કોઇને પરાણે ઉપવાસ કરાવી શકાતા નથી : જૈન ધર્મના ઉપવાસનું રહસ્ય : હૈદરાબાદની કન્યાનું મૃત્યુ ઉપવાસના કારણે થયું નથી

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૧૧  ઓક્ટોબર , મંગળવાર

jain-girl-hyderabad_650x400_81475898544

 

જૈન ધર્મમાં ૬ બાહ્ય અને ૬ અભ્યંતર એમ ૧૨ પ્રકારના તપનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. તેમાં પહેલો પ્રકાર અનશન અથવા ઉપવાસ છે. જૈન ધર્મના અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરે ૬ મહિનાના ઉપવાસ કર્યા હતા. ત્યાર બાદ અકબર બાદશાહના કાળમાં દિલ્હીમાં થયેલી ચંપા શ્રાવિકાએ ૬ મહિનાના ઉપવાસની તપશ્ચર્યા કરી હતી. આ ઉપવાસ પરથી પ્રેરણા લઇને વર્તમાનમાં પણ અનેક સાધુ, સાધ્વીજી, શ્રાવક અને શ્રાવિકા એક ઉપવાસથી લઇને ૧૮૦ ઉપવાસ સુધીની તપશ્ચર્યા કરે છે. જૈન ધર્મમાં બાહ્ય અને અભ્યંતર તપનો એકમાત્ર ઉદ્દેશ આત્માના કલ્યાણનો અને મોક્ષનો હોય છે. કોઇ સાધુ કે સાધ્વીજી ભગવંતો કદી ધંધાના વિકાસ માટે કોઇને ઉપવાસ કરવાનો ઉપદેશ આપતા નથી.

હૈદરાબાદમાં ૧૩ વર્ષની જૈન કન્યા આરાધનાએ કોઇ સાધુ ભગવંતની પ્રેરણાથી ૬૮ ઉપવાસની મહાન તપશ્ચર્યા કરી તે દરમિયાન તેનું આરોગ્ય અકબંધ રહ્યું હતું. તપશ્ચર્યાના પહેલા ૨૫ દિવસ સુધી તો તે સ્કૂલે જતી હતી અને કોઇને ખ્યાલ પણ નહોતો આવતો કે તે ઉપવાસ કરી રહી છે. ૬૮ ઉપવાસની તપશ્ચર્યાનું પારણું કર્યું તે દિવસે પણ તે ખુશખુશાલ જણાતી હતી. પારણાં પછીના દિવસે તેને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેનું મરણ થયું તેને કેટલાક લોકો ગેરસમજણને કારણે તેની તપશ્ચર્યા સાથે જોડી રહ્યા છે. જો તપશ્ચર્યાને કારણે આરાધનાનું મરણ લખાયેલું હોત તો તે ૬૮ દિવસના ઉપવાસ દરમિયાન જ થયું હોત. જૈન ધર્મના ઉપવાસ કરતાં કોઇનું મરણ થાય તો તે પંડિતમરણ ગણવામાં આવે છે, કારણ કે આ રીતે મરણ પામનાર અવશ્ય સદ્ગતિમાં જાય છે, તેવું જૈન શાસ્ત્રો કહે છે. જોકે આરાધનાનું મરણ ૬૮ ઉપવાસના બે દિવસ પછી થયું હતું માટે તેના ઉપવાસને દોષ દેનારાઓ ભીંત ભૂલે છે.

કેટલાક લોકો અજ્ઞાનથી પ્રેરાઇને એવો પ્રચાર કરી રહ્યા છે કે આરાધનાના પિતાશ્રીને કોઇ જૈન સાધુ ભગવંતે જણાવ્યું હતું કે જો તમે તેને ૬૮ ઉપવાસ કરાવશો તો ધંધામાં બરકત આવશે. પહેલી વાત એ કે જૈન સાધુ ભગવંતો ક્યારેય અર્થ કે કામ માટે ધર્મ કરવાનો ઉપદેશ આપતા નથી. તેમનો ઉપદેશ માત્ર મોક્ષ માટે જ ધર્મ કરવાનો હોય છે. વળી જૈન ધર્મના ઉપવાસનું સ્વરૂપ જ એવું હોય છે કે કોઇ પણ વ્યક્તિને તેની મરજીથી વિરુદ્ધ ૬૮ તો શું એક ઉપવાસ પણ કરાવી શકાતો નથી. માટે ૧૩ વર્ષની આરાધનાને કોઇ ભય કે લાલચથી ૬૮ ઉપવાસ કરાવાયા હતા તે આક્ષેપ સાબિત થઇ શકે તેવો નથી.

જૈન ધર્મની સામાજીક પરિસ્થિતિ જાણનારને ખ્યાલ હશે કે જૈન બાળકનો જન્મ થાય ત્યારથી તેને સામાયિક, પૂજા, પ્રતિક્રમણ, આયંબિલ, ઉપવાસ, પૌષધ, દાન વગેરે ધર્મનું પાલન કરવાની પ્રેરણા કરવામાં આવે છે. આ કારણે ૬ વર્ષની ઉંમરે બાળકો અઠ્ઠાઇ તપ જેવી ઉગ્ર તપશ્ચર્યા હસતાં રમતાં કરતાં થઇ જાય છે. પર્યુષણ પર્વ દરમિયાન ૧૨ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો અઠ્ઠાઇ કરે તેવા સેંકડો કિસ્સાઓ નોંધાય છે. હૈદરાબાદની આરાધનાએ એક વર્ષ પહેલાં પણ ૩૦ ઉપવાસની મહાન તપશ્ચર્યા કરી હતી. આ તપશ્ચર્યા નિર્વિઘ્ને થવાથી ગુરુ ભગવંતે તેને ૬૮ ઉપવાસ કરવાની પ્રેરણા કરી હતી. ગયા ઉનાળાના વેકેશનમાં આરાધનાએ પાટણ જઇને ૪૫ દિવસનું ઉપધાન તપ પણ કર્યું હતું. આ ઉપરથી સાબિત થાય છે કે આરાધનાએ ૬૮ ઉપવાસની તપશ્ચર્યા કોઇના પણ દબાણ વિના સ્વેચ્છાએ કરી હતી.

જૈન ધર્મ આત્માના પૂર્વજન્મમાં અને પુનર્જન્મમાં માને છે. આરાધના જેવાં બાળકો પોતાના પૂર્વજન્મમાં કોઇ મહાન યોગી કે તપસ્વી હોય તો જ તેઓ વર્તમાન જન્મમાં આટલી કઠોર તપશ્ચર્યા આટલી કુમળી ઉંમરમાં કરી શકે છે. મારા કે તમારા જેવા ખાવાના રસિયાઓને કરોડો રૂપિયાના ઇનામની લાલચ આપવામાં આવે તો પણ ૬૮ દિવસની તપશ્ચર્યા કરી શકે તે સંભવિત નથી. જૈન ધર્મમાં તો એવાં ઉદાહરણો પણ આવે છે કે કોઇ સાધુ ભગવંતે કોઇ વ્યક્તિને તપશ્ચર્યા કરવાની પ્રેરણા કરી હોય અને તપશ્ચર્યા દરમિયાન તેનું મરણ થાય તો પણ સાધુ ભગવંત દોષિત ગણાતા નથી, કારણ કે તેમણે તે વ્યક્તિના આત્માનું કલ્યાણ કરવાના ઉમદા હેતુથી જ તેને ઉપવાસ કરવાનો ઉપદેશ આપ્યો હતો. જોકે આરાધનાને આ વાત લાગુ પડતી નથી, કારણ કે તેનું મરણ ઉપવાસ પછી થયું હતું.

કેટલાક લોકો આરાધનાના ૬૮ ઉપવાસને બાળકો પ્રત્યેની ક્રૂરતા ગણાવી રહ્યા છે. જો કોઇ બાળકને તેની મરજીથી વિરુદ્ધ ભૂખ્યું રાખવામાં આવ્યું હોય તો તેને જરૂર ક્રૂરતા ગણાય. આરાધનાએ સંપૂર્ણપણે પોતાની મરજીથી અને રાજીખુશીથી ઉપવાસ કર્યા હતા. વળી તેનું મરણ પણ ઉપવાસ દરમિયાન થયું નથી. તો પછી આરાધનાનાં માબાપ પર ક્રૂરતા આચરવાનો કે તેને આપઘાતની પ્રેરણા આપવાનો આરોપ કેવી રીતે મૂકી શકાય? ભારતનાં બંધારણની ૨૫મી કલમ મુજબ દેશના દરેક નાગરિકોને પોતાની પસંદગીનો ધર્મ પાળવાનો અધિકાર છે. દરેક નાગરિકોમાં બાળકોનો પણ સમાવેશ થઇ જાય છે. ઉપવાસ જૈન ધર્મનો સ્વીકૃત આચાર છે. દરેક બાળકને ઉપવાસ કરવાનો અધિકાર છે. આ અધિકાર પર દેશની સરકાર, પોલિસ તંત્ર કે અદાલતો પણ તરાપ મારી શકતી નથી.

આજે દેશનાં બાળકો જાતજાતના અત્યાચારોના ભોગ બને છે. તેમાં સૌથી મોટો અત્યાચાર અઢી વર્ષનાં બાળકોને સ્કૂલ બેગના ભાર હેઠળ કચડી નાંખીને પરાણે સ્કૂલે મોકલવાનો છે. જે સંસ્થાઓ બાળકોના હક્કો માટે લડતી હોય તેમણે ધાર્મિક પરંપરાઓ સામે સમજ્યા વિના લડાઇ કરવાને બદલે શિક્ષણની ચક્કીમાં પીસાતાં બાળકોની દશા સુધારવાની લડત આરંભવી જોઇએ. સમગ્ર ભારતનો જૈન સંઘ તપસ્વી આરાધનાના સ્વજનો સાથે ઊભો છે, માટે તેમની ફિકર કોઇએ કરવાની જરૂર નથી.

 

 

નોબેલ શાંતિ પારિતોષિક હાસ્યાસ્પદ બની ગયું છે

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૦૮  ઓક્ટોબર , શનિવાર

download

કોલંબિયાના રાષ્ટ્રપતિની સિદ્ધિ :

શાંતિ સ્થાપવા માટે શું યુદ્ધ કરવું જરૂરી છે?

 

દર વર્ષે ઓક્ટોબર મહિનામાં શાંતિનું નોબેલ પારિતોષિક કોને મળશે? તેની આતુરતાથી રાહ જોવાતી હોય છે. જ્યારે વિજેતાનું નામ જાહેર કરવામાં આવે ત્યારે અચંબાની કે આઘાતની પણ લાગણી થતી હોય છે. ઇ.સ.૨૦૧૬ના નોબેલ શાંતિ પારિતોષિક માટે કુલ ૩૭૬ અરજીઓ આવી હતી, જેમાં પોપ ફ્રાન્સિસથી લઇને શ્રી શ્રી રવિશંકરનો અને ડોનાલ્ડ ટ્રમ્પથી લઇને એન્જેલા માર્કેલનો સમાવેશ થતો હતો. નોબેલ પીસ પ્રાઇઝની પસંદગી સમિતિએ કળશ કોલોમ્બિયામાં શાંતિકરાર સ્થાપવામાં નિષ્ફળ ગયેલા રાષ્ટ્રપતિ જુઆન મેન્યુઅલ સાન્ટોસના માથે ઢોળવાની જાહેરાત કરીને આશ્ચર્ય પેદા કર્યું છે.

ઇ.સ.૨૦૦૬થી ૨૦૦૯ દરમિયાન જુઆન સાન્ટોસ કોલોમ્બિયાના સંરક્ષણ પ્રધાન હતા ત્યારે તેમણે રિવોલ્યુશનરી આર્મ્ડ ફોર્સિસ ઓફ કોલોમ્બિયા નામના ગેરિલા સંગઠન સામે યુદ્ધ છેડી દીધું હતું, જેમાં હજારો લોકોના જીવ ગયા હતા. ઇ.સ.૨૦૧૦માં તેઓ રાષ્ટ્રપતિ બન્યા તે પછી તેમણે ગેરિલાઓના નેતા ટિમોચેન્કો સાથે શાંતિ સ્થાપવા માટે મંત્રણાઓ ચાલુ કરી હતી, જે ચાર વર્ષ સુધી ચાલી હતી. આ મંત્રણાઓ દ્વારા તેમણે કોલોમ્બિયાની પ્રજામાં આશા પેદા કરી તેને કારણે તેઓ ઇ.સ.૨૦૧૪ની ચૂંટણી પણ જીતી ગયા હતા. ઇ.સ.૨૦૧૫માં તેમણે ગેરિલા નેતા સાથે કરાર કર્યા તેનો પ્રજાએ વિરોધ કર્યો હતો, કારણ કે તેમને લાગતું હતું કે ૫૨ વર્ષ સુધી કોલોમ્બિયાની પ્રજાનું લોહી વહેવડાનાર ગેરિલા સંગઠનને તેમની લાયકાત કરતાં વધુ લાભ કરાવી દેવામાં આવ્યો છે. ગયા સપ્તાહે કોલોમ્બિયાની પ્રજાએ ઐતિહાસિક રેફરન્ડમમાં પાતળી બહુમતીથી આ કરારની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. તેમ છતાં રાષ્ટ્રપતિ  જુઆન સાન્ટોસને આશ્વાસનના રૂપમાં નોબેલ ઇનામ આપવામાં આવ્યું છે.

ઇ.સ.૨૦૧૬ના નોબેલ શાંતિ પારિતોષિક માટે આવેલી ૩૭૬ એન્ટ્રીઓ પર નજર નાખીએ તો લાગશે કે કોલોમ્બિયાના રાષ્ટ્રપતિ કરતાં ઘણી વધુ યોગ્ય વ્યક્તિઓ કે સંસ્થાઓ રેસમાં હતી. જો દલાઇ લામા કે મધર ટેરેસા જેવા ધર્મગુરુઓને નોબેલ પારિતોષિક મળી શકતું હોય તો લાખો યુવાનોને અધ્યાત્મના માર્ગે વાળનારા શ્રી શ્રી રવિશંકરને કેમ ન મળી શકે? જુઆન સાન્ટોસ કરતાં કદાચ જર્મનીનાં ચાન્સેલર એન્જેલા માર્કેલ વધુ યોગ્ય ઉમેદવાર હતાં, કારણ કે તેમણે યુદ્ધગ્રસ્ત મુસ્લિમ દેશોના આશરે દસ લાખ નિરાશ્રીતોને જર્મનીમાં આશ્રય આપીને જબરદસ્ત માનવતાનાં દર્શન કરાવ્યા છે.

ઇ.સ.૧૯૦૧માં શાંતિનું નોબેલ પારિતોષિક આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારથી અનેક વિવાદાસ્પદ નેતાઓને આ ઇનામ આપવામાં આવ્યું છે. નોબેલ પારિતોષિકના સ્થાપક આલ્ફ્રેડ નોબેલ પોતે વિજ્ઞાની હોવા ઉપરાંત પાકા વેપારી પણ હતા. તેમણે ડાઇનેમાઇટની શોધ કરી હતી, એટલું જ નહીં પણ યુદ્ધ માટે જરૂરી વિસ્ફોટકોનું કારખાનું પણ નાખ્યું હતું. આ ધંધામાંથી જે કમાણી થઇ તેમાંથી નોબેલ પારિતોષિકો આપવાની શરૂઆત કરવામાં આવી હતી. તોપ બનાવતી સ્વિડનની બોફોર્સ કંપની પણ આજે આલ્ફ્રેડ નોબેલના બિઝનેસ અમ્પાયરનો હિસ્સો છે. દુનિયાને રક્તરંજિત કરતા શસ્ત્રસરંજામની કમાણીમાંથી શાંતિ માટેના પારિતોષિકની સ્થાપના કરવામાં આવે તે મોટો વિરોધાભાસ છે. કદાચ આ કારણે જ યુદ્ધના સમર્થકો નોબેલ શાંતિ પારિતોષિકના વિજેતાઓ રહ્યા છે.

ઇ.સ.૧૯૭૩માં અમેરિકાના વિવાદાસ્પદ વિદેશ મંત્રી હેન્રી કિસિન્જરને વિયેટનામમાં શાંતિની સ્થાપના કરવા માટે શાંતિનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું ત્યારે ઘણાને વીજળીનો આંચકો લાગ્યો હતો. આ ઇનામ વિયેટનામના નેતા લે ડોક થકને પણ સંયુક્તપણે આપવામાં આવ્યું હતું, પણ તેમણે તેને નકારી કાઢ્યું હતું. લે ડોક થકની દલીલ એવી હતી કે હેન્રી કિસિન્જરે પહેલાં વિયેટનામનું યુદ્ધ ભડકાવ્યું હતું અને પછી શાંતિની સ્થાપના કરી હતી, જે કામચલાઉ હતી, માટે તેઓ પોતાની જાતને તેમ જ હેન્રી કિસિન્જરને શાંતિના નોબેલ પારિતોષિક માટે લાયક ગણતા નથી. હેન્રી કિસિન્જરે નોબેલ પારિતોષિક મેળવ્યા પછી પણ કમ્બોડિયા પર બોમ્બમારો કરવામાં ભૂંડી ભૂમિકા ભજવી હતી.

ઇ.સ.૧૯૯૪નું નોબેલ શાંતિ પારિતોષિક પેલેસ્ટાઇન ગેરિલાઓના નેતા યાસર અરાફતને અને ઇઝરાયલના તત્કાલીન વડા પ્રધાન યિત્ઝાક રાબિન તેમ જ તત્કાલીન વિદેશ પ્રધાન શિમોન પેરેઝને સંયુક્તપણે આપવામાં આવ્યું હતું. મધ્ય-પૂર્વમાં વર્ષો સુધી લોહિયાળ જંગ લડ્યા પછી શાંતિની સ્થાપના કરવાના પ્રયાસોના ભાગરૂપે ઓસ્લો કરાર કરવા બદલ તેમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. શિમોન પેરેઝ ઇઝરાયલના અણુશસ્ત્રોના જનક ગણાય છે, તે હકીકત ભૂલી જવામાં આવી હતી.

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરે યુનોના ઠરાવનું પાલન કરાવવા માટે ઇરાકમાં લશ્કર મોકલવાનો નિર્ણય કર્યો તે પછી તરત તેમને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ઇ.સ.૨૦૦૮માં બરાક ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા તેનાં બે સપ્તાહમાં તેમને નોબેલ પારિતોષિક આપવા માટેનું નોમિનેશન ફાઇલ કરવામાં આવ્યું હતું. ઇ.સ.૨૦૦૯માં નોબેલ પ્રાઇઝ મળ્યા પછી તેમણે ૧૩ ટનનો બોમ્બ બનાવવાની જાહેરાત કરી હતી.

ભારતના જે મહાનુભાવોને નોબેલ પારિતોષિક મળ્યું છે તેની યાદીમાં બાળમજૂરી સામે લડનારા કૈલાસ સત્યાર્થીનો સમાવેશ થાય છે, પણ ભારતને આઝાદી અપાવનારા મહાત્મા ગાંધીનો કે ભારતને અખંડ બનાવનારા સરદાર પટેલનો સમાવેશ થતો નથી. તેના પરથી ખ્યાલ આવે છે કે નોબેલ પારિતોષિક પણ પશ્ચિમી મહાસત્તાઓના સ્થાપિત હિતોના હાથનું રમકડું જ બની ગયું છે.

સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવાઓ આપવા જરૂરી છે?

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા
  • તા૦૬ ઓક્ટોબર , ગુરુવાર

533561-indian-army-fighting

દેશની સુરક્ષા જોખમાઇ જશે :

ભારતના વિપક્ષો દ્વારા પાકિસ્તાનની વકીલાત

 

 

આ દુનિયામાં કેટલીક વસ્તુઓ એવી હોય છે, જેના પુરાવા માગવામાં આવતા નથી અને આપવામાં પણ આવતા નથી. બાળકનો જન્મ થાય ત્યારે તેનો પિતા કોણ છે? તેના પુરાવા આપવાનું કોઇ માતાને જણાવવામાં આવે તો તે તેના માતૃત્વનું અપમાન ગણાય છે. ઉરીના આતંકવાદી હુમલાના જવાબમાં ભારતના લશ્કરે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઘૂસીને આતંકવાદના પાંચ અડ્ડાઓ ખતમ કર્યા તેના આઘાતમાંથી પાકિસ્તાન હજુ બહાર આવ્યું નથી. પાકિસ્તાને પોતાનું નાક બચાવવા ઇરાદાપૂર્વકનો પ્રચાર ચાલુ કર્યો હતો કે ભારતે કોઇ સર્જિકલ સ્ટ્રાઇક કરી જ નથી. આ પ્રચારની જાળમાં ભારતના કેટલાક રાજકારણીઓ પણ ફસાઇ ગયા છે. હકીકતમાં જે રાજકારણીઓ ભારતના સૈન્ય પાસે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવાઓ માગી રહ્યા છે તેઓ પાકિસ્તાનની વકીલાત કરી રહ્યા છે અને ભારતની સુરક્ષા પણ જોખમમાં મૂકી રહ્યા છે.

ભારતના બહાદુર સૈનિકોએ વિવાદગ્રસ્ત ભૂમિમાં ઘૂસીને આતંકવાદીઓના લોન્ચપેડ ખતમ કર્યા તે ઘટનાનું સૈનિકોના શરીર ઉપર બાંધવામાં આવેલા કેમેરા દ્વારા વીડિયો રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું હતું. પાકિસ્તાનની વકીલાત કરનારા રાજકારણીઓ કેન્દ્ર સરકાર સમક્ષ આ વીડિયો ફૂટેજ જાહેર કરવાની માગણી કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે તો ત્યાં સુધી કહી દીધું છે કે જો સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા આપવામાં નહીં આવે તો તેઓ તેને બનાવટી માની લેશે. સંજય નિરૂપમ પાકિસ્તાની ટીવી ચેનલોના હીરો બની ગયા છે. સંજય નિરૂપમનાં વિધાનનો અર્થ એવો થાય છે કે તેમને ભારતના લશ્કર ઉપર અને ભારત સરકાર પર વિશ્વાસ નથી; પણ પાકિસ્તાન પર વધુ વિશ્વાસ છે. અરવિંદ કેજરીવાલ પણ ચાલુ ગાડીમાં ચડી ગયા છે.

ભારતના લશ્કરે ભારપૂર્વક કહ્યું છે કે વીડિયો ફૂટેજ જાહેર કરવાથી આપણી વ્યૂહરચના દુશ્મનને ખબર પડી જાય અને દેશની સલામતી જોખમાઇ જાય તેમ છે. જોકે વીડિયો ફૂટેજ સિવાય એવા સંખ્યાબંધ પુરાવાઓ છે, જેના પરથી સાબિત થાય છે કે ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે.

(૧) ભારતના એક અંગ્રેજી દૈનિકનો રિપોર્ટર લાઇન ઓફ કન્ટ્રોલના ભારતીય ભાગમાં પહોંચી ગયો હતો. ત્યાંથી તેણે કાશ્મીરના કેટલાક રહેવાસીઓની મદદથી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં રહેતા તેમના સગાવહાલાઓ સાથે મોબાઇલના ટેક્સ્ટ મેસેજ વડે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમણે ૨૯ સપ્ટેમ્બરે મૃતદેહોને ખટારામાં ભરીને લઇ જવાતા જોયા હતા.

(૨) પાકિસ્તાનના લશ્કરે પહેલા તો ભારતના લશ્કરની સર્જિકલ સ્ટ્રાઇકના સમાચારને રદિયો આપ્યો હતો, પણ પાછળથી તેના ઇન્ટર સર્વિસિસ પબ્લિક રિલેશન્સ વિભાગે કબૂલ કર્યું હતું કે ભારતના લશ્કરે લાઇન ઓફ કન્ટ્રોલની ત્રણ કિલોમીટર અંદર આવીને ફાયરિંગ કર્યું હતું, જેમાં પાકિસ્તાનના બે સૈનિકોનાં મોત થયાં હતાં. જો ભારતના લશ્કરે સર્જિકલ સ્ટ્રાઇક નહોતી કરી તો બે સૈનિકોનાં મોત કેવી રીતે થયાં હતાં? આ સૈનિકો આતંકવાદીઓ માટેના લોન્ચપેડમાં શું કરતા હતા? હકીકતમાં અન્ય હેવાલ મુજબ સર્જિકલ સ્ટ્રાઇકમાં પાકિસ્તાનના નવ સૈનિકો ઉપરાંત ૩૮થી ૪૫ જેટલા આતંકવાદીઓનાં મોત થયાં હતાં.

(૩) ભારતની સર્જિકલ સ્ટ્રાઇકથી ગભરાઇ ગયેલા પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. ત્યાર બાદ તેઓ સૈન્યના વડા રાહીલ શરીફને મળવા દોડી ગયા હતા. ત્યાર બાદ પાકિસ્તાની સૈન્યના ટોચના અફસરોની રજાઓ રદ્દ કરવામાં આવી હતી. ત્યાર બાદ પાકિસ્તાની સૈન્યની છ બટાલિયનો સરહદ પર રવાના કરવામાં આવી હતી. જો ભારત દ્વારા કોઇ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં જ નહોતી આવી તો પાકિસ્તાને આટલા બધા ગભરાઇ જવાની જરૂર શી હતી?

(૪) ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે તેવા સમાચારોને ખોટા સાબિત કરવા પાકિસ્તાની સૈન્ય દ્વારા વિશ્વ મીડિયાના ૪૦ જેટલા પત્રકારોને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં લાઇન ઓફ કન્ટ્રોલ નજીક લઇ જવામાં આવ્યા હતા. હકીકતમાં તેમને સર્જિકલ સ્ટ્રાઇકના સ્થળથી ૨૦ કિલોમીટર દૂર રાખવામાં આવ્યા હતા અને ત્યાંથી સર્જિકલ સ્ટ્રાઇકની જગ્યા બતાવીને તેમને એવું સમજાવવાની કોશિષ કરવામાં આવી હતી કે ત્યાં સર્જિકલ સ્ટ્રાઇકની કોઇ નિશાની જોવા મળતી નથી. એક પત્રકારને દૂરથી ખંડેર જેવાં મકાનો દેખાયાં હતાં. આ બાબતમાં તેણે જે સવાલો પૂછ્યા તેના સંતોષકારક જવાબો મળ્યા નહોતા.

(૫) ભારતની સર્જિકલ સ્ટ્રાઇકથી પાકિસ્તાન એટલું હચમચી ગયું હતું કે તેણે બીજા ૨૪ કલાકમાં બારામુલ્લા, અખનૂર અને ગુરુદાસપુર સહિત ભારતની પાંચ લશ્કરી છાવણીઓ પર હુમલા કર્યા હતા, જેમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સનો એક જવાન શહીદ થઇ ગયો હતો. જો ભારતે કોઇ સર્જિકલ સ્ટ્રાઇક કરી જ ન હોય તો તેનો આવો જવાબ આપવાની જરૂર શા માટે ઊભી થઇ હતી?

(૬) ભારતીય સૈન્યના ભૂતપૂર્વ અને વર્તમાન અફસરો સ્પષ્ટ જણાવે છે કે સર્જિકલ સ્ટ્રાઇકનું વીડિયો ફૂટેજ બહાર પાડવાથી આપણી વ્યૂહરચનાનો દુશ્મનને ખ્યાલ આવી જશે, જેને કારણે દેશની સુરક્ષા પણ જોખમાઇ જશે. પાકિસ્તાનના જૂઠા પ્રચારનો જવાબ આપવા વીડિયો ફૂટેજ જારી કરવાની કોઇ જરૂર નથી. વીડિયો ફૂટેજ જારી કરવામાં આવશે તો પણ પાકિસ્તાન તેને બનાવટી ગણાવી શકે છે.

(૭) કોંગ્રેસી નેતા અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પી.ચિદમ્બરમ્ કહે છે કે, યુપીએના કાળમાં પણ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી, પણ તેની જાહેરાત કરવામાં આવતી નહોતી. શું ચિદમ્બરમ્ આ સર્જિકલ સ્ટ્રાઇકના કોઇ પુરાવા આપશે? તો પછી તેઓ વર્તમાનમાં કેમ પુરાવા માગી રહ્યા છે?

સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માગતા વિપક્ષી નેતાઓ હકીકતમાં આ પરાક્રમને કારણે નરેન્દ્ર મોદીની સરકારને જે પ્રસિદ્ધિ મળી છે તેને કારણે વ્યથિત થઇ ગયા છે. નરેન્દ્ર મોદીની સરકારને મૂંઝવણમાં મૂકવા માટે તેઓ પાકિસ્તાનની બ્રીફ પકડીને પુરાવા માગી રહ્યા છે. આ નેતાઓ એ વાત ભૂલી જાય છે કે નરેન્દ્ર મોદીને નુકસાન પહોંચાડવા જતાં તેઓ દુશ્મન દેશ પાકિસ્તાનને ફાયદો કરાવી રહ્યા છે.

પાકિસ્તાની કલાકારો સાથે કેવો વર્તાવ થવો જોઇએ?

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૦૩ ઓક્ટોબર , સોમવાર

fawad-khan_650_093014061916

યુદ્ધના કાળમાં ભજન ગવાય નહીં :

પાકિસ્તાની કલાકારો આતંકવાદની ટીકા કરવા તૈયાર છે?

 

જ્યારે કોઇનું મરણ થયું હોય ત્યારે લગ્નનાં ગીતો ગાનારો મૂર્ખમાં ખપી જાય. સરહદ પર યુદ્ધના નગારા સંભળાતા હોય ત્યારે શાંતિનાં ભજનો ગાનાર ઉપહાસનું પાત્ર બને. પાકિસ્તાન એક બાજુ ભારતમાં ત્રાસવાદીઓની નિકાસ કરતું હોય ત્યારે તેના કલાકારોની આયાત કરવામાં અને તેમનાં ગુણગાન ગાવામાં કોઇ ડહાપણ નથી. શાંતિના કાળમાં જે નિયમો લાગુ પડતા હોય છે તે યુદ્ધના કાળમાં બદલવા જ પડે છે. પાકિસ્તાને ભારતની લશ્કરી છાવણી પર હુમલો કરાવ્યો તે પછી બે દેશોના સંબંધો કથળી ગયા છે ત્યારે ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિયેશને જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી પાકિસ્તાની કલાકારોને ભારતીય ફિલ્મોમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તે પહેલા જ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પાકિસ્તાની કલાકારોને ભારત છોડવાનું અલ્ટિમેટમ આપી દીધું હતું. હવે સલમાન ખાન સામા પ્રવાહે તરીને પાકિસ્તાની કલાકારોની વકીલાત કરી રહ્યો છે ત્યારે તેને એક જ સવાલ પૂછાઇ રહ્યો છે કે, શું બોલિવૂડમાં કામ કરતાં પાકિસ્તાની કલાકારો પાકિસ્તાનપ્રેરિત આતંકવાદની ટીકા કરવા તૈયાર છે? જો પાકિસ્તાનથી આવતા કલાકારો આતંકવાદની નિંદા કરવા તૈયાર ન થતા હોય તો તેનો અર્થ એટલો જ થાય છે કે તેઓ આતંકવાદના છૂપા સમર્થક છે. જે પાકિસ્તાનીઓ આતંકવાદીઓ માટે કૂણી લાગણી ધરાવતા હોય તેમને આપણે ગળે લગાવવાની કોઇ જરૂર નથી.

ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિયેશ(ઇમ્પ્પા)ને મૂકેલા પ્રતિબંધને કારણે પાકિસ્તાનના ફવાદ ખાન, અલી જાફર અને માહિરા ખાન જેવા કલાકારો ઉપરાંત સંગીત ઉદ્યોગ પર પણ અસર થવાની છે. ફવાદ ખાન તો ભારત છોડીને પાકિસ્તાન ચાલ્યો ગયો છે, પણ તેની ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ના રિલીઝ સામે સવાલ ઊભો થયો છે. કરણ જોહરે આ ફિલ્મ પાછળ કરોડો રૂપિયા લગાવ્યા છે. જો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના આ ફિલ્મ રિલીઝ નહીં થવા દે તો કરોડોનું નુકસાન થઇ શકે છે. શાહરૂખ ખાનની રઇસ ફિલ્મમાં પણ પાકિસ્તાની માહિરા ખાન હોવાથી તે ચિંતિત છે. કહેવાય છે કે સલમાન ખાને પણ ફવાદ ખાન સાથે આગામી ફિલ્મ સાઇન કરી હોવાથી તે પાકિસ્તાની કલાકારોનો બચાવ કરી રહ્યો છે. ગૌરી શિંદેની ડિયર જિંદગી નામની ફિલ્મમાં તો આલિયા ભટ્ટ સામે ફવાદ ખાન અને અલી જાફર બંને સાથે ચમકી રહ્યા છે. ઇમ્પ્પાનો પ્રતિબંધ નવી ફિલ્મોને જ લાગુ પડે છે.

પાકિસ્તાનમાં પ્રદર્શિત થયેલી ટીવી સિરિયલ હમસફરને કારણે ફવાદ ખાન પાકિસ્તાનમાં રાતોરાત સુપરસ્ટાર બની ગયો હતો. ભારતમાં ઝી ગ્રુપની જિંદગી ચેનલ પર ફવાદ ખાનની સિરિયલ ઝરૂનનું પ્રસારણ કરવામાં આવ્યું ત્યારથી તે લોકપ્રિય બની ગયો હતો. માહિરા ખાન પણ પાકિસ્તાનમાં અત્યંત લોકપ્રિય અભિનેત્રી છે. તેની એક પણ હિન્દી ફિલ્મ હજુ રિલીઝ થઇ નથી. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની ધમકીને પગલે ફવાદ ખાન ડરીને પાકિસ્તાન ચાલ્યો ગયો તે પછી તેણે પાકિસ્તાન પહોંચીને પહેલું નિવેદન એ કર્યું હતું કે, મારા માટે મારો દેશ પાકિસ્તાન પહેલો છે. આ નિવેદન પરથી સલમાન ખાને કોઇ બોધપાઠ લેવો  જોઇએ. જે ફવાદ ખાન ભારતમાં રહેતો હતો ત્યારે ભારતના લોકોની મહેમાનગતિના વખાણ કરતો હતો તેણે પાકિસ્તાન પહોંચીને ભારતની ટીકા કરતા કહ્યું હતું કે ભારતના લોકો સંકુચિત છે. ફવાદ ખાનની અસલિયત ભારતના દર્શકોને પણ ખબર પડી ગઇ છે.

ભારતની પ્રજા પાકિસ્તાનના કલાકારો પ્રત્યે હંમેશા સહિષ્ણુ રહી છે. પાકિસ્તાનથી આવતા અદનાન સામી, રાહત ફતેહ અલી ખાન, ગુલામ અલી, નુસરત ફતેહ અલી ખાન, શાફકત અમાનત અલી, આતિફ અસલામ, જાવેદ બશીર જેવા ગાયકોને ભારતમાં લોકચાહના મળતી રહી છે. ઝી ગ્રુપની જિંદગી ચેનલ પર તો લોકપ્રિય પાકિસ્તાની સિરિયલો જ પ્રસારિત કરવામાં આવે છે. તાજેતરમાં રિલીઝ થયેલી પિન્ક ફિલ્મનું કારી કારી ગીત પાકિસ્તાની કલાકાર કુરાતુલૈન બલોચે ગાયું છે. પરંતુ યુદ્ધના કાળમાં માહોલ બદલાય છે. ઝી ગ્રુપે જિંદગી ચેનલ પર પાકિસ્તાની સિરિયલોનું પ્રસારણ બંધ કરવાની જાહેરાત કરી છે. બેંગલોરમાં તેમ જ ગુરુગ્રામમાં પાકિસ્તાની ગાયકોના કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.

પાકિસ્તાનના કલાકારોને બોલિવૂડમાં દિલથી આવકારવામાં આવે છે, પણ પાકિસ્તાનનો ફિલ્મોદ્યોગ ભારતના કલાકારો માટે એટલો ઉત્સુક નથી. બોલિવૂડના કોઇ મોટા ગજાના કલાકારનેહજુ સુધી કોઇ પાકિસ્તાની ફિલ્મમાં રોલ ઓફર કરવામાં આવ્યો નથી, જેમાં ખાન બ્રધર્સનો પણ સમાવેશ થાય છે. નંદિતા દાસ, નસરૂદ્દીન શાહ અને ઓમ પુરી જેવા કલાકારો તેમાં અપવાદ છે. કલ્પના કરો કે ભારતની સર્જીકલ સ્ટ્રાઇક પછી નસરૂદ્દીન શાહ કે ઓમ પુરી પાકિસ્તાનમાં હોય તો તેમને ત્યાં કામ કરવા દેવાની છૂટ આપવામાં આવે ખરી? ભારતની ઘણી ફિલ્મો પાકિસ્તાનમાં લોકપ્રિય થાય છે, પણ ફેન્ટમ જેવી દેશભક્તિની ફિલ્મ પર પાકિસ્તાનમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.

ભારતમાં કામ કરતા પાકિસ્તાની કલાકારો આતંકવાદની જાહેરમાં ટીકા કરતા ગભરાય છે, કારણ કે તેમને ડર છે કે તેને કારણે પાકિસ્તાનમાં રહેતા તેમના સગાવહાલાઓ તકલીફમાં મૂકાઇ જશે.જે દેશમાં આતંકવાદીઓ આટલી તાકાત ધરાવે છે, તે દેશમાં રહેવું શા માટે જોઇએ? જો પાકિસ્તાનના કલાકારો ભારતમાં કામ કરવા માગતા હોય તો તેમણે પાકિસ્તાનની નાગરિકતા છોડીને ભારતના નાગરિક બની જવું જોઇએ. જો કોઇ એમ માનતું હોય કે પાકિસ્તાની કલાકારો બોલિવૂડમાં કામ કરશે તો પાકિસ્તાન આતંકવાદનો સાથ છોડી દેશે; તો તેઓ મૂર્ખાઓના સ્વર્ગમાં વસે છે.