનાં હૃદયવેધક પ્રવચનો અને વાચના શ્રેણીઓથી હજારો યુવાનોના જીવન પરિવર્તન કરી તેમને ધર્મ માર્ગે જોડ્યા. આજે આચાર્યશ્રી વિજયકીર્તિયશસૂરિજી, આચાર્યશ્રી વિજયરત્નસુંદરસૂરિજી, આચાર્યશ્રી વિજયયોગતિલકસૂરિજી વિગેરે મહાત્માઓ નિયમિત રીતે વાચનાશ્રેણીઓના માધ્યમથી લાખો જૈન યુવાનોને ધર્મના માર્ગે દોરી રહ્યા છે. આ શાંત ક્રાંતિ છેલ્લાં ૫૦ વર્ષથી આકાર ધારણ કરી રહી છે. આજે પરિસ્થિતિ એવી પલટાઈ છે કે દેરાસરની પૂજામાં, ઉપાશ્રયના વ્યાખ્યાનમાં, ઉપધાનોમાં, નવ્વાણું યાત્રામાં, ૬ ‘રી’ પાલક સંઘ વગેરેમાં નવી પેઢીના યુવક-યુવતીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે.

જૈન ધર્મની શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરાની જેમ અન્ય ફિરકાઓમાં પણ ધર્મની પ્રવૃત્તિઓમાં ભરતી આવી રહી છે. દિગમ્બર મુનિશ્રી તરૂણસાગરજીનાં કડવાં પ્રવચનો જૈન યુવક-યુવતીઓને મીઠાં મધ જણાય છે. તેરાપંથી આચાર્યશ્રી મહાશ્રમણજીનો ઉપદેશ ભારતના રાષ્ટ્રપતિ પણ કાન દઈને સાંભળે છે. સ્થાનકવાસી નમ્રમુનિજીના ઉપદેશથી યુવાનો ધર્મના માર્ગે જોડાઇ રહ્યા છે. શ્રીમદ્ રાજચંદ્રની પરંપરામાં થયેલા રાકેશભાઈના સત્સંગમાં કરોડપતિઓના નબીરાઓ ઉમટે છે. દાદા ભગવાનના અંતેવાસી દિપકભાઈ દેસાઈનો સત્સંગ ટીવીના માધ્યમથી કરોડો લોકો કરે છે અને પોતાના જીવનમાં પરિવર્તન આણે છે. કાનજી સ્વામીના અનુયાયીઓ સ્વાધ્યાય પ્રવૃત્તિને આગળ ધપાવી રહ્યા છે. અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે જૈન ધર્મના આ તમામ સંપ્રદાયોમાં આજે અદ્ભુત સંપનું અને સંગઠનનું વાતાવરણ પેદા થયું છે. ભગવાનના શાસનનો અભ્યુદય થઈ રહ્યો છે, તેની આ મોટી સાબિતી છે.

ભારતના જાહેર જીવનમાં આજે જૈન વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, આઈએએસ અધિકારીઓ, ડોક્ટરો, વકીલો, પત્રકારો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ બધાને સંગઠિત કરવાનું કાર્ય ગણિશ્રી નયપદ્મસાગરજીએ હાથમાં લીધું છે. જૈન બાળકોનાં સંસ્કરણ માટે પંન્યાસજી ચન્દ્રશેખરવિજયજી મહારાજે  તપોવન સંસ્કારધામની સ્થાપના કરાવી તેને પણ જ્વલંત સફળતા પ્રાપ્ત થઈ છે. અમદાવાદમાં ચાલી રહેલા પ્રાચીન પદ્ધતિના ગુરુકુલમમાં  પ્રવેશ પ્રાપ્ત કરવા માટે શ્રીમંતોના નબીરાઓ લાઈનમાં ઊભા રહે છે. આચાર્યશ્રી વિજયયુગભૂષણસૂરિજી પોતાના શાસ્ત્રજ્ઞાનનો ઉપયોગ કરીને જૈન શાસનની તેમ જ તીર્થોની રક્ષા માટે માર્ગદર્શન આપી રહ્યા છે.

જૈન ધર્મ આજે શ્વેતાંબર, દિગમ્બર, સ્થાનકવાસી, તેરાપંથી વગેરે અનેક મણકાઓમાં વિખરાઈ ગયો છે. આ જ મણકાઓને એકસૂત્રે બાંધે એવા યુગપ્રધાન આચાર્યનું આગમન થશે ત્યારે જૈન ધર્મની ખરી તાકાત બહાર આવશે અને જૈન ધર્મના સિદ્ધાંતો સમગ્ર વિશ્વને સાચી રાહે લઈ જશે એ નક્કી છે.

GM સરસવ આપણા આરોગ્ય માટે જોખમી છે

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૨૭ ઓગસ્ટ , શનિવાર

 

સરકારની અઘટિત ઉતાવળ :

દેશના ૪૦ ટકા લોકો રસોઇમાં સરસવનું તેલ વાપરે છે.

 

ઇ.સ.૨૦૧૦માં કેન્દ્ર સરકારની જિનેટિકલ એન્જિનિયરીંગ એપ્રુવલ કમિટિએ અમેરિકાની મોન્સાન્ટો કંપનીને ભારતમાં બીટી રીંગણાંનાં બીજનું વેચાણ કરવાની મંજૂરી આપી દીધી હતી, પણ પર્યાવરણવિદોના ભારે વિરોધને કારણે સરકારને તે મંજૂરી રદ્દ કરવાની ફરજ પડી હતી. હવે કેન્દ્ર સરકાર બીટી રીંગણાંને બદલે જિનેટિકલી મોડિફાઇડ સરસવના બિયારણની પરવાનગી આપવાની તજવીજ કરી રહી છે ત્યારે પર્યાવરણવિદો ઉપરાંત ખેડૂતમંડળો તેમ જ આરોગ્યશાસ્ત્રીઓ પણ તેનો વિરોધ કરવા સંગઠિત થયા છે. તેમની મુખ્ય દલીલ એ છે કે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં રસોઇમાં સરસવના તેલનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. પંજાબ અને રાજસ્થાનના લોકો તો મકાઇની રોટી સાથે સરસવની ભાજીનું શાક નિયમિત આરોગે છે. જો જિનેટિકલી મોડિફાઇડ સરસવને કારણે આરોગ્ય પર કોઇ ઘાતક અસર થતી હશે તો કરોડો લોકો તેનો ભોગ બનશે.

ઇ.સ.૨૦૦૨ની સાલમાં કેન્દ્ર સરકારે મોન્સાન્ટો કંપનીને બીટી કોટનનાં બિયારણનું વેચાણ કરવાની પરવાનગી આપી તે પછી અનેક મલ્ટિનેશનલ કંપનીઓ ભારતમાં ખાદ્ય પાકોમાં પણ જિનેટિકલી મોડિફાઇડ બિયારણનો ધંધો વિસ્તારવા ધમપછાડા કરી રહી છે. તેમનો ઇરાદો રીંગણાં, ટામેટાં, કોબિજ, મકાઇ, ચોખા વગેરે પાકોમાં જિનેટિકલી મોડિફાઇડ બિયારણોનું વેચાણ કરીને ભારતનાં અબજો રૂપિયાનાં બિયારણ બજાર પર કબજો જમાવવાનો છે. ઇ.સ.૨૦૦૩માં મલ્ટિનેશનલ કંપની બેયરની પ્રોએગ્રો સીડ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે સરસવના જિનમાં ચાર બેક્ટેરિયાના જિન્સની ભેળસેળ કરીને જીએમ સરસવનું બિયારણ તૈયાર કર્યું હતું, પણ કેન્દ્ર સરકારે તેને મંજૂરી આપી નહોતી.

હવે દિલ્હી યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર ડો. દીપક પેન્ટલની આગેવાની હેઠળ વિજ્ઞાનીઓની ટીમે જીએમ સરસવનું જે બિયારણ વિકસાવી કાઢ્યું છે તેમાં બેક્ટેરિયાના ત્રણ જિન્સ ઉમેરવામાં આવ્યા છે. આ બિયારણ ડીએમએચ-૧૧ તરીકે ઓળખાય છે, પણ તાત્ત્વિક રીતે પ્રોએગ્રો કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલાં બિયારણમાં અને તેમાં ખાસ કોઇ ફરક નથી. પર્યાવરણવિદો આક્ષેપ કરે છે કે ફિલ્ડ ટ્રાયલનાં પરિણામો જાહેર કર્યા વિના જ જિનેટિકલ એન્જિનિયરીંગ એપ્રાઇઝલ કમિટિ દ્વારા બિયારણને મંજૂરી આપવાની પેરવી ચાલી રહી હોવાથી તેની સલામતી બાબતમાં શંકા જાય છે.

ભારતની પ્રજાના આરોગ્ય માટે સરસવનું ભારે મહત્ત્વ છે, કારણ કે દેશના આશરે ૪૦ ટકા લોકો રસોઇના માધ્યમ તરીકે સરસવના તેલનો ઉપયોગ કરે છે. ભારતની ૬૫ લાખ હેક્ટર જમીન પર સરસવનું વાવેતર કરવામાં આવે છે. વિશ્વમાં સરસવનું જેટલું ઉત્પાદન થાય છે, તેના પાંચમા ભાગનું ઉત્પાદન ભારતમાં થાય છે. ચીન પછી સરસવના ઉત્પાદનમાં ભારતનો બીજો નંબર આવે છે. ચીને હજુ સુધી જીએમ સરસવનાં બિયારણને મંજૂરી આપી નથી. જીએમ સરસવનું સૌથી મોટું ભયસ્થાન એ છે કે જે ખેતરમાં તેનું વાવેતર કરવામાં આવતું હશે તેની બાજુનાં ખેતરમાં ઉગાડવામાં આવેલાં સાદા સરસવમાં પણ તેની ભેળસેળ થઇ શકે છે. વળી બજારમાં જીએમ પાકના અલગથી વેચાણની કોઇ પદ્ધતિ આપણા દેશમાં અસ્તિત્વમાં નથી. તેને કારણે લોકો તેમની જાણબહાર જીએમ સરસવ વાપરતા થઇ જશે. એક સમય એવો આવશે કે બજારમાં શુદ્ધ સરસવના દર્શન પણ દુર્લભ બની જશે.

ભારત સરકાર એક બાજુ વહીવટમાં પારદર્શકતા લાવવાની વાત કરે છે, પણ બીજી બાજુ જીએમ સરસવની ફિલ્ડ ટ્રાયલ બાબતની માહિતી દબાવી રાખતી હોવાથી પણ આ નવતર જાતનાં બિયારણની સલામતી બાબતમાં શંકા પેદા થાય છે. કેન્દ્ર સરકારની જિનેટિકલ એન્જિનિયરીંગ એપ્રાઇઝલ કમિટિએ જીએમ સરસવની સલામતી બાબતમાં એક રિપોર્ટ તૈયાર કર્યો છે. પર્યાવરણવિદો દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ અરજી કરાયા પછી પણ આ રિપોર્ટ જાહેર કરાતો નથી. ચીફ ઇન્ફોર્મેશન કમિશનરે આ રિપોર્ટ જાહેર કરવા તા.૩૦મી એપ્રિલની ડેડલાઇન આપી હતી, પણ કેન્દ્ર સરકારે કોઇ દાદ આપી નહોતી. હવે ચીફ ઇન્ફોર્મેશન કમિશનરે ફરીથી ચીમકી આપતાં સરકાર તે રિપોર્ટ વેબસાઇટ પર મૂકવા તૈયાર થઇ છે, જેમાં કેટલીક ચોંકાવનારી માહિતી હોવાની સંભાવના છે.

દેશમાં જિનેટિકલી મોડિફાઇડ સરસવનાં બિયારણને મંજૂરી અપાવવા જોરશોરથી દલીલ થઇ રહી છે કે ભારતમાં દર વર્ષે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાના ખાદ્યતેલોની આયાત કરવામાં આવે છે, જે દેશના વપરાશના ૬૦ ટકા જેટલું થવા જાય છે. જો જીએમ સરસવને મંજૂરી આપવામાં આવશે તો ઉત્પાદન વધશે અને હૂંડિયામણ બચશે, એવી દલીલ તેઓ કરે છે. આ દલીલ ગેરમાર્ગે દોરનારી છે. ઇ.સ.૧૯૯૩-૯૪માં વિદેશી ખાદ્યતેલો પર ૩૦૦ ટકા આયાતજકાત હતી ત્યારે ભારત પોતાની જરૂરિયાતના ત્રણ ટકા ખાદ્યતેલની જ આયાત કરતું હતું. સરકારે તે જકાત લગભગ નાબૂદ કરી તેને પગલે બજારમાં સસ્તા વિદેશી ખાદ્યતેલોનું પૂર આવ્યું છે. તેને કારણે કિસાનોને સરસવના તેમ જ અન્ય તેલિબિયાંના પોષણક્ષમ ભાવો મળતા ન હોવાથી તેઓ બીજા પાકો તરફ વળ્યા છે. જો વિદેશથી ખાદ્યતેલોની આયાત પર ડ્યૂટી વધારી દેવામાં આવે તો દેશમાં તેલિબિયાંનું ઉત્પાદન વધી જશે.

યુરોપના અનેક દેશોમાં જ્યારે જિનેટિકલી મોડિફાઇડ પાકો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ત્યારે ભારત સરકારની આ જોખમી ટેક્નોલોજી માટેની તાલાવેલી સમજી ન શકાય તેવી છે. આ તાલાવેલી પાછળ વિદેશી કંપનીઓનો દોરીસંચાર છે, તેવું લાગ્યા વિના રહેતું નથી.

બિહારનાં પૂર માટે વિરાટ બંધો જવાબદાર છે?

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૨૫ ઓગસ્ટ , ગુરુવાર

 

નદીનો કાંપ દૂર થવો જોઇએ :

ફરાક્કા બંધને કારણે ગંગા નદી તદ્દન છીછરી બની ગઇ છે.

 

ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ નદી પર બાંધવામાં આવતા વિરાટ બંધોને આધુનિક ભારતનાં મંદિરો ગણાવ્યા હતા. આ વિરાટ બંધો હવે પ્રજાને બરબાદ કરતા રાક્ષસો બની ગયા છે. તાજેતરમાં બિહારમાં ગંગા નદીમાં જે વિનાશક પૂર આવ્યું તેમાં ૬૦ નાગરિકોનાં મોત થયાં છે, પણ બીજા ૨૦ લાખ લોકો બેઘર બની ગયા છે. બિહારનું આ પૂર એટલું વિનાશક છે કે બિહારના મુખ્ય પ્રધાન કેન્દ્ર સરકાર પાસે મદદ માગવા દિલ્હી પહોંચી ગયા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. નરેન્દ્ર મોદી સમક્ષ તેમણે રજૂઆત કરી હતી કે ગંગા નદીમાં આવેલાં વિનાશક પૂરનું મુખ્ય કારણ બાંગ્લા દેશની સરહદે આવેલો ફરાક્કા બંધ છે. નીતીશ કુમારના જણાવ્યા મુજબ ફરાક્કા બંધને કારણે ગંગા નદીમાં કાંપનો ભરાવો થઇ ગયો હોવાથી તે છીછરી બની ગઇ છે. ગંગા નદીની જળસંગ્રહની ક્ષમતા ઘટી ગઇ હોવાથી તે ઓછા વરસાદમાં છલકાઇ જાય છે અને વધુ વિનાશ વેરે છે. નીતીશ કુમારે તો બિહાર અને બંગાળની પ્રજાના હિતમાં ફરાક્કા બંધને તોડી પાડવાની માગણી પણ કરી છે.

વર્તમાનમાં બિહારમાં ગંગા નદીમાં જે પૂર આવ્યું છે, તેવું પૂર ભૂતકાળમાં ક્યારેય આવ્યું નથી. રવિવારે સવારે પટનામાં ગંગા નદી ૫૦.૪૩ મીટરના સ્તરે વહી રહી હતી. ભૂતકાળમાં નોંધાયેલા ભારેમાં ભારે પૂર કરતાં આ લેવલ ૧૬ સે.મી. વધુ હતું. પટના ઉપરાંત ઉત્તર પ્રદેશના બલ્લિયામાં અને બિહારના ભાગલપુરમાં પણ ગંગા નદી વિક્રમજનક સપાટીએ વહી રહી હતી. પર્યાવરણવિદ હિમાંશુ ઠક્કર ડંકાની ચોટ પર કહે છે કે ગંગા નદીનાં વિનાશક પૂર માટે પશ્ચિમ બંગાળમાં આવેલા ફરાક્કા ડેમ ઉપરાંત મધ્ય પ્રદેશમાં શોણ નદી પર બાંધવામાં આવેલો બાણસાગર બંધ પણ જવાબદાર છે.

શોણ નદી મધ્ય પ્રદેશના અમરકંટકથી નીકળે છે અને બિહારમાં જઇને ગંગા નદીને મળે છે. શોણ નદી પર બાણસાગર બંધ બાંધવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશમાં નર્મદા પર બંધાયેલા ઇન્દિરા સાગર અને ચંબલ પર બંધાયેલા ગાંધી સાગર પછી બાણસાગર ત્રીજા નંબરનો સૌથી મોટો બંધ છે. ચોમાસાને પૂરું થવાને હજુ ત્રણ સપ્તાહનો સમય હોવા છતાં બાણસાગર બંધને ૯૫ ટકા ભરી દેવામાં આવ્યો હતો. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ પડ્યો તેને પગલે બંધ તૂટવાનો ભય પેદા થતાં તેના ૧૮ પૈકી ૧૬ દરવાજા ખોલી કાઢવામાં આવ્યા હતા, જેને પગલે પહેલાં શોણ અને પછી ગંગામાં પૂર આવ્યું હતું.

પશ્ચિમ બંગાળમાં બાંગ્લા દેશની સરહદે ઇ.સ.૧૯૭૫માં વિરાટ ફરાક્કા બંધ બાંધવામાં આવ્યો હતો. તેનો હેતુ ગંગા નદીનું પાણી હૂગલીમાં વાળવાનો હતો, જેથી કોલકાતા બંદરમાં થતો કાંપનો ભરાવો નિયમિત સાફ થતો રહે અને બંદરમાં ડ્રેજિંગ ન કરવું પડે. કોલકાતા બંદરને બચાવવા માટે બાંધવામાં આવેલો ફરાક્કા બંધ બિહારમાં વિનાશનું કારણ બની ગયો છે. બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર કહે છે કે અગાઉ જે કાંપ કુદરતી રીતે સમુદ્રમાં વહી જતો હતો તે ફરાક્કા બંધને કારણે ગંગા નદીના તળમાં ભરાયા કરે છે, જેને કારણે ફરાક્કાથી ૪૦૦ કિલોમીટર દૂર પટના સુધી ગંગા નદી છીછરી થઇ ગઇ છે. નીતીશ કુમારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને બિહારમાંથી વહેતી ગંગા નદીને ઊંડી ખોદીને તેનો કાંપ સાફ કરાવવાની વિનંતી કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નીતીશ કુમારને આશ્વાસન આપ્યું છે કે તેઓ તાત્કાલિક આ માટે નિષ્ણાતોની ટીમ પટના મોકલશે.

બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે માગણી કરી છે કે ગંગા નદીમાં આવતા વિનાશક પૂરને રોકવા માટે નદીમાં વિરાટ બંધોને કારણે કેટલો કાંપ જામી ગયો છે તેનો પદ્ધતિસરનો અભ્યાસ કરીને કાંપને દૂર કરવાના તાત્કાલિક ઉપાયો કરવા જરૂરી છે. નીતીશ કુમારે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને રાષ્ટ્રીય સ્તરે સિલ્ટ મેનેજમેન્ટ નીતિ નક્કી કરવાની માગણી પણ કરી છે. ગુજરાતના પર્યાવરણવિદ હિમાંશુ ઠક્કર કહે છે કે જે પ્રશ્ન ગંગા નદી માટે પેદા થયો છે તે દેશની બધી નદીઓની સમસ્યા છે, જેમાં ગુજરાતની મહી, સાબરમતી, નર્મદા, તાપી વગેરે નદીઓનો પણ સમાવેશ થઇ જાય છે. હિમાંશુ ઠક્કરની માગણી એક નેશનલ સિલ્ટ મેનેજમેન્ટ ઓથોરિટીની સ્થાપના કરવાની છે, જેનું કામ વિરાટ બંધોને કારણે નદીમાં જામી ગયેલા કાંપનો અભ્યાસ કરીને તેને દૂર કરવાનું હશે.

નવસારીના પર્યાવરણવિદ ભરત શાહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને દેશની તમામ નદીઓમાં પૂરાઇ ગયેલો કાંપ દૂર કરવા યુદ્ધના ધોરણે પગલાં ભરવાની વિનંતી કરી છે. ભરત શાહના કહેવા મુજબ મોટી કંપનીઓ જો દરેક નદીના ૧૦-૧૦ કિલોમીટર જેટલા વિસ્તારમાંથી કાંપ દૂર કરવાની જવાબદારી સ્વીકારી લે તો આ કાર્ય આસાન બની જાય તેમ છે. જો નદીમાંથી નીકળેલો કાંપ આસપાસનાં ખેતરોમાં પાથરી દેવામાં આવે તો તેની ફળદ્રુપતા વધે અને કેમિકલ ફર્ટિલાઇઝરના વપરાશને પણ ઘટાડી શકાય તેમ છે.ભરત શાહે ગુજરાતનાં તમામ તળાવો પણ ઊંડાં કરાવવાની માગણી કરી છે. આ કામ મનરેગા હેઠળ પણ કરાવવાનું સૂચન ભરત શાહે વડા પ્રધાનને કર્યું છે.

ભારતમાં ભાખરા નાંગલ જેવા વિરાટ બંધો બાંધવાનો પ્રારંભ ઇ.સ.૧૯૫૦ના દાયકામાં કરવામાં આવ્યો ત્યારે તેમનું આયુષ્ય ૫૦થી ૬૦ વર્ષનું જ આંકવામાં આવ્યું હતું, કારણ કે આયોજકોને જાણ હતી કે સમય જતાં આ બંધો કાંપથી ભરાઇ જવાના છે. હવે આ બંધો આફતના પોટલા જેવા સાબિત થઇ રહ્યા હોવાથી હવે તેને તોડી પાડવાનો કાળ પાકી ગયો છે. અમેરિકાએ તાજેતરમાં બે જૂના થઇ ગયેલા વિરાટ બંધોને તોડી પાડીને ભારત સહિતના દેશો માટે દાખલો બેસાડ્યો છે.

દેશની વસતિમાં વધઘટનાં કારણો જાણવા જોઇએ

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૨૪ ઓગસ્ટ , બુધવાર

 

લાઇફસ્ટાઇલનો પ્રભાવ :

વસતિવધારો દેશના વિકાસનું વાહન બની શકે છે.

 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના વડા મોહન ભાગવત વિવાદો પેદા કરવા માટે જાણીતા છે. તાજેતરમાં આગ્રામાં બે હજાર હિંદુ નવયુગલો સમક્ષ બોલતાં તેમણે સવાલ કર્યો હતો કે, એવો ક્યો કાયદો છે જે હિંદુઓને તેમની વસતિ વધારતા રોકી રહ્યો છે?તેમનો બીજો સવાલ વધુ ધારદાર હતો : જ્યારે બીજા લોકોની વસતિ વધી રહી છે ત્યારે હિંદુઓને તેમની વસતિ વધારતા કોણ રોકી રહ્યું છે? મીડિયાએ અને ટીકાકારોએ મોહન ભાગવતનાં વિધાનનો એવો અર્થ કર્યો કે તેઓ હિંદુ યુગલોને વધુ બાળકો પેદા કરવાનો ઉપદેશ આપી રહ્યા છે. આરએસએસના પ્રવક્તાએ સ્પષ્ટતા કરવી પડી કે મોહન ભાગવત વિવિધ કોમોના વસતિવધારા માટે રાષ્ટ્રીય નીતિ ઘડવાની હિમાયત કરી રહ્યા હતા.

વિશ્વ હિંદુ પરિષદ કે આરએસએસ દ્વારા હિંદુઓની ઘટી રહેલી વસતિ બાબતમાં વારંવાર ચિંતા વ્યક્ત કરી છે અને આત્યંતિક ગણાય તેવાં વિધાનો પણ કર્યાં છે. થોડા સમય પહેલા ભાજપના સાંસદ સાક્ષી મહારાજે જાહેરમાં કહ્યું હતું કે પ્રત્યેક હિંદુ યુગલે ઓછામાં ઓછાં ચાર બાળકો પેદા કરવા જોઇએ. મોહન ભાગવતના આગ્રાના કાર્યક્રમમાં જ અશોક કુમાર અગરવાલ નામના સ્વયંસેવકે સવાલ કર્યો હતો કે, ભારતમાં હિંદુઓનો વૃદ્ધિદર ૨.૧ ટકા છે, પણ મુસ્લિમોનો વૃદ્ધિદર ૫.૨ ટકા છે; જો આવું જ ચાલ્યા કરશે તો ૫૦ વર્ષ પછી ભારતમાં હિંદુઓ લઘુમતીમાં નહીં મૂકાઇ ગયા હોય? આ સવાલના જવાબમાં ભાગવતે કહ્યું હતું કે દેશની બધી કોમો માટે સમાન વસતિનીતિ નક્કી કરવાની જરૂર છે.

જો હિંદુ પ્રજાને એવો ડર લાગતો હોય કે મુસ્લિમોની વધી રહેલી વસતિને કારણે તેઓ લઘુમતીમાં મૂકાઇ જશે, તો તેનાં ઐતિહાસિક કારણો પણ છે. ભારતને સ્વતંત્રતા મળી તે પછી સૌથી પહેલી વસતિગણતરી ઇ.સ.૧૯૫૧માં થઇ હતી. ત્યારે દેશમાં હિંદુઓની વસતિ કુલ વસતિના ૮૪.૯૬ ટકા હતી, જ્યારે મુસ્લિમોની વસતિ ૯.૯૨ ટકા હતી. છ દાયકામાં જે ઝડપે હિંદુઓની વસતિમાં વધારો થયો તેના કરતાં મુસ્લિમોની વસતિમાં વધુ ઝડપી વધારો થયો હતો. પરિણામે ઇ.સ.૨૦૧૧ની વસતિગણતરીમાં કુલ વસતિમાં હિંદુઓની ટકાવારી ઘટીને ૭૯.૮ પર પહોંચી ગઇ હતી, જ્યારે મુસ્લિમોની વસતિની ટકાવારી વધીને ૧૪.૨ પર પહોંચી ગઇ હતી. મોહન ભાગવતનાં વિધાનનો વિરોધ કરતાં કેટલાક રાજકારણીઓ મુસ્લિમોની વધી રહેલી વસતિથી જરાય ચિંતિત નથી.

વસતિવધારા બાબતમાં કોઇ પણ ચર્ચા કરવામાં આવે ત્યારે એમ માનીને ચાલવામાં આવે છે કે વધી રહેલી વસતિ દેશની પ્રગતિ માટે અવરોધક છે. આ માન્યતા હવે મૂળમાંથી ખોટી સાબિત થઇ છે. દેશની વસતિ જેમ વધે છે તેમ કામ કરનારા હાથો વધે છે, ઉત્પાદન વધે છે અને સરવાળે દેશનો વિકાસ થાય છે. ચીન જેવો દેશ વિશ્વમાં સૌથી વધુ વસતિ ધરાવતો હોવાથી દુનિયાનું મેનુફેક્ચરિંગ હબ બની ગયો છે અને જીડીપીની બાબતમાં સમૃદ્ધ દેશો સાથે હરિફાઇ કરી રહ્યો છે. જપાનમાં અત્યંત ગીચ વસતિ હોવા છતાં તે દુનિયાનો સૌથી વિકસિત દેશ બની શક્યો છે. તેથી વિરુદ્ધ સહારાની દક્ષિણે આવેલા આફ્રિકી દેશોમાં વસતિની ગીચતા ઓછી છે છતાં તેઓ ભૂખે મરી રહ્યા છે. જો વધી રહેલી વસતિને યોગ્ય શિક્ષણ અને રોજગાર આપવામાં આવે તો તે વિકાસનું વાહન બની શકે છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર ગર્વથી કહે છે કે ભારત આજે દુનિયાનો સૌથી યુવાન દેશ છે, કારણ કે ભારતની વસતિના ૬૫ ટકા લોકો ૩૫ વર્ષથી ઓછી ઉંમરના છે. વડા પ્રધાનના મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટની સફળતાનો આધાર પણ આ યુવાધન છે. આ વસ્તુ ત્યારે જ શક્ય બને જ્યારે દેશનાં તમામ યુગલો સરેરાશ બે બાળકો પેદા કરતાં હોય. તેમાં કેટલાક લોકો પરણતા ન હોય, કેટલાંક યુગલો બાળકો પેદા કરવાની ક્ષમતા ધરાવતા ન હોય, વગેરે પાસાંઓ ધ્યાનમાં રાખીએ તો દરેક ફળદ્રુપ યુગલે સરેરાશ ત્રણ બાળકો પેદા કરવા જોઇએ. ચીને દાયકાઓ પહેલાં અમેરિકાના દબાણ હેઠળ ‘એક પરિવાર, એક બાળક’ની નીતિ અપનાવી હતી તેનાં દુષ્પરિણામો હવે દેખાઇ રહ્યાં છે.

ચીનમાં ઘણા પરિવારો એવા છે, જેમાં એક યુગલ પર પોતાનાં ચાર વૃદ્ધ મા-બાપના ભરણપોષણની જવાબદારી આવી ગઇ હોય. ચીનમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે, યુવાનો ઘટી રહ્યા છે. તેને કારણે ઉત્પાદનની બાબતમાં પણ ચીન પાછળ પડી રહ્યું છે. ભારત પોતાની યુવાન વસતિની તાકાત પર મેનુફેક્ચરિંગ હબ તરીકે ચીનનું સ્થાન પડાવી લેવા તરફ આગળ વધી રહ્યું છે. ચીનને મોડે મોડે વસતિઘટાડાની નીતિની ભૂલ સમજાઇ છે, માટે તેણે ‘એક પરિવાર, એક બાળક’ની નીતિ પડતી મૂકી છે. ચીન કરતાં પણ જપાનની હાલત વધુ ખરાબ છે. જપાન હવે વૃદ્ધોનો દેશ બની ગયો છે.

મોહન ભાગવતના કહેવાથી કે ન કહેવાથી હિંદુઓની વસતિ વધવાની કે ઘટવાની નથી. તેનાં માટે વસતિવૃદ્ધિનો દર ઘટવાનાં કારણો સમજવા જરૂરી છે. જે દેશમાં કે સમાજમાં શિક્ષણ, શહેરીકરણ અને વિભક્ત પરિવારોની સંખ્યા વધતી જાય છે, તેની વસતિમાં વૃદ્ધિ અચૂક ઘટતી જાય છે. જે સમાજમાં સ્ત્રીઓ ભણીને નોકરી કરવા લાગે છે, તેની વસતિ વધતી અટકી જાય છે. આ બાબતમાં હિંદુઓ આગળ છે, માટે તેમની વસતિ ઘટી રહી છે; મુસ્લિમો પાછળ છે, માટે તેમની વસતિ વધી રહી છે. મુસ્લિમોમાં પણ જેમ શિક્ષણ વધશે તેમ તેમની વસતિવૃદ્ધિ અટકી જશે. મોહન ભાગવત જો હિંદુઓની વસતિ વધે તેવું ઇચ્છતા હોય તો તેમણે હિંદુઓને ગામડાંમાં પાછા ફરવાનો ઉપદેશ આપવો જોઇએ. શું મોહન ભાગવતના ઉપદેશથી હિંદુઓ પોતાની લાઇફસ્ટાઇલ બદલશે ખરા?

ઉર્જિત પટેલ કેમ રેસમાં આગળ નીકળી ગયા?

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૨૩ ઓગસ્ટ , મંગળવાર

 

નરેન્દ્ર મોદીની પહેલી પસંદ :

વાઇબ્રન્ટ ગુજરાતમાં તેમણે સરકારની આરતી ઊતારી હતી.

 

રઘુરામ રાજનને રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે બીજી ટર્મ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે તેમના અનુગામી બનવાની રેસમાં એક ડઝન નામો મેદાનમાં હતાં. તેમાંથી ઉર્જિત પટેલની પસંદગી કરવામાં આવી તેનાં બે કારણો હતાં. એક, તેમણે રઘુરામ રાજનના ડેપ્યુટી તરીકે કામ કર્યું હોવાથી રઘુરામે બેન્કિંગ સેક્ટરમાં સાફસૂફીની જે ઝુંબેશ ચાલુ કરી હતી તેને ઉર્જિત પટેલ આગળ ધપાવશે તેવો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વાસ હતો. બે, રઘુરામ રાજનના વાચાળ સ્વભાવથી વિરુદ્ધ ઉર્જિત પટેલ અત્યંત મિતભાષી અને શરમાળ સ્વભાવ ધરાવતા હોવાથી તેઓ સરકાર માટે વણજોઇતા વિવાદો પેદા નહીં કરે તેની નરેન્દ્ર મોદીને ખાતરી હતી. ઉર્જિત પટેલે રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર તરીકેના ૪૪ મહિનાના કાર્યકાળમાં માત્ર એક પબ્લિક સ્પીચ આપી હતી અને તેમાં પણ સરકારના કાર્યક્રમોના વખાણ જ કર્યા હતા. ઉર્જિત પટેલ ગુજરાતી છે માટે રેસમાં આગળ નીકળી ગયા તેમ કહેવું તેમનું અપમાન ગણાશે, કારણ કે રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે તેઓ ઉત્તમ પાત્રતા ધરાવે છે.

બહુ ઓછા લોકોને ખબર હશે કે ઉર્જિત પટેલનો જન્મ ભારતમાં નહીં પણ કેનિયામાં થયો હતો અને તેઓ કેનિયાના નાગરિક હતા. કેનિયાના નાગરિક તરીકે બ્રિટીશ પાસપોર્ટ પર જ ઇંગ્લેન્ડ જઇને તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી હતી. ઇ.સ.૧૯૮૬માં તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી એમ.ફિલ.ની ડિગ્રી મેળવી હતી અને ઇ.સ.૧૯૯૦માં યેલ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની ડિગ્રી મેળવી હતી. ઇ.સ.૧૯૯૧માં તેઓ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાં કન્સલ્ટન્ટ તરીકે જોડાયા હતા. ત્યાર બાદ તેમને બે વર્ષ માટે ડેપ્યુટેશન પર ભારતમાં મોકલવામાં આવ્યા ત્યારે પણ ઉર્જિત પટેલ કેનિયાના નાગરિક હતા. ઇ.સ.૧૯૯૮માં તેમને ભારત સરકારના નાણાં ખાતાંમાં સલાહકાર તરીકે નિમણુક આપવામાં આવી ત્યારે તેઓ ભારતના નાગરિક બન્યા હતા.

ઉર્જિત પટેલ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(આઇએમએફ)માં કન્સલ્ટન્ટ તરીકે જોડાયા ત્યારે ભારત જબરદસ્ત આર્થિક કટોકટીમાંથી પસાર થઇ રહ્યું હતું. ભારત પાસે વિદેશી હૂંડિયામણનું તળિયું દેખાઇ ગયું હોવાથી કેન્દ્ર સરકારે સોનું ગિરવે મૂકીને આઇએમએફ પાસે લોન માગવી પડી હતી. ત્યાર પછી ભારતમાં આર્થિક સુધારાનો દોર ચાલુ થયો ત્યારે ઉર્જિત પટેલ ભારતનો હવાલો સંભાળતા હતા.

ઇ.સ.૨૦૦૦થી ૨૦૦૪ દરમિયાન કેન્દ્રમાં એનડીએની સરકાર હતી અને તેના વડા પ્રધાન અટલબિહારી વાજપેયી હતા ત્યારે જ ભારત સરકારે ઉર્જિત પટેલની શક્તિઓનો બરાબર ઉપયોગ કર્યો હતો. સરકાર દ્વારા તેમને ડાયરેક્ટ ટેક્સિસ, કોમ્પિટીશન કમિશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેલિકોમ, નાગરિક ઉડ્ડયન, સંરક્ષણ, ઉર્જા વગેરે કમિટિઓમાં સલાહકાર બનાવ્યા હતા. ઇ.સ.૨૦૦૪માં કેન્દ્રમાં યુપીએની સરકાર આવી તે સાથે જ ઉર્જિત પટેલની છુટ્ટી કરી દેવામાં આવી હતી. નરેન્દ્ર મોદી ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. તેમણે ઉર્જિત પટેલની પ્રતિભાનો ઉપયોગ કરવા તેમને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના ડિરેક્ટર બનાવી દીધા હતા. ઉર્જિત પટેલે મૂકેશ અંબાણીના રિલાયન્સ જૂથની કંપનીમાં પણ બિઝનેસ ડેવલપમેન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. ઇન્ફ્રાસટ્રક્ચરલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કંપની નામની ખાનગી કંપનીમાં પણ તેમણે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવાઓ આપી છે.

ઉર્જિત પટેલ બિલકુલ બિનરાજકીય નિષ્ણાત હોવાથી યુપીએ સરકારે ઇ.સ.૨૦૧૩ના જાન્યુઆરી મહિનામાં તેમની નિમણુક ત્રણ વર્ષની મુદ્દત માટે ડેપ્યુટી ગવર્નર તરીકે કરી હતી. ઇ.સ.૨૦૧૬ના જાન્યુઆરીમાં તેમની મુદ્દત પૂરી થઇ ગઇ હતી તો પણ નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા તેમને એક્સટેન્શન આપીને ડેપ્યુટી ગવર્નર તરીકે ચાલુ રાખવામાં આવ્યા હતા. રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર તરીકે ઉર્જિત પટેલે જે એકમાત્ર સ્પિચ આપી તે ઇ.સ.૨૦૧૫ના જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાતના સ્ટેજ પરથી આપી હતી, જેમાં તેમણે સરકારની નીતિઓની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.

રિઝર્વ બેન્કના વર્તમાન ગવર્નર રઘુરામ રાજને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓની જાહેરમાં ટીકા કરી હતી, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રિય જનધન યોજનાનો અને મેક ઇન્ડિયા ઝુંબેશનો પણ સમાવેશ થતો હતો. રઘુરામ રાજને તો કેન્દ્ર સરકારની જીડીપી ગણવાની નવી પદ્ધતિ સામે પણ સવાલો ઊભા કર્યા હતા અને ભારતનું અર્થતંત્ર દુનિયાનું સૌથી ઝડપથી વિકસી રહેલું અર્થતંત્ર છે, તેવા દાવાની પણ હાંસી ઉડાવી હતી. તેથી વિરુદ્ધ ઉર્જિત પટેલે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જે ભાષણ આપ્યું તેમાં વડા પ્રધાનની જનધન યોજનાની અને મેક ઇન ઇન્ડિયા ઝુંબેશની પણ પ્રસંશા કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરોધને જીરવી શકતા નથી; માટે રઘુરામની છુટ્ટી કરીને ઉર્જિતની પસંદગી કરવામાં આવી છે.

રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે ઉર્જિત પટેલ પાસે ભારતના નાણાં પ્રધાન કરતા પણ વધુ સત્તા આવે છે, કારણ કે દેશની પ્રગતિ માટે જવાબદાર બેન્કિંગ ક્ષેત્ર તેમના અંકુશ હેઠળ આવે છે. રિઝર્વ બેન્કના ગવર્નર પર દેશનો ઝડપી વિકાસ સાધવાની જવાબદારી ઉપરાંત ફુગાવાને અંકુશમાં રાખવાની જવાબદારી પણ હોય છે. સાથે સાથે ઉદ્યોગપતિઓ માટે વ્યાજદર નક્કી કરવાની સત્તા પણ રિઝર્વ બેન્કના ગવર્નર પાસે હોય છે. ફુગાવાને અંકુશમાં રાખવા રઘુરામ રાજને વારંવાર વ્યાજના દરો ઘટાડવાનો ઇનકાર કરી દેતા ઉદ્યોગપતિઓ તેમના પર નારાજ થઇ ગયા હતા. હવે ઉર્જિત પટેલ સમક્ષ વ્યાજદરમાં ઘટાડો કરીને ફુગાવાને નિયંત્રણમાં રાખવાનો પડકાર ઊભો થવાનો છે.

જાલિકટ્ટુ પછી ગોવિંદા પર હાઇ કોર્ટનો પ્રહાર

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૨૨ ઓગસ્ટ , સોમવાર

 

દહીં હાંડી પર અતાર્કિક નિયંત્રણો :

જ્યુડિશિયલ એક્ટિવિઝમ લોકશાહી માટે હાનિકારક છે.

 

તામિલનાડુમાં સૌથી લોકપ્રિય પરંપરાગત રમતોત્સવ જાલિકટ્ટુ છે તેમ મહારાષ્ટ્રનો સૌથી મહત્ત્વપૂર્ણ સાંસ્કૃતિક તેમ જ ધાર્મિક ઉત્સવ દહીં હાંડી છે, જેને ગોવિંદા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિન નિમિત્તે ગોવિંદાનો તહેવાર ઉજવવામાં આવે છે, પણ તેમાં યુવાનોના શરીરસૌષ્ઠવની પણ કસોટી થતી હોય છે. જન્માષ્ટમીના દિવસે ઊંચે બાંધવામાં આવેલી દહીં હાંડી ફોડવાની પ્રેક્ટિસ કરવા યુવાનો આખું વર્ષ અખાડામાં જતા હોય છે અને વ્યાયામ કરતા હોય છે.

મુંબઇ અને તેની આજુબાજુના વિસ્તારોમાં સાત સ્તરનો માનવ પિરામીડ બનાવીને મટુકી ફોડવાનું પરાક્રમ કરતા ગોવિંદાઓ જોવા મળે છે. કેટલાક અબુધ લોકોને લાગે છે કે દહીં હાંડીના ઉત્સવમાં પણ હિંસા છે. તેમણે ઇ.સ.૨૦૧૪માં મુંબઇ હાઇ કોર્ટમાં અરજી કરી હતી કે દહીં હાંડી ઉત્સવમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને ભાગ લેતાં રોકવા જોઇએ અને મટુકી ૨૦ ફીટથી વધુ ઊંચાઇએ બાંધવી ન જોઇએ. મુંબઇ હાઇ કોર્ટે આ અરજી માન્ય રાખતાં ગોવિંદા મંડળો સુપ્રિમ કોર્ટમાં ગયા હતા અને હાઇ કોર્ટના ચુકાદા સામે વચગાળાનો મનાઇહુકમ લઇને આવ્યા હતા.

હવે જન્માષ્ટમી નજીક આવી રહી છે ત્યારે પેલા અબુધ લોકો પાછા સુપ્રિમ કોર્ટમાં પહોંચી ગયા હતા અને તેમણે રજૂઆત કરી હતી કે તેણે મનાઇહુકમ ઉઠાવી લેવો જોઇએ. સુપ્રિમ કોર્ટે ઇ.સ.૨૦૧૪માં આપેલો મનાઇહુકમ રદ્દ કરતાં પાછો હાઇ કોર્ટનો ચુકાદો અમલી બની ગયો છે. આ ચુકાદા મુજબ દહીં હાંડીમાં ૧૮ વર્ષ નીચેનાં કોઇ પણ બાળકો ભાગ લઇ શકશે નહીં. ગોવિંદા મંડળો કહે છે કે મહારાષ્ટ્રની હજારો સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓ ભેગા મળીને દહીં હાંડીનો ઉત્સવ ઉજવે છે. તેઓ તો ૧૦ ફીટ કરતાં વધુ ઊંચાઇએ દહીં હાંડી બાંધતા નથી. તેમને શા માટે મનાઇ ફરમાવવી જોઇએ?

મહારાષ્ટ્રમાં તો પર્યટન વિકાસ મંડળ દ્વારા દર વર્ષે દહીં હાંડીની સ્પર્ધા યોજવામાં આવે છે. તેમાં ૬ સ્તરનો માનવ પિરામીડ રચવામાં આવતો હોય છે. તેની ઊંચાઇ ૩૦ ફીટ સુધી પહોંચી જતી હોય છે. હાઇ કોર્ટના ચુકાદા મુજબ ૨૦ ફીટથી ઊંચે દહીં હાંડી બાંધવાની મનાઇ કરવામાં આવી છે. વળી કોઇ પણ ગોવિંદા મંડળમાં દહીં હાંડી ફોડવાનું કામ ૧૮ વર્ષથી ઓછી ઉંમરના કિશોરો જ કરતા હોય છે, કારણ કે તેમનું વજન ઓછું હોય છે. હાઇ કોર્ટે તેમના પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ સુપ્રિમ કોર્ટના ચુકાદા સામે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું છે કે હિન્દુઓના ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવોમાં અદાલતોને માથું મારવાની કોઇ જરૂર નથી. રાજ ઠાકરેની વાતમાં દેશના કરોડો હિન્દુઓની લાગણીનો પડઘો પડે છે. ભારતની અદાલતો દ્વારા અગાઉ નવરાત્રિ મહોત્સવ પર ધ્વનિપ્રદૂષણને બહાને નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ જળ પ્રદૂષણને બહાને ગણપતિની મૂર્તિઓ બાબતમાં નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. તામિલનાડુમાં યુવાનોમાં સાહસિકતાનો સંચાર કરતી જાલિકટ્ટુ રમત ઉપર આખલાઓની હિંસાને બહાને પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. હવે દહીં હાંડીના ઉત્સવ પર બાળકોની સુરક્ષાના મુદ્દે નિયંત્રણો લાદવામાં આવી રહ્યાં છે. સવાલ એ છે કે અદાલતો શા માટે માત્ર હિન્દુ તહેવારો પર જ નિયંત્રણો લાદે છે? આવતી કાલે કોઇ સંસ્થા ગુજરાત હાઇ કોર્ટમાં જઇને પક્ષીઓની હિંસાના નામે ઉત્તરાયણમાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ લાદવાની માગણી કરશે અને કોર્ટ તે માગણી સ્વીકારી લેશે તો કેવું લાગશે?

જાલ્લિકટ્ટુનાં મૂળ તામિલનાડુની કોવિલ કાલાઇ પરંપરામાં રહેલા છે. આ પરંપરા મુજબ ગામની જે સૌથી વધુ દૂધ આપતી દેશી ગાય હોય તેના તંદુરસ્ત વાછરડાને છૂટો મૂકી દેવામાં આવે છે. કોવિલ કાલાઇ તરીકે ઓળખાતા આ વાછરડાને પવિત્ર નંદી માનીને તેને ઉત્તમ ખોરાક ખવડાવવામાં આવે છે. જ્યારે પોંગલનો ઉત્સવ થાય છે ત્યારે આ નંદીને રેસમાં ઊતારવામાં આવે છે. જાલ્લિકટ્ટુના સમર્થકો કહે છે કે તેનાથી યુવાનોમાં શૌર્ય પ્રગટ થાય છે. જે યુવાન રેસ પૂરી થાય ત્યાં સુધી આખલાના શિંગડાં સાથે લટકી રહે તેને સોનાનો કે ચાંદીનો સિક્કો ભેટ આપવામાં આવતો હતો. જાલ્લિકટ્ટુ શબ્દનો અર્થ પણ આખલાના શિંગડા સાથે બાંધવામાં આવેલા સોના કે ચાંદીના સિક્કા એવો થાય છે.

તામિલનાડુમાં જાન્યુઆરી મહિનામાં જે પોંગલની ઉજવણી થાય છે તેમાં કેન્દ્રસ્થાને જાલ્લિકટ્ટુની રમત હોય છે. ઇ.સ.૨૦૦૬માં સમગ્ર તામિલનાડુમાં આશરે ૩,૦૦૦ જગ્યાએ જાલ્લિકટ્ટુની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. ઇ.સ.૨૦૦૮માં સુપ્રિમ કોર્ટની આકરી શરતો આવી તે પછી ઇ.સ.૨૦૧૪માં તેની સંખ્યા ઘટીને માત્ર ૨૪ પર આવી ગઇ હતી. જાલ્લિકટ્ટુના સમર્થકો કહે છે કે વિદેશથી આવેલી ‘પેટા’ જેવી સંસ્થાઓ ભારતીય પરંપરાનો નાશ કરવા માટે જાલિકાટ્ટુ જેવી રમતોનો વિરોધ કરી રહી છે.

ભારતની લોકશાહીમાં ન્યાયતંત્રની અને સંસદની કામગીરિની સ્પષ્ટપણે વહેંચણી કરવામાં આવી છે. સંસદનું કાર્ય કાયદાઓ ઘડવાનું છે અને ન્યાયપાલિકાનું કાર્ય તે કાયદા મુજબઓ ચુકાદાઓ આપવાનું છે. સંસદે ઘડેલો કોઇ કાયદો બંધારણથી વિરુદ્ધ હોય તો તેને ન્યાયપાલિકા રદ્દ કરી શકે છે; પણ પ્રજાના રોજબરોજના જીવનને અસર કરે તેવા કાયદાઓ ઘડવાનું કામ અદાલતોનું નથી. આ કામ લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓનું છે. આ કામગીરી અદાલત પોતાના હાથમાં લઇ લે તેથી લોકશાહીની ભાવનાનો ભંગ થાય છે. દેશની સર્વોચ્ચ અદાલત જ્યુડિશિયલ એક્ટિવિઝમના નામે આપખુદીથી વર્તવા માંડે અને કાયદાઓ ઘડવા માંડે તો લોકશાહીનો કોઇ મતલબ રહેશે નહીં.

સીરિયામાં ૫૦,૦૦૦ બાળકોનો સંહાર થયો છે

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૨૦ ઓગસ્ટ , શનિવાર

 

બે મહાસત્તાઓનું પાપ :

ઓગસ્ટનાં બે સપ્તાહમાં ૨૩૩ નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે.

 

બે આખલાઓની લડાઇમાં લીલાંછમ ઝાડનો ખો નીકળી જતો હોય છે. સીરિયામાં દુનિયાની બે મહાસત્તાઓ રશિયા અને અમેરિકાની પ્રોક્સી વોર ચાલી રહી છે. રશિયાનો ટેકો સીરિયાના પ્રમુખ બશર-અલ-અસદને મળ્યો છે તો અમેરિકાનો ટેકો સરકાર સામે લડી રહેલા આતંકવાદીઓને મળ્યો છે. અમેરિકા આતંકવાદીઓને બળવાખોર તરીકે ઓળખાવી તેમને શસ્ત્રો ઉપરાંત નાણાંની સહાય પણ આપે છે. અમેરિકાની સહાયને કારણે સીરિયાનું યુદ્ધ ચાર વર્ષ કરતાં પણ વધુ ખેંચાઇ ગયું છે.

સીરિયાના યુદ્ધમાં અત્યાર સુધીમાં આશરે ચાર લાખ નિર્દોષ નાગરિકોનાં મોત થયાં છે, જેમાં ૫૦,૦૦૦ બાળકોનો પણ સમાવેશ થાય છે. ગઇ કાલે દુનિયાભરના મીડિયામાં સીરિયાના યુદ્ધમાં લોહીલુહાણ થયેલાં પાંચ વર્ષનાં ઓમરાન ડાકનીશ નામનાં બાળકની તસવીર ચમકાવવામાં આવી છે, જે યુદ્ધગ્રસ્ત એલેપ્પો શહેરમાં રશિયાના હવાઇ હુમલામાં ઘાયલ થયો હોવાનું કહેવાય છે. ઓમરાન જે બિલ્ડીંગમાં રહેતો હતો તેના પર રશિયાનાં વિમાને બોમ્બ ફેંક્યો હતો. બિલ્ડીંગ તૂટી પડવાની અણી પર હતું ત્યારે બચાવ કામગીરી બજાવતા સ્વયંસેવકો ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે ઓમરાન ઉપરાંત તેના બે ભાઇઓ તેમ જ માતાપિતાને પણ બચાવી લીધાં હતાં. ઓમરાનને જ્યારે એમ્બ્યુલન્સમાં બેસાડવામાં આવ્યો ત્યારે તેના ચહેરા પરથી લોહી ટપકી રહ્યું હતું. તેણે પોતાના મોં પર હાથ ફેરવ્યો તો હાથમાં લોહી આવ્યું હતું. આ લોહી તેણે એમ્બ્યુલન્સની નારંગી ખુરશી પર લૂછી નાખ્યું હતું.

ઓમરાન તેનાં માતાપિતા સાથે જે મકાનમાં રહેતો હતો તે ક્વાટર્જી નામનો વિસ્તાર અમેરિકાનો ટેકો ધરાવતા આતંકવાદી જૂથ નુસરા ફ્રન્ટના કબજામાં હતો. ક્વાટર્જીને આતંકવાદીઓના કબજામાંથી મુક્ત કરવા રશિયન વિમાનો દ્વારા બોમ્બમારો કરવામાં આવ્યો હતો. તેમાં જે મકાન ધરાશયી થઇ ગયું તેમાં પાંચ બાળકો સહિત આઠ નાગરિકો માર્યા ગયા હતા. ઓમરાનને બચાવવાની કામગીરી નુસરા ફ્રન્ટના કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી, માટે તેમણે એવા સમાચાર વહેતા કર્યા હતા કે આ હુમલો રશિયાના વિમાને કર્યો હતો. જોકે રશિયાની સમાચાર સંસ્થા રશિયા ટુડે આ સમાચારનું સમર્થન કરતી નથી. તેના કહેવા મુજબ ઓમરાન રશિયાના હુમલામાં ઘાયલ થયો કે આતંકવાદીઓના વળતા હુમલામાં ઘાયલ થયો તે કહી શકાય તેમ નથી. આ બાબત હજુ વિવાદાસ્પદ છે.

આ વર્ષના મે મહિનામાં આપણે તુર્કીના દરિયાકિનારે તણાઇ આવેલાં સીરિયાનાં ત્રણ વર્ષનાં બાળક અયલાન કુર્દીના મૃતદેહની કાળજું કંપાવનારી તસવીરો નિહાળી હતી, જેને કારણે યુરોપના અનેક દેશોએ સીરિયાના મુસ્લિમ શરણાર્થીઓ માટે પોતાના દેશના દરવાજા ખોલી કાઢ્યા હતા. હવે સીરિયાના યુદ્ધમાં ઘાયલ થયેલાં પાંચ વર્ષનાં ઓમરાનની કરૂણ તસવીર સામે આવી છે, જેને કારણે સીરિયામાં ચાલી રહેલા યુદ્ધની ભીષણતાનો ફરી વખત દુનિયાને ખ્યાલ આવ્યો છે. બ્રિટનમાં રહીને સીરિયાની ગતિવિધિઓ પર નજર રાખતી સંસ્થાના જણાવ્યા મુજબ ઓગસ્ટનાં પહેલાં બે સપ્તાહમાં માત્ર એલેપ્પો શહેરમાં જ ૨૩૩ નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઊતારવામાં આવ્યા છે. આ નાગરિકોનાં મોત માટે ક્યાં તો રશિયા જવાબદાર છે; ક્યાં અમેરિકા જવાબદાર છે. યુરોપના કોઇ દેશમાં આતંકવાદી હુમલો થાય ત્યારે કાગારોળ મચાવનારું પશ્ચિમી મીડિયા આ ૨૩૩ નિર્દોષ નાગરિકોનાં મોત બાબતમાં ચૂપ રહ્યું હતું, કારણ કે તે મોત માટે મહાસત્તાઓ જવાબદાર હતી.

સીરિયાનું ગૃહયુદ્ધ ઇ.સ.૨૦૧૧માં શરૂ થયું હતું. ત્યારે સીરિયાના પ્રમુખ બશર-અલ-અસદના શાસન સામે બળવો થયો હતો. બળવાખોરો સંગઠિત નહોતા. તેઓ લાંબો સમય સરકાર સામે ટકી શકે તેમ પણ નહોતા. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ જોયું કે સીરિયાના ખનિજ તેલના ભંડારો પર કબજો જમાવવાની આ ઉત્તમ તક છે, માટે તેણે યુદ્ધમાં ઝંપલાવી દીધું હતું. ઇ.સ.૨૦૧૨માં અમેરિકાએ લીબિયા પર હુમલો કર્યો તેમાં શસ્ત્રોનો મોટો જથ્થો પણ કબજે કર્યો હતો. આ શસ્ત્રો અમેરિકાએ સીરિયાની સરકાર સામે લડતા આતંકવાદીઓને ભેટમાં આપી દીધાં હતાં. આતંકવાદીઓ ત્યારે એટલા સંગઠિત ન હોવાથી આ શસ્ત્રો ઇસ્લામિક સ્ટેટના હાથમાં આવી ગયા હતા. તેનો ઉપયોગ કરીને ઇસ્લામિક સ્ટેટે ઇરાક અને સીરિયાના મોટા વિસ્તાર પર પોતાનો કબજો જમાવી દીધો હતો.

ઇ.સ.૨૦૧૪માં સીરિયાનું યુદ્ધ એવા તબક્કે પહોંચી ગયું હતું કે તેના પ્રમુખ બશર-અલ-અસદનું લશ્કર અમેરિકાના સમર્થનથી ચાલી રહેલા હુમલાઓ સામે હારી જવાની તૈયારીમાં હતું ત્યારે રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને સીરિયાની મદદે જવાનો નિર્ણય કર્યો હતો. રશિયાની કંપનીઓ સીરિયામાંથી ખનિજ તેલનું ઉત્પાદન કરતી હોવાથી રશિયા પણ યુદ્ધમાં કૂદી પડ્યું હતું. રશિયાનાં વિમાનોએ ઇસ્લામિક સ્ટેટ અને નુસરા ફ્રન્ટ જેવા આતંકવાદીઓના અડ્ડાઓ પર બોમ્બમારો કરીને તેમની કમ્મર ભાંગી નાખી હતી. રશિયા હવે આતંકવાદીઓને ખતમ કરવાની તૈયારીમાં છે.

સીરિયાના યુદ્ધના નિર્ણાયક તબક્કે પશ્ચિમી મીડિયા દ્વારા ઓમરાનની દર્દનાક તસવીર વહેતી કરવા પાછળનો ઇરાદો રશિયા ઉપર યુદ્ધવિરામ માટે દબાણ આણવાનું છે. જ્યાં સુધી અમેરિકા સમર્થિત આતંકવાદીઓ દ્વારા નિર્દોષ નાગરિકોનો સંહાર થતો હતો ત્યાં સુધી પશ્ચિમી મીડિયા તેની કોઇ તસવીર પ્રગટ કરતું નહોતું. હવે રશિયાના હુમલામાં નાગરિકો મરી રહ્યા છે ત્યારે મીડિયા જાગ્રત થઇ ગયું છે. આ જાગ્રતિને કારણે પણ દુનિયાના લોકોને સીરિયાના યુદ્ધની ભીષણતા સમજાય તે જરૂરી છે.

વોલ-માર્ટ પાછલા બારણેથી ભારતમાં પ્રવેશ કરશે?

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૧૮ ઓગસ્ટ , ગુરુવાર

 

ફૂડ પ્રોસેસિંગમાં વિદેશી રોકાણ :

વોલ-માર્ટને કારણે અમેરિકામાં બેકારી વધી છે.

 

કેન્દ્રમાં જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે તેણે અમેરિકાની જાયન્ટ વોલ-માર્ટ કંપનીને ભારતમાં રિટેઇલ દુકાનો ખોલવા દેવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો, પણ વિપક્ષમાં રહેલા ભાજપે તેનો વિરોધ કર્યો હતો. હવે કેન્દ્રમાં ભાજપના મોરચાની સરકારે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગમાં ૧૦૦ ટકા વિદેશી રોકાણની મંજૂરી આપી દીધી છે, જેને કારણે વોલ-માર્ટ જેવી મલ્ટિનેશનલ કંપનીઓ માટે ભારતમાં ફૂડ પાર્ક ઊભા કરવાનો રસ્તો ખુલ્લો થઇ ગયો છે. વોલ-માર્ટની જેમ બાબા રામદેવની પતંજલિ કંપની પણ ફૂડ પ્રોસેસિંગના ધંધામાં ઝંપલાવવા માગે છે. આ કારણે આપણને વિદેશી કંપનીઓનો વિરોધ કરતી શુદ્ધ સ્વદેશી કંપની પતંજલિ આયુર્વેદ અને શુદ્ધ વિદેશી કંપની વોલ-માર્ટ વચ્ચે હરિફાઇ જોવા મળશે.

ભારતમાં ફૂડ પ્રોસેસિંગ સેક્ટરનો ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. ઇ.સ.૨૦૧૩માં તેનું કદ ૪૦ અબજ ડોલરનું હતું તે ૨૦૧૮સુધીમાં વધીને ૬૫ અબજ ડોલર સુધી પહોંચી જવાની ધારણા છે. ઇ.સ.૨૦૧૪ના એપ્રિલથી ૨૦૧૫ના માર્ચ મહિના સુધીમાં ફૂડ પ્રોસેસિંગના ક્ષેત્રમાં ૧.૦૪ અબજ ડોલર જેટલું વિદેશી રોકાણ આવ્યું છે. આપણા દેશમાં શાકભાજી અને ફળોના બગાડની મોટી સમસ્યા છે. તેને હલ કરવા છેલ્લાં બે વર્ષમાં દેશમાં ૯,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે કોલ્ડ સ્ટોરેજની ૩૨ લાખ ટનની ક્ષમતા ઊભી કરવામાં આવી છે, જેને કારણે વર્ષે ૯,૨૦૦ કરોડ રૂપિયાનો બગાડ અટકશે. છેલ્લાં બે વર્ષમાં દેશમાં ૫૧ નવા કોલ્ડ સ્ટોરેજ ઊભા થયા છે અને ૬ નવા મેગા ફૂડ પાર્ક પણ શરૂ થયા છે.

યુપીએ સરકારે હોલસેલ વેપારમાં ૧૦૦ ટકા વિદેશી રોકાણને મંજૂરી આપી તેને પગલે વોલ-માર્ટે ભારતમાં  જથ્થાબંધ વેચાણ કરતા કેશ એન્ડ કેરી પ્રકારના એકમો શરૂ કર્યા હતા. રિટેલમાં વધુમાં વધુ ૫૧ ટકા વિદેશી રોકાણની છૂટ હોવાથી વોલ-માર્ટે ભારતી જૂથ સાથે ભાગીદારી કરી હતી, પણ તે ભાગીદારી તૂટી ગઇ હતી. રિટેલમાં ૧૦૦ ટકા સીધાં વિદેશી રોકાણની ભારતમાં છૂટ ન હોવાથી વોલ-માર્ટ કંપની ભારતમાં છૂટક કરિયાણાની દુકાનો શરૂ કરી શકી નહોતી. હવે ફૂડ પ્રોસેસિંગના ક્ષેત્રમાં ૧૦૦ ટકા વિદેશી રોકાણની છૂટ મળી ગઇ હોવાથી વોલ-માર્ટે ભારતમાં ફૂડ પાર્ક સ્થાપવામાં દિલચશ્પી બતાવી છે. કેન્દ્ર સરકારે આપેલી છૂટછાટ મુજબ વોલ-માર્ટ ભારતમાં ફૂડનું પ્રોસેસિંગ કરી શકશે અને પોતાની સુપરમાર્કેટો શરૂ કરીને તેમાં તૈયાર પ્રોસેસ્ડ ફૂડનું છૂટકમાં વેચાણ પણ કરી શકશે.

વોલ-માર્ટ કંપની ભારતની બજારોમાં પ્રવેશવા માટે શું કરી શકે અને શું ન કરી શકે એ વિચારતા પહેલાં આપણે વોલ-માર્ટ કંપનીની તાકાત કેટલી છે, તેનો પત્તો મેળવી લેવો જોઇએ.વકરાની દૃષ્ટિએ વોલ-માર્ટ દુનિયાની મોટામાં મોટી કંપની છે. ઇ.સ.૨૦૧૦ની સાલમાં આ કંપનીનો વકરો ૪૨૧ અબજ ડોલરનો હતો. ભારતનો જીડીપી ૧,૬૩૨ અબજ ડોલર છે. તેના ૨૫ ટકા જેટલો વોલ-માર્ટ કંપનીનો વકરો હતો.વિશ્વના અનેક દેશોના અર્થતંત્રો કરતાં વોલ-માર્ટનો વકરો વધુ છે. એકલા અમેરિકામાં જ તે ૨૫૮ અબજ ડોલરનો વકરો ધરાવે છે. દુનિયાના ૨૭ દેશોમાં વોલ-માર્ટની ૮,૫૦૦ દુકાનો છે, જેમાં ૨૧ લાખ કર્મચારીઓ નોકરી કરે છે. ઇ.સ.૨૦૧૨માં વોલ-માર્ટનો નફો ૧૫.૮ અબજ ડોલરનો હતો.

ઇ.સ.૧૯૬૨ની સાલમાં સામ વોલ્ટન નામના વેપારીએ અમેરિકાના અર્કાન્સાસ પ્રાંતમાં વોલ-માર્ટની પ્રથમ દુકાનની સ્થાપના કરી હતી. પાંચ વર્ષમાં તો અર્કાન્સાસ પ્રાંતમાં વોલ-માર્ટની ૨૪ દુકાનો ખૂલી ગઇ હતી અને તેનું વેચાણ ૧૨૬ લાખ ડોલર પર પહોંચી ગયું હતું. ઇ.સ.૧૯૭૦માં અમેરિકાના સ્ટોક એક્સચેન્જમાં તેનું રજીસ્ટ્રેશન થયું ત્યારે વોલ-માર્ટની ૩૮ દુકાનોમાં ૧,૫૦૦ કર્મચારીઓ નોકરી કરતા હતા. વોલ-માર્ટની બજારભાવ કરતાં પણ ઓછી કિંમતે માલ વેચવાની નીતિને કારણે અમેરિકામાં ચાલતી જૂની પદ્ધતિની અનાજ-કરિયાણાની એક પછી એક દુકાનો બંધ થવા લાગી હતી.

ઇ.સ.૧૯૯૫માં વોલ-માર્ટે અમેરિકાની બહાર આર્જેન્ટિના અને બ્રાઝિલમાં પણ પોતાના સ્ટોર્સ ખોલ્યા હતા. ઇ.સ.૧૯૯૯ની સાલમાં તેમણે ઇંગ્લેન્ડમાં પ્રવેશ કર્યો હતો. તેણે બ્રિટનની ‘અસદા’ નામની કંપની ૧૦ અબજ ડોલરમાં ખરીદી લીધી હતી. અમેરિકાની આઇવોઆ સ્ટેટ યુનિવર્સિટીએ કરેલા એક અભ્યાસ મુજબ જે વિસ્તારમાં વોલ-માર્ટની દુકાન શરૂ થાય છે તેનાં ૧૦ વર્ષમાં આ વિસ્તારમાં ચાલતી કરિયાણાની ૫૦ ટકા દુકાનો બંધ થઇ જાય છે. બીજા એક અભ્યાસ મુજબ ઇ.સ.૨૦૦૧ અને ૨૦૦૫ વચ્ચે વોલ-માર્ટ કંપનીને કારણે બે લાખ અમેરિકનો બેકાર થયા હતા. તેનું કારણ એ હતું કે વોલ-માર્ટ કંપનીએ જે માલનું અમેરિકામાં ઉત્પાદન થતું હતું તેની ચીનથી આયાત કરવા માંડી હતી, જેને કારણે અમેરિકાનાં કારખાનાંઓ બંધ થયાં હતાં અને લોકો બેકાર બન્યા હતા.

ઇ.સ.૨૦૦૪માં પેન્સિલવેનિયા યુનિવર્સિટીના બે પ્રોફેસરોએ કરેલા અભ્યાસમાં એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે વોલ-માર્ટ કંપની જે રાજ્યોમાં શાખાઓ ધરાવે છે ત્યાં ગરીબી અને બેકારીના પ્રમાણમાં વૃદ્ધિ થાય છે. આજની તારીખમાં અમેરિકામાં જે કુલ કરિયાણું વેચાય છે તેમાંનું ૫૦ ટકાથી વધુ વોલ-માર્ટની દુકાનોમાં જ વેચાય છે.વોલ-માર્ટ કંપની પોતાની દુકાનોમાં આશરે ૬૦,૦૦૦ ચીજવસ્તુઓ વેચે છે. તેમાંની ૮૦ ટકા ચીજવસ્તુઓ ચીનમાં આવેલી ૬,૦૦૦ ફેક્ટરીઓમાં બને છે. આ ફેક્ટરીઓમાં ચીનના ગરીબ કામદારોનું ભારે શોષણ કરવામાં આવે છે. તેમને રોજના ૧૬ કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. જો આપણા દેશમાં પણ વોલ-માર્ટને છૂટો દોર આપવામાં આવશે તો આપણે પણ ચીનમાં પેદા થતાં ખાદ્ય પદાર્થોનો અને વસ્ત્રોનો ઉપયોગ કરતાં થઇ જઇશું.