ભારતીય સંસ્કૃતિનો મહિમા વધારવાનું મિશન

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૧૯  સપ્ટેમ્બર , સોમવાર

 

download

 

અમેરિકાના ન્યુ જર્સીમાં રહેતા રાજીવ મલહોત્રા નામના ભારતીય ઉદ્યોગપતિનાં બાળકો પ્રિન્સટન ડે સ્કૂલમાં ભણવા જતાં હતાં. એક દિવસ સ્કૂલના ટીચરે તેમને કહ્યું કે તેમને વેદાંત, રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ બાબતમાં માહિતી જોઇએ છે, કારણ કે તેઓ બાળકોને દુનિયાના ધર્મો બાબતનું પ્રકરણ ભણાવતી વખતે વૈદિક ધર્મ વિશે પણ ભણાવવા માગે છે. ટીચરે રાજીવ મલહોત્રાને ચોંકાવનારી વાત કરી કે કેટલાક અમેરિકન વિદ્વાનોએ તેમને રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ બાબતમાં ભણાવવાની ના પાડી છે, કારણ કે તેમને ડર છે કે ભારતીય માબાપો તેનો વિરોધ કરશે.

રાજીવ મલહોત્રાને આંચકો લાગ્યો કે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના જીવન બાબતમાં એવું શું છે, જે ભણાવવાથી ભારતીય માબાપો નારાજ થઇ જાય તેમ છે? તેમણે ટીચરને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે હિન્દુ સંસ્કૃતિ બાબતનાં એક પુસ્તકમાં તેમણે વાંચ્યું છે કે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ વચ્ચે સજાતીય સંબંધો હતા. રાજીવ મલહોત્રાએ વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે અમેરિકાના જેફ્રી જે. ક્રિપાલ નામના લેખકે ‘કાલિસ ચાઇલ્ડ’ નામનું પુસ્તક લખ્યું છે, જેમાં રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ બાબતમાં કપોળકલ્પિત વાતો લખવામાં આવી હતી.

રાજીવ મલહોત્રા હજુ થોડા વધુ ઊંડા ઉતર્યા તો તેમને જાણવા મળ્યું કે પ્રાચીન હિન્દુ સંસ્કૃતિને બદનામ કરતાં આવાં અનેક પુસ્તકો અમેરિકન લેખકો દ્વારા લખવામાં આવ્યા છે, જેને વિદ્યાવર્તુળોમાં પ્રમાણભૂત ગણીને વિદ્યાર્થીઓને કપોળકલ્પિત ઇતિહાસ ભણાવવામાં આવી રહ્યો છે. પોલ કોર્ટરાઇટ નામના બીજા લેખકે ‘ગણેશા : લોર્ડ ઓફ ઓબ્સ્ટેકલ્સ, લોર્ડ ઓફ બિગીનિંગ્સ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેમાં ભગવાન શ્રીગણેશ બાબતમાં કપોળકલ્પિત બિભત્સ વાતો લખવામાં આવી હતી.

નવાઇની વાત એ હતી કે જેફ્રી ક્રિપાલ અને પોલ કોર્ટરાઇટ બંને શિકાગો યુનિવર્સિટીમાં હિન્દુ સંસ્કૃતિનું શિક્ષણ આપતી વેન્ડી ડોનિગર નામની મહિલાના વિદ્યાર્થીઓ હતા. વેન્ડી ડોનિગરે ઇ.સ.૨૦૦૯માં ‘ધ હિન્દુસ : એન ઓલ્ટરનેટિવ હિસ્ટરી’ નામનું પુસ્તક લખ્યું હતું, જેને અમેરિકાની અનેક યુનિવર્સિટીમાં હિન્દુ સંસ્કૃતિના પ્રમાણભૂત ગ્રંથ તરીકે ભણાવવામાં આવે છે. રાજીવ મલહોત્રાએ આ પુસ્તક ખરીદીને વાંચ્યું ત્યારે તેમાં કરેલી વિકૃત રજૂઆત જોઇ તેમના રૂંવાડા ખડા થઇ ગયા.

‘ધ હિન્દુસ’ પુસ્તક વાંચીને એવી છાપ જ ઉપજે છે કે તમામ હિન્દુ દેવીદેવતાઓ સેક્સના દીવાનાઓ હતા. આ પુસ્તકનાં મુખપૃષ્ઠ ઉપર શ્રીકૃષ્ણને એક નગ્ન સ્ત્રીના નિતંબ ઉપર બેસીને વાંસળી વગાડતા ચિતરવામાં આવ્યા છે. તેમાં શંકર ભગવાનના લિંગને પુરૂષના ઉન્નત શિશ્ન  સાથે સરખાવી મહાદેવને સેક્સના ભૂખ્યા દર્શાવવામાં આવ્યા છે. આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે ‘દશરથ મહારાજા  સેક્સના ભૂખ્યા હતા, માટે તેમણે કૈકયીને વચનો આપ્યાં હતાં.’ તેમાં એવું લખવામાં આવ્યું છે કે ‘રાવણે સીતાનું અપહરણ કર્યું તે પહેલાં રંભા નામની અપ્સરા ઉપર‘રેપ’ કર્યો હતો. રંભાના પતિએ તેને એવો શાપ આપ્યો હતો કે ભવિષ્યમાં તું કોઇ પણ સ્ત્રીને તેની ઇચ્છાવિરુદ્ધ સ્પર્શ કરીશ તો તારો નાશ થઇ જશે.’ હિન્દુઓના પવિત્ર ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાની નિંદા કરતાં વેન્ડી ડોનેગર કહે છે કે, ગીતા અપ્રામાણિક ગ્રંથ છે, કારણ કે તેમાં હિંસાની વકીલાત કરવામાં આવી છે.

અમેરિકામાં નિયમિત રીતે વિવિધ ધર્મોની કોન્ફરન્સો ભરાતી હોય છે. તેમાં વિવિધ ધર્મગુરુઓ પોતપોતાના ધર્મોનું પ્રતિનિધિત્વ કરતા હોય છે, પણ રાજીવ મલહોત્રાએ જોયું કે વૈદિક ધર્મના પ્રતિનિધિ તરીકે અમેરિકાના તથાકથિત હિન્દુ વિદ્વાનો ભાગ લેતા હતા, જેઓ હિન્દુત્વ બાબતમાં વિકૃત વિચારો ધરાવતા હતા. રાજીવ મલહોત્રાએ વેન્ડી ડોનેગર અને તેના ચેલાઓ સામે અમેરિકાનાં અખબારોમાં લેખો લખવા માંડ્યા. તેને કારણે અમેરિકામાં ભારે ઉહાપોહ મચી ગયો. વેન્ડી ડોનેગરનું હિન્દુત્વ બાબતનું પુસ્તક ભારતમાં પણ પેન્ગ્વિન દ્વારા પ્રકાશિત થયું હતું. ભારતની શિક્ષા બચાવો આંદોલન નામની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા આ પુસ્તક સામે જાહેર હિતની અરજી કરવામાં આવી. આ અરસામાં જ ભારતમાં હિન્દુત્વનો ઝંડો ઉપાડનારી સરકાર સત્તામાં આવી હતી. આ કારણે પેન્ગ્વિને હિન્દુઓના વિરોધથી ગભરાઇ જઇને વેન્ડી ડોનેગરનું પુસ્તક બજારમાંથી પાછું ખેંચી લીધું હતું.

રાજીવ મલહોત્રા દિલ્હીની સેંટ સ્ટીફન કોલેજમાં સ્નાતક થઇને ન્યુ યોર્કની યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સ ભણ્યા હતા. અમેરિકાની આઇટી કંપનીમાં ટોચના હોદ્દા પર પહોંચ્યા પછી તેમણે પોતાની ૨૦ કંપનીઓ દુનિયાભરમાં ઊભી કરી હતી. ઇ.સ.૧૯૯૫માં આ બધી કંપનીઓ તેના કર્મચારીઓને વેચીને તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લીધી હતી અને વિદેશોમાં હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર કરવા માટે ઇન્ફિનિટી ફાઉન્ડેશન નામની બિનસરકારી સંસ્થાની સ્થાપના કરી હતી. રાજીવ મલહોત્રા હવે દેશ-વિદેશમાં ફરીને સાચી અને મૂળ હિન્દુ સંસ્કૃતિનો તેમ જ સંસ્કૃત ભાષાનો પ્રચાર કરે છે.

વિદેશના તથાકથિત નિષ્ણાતો દ્વારા ભારતના ધર્મો તેમ જ સંસ્કૃતિના થઇ રહેલા વિકૃત ચિત્રણ સામે રાજીવ મલહોત્રાએ કુલ પાંચ દળદાર પુસ્તકો લખ્યાં છે, જેની લાખો નકલો વેચાઇ ગઇ છે. હવે તેમના ફાઉન્ડેશન દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતના ઐતિહાસિક પ્રદાન બાબતમાં ૨૦ દળદાર ગ્રંથો પ્રગટ કરવાની યોજના ઘડવામાં આવી છે, જેમાંના ૧૦ તો તૈયાર થઇ ગયા છે. ભારતમાં રહેતા હિન્દુ સંસ્કૃતિના ચાહકો પણ રાજીવ મલહોત્રાને નક્કર ટેકો આપી રહ્યા છે.

વ્હોટ્સ એપના ડેટા પર કોનો અધિકાર છે?

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૧૭  સપ્ટેમ્બર , શનિવાર

 

images

 

ભારતના આશરે ૧૦ કરોડ નાગરિકો વ્હોટ્સ એપ્પનો ઉપયોગ કરીને પોતાના ખાનગી સંદેશાઓ, ફોટાઓ તેમ જ વીડિયો પણ મિત્રોને તેમ જ સ્વજનોને મોકલે છે,જેમાં ઘણી સંવેદનશીલ બાબતો પણ હોય છે. વિચાર કરો કે આ બધો ડેટા કોઇના હાથમાં ચાલ્યો જાય અને તેઓ તેનો દુરૂપયોગ કરવા લાગે તો શું થાય? ફેસબુક અને વ્હોટ્સ એપ્પ જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા કરોડો ગ્રાહકોએ ક્યારેય વિચાર કર્યો હોય છે કે તેઓ નેટવર્કિંગ સાઇટ પર જે થોકબંધ ડેટા અપલોડ કરે છે, તેની માલિકી કોની? કોઇ પણ નેટવર્કિંગ સાઇટનો આપણે જ્યારે ઉપયોગ શરૂ કરીએ છીએ ત્યારે પ્રારંભમાં તેઓ આપણી સમક્ષ એક કરારનો મુસદ્દો રજૂ કરે છે. તેમાં ઝીણા અક્ષરોમાં લાંબું લાંબું લખાણ લખવામાં આવ્યું હોય છે. આપણને એપ્પ વાપરવાની ઉતાવળ એટલી હોય છે કે તે પૂરું વાંચ્યા વિના જ આપણે ‘આઇ એગ્રી’ પર ક્લિક કરીને આગળ વધીએ છીએ. હકીકતમાં એક ક્લિક દ્વારા આપણે બધા ડેટા પર નેટવર્કિંગ સાઇટના માલિકનો અધિકાર સ્વીકારી લઇએ છીએ. આ માલિક આપણા ડેટાનો કોઇ પણ વેપારી ઉપયોગ કરે તો આપણે તેનો વિરોધ કરી શકતા નથી.

ભારતમાં વ્હોટ્સ એપ્પ મેસેન્જરની સર્વિસ શરૂ થઇ ત્યારે તેમણે પોતાના ગ્રાહકોને વચન આપ્યું હતું કે તેમને આ સર્વિસમાં ક્યારેય જાહેરખબરો બતાડવામાં આવશે નહીં. હવે ફેસબુકે વ્હોટ્સ એપ્પ ખરીદી લીધું છે ત્યારે તેણે આ વચન તોડાવાની તૈયારી કરી લીધી છે. વ્હોટ્સ એપ્પના સંચાલકો હવે ફેસબુકના માલિકોને પોતાના ગ્રાહકોનાં નામો, ફોન નંબરો વગેરે માહિતી પૂરી પાડશે. ફેસબુકના માલિકો તે માહિતીનો ઉપયોગ કરીને પોતાની જાહેરખબરો વ્હોટ્સ એપ્પના કરોડો ગ્રાહકોના માથે મારશે અને કરોડો રૂપિયાની કમાણી કરશે. વ્હોટ્સ એપ્પના સંચાલકો આ રીતે ગ્રાહકના પ્રાઇવસીના અધિકારનો ભંગ ન કરે તે માટે દિલ્હી હાઇ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે.

વ્હોટ્સ એપ્પે તેના ગ્રાહકોને તા. ૨૫ ઓગસ્ટે સંદેશો મોકલ્યો હતો કે તેઓ તા. ૨૫ સપ્ટેમ્બરથી પોતાની પ્રાઇવસી પોલિસીમાં ફેરફારો કરી રહ્યા છે. આ ફેરફારો મુજબ તેઓ હવે વ્હોટ્સ એપ્પના ગ્રાહકોનો ડેટા ફેસબુક સાથે વહેંચવા માગે છે, જેનો વેપારી ઉપયોગ થઇ શકે છે. જો કોઇ ગ્રાહક તેમાં સંમત ન હોય તો તેને વિરોધ કરવા માટે ૩૦ દિવસનો સમય આપવામાં આવ્યો હતો.

દિલ્હી હાઇ કોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીના જવાબમાં વ્હોટ્સ એપ્પના વકીલે સોઇ ઝાટકીને કહ્યું છે કે અમે ગ્રાહકોને વ્હોટ્સ એપ્પની સેવા લેવા માટે કોઇ બળજબરી કરતા નથી. જો તેઓ પોતાની પ્રાઇવસીની બહુ પરવા કરતા હોય તો તેઓ સર્વિસમાંથી બહાર નીકળી શકે છે. વ્હોટ્સ એપ્પના વકીલના દાવા મુજબ તેઓ અત્યારે તો ફેસબુકને તેમના ગ્રાહકોનાં નામો અને ફોન નંબરો જેવી જ માહિતી પૂરી પાડવાના છીએ, જેનો ઉપયોગ તેમને જાહેરખબરો બતાડવા માટે થઇ શકે છે, પણ ભવિષ્યમાં ફેસબુકને બીજી કોઇ પણ માહિતી વાપરવાનો પણ અધિકાર રહેશે.

વ્હોટ્સ એપ્પ દ્વારા તા. ૨૫ ઓગસ્ટના પોતાના ગ્રાહકોને જે સંદેશો આપવામાં આવ્યો તેમાં જણાવવામાં આવ્યું હતું કે જો તમે ફેસબુક દ્વારા મોકલવામાં આવતી જાહેરખબરો મેળવવા ન માગતા હો તો તમને વિકલ્પ આપવામાં આવ્યો છે. જો તમે આ વિકલ્પનો ઉપયોગ નહીં કરો તો તમારો ડેટા જાહેરખબરો બતાડવા માટે ફેસબુકને આપી દેવામાં આવશે. આ સંદેશા સામે પણ જાણકારો વાંધો ઉઠાવી રહ્યા છે. પહેલી વાત એ કે વ્હોટ્સ એપ્પ દ્વારા માત્ર જાહેરખબરો મોકલવા બાબતમાં જ ગ્રાહકોનો અભિપ્રાય મગાવવામાં આવી રહ્યો છે. હકીકતમાં જે ગ્રાહક જાહેરાત માટે વિનંતી કરે તેને જ જાહેરખબરો મોકલવી જોઇએ. તેને બદલે અહીં તમામ ગ્રાહકોને માથે જાહેરખબરો મારવાની ધમકી આપવામાં આવી રહી છે. જો તમારે જાહેરખબરોથી બચવું હોય તો તમારે અરજી કરવી પડે છે. વ્હોટ્સ એપ્પનો ઉપયોગ કરનારા કરોડો ગ્રાહકો અંગ્રેજીમાં લખાયેલા આ સંદેશાને સમજી શકવાની પણ ક્ષમતા ધરાવતા નથી. તેમણે જાહેરખબરો માટે પોતાની સંમતિ આપી છે, તેવું કેમ માની લેવાય?

બીજી વાત એ કે વ્હોટ્સ એપ્પ દ્વારા જે સંમતિ માગવામાં આવી છે તે કોમર્શિયલ હેતુસર ફેસબુકને માહિતી આપવા બાબતમાં જ માગવામાં આવી છે. બીજા કોઇ પણ હેતુસર ગ્રાહકોના સંદેશા, ફોટા, વીડિયો વગેરે માટે રજા માગવાની સંચાલકોને કોઇ જરૂર જણાતી નથી, કારણ કે તેવી સંમતિ તો ગ્રાહકોએ જ્યારે એપ્પ ડાઉનલોડ કરી ત્યારે આપી જ દીધી હોય છે. વ્હોટ્સ એપ્પ માનીને જ ચાલે છે કે આ ડેટાની માલિકી તેની છે. ધારો કે આવતી કાલે અમેરિકાની કોઇ ગુપ્તચર સંસ્થા ભારતના કોઇ નાગરિકની જાસૂસી કરવા માગતી હોય અને તે ફેસબુકનો સંપર્ક સાધીને તેના સંદેશાઓ વાંચવા માગે તો ફેસબુક તેને માહિતી આપી શકે ખરું? ગ્રાહકે જ્યારે એપ્પ ડાઉનલોડ કરી ત્યારે જ આવી સંમતિ આપી દીધી હોય છે. કાયદેસર રીતે હવે તેને વિરોધ કરવાનો કોઇ અધિકાર રહેતો નથી.

તાજેતરમાં દિલ્હીના ચીફ મિનિસ્ટર સહિતના પ્રધાનો બહારગામ ગયા હતા ત્યારે કોઇ પત્રકારે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીને પૂછ્યું હતું કે તો પછી દિલ્હીની સરકાર કેવી રીતે ચાલે છે? ત્યારે તેમનો જવાબ હતો કે દિલ્હીની સરકાર વ્હોટ્સ એપ્પથી ચાલે છે. જો વ્હોટ્સ એપ્પ દ્વારા મોકલવામાં આવતા સંદેશાની માલિકી કંપનીની હોય તો દિલ્હી સરકારની સંવેદનશીલ માહિતી લિક થઇ શકે કે નહીં? ખરેખર, સોશિયલ નેટવર્કિંગ સાઇટના ડેટાનો મુદ્દો દેશની સલામતી માટે પણ બહુ જોખમી છે.

ઉત્તર કોરિયા કેમ કોઇને ગાંઠતું નથી?

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૧૬  સપ્ટેમ્બર , શુક્રવાર

 

635984715851776795-afp-551724097

 

અમેરિકા પોતાની જાતને જગતનો જમાદાર સમજે છે,પણ ઉત્તર કોરિયા નામનો બચૂકડો દેશ અમેરિકાની દાદાગીરીને વશ થવા તૈયાર નથી. અમેરિકા, રશિયા અને ચીન જેવી મહાસત્તાઓ દુનિયાને ડરાવવા માટે ગમે તેટલા અણુશસ્ત્રોનો સંગ્રહ કરે તો પણ વાઘને કોણ કહે કે તારું મોં ગંધાય છે? પાકિસ્તાન અમેરિકાનું ખંડિયું રાષ્ટ્ર છે, માટે તેની પાસે થોકબંધ અણુબોમ્બ હોવા છતાં અમેરિકા તેને સજા કરવા માગતું નથી; પણ ઉત્તર કોરિયાનો માથાભારે સરમુખત્યાર કિમ જોંગ ઉણ અમેરિકા જેવી મહાસત્તાને પણ ગાંઠતો ન હોવાથી અમેરિકાએ તેના પર પ્રતિબંધો લદાવ્યા છે. આ પ્રતિબંધોની પણ પરવા કર્યા વિના ઉત્તર કોરિયાએ અણુબોમ્બ બનાવી લીધો છે. હવે તે અણુબોમ્બ ઝીંકી શકાય તેવા ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કરીને અમેરિકાને પણ ડરાવી રહ્યું છે.

ગયા શુક્રવારે ઉત્તર કોરિયાએ પોતાનો પાંચમો અણુધડાકો કર્યો. છેલ્લાં એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં કરેલો આ બીજો ધડાકો હતો. નિષ્ણાતો કહે છે કે ઉત્તર કોરિયાએ ભૂતકાળમાં જે ચાર અણુધડાકા કર્યા હતા તેના કરતાં પણ પાંચમો ધડાકો વધુ ભારે હતો. તેને કારણે આજુબાજુના વિસ્તારોમાં ૫.૩ ની તીવ્રતાના ભૂકંપનો અનુભવ થયો હતો. જાણકારો કહે છે કે ચાલુ વર્ષના અંત સુધીમાં ઉત્તર કોરિયા પાસે ૨૦ અણુબોમ્બ બનાવી શકાય તેટલો વિસ્ફોટક પદાર્થ ભેગો થઇ ગયો હશે. ઉત્તર કોરિયાએ પહેલવહેલો અણુધડાકો કર્યો ત્યારે અમેરિકાના કહેવાથી યુનો દ્વારા તેના પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા; તો પણ યુરેનિયમને સમૃદ્ધ કરવાનો તેનો કાર્યક્રમ કોઇ બાહ્ય સહાય વિના ચાલતો રહ્યો હતો. હવે ઉત્તર કોરિયા દર વર્ષે ૬ અણુબોમ્બ બનાવવાની ક્ષમતા ધરાવે છે.

ઉત્તર કોરિયા પોતાના અણુકાર્યક્રમમાં આટલું બધું આગળ વધી ગયું તેમાં પાકિસ્તાનનો પ્રત્યક્ષ અને ચીનનો પરોક્ષ ટેકો તેને મળતો આવ્યો છે. પાકિસ્તાનના અણુકાર્યક્રમના જનક એ.ક્યુ. ખાને ઇ.સ.૧૯૯૯માં અણુઉર્જા મથક સ્થાપવા માટે જરૂરી બે ડઝન સેન્ટ્રિફ્યુજ દાણચોરીથી ઉત્તર કોરિયાને વેચ્યા હતા. તેની સાથે તેમણે સેન્ટ્રિફ્યુજ બનાવવાની ટેકનોલોજી પણ વેચી હતી. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્તર કોરિયાએ ઇ.સ.૨૦૧૦ સુધીમાં ઘરઆંગણે ૨,૦૦૦ સેન્ટ્રિફ્યુજ બનાવી લીધા હતા. તેનો ઉપયોગ હવે અણુબોમ્બ બનાવવાના યુરેનિયમના નિર્માણ માટે થાય છે.

ઉત્તર કોરિયા ચીનનું પડોશી છે. દક્ષિણ કોરિયામાં અમેરિકાનાં લશ્કરી થાણાં છે. ઉત્તર કોરિયા ચીન અને દક્ષિણ કોરિયાનાં અમેરિકી લશ્કરી થાણાં વચ્ચે બફર સ્ટેટની ભૂમિકા ભજવે છે. ચીનને ડર છે કે જો ઉત્તર કોરિયાનું પતન થઇ જશે તો અમેરિકાનું લશ્કર તેની સરહદ સુધી આવી જશે. આ કારણે ચીન ઉત્તર કોરિયાને ટેકો આપીને ટકાવી રાખે છે. ઉત્તર કોરિયાએ પોતાનો અણુકાર્યક્રમ શરૂ કર્યો ત્યારથી યુનો દ્વારા તેના પર જાતજાતના પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ પ્રતિબંધો મુજબ ઉત્તર કોરિયાને કોઇ પણ જાતની લશ્કરી સામગ્રી વેચવા પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ચીન ઉત્તર કોરિયાને ટકાવી રાખવા આ પ્રતિબંધોનો ભંગ કરીને તેની સાથે વેપાર કરી રહ્યું છે. ચીનમાંથી ઉત્તર કોરિયામાં અમુક જીવનજરૂરિયાતની જણસોની નિકાસ કરવાની છૂટ રાખવામાં આવી છે, પણ તેનો લાભ લઇને ચીન લશ્કરી સરંજામ પણ વેચતું રહ્યું છે. ચીન અને ઉત્તર કોરિયાની સરહદ પર માલસામાન લઇને આવતી કે જતી કોઇ ટ્રકોનું નિયમિત ચેકિંગ કરવામાં આવતું નથી.

અમેરિકાના કાયદા મુજબ જો કોઇ દેશ ઉત્તર કોરિયા કે બીજા કોઇ પણ દેશ સામે લાદવામાં આવેલા પ્રતિબંધનો અમલ ન કરે તો અમેરિકા તેની સામે પણ પ્રતિબંધો લાદી શકે છે. આ કેટેગરીમાં ચીન ઉપરાંત પાકિસ્તાન અને ઇરાન જેવા દેશો પણ આવી શકે છે. અમેરિકા ચીન પર પ્રતિબંધ લાદી શકે તેમ નથી, કારણ કે અમેરિકાનું આખું અર્થતંત્ર ચીન પર નિર્ભર છે. પાકિસ્તાને ઉત્તર કોરિયાને તેના અણુકાર્યક્રમમાં મદદ કરી હતી તો ઉત્તર કોરિયા પાકિસ્તાનને બેલાસ્ટિક મિસાઇલનો વિકાસ કરવામાં મદદ કરી રહ્યું છે. ઉત્તર કોરિયા અત્યારે જેના પર અણુબોમ્બ ગોઠવી શકાય તેવા ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલના પ્રયોગો કરી રહ્યું છે. તાજેતરમાં આવો પ્રયોગ નિષ્ફળ ગયો હતો, પરંતુ કોઇ પણ વૈજ્ઞાનિક શોધમાં સફળતાનો પ્રારંભ નિષ્ફળતાથી જ થતો હોય છે. જો ઉત્તર કોરિયા પોતાની મરજી મુજબનું મિસાઇલ બનાવવામાં સફળ થશે તો તે ન્યુ યોર્ક અને વોશિંગ્ટન જેવાં શહેરો પર પણ અણુબોમ્બ ઝીંકીને તેમને ખતમ કરી શકશે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉણનો તરંગી સ્વભાવ જોતા તેના માટે કોઇ પણ બાબત અશક્ય માનવામાં આવતી નથી.

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા પર આક્ષેપ કરવામાં આવે છે કે તેઓ ઉત્તર કોરિયા સામે કડક હાથે કામ નથી લેતા, જેને કારણે કિમ જોંગ ઉણની હિમ્મત બહુ વધી ગઇ છે. બરાક ઓબામાની નીતિ વ્યૂહાત્મક ધીરજ રાખવાની છે, જેનો અર્થ થાય છે, સમય પસાર થવા દેવો અને કિમ જોંગ ઉણ મંત્રણા માટે તૈયાર થાય તેની રાહ જોવી. ઇરાનના અણુકાર્યક્રમને અંકુશમાં લાવવાની બાબતમાં બરાક ઓબામાની આ નીતિ કામ લાગી હતી, પણ ઉત્તર કોરિયા બાબતમાં તે કામ લાગે તેવું જરૂરી નથી. અમેરિકામાં હવે પ્રમુખપદની ચૂંટણીના ઢોલનગારા વાગી રહ્યા છે ત્યારે ઓબામા કોઇ તીવ્ર ઉપાય લઇ શકે તેમ નથી. જો કિમ જોંગ ઉણ નવા પ્રમુખની નિયુક્તિ સુધીમાં પોતાના મિસાઇલ કાર્યક્રમમાં સફળ થઇ જશે તો નવા પ્રમુખ પાસે ઉત્તર કોરિયા સામે યુદ્ધે ચડવા સિવાય કોઇ વિકલ્પ બચશે નહીં.

મુલાયમ સિંહ યાદવના પરિવારમાં યાદવાસ્થળી

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૧૫  સપ્ટેમ્બર , ગુરુવાર

 

mulayam-singh-yadav_650x400_41471316752

 

શ્રીકૃષ્ણ ભગવાન જીવતા હતા ત્યારે જ તેમના પરિવારમાં આંતરિક લડાઇ શરૂ થઇ ગઇ હતી, જેને યાદવાસ્થળી તરીકે ઓળખવામાં આવે છે. શ્રીકૃષ્ણના મૃત્યુ પછી યાદવાસ્થળી તેની ચરમસીમાએ પહોંચતા યાદવ કુળનો લગભગ નાશ થયો હતો. લાગે છે કે યદુવંશના વારસદાર મુલાયમ સિંહ યાદવના પરિવારમાં પણ તેમના જીવતા યાદવાસ્થળી શરૂ થઇ ગઇ છે. આ યાદવાસ્થળીને કારણે ઉત્તર પ્રદેશની સત્તા સમાજવાદી પક્ષના હાથમાંથી ઝૂંટવાઇ જાય તેવી તમામ સંભાવનાઓ છે.

કોઇ પણ પરિવારમાં કે સરકારમાં જ્યાં સુધી એક પાવર સેન્ટર હોય ત્યાં સુધી જ પરિવાર કે સરકાર સહીસલામત રહે છે. ઉત્તર પ્રદેશ સરકારમાં અને મુલાયમ સિંહ યાદવના પરિવારમાં બે પાવર સેન્ટરો ઊભા થયા છે. એક પાવર સેન્ટર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ છે તો બીજું પાવર સેન્ટર ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ છે. અખિલેશ યાદવને તેના કાકા શિવપાલ યાદવ સાથે જે મતભેદો ચાલી રહ્યા છે તેને કારણે મુલાયમ અને અખિલેશ વચ્ચે સીધાં ઘર્ષણનો માહોલ પેદા થયો છે. સંઘર્ષ એટલો ઉગ્ર બની ગયો છે કે મુલાયમના નિર્ણયો અખિલેશ રદ્દ કરે છે અને અખિલેશના નિર્ણયો મુલાયમ ઊલટાવી કાઢે છે. ૪૪ વર્ષના અખિલેશ યાદવ ગર્વથી કહે છે કે, મારે જે કોઇ નિર્ણયો લેવા હોય તે હું લઉં છું; તે માટે મારે નેતાજી (પિતાજી)ને પૂછવાની જરૂર નથી.

અખિલેશ યાદવ અને શિવપાલ યાદવ વચ્ચેની લડાઇમાં ઉત્તર પ્રદેશ સરકારના ટોચના અમલદારો ફૂટબોલની જેમ ફંગળાઇ રહ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારના ચીફ સેક્રેટરી દીપક સિંઘલનો વાંક એટલો જ હતો કે તેઓ શિવપાલ સિંહ યાદવના વિશ્વાસુ હતા. દીપક સિંઘલ સરકાર વતી કોઇ કરાર પર સહી કરવા નોઇડા જઇ રહ્યા હતા ત્યાં રસ્તામાં તેમને અખિલેશનો ફોન આવ્યો કે તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દીપક સિંઘલને કરાર પર સહી કર્યા વિના લખનૌ પાછા ફરવું પડ્યું હતું.

શિવપાલને ખબર પડી કે અખિલેશે દીપક સિંઘલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે તેમણે તરત જ મુલાયમ સમક્ષ તેની ફરિયાદ કરી હતી. મુલાયમે ઝડપી પગલું ભરીને અખિલેશને ઉત્તર પ્રદેશ રાજ્યના સમાજવાદી પક્ષના વડા તરીકે હટાવીને તે હોદ્દો શિવપાલ યાદવને સોંપી દીધો હતો. અખિલેશે વળતો ફટકો મારતા હોય તેમ શિવપાલના હાથમાંથી તમામ અગત્યનાં ખાતાંઓ ઝૂંટવી લીધાં હતાં.

બાહ્ય દૃષ્ટિએ જે યુદ્ધ અખિલેશ યાદવ અને શિવપાલ યાદવ વચ્ચેનું જણાય છે તે હકીકતમાં અખિલેશ અને મુલાયમ વચ્ચેનું યુદ્ધ છે. જ્યારે શિવપાલ યાદવે મુલાયમના આશીર્વાદથી પૂર્વ ઉત્તર પ્રદેશના જાણીતા ગેન્ગસ્ટાર મુખ્તાર અનસારી અને તેના ભાઇ અફઝલ અનસારી સાથે હાથ મિલાવ્યા ત્યારથી યાદવકુળનો સંગ્રામ વધુ ઉગ્ર બન્યો છે. મુલાયમની ગણતરી અનસારી ભાઇઓનો સાથ લઇને મુસ્લિમ મતો જીતવાની હતી, પણ અખિલેશને લાગતું હતું કે તેથી સમાજવાદી પાર્ટીની છબી બગડશે. અખિલેશે મુખ્તાર અનસારી સાથે ગઠબંધન કરવાનો વિચાર નકારી કાઢ્યો ત્યારે પણ શિવપાલ યાદવ મુલાયમ પાસે ફરિયાદ કરવા દોડી ગયા હતા. મુલાયમે પક્ષના કાર્યકરો સમક્ષ અખિલેશને જાહેરમાં ઠપકો આપ્યો હતો અને તેમની કામ કરવાની રીત સુધારવાની શિખામણ પણ આપી હતી.

મુલાયમ સિંહ યાદવના પરિવારમાં જે યાદવાસ્થળી ચાલી રહી છે તેના ચાર ખૂણાઓ છે. મુલાયમના બે ભાઇઓ ગોપાલ અને શિવપાલ રાજનીતિમાં સક્રિય છે. તેમાંથી શિવપાલ મુલાયમની નજીક છે, જ્યારે ગોપાલ અખિલેશની નજીક છે. મુલાયમ સિંહ યાદવ સમાજવાદી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાથી પક્ષ પર અને કાર્યકરો પર તેમની મજબૂત પક્કડ છે. અખિલેશ યાદવ સરકારના વડા હોવાથી મુલાયમના આદેશ મુજબ નહીં પણ પોતાની મરજી મુજબ સરકાર ચલાવે છે.

મુલાયમ સિંહ યાદવ અને તેમના પુત્ર અખિલેશ યાદવ વચ્ચે જનરેશન ગેપ ઉપરાંત વિચારસરણીનો પણ તફાવત છે. મુલાયમ સિંહ યાદવ રાજનીતિના જૂના ખેલાડી છે. કોંગ્રેસ, ભાજપ અને માયાવતી જેવા કટ્ટર રાજકીય શત્રુઓ સામે લડીને તેમણે સમાજવાદી પાર્ટીને મજબૂત બનાવી છે. સત્તાના સિંહાસન સુધી પહોંચવા જ્યાં જરૂર જણાય ત્યાં મુસ્લિમોના તુષ્ટિકરણનો અને સમાજકંટકોનો પણ તેમણે સહારો લીધો છે. અખિલેશ યાદવ વિકાસના મુદ્દા પર રાજનીતિ કરવા માગે છે. ઇ.સ.૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પક્ષને જ્વલંત બહુમતી મળી તેમાં અખિલેશનો ફાળો પણ બહુ મોટો હતો. અખિલેશ માને છે કે ઇ.સ.૨૦૧૭ની ચૂંટણીઓ પણ વિકાસના મુદ્દા પર જ જીતી શકાશે. મુલાયમ માને છે કે જો ભાજપ દ્વારા હિન્દુ કાર્ડ ઊતરવામાં આવશે તો તેનો મુકાબલો માત્ર વિકાસના કાર્ડ વડે થઇ નહીં શકે; તે માટે બાહુબલિઓની મદદ પણ લેવી જ પડશે.

કેટલાક રાજકીય નિરીક્ષકોને લાગે છે કે જેમ ભાજપમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિકાસનો એજન્ડા પકડીને ચાલે છે, પણ અન્ય નેતાઓ હિન્દુ કોમવાદી એજન્ડા પર કામ કરી રહ્યા છે તેમ સમાજવાદી પાર્ટી પણ મતદારોને ભૂલાવામાં નાખવા બે ચહેરા આગળ કરી રહી છે. જેને વિકાસ ગમતો હોય તેમના માટે અખિલેશનો ચહેરો છે તો મુસ્લિમ તુષ્ટિકરણ માટે શિવપાલનો ચહેરો છે. મુલાયમ સિંહ યાદવ બે જૂથો વચ્ચે સમતુલા જાળવવાનું કામ કરી રહ્યા છે. સમાજવાદી પક્ષના સર્વેસર્વા આજની તારીખમાં મુલાયમ સિંહ યાદવ જ છે. તેમની સત્તાને પડકારવાનું અખિલેશનું ગજું નથી. આ બે ચહેરાની રણનીતિ કેટલી સફળ થાય છે તેનો ખ્યાલ તો ચૂંટણીનાં પરિણામો પછી જ આવશે.

શરદ પવારની હાલત ત્રિશંકુ જેવી થઇ ગઇ છે

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૧૪  સપ્ટેમ્બર , બુધવાર

0d2c613c9080361eeb42a6012a50e9a1

તકવાદી મરાઠા નેતા :

શરદ પવાર ભાજપમાં સામેલ થવા માગે છે?

 

મરાઠા નેતા શરદ પવાર અને તેમનો પક્ષ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી ત્રિભેટે આવીને ઊભા છે.  કોંગ્રેસની ભાગીદારીમાં મહારાષ્ટ્રમાં ૧૫ વર્ષ અને કેન્દ્રમાં ૧૦ વર્ષ સુધી સત્તાનો સ્વાદ ચાખી લીધા પછી હવે શરદ પવારને કોંગ્રેસની દ્રાક્ષ ખાટી લાગે છે. તેનું કારણ એ છે કે હવે કોંગ્રેસ મહારાષ્ટ્રમાં તેમ જ કેન્દ્રમાં પણ સત્તા ગુમાવી બેઠી છે. શરદ પવારે ઇ.સ.૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં જ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથેનું ગઠબંધન તોડીને એકલા હાથે ચૂંટણી લડવાની બહાદુરી બતાવી હતી, પણ તેમાં તેને પછડાટ ખાવી પડી હતી. હવે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રફુલ પટેલે આ પરાજયનો બોજો કોંગ્રેસના ખભા પર નાખીને પોતાની જાતને નિર્દોષ પુરવાર કરવાની કોશિષ કરી છે.

શરદ પવાર જેવા તકવાદી નેતા ભારતનાં રાજકારણમાં દીવો લઇને શોધવા જઇએ તો પણ મળે તેમ નથી. ઇ.સ.૧૯૭૮માં મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને વસંતદાદા પાટિલ તેના મુખ્ય પ્રધાન હતા. શરદ પવાર પણ આ સરકારમાં સામેલ હતા. ત્યારે પોતાના રાજકીય ગુરુ ગણાતા વસંતદાદા પાટિલને ઉથલાવીને શરદ પવાર જનતા પાર્ટીનો સાથ લઇને માત્ર ૩૮ વર્ષની ઉંમરે મહારાષ્ટ્રના સૌથી વધુ યુવાન મુખ્ય મંત્રી બની ગયા હતા. ઇ.સ.૧૯૮૦માં કેન્દ્રમાં શ્રીમતી ઇન્દિરા ગાંધી પાછાં ફર્યાં તે સાથે તેમણે શરદ પવારની સરકારને બરતફર કરી કાઢી હતી.

ઇ.સ.૧૯૮૭માં કોંગ્રેસ સામે બળવો કરીને મુખ્ય પ્રધાન બનેલા શરદ પવારે ખુરશી ગુમાવ્યા પછી પોતાના પક્ષની રચના કરી હતી, જેનું નામ કોંગ્રેસ (એસ)રાખવામાં આવ્યું હતું. ઇ.સ.૧૯૮૪માં તેઓ બારામતીમાંથી લોકસભાની ચૂંટણી જીતીને પહેલી વખત સંસદમાં ગયા હતા, પણ ઇ.સ.૧૯૮૫માં વિધાનસભાની ચૂંટણી જીતીને વિધાનસભ્ય બનતા તેમણે સંસદસભ્ય તરીકે રાજીનામું આપી દીધું હતું અને મહારાષ્ટ્રના રાજકારણમાં જ રહેવાનું પસંદ કર્યું હતું.

કાચિંડાની જેમ રંગ બદલતા શરદ પવાર ઇ.સ.૧૯૮૭માં કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. ત્યારે તેમણે એવું કારણ આપ્યું હતું કે મહારાષ્ટ્રમાં શિવસેના જેવા કોમવાદી પક્ષનો મુકાબલો કરવા કોંગ્રેસના હાથ મજબૂત કરવા જરૂરી છે. ઇ.સ.૧૯૮૮માં મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન શંકરરાવ ચવાણને કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા ત્યારે તેઓ કોંગ્રેસ વતી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બની ગયા હતા.

ઇ.સ.૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા થઇ ત્યારે શરદ પવારનું નામ વડા પ્રધાનપદના દાવેદાર તરીકે બોલાવા લાગ્યું હતું. સોનિયા ગાંધીને શરદ પવાર પર બિલકુલ વિશ્વાસ ન હોવાથી તેમણે નરસિંહ રાવને ભારતના વડા પ્રધાન બનાવ્યા હતા. નરસિંહ રાવે શરદ પવારને કેન્દ્રમાં સંરક્ષણ પ્રધાનના હોદ્દાની ઓફર કરી ત્યારે તેઓ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપીને કેન્દ્રમાં જોડાઇ ગયા હતા. ઇ.સ.૧૯૯૩માં મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન સુધાકરરાવ નાઇકે રાજીનામું આપતા નરસિંહ રાવે શરદ પવારને પાછા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનાવ્યા હતા.

શરદ પવારનું નસીબ બહુ ખરાબ હતું. ઇ.સ.૧૯૯૩ની ૬ઠ્ઠી માર્ચે તેમની મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે સોગંદવિધિ થઇ અને તા. ૧૩ માર્ચે મુંબઇમાં બોમ્બ ધડાકા થયા, જેમાં દાઉદ ઇબ્રાહિમની સંડોવણી બહાર આવી હતી. મુંબઇના તત્કાલીન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગોવિંદ રાઘો ખૈરનારે શરદ પવાર પર જાહેરમાં આક્ષેપ કર્યો કે શરદ પવારના દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધો છે અને તેમની પાસે તેના ટ્રક ભરીને પુરાવા છે. મહારાષ્ટ્રમાં શરદ પવારની તેમ જ કોંગ્રેસની પ્રતિષ્ઠાને જબરદસ્ત ધક્કો પહોંચ્યો. ઇ.સ.૧૯૯૫માં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી થઇ તેમાં શરદ પવારનો તેમ જ કોંગ્રેસનો પરાભવ થયો અને પહેલી વખત શિવસેના-ભાજપની યુતિ મહારાષ્ટ્રમાં સત્તા પર આવી.

ઇ.સ.૧૯૯૭માં શરદ પવારે કોંગ્રેસના અધ્યક્ષ બનવાની હોડમાં ઝંપલાવી દીધું. ત્યાં પણ શરદ પવારનું નસીબ બે ડગલાં પાછળ હતું. શરદ પવારને પછાડીને સીતારામ કેશરી કોંગ્રેસના અધ્યક્ષ બની ગયા. ઇ.સ.૧૯૯૮માં કેન્દ્રમાં અટલબિહારી વાજપેયીની સરકાર આવી ત્યારે શરદ પવાર લોકસભામાં કોંગ્રેસના નેતા બની ગયા. ફરી તેઓ વડા પ્રધાન બનવાનાં સપનાં જોવા લાગ્યા.

ઇ.સ.૧૯૯૯માં શ્રીમતી સોનિયા ગાંધી કોંગ્રેસનાં પ્રમુખ બન્યાં ત્યારે શરદ પવારને લાગ્યું કે હવે કોંગ્રેસમાં રહીને વડા પ્રધાનની ખુરશી સુધી પહોંચવાનું સંભવિત નથી. તેમણે શ્રીમતી સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવીને કોંગ્રેસનો ત્યાગ કર્યો અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીની રચના કરી. આ પાર્ટીનો પ્રભાવ માત્ર મહારાષ્ટ્ર પૂરતો મર્યાદિત હતો. શરદ પવારની મહત્ત્વાકાંક્ષા ત્રીજા મોરચાના વડા પ્રધાન બનવાની હતી, પણ તેમાં તેમને સફળતા મળી નહોતી. ઇ.સ.૨૦૦૪માં કેન્દ્રમાં યુપીએની સરકાર બની ત્યારે સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો ભૂલીને તેઓ તેમાં કૃષિ મંત્રી તરીકે જોડાઇ ગયા. ઇ.સ.૨૦૧૪ સુધી શરદ પવારે સોનિયા ગાંધીના નેતૃત્વમાં કામ કર્યું.

ઇ.સ.૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પહેલાં શરદ પવાર અને નરેન્દ્ર મોદી વચ્ચે ખાનગી મુલાકાત થઇ હતી, જેમાં શરદ પવારે ચૂંટણી પછી સરકાર રચવા માટે ભાજપને ટેકો આપવાની ઓફર કરી હતી, તેમ કહેવાય છે. શરદ પવારના બદનસીબે ભાજપને કેન્દ્રમાં શરદ પવારના ટેકાની જરૂર નહોતી પડી પણ મહારાષ્ટ્રમાં તેમણે ભાજપને બહારથી ટેકો આપીને સરકાર બનાવવામાં મદદ કરી હતી. હવે શરદ પવાર ભાજપમાં જોડાવા ઉત્સુક છે, પણ નરેન્દ્ર મોદી તેમને ભાવ આપતા નથી.

કર્ણાટક અને તામિલનાડુ વચ્ચે પાણીદાર યુદ્ધ

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૧૩  સપ્ટેમ્બર , મંગળવાર

 

sam_0490

 

ભારતનાં જ બે રાજ્યો વચ્ચે પાણીના મુદ્દે આટલી કટુતા પેદા થઇ શકે, તેવી કલ્પના બહુ ઓછા લોકોએ કરી હશે. સુપ્રિમ કોર્ટે કર્ણાટકના કૃષ્ણસાગર ડેમમાંથી તામિલનાડુને રોજનું ૧૫,૦૦૦ ક્યુસેક પાણી આપવાનો આદેશ કર્યો હતો. કર્ણાટકે સુપ્રિમ કોર્ટને આદેશ રદ્દ કરવાની વિનંતી કરતાં સુપ્રિમ કોર્ટે આદેશમાં ફેરફાર કરીને રોજનું ૧૨,૦૦૦ ક્યુસેક પાણી છોડવાનો આદેશ કર્યો છે. સુપ્રિમ કોર્ટના આદેશ સામે પણ કર્ણાટકમાં હિંસક દેખાવો થઇ રહ્યા છે. કર્ણાટકમાં કાવેરી માટે લાગણીનું એટલું મોટું મોજું આવ્યું છે કે કન્નડ ફિલ્મસ્ટારોને પણ તેમાં જોડાવાની ફરજ પડી છે. રાગિણી દ્વિવેદી નામની કન્નડ અભિનેત્રીએ તો ટ્વિટરના હેન્ડલનો ઉપયોગ કરીને સુપ્રિમ કોર્ટના ચુકાદાને માનવાનો પણ ઇનકાર કરી દીધો છે. કર્ણાટકના હજારો કિસાનો કાવેરીનું પાણી રોકવા કૃષ્ણરાજસાગર નજીક પહોંચી ગયા હતા. કર્ણાટક સરકારે તેમને રોકવા ડેમ પર સજ્જડ પોલિસ પહેરો બેસાડી દેવો પડ્યો હતો.

કાવેરીનું પાણી છોડવા બાબતમાં કર્ણાટકની અને તામિલનાડુની પ્રજા વચ્ચે જાણે ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ પેદા થઇ રહી છે. બેંગલોરમાં રહેતા એક તમિળ યુવાને બે દિવસ પહેલાં સોશિયલ સાઇટ પર કાવેરી ઝુંબેશને ટેકો આપતા કન્નડ ફિલ્મસ્ટારો બાબતમાં અઘટિત ટીકા કરી હતી. આ ટીકા વાંચી કન્નડ યુવાનો તેના ઘરે પહોંચી ગયા હતા અને તેને ઘરની બહાર કાઢીને માર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાઇરલ થતાં તામિલનાડુમાં તેના ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. આ હુમલાનું વેર વાળવા ચેન્નઇમાં રહેલી એક ઉડિપી હોટેલ પર તમિળ યુવાનોએ પેટ્રોલ બોમ્બ ઝીંક્યા હતા. હુમલાખોરો એક પત્રિકા છોડતા ગયા હતા, જેમાં લખવામાં આવ્યું હતું : ચેન્નઇમાં રહેતા કન્નડિગાની ખેર નથી.

કર્ણાટકમાં રહેતા તમિળ યુવાન પરના હુમલાથી બેંગલોરમાં રહેતા ૩૫ લાખ તમિળભાષીઓ ફફડી ગયા છે. તેમણે કર્ણાટકના ગૃહ પ્રધાન જી. પરમેશ્વરાને મળીને તમિળ પ્રજાને સંરક્ષણ આપવાની માગણી કરી છે. ગયાં વર્ષે ચેન્નઇમાં વિનાશક પૂરો આવ્યાં ત્યારે બેંગલોરના લોકો ચેન્નઇના નાગરિકોને મદદ કરવા સૌથી પહેલા પહોંચી ગયા હતા. આજે કાવેરી વિવાદને કારણે તમિળો અને કન્નડિગાઓ દુશ્મનની જેમ વર્તવા લાગ્યા છે. આ માટે રાજકારણીઓ પણ જવાબદાર છે. પોતાના મતદારોને રાજી રાખવા તેઓ ખોટી માહિતી અને જૂઠા આંકડાઓનો પ્રચાર કરી રહ્યા છે.

કાવેરી નદી પર બાંધવામાં આવેલા કૃષ્ણરાજસાગર ડેમમાં કેટલું પાણી છે? અને તેમાંથી કેટલું પાણી છોડી શકાય તેમ છે?તે બાબતમાં રાજકારણીઓ પોતપોતાનાં રાજ્યોની પ્રજામાં ગૂંચવાડા પેદા કરી રહ્યા છે. ઇ.સ.૨૦૦૭માં ટ્રિબ્યુનલે જે ચુકાદો આપ્યો તે મુજબ જૂન મહિનાના પ્રારંભમાં ડેમમાં જેટલું પાણી હોય તેમાંનું ૫૬ ટકા પાણી કર્ણાટકે છોડવું જોઇએ. કર્ણાટકે મે મહિનામાં ચોમાસું શરૂ થયું તે પહેલાં જ પાણી છોડવામાં અખાડા કરવા માંડ્યા હતા. કર્ણાટકના મુખ્ય પ્રધાન સીતારામૈયા કહે છે કે ડેમમાં ૫૦ થાઉસન્ડ મિલિયન ક્યુબિક ફીટ (ટીએમસી)પાણી છે. તો તેમાંનું ૨૮ ટીએમસી પાણી છોડતા તેમને કોણ રોકતું હતું? જો તેમણે પાણી છોડ્યું હોત તો મામલો બિચક્યો ન હોત.

તેને બદલે સીતારામૈયાએ એક જ પાઠ જપ્યા કર્યો કે જો ડેમમાંથી પાણી છોડવામાં આવશે તો બેંગલોર શહેરને પીવાનું પાણી મળશે નહીં. આ કારણે બેંગલોરના નાગરિકો ઉશ્કેરાયા હતા. કર્ણાટકના કિસાનો પાસે ડેમમાં કેટલું પાણી છે? તેમાંથી કેટલું પાણી તેમને મળશે? તે જાણવાનો બીજો કોઇ ઉપાય નથી. તેમણે કર્ણાટક સરકારના આંકડાઓ પર જ વિશ્વાસ રાખવો પડે છે. કર્ણાટક સરકાર ગેરમાર્ગે દોરતા આંકડાઓ બહાર પાડે છે ત્યારે ખેડૂતો ઉશ્કેરાઇ જાય છે. સામા પક્ષે તામિલનાડુનાં મુખ્ય પ્રધાન જયલલિતા પણ બેજવાબદારીભર્યાં વિધાનો કરી રહ્યાં છે. તાજેતરમાં તેમણે કહ્યું હતું કે તામિલનાડુમાં ૮૦ ટીએમસી પાણીની ઘટ છે. જ્યારે કૃષ્ણરાજસાગર ડેમમાં જ ૫૦ ટીએમસી પાણી બચ્યું હોય ત્યારે કર્ણાટકના મુખ્ય મંત્રી તામિલનાડુને જોઇતું ૮૦ ટીએમસી પાણી ક્યાંથી પેદા કરવાના હતા?

ઇ.સ.૨૦૦૨માં કાવેરીનાં જળ બાબતમાં કર્ણાટક અને તામિલનાડુ વચ્ચે ઝઘડો થયો ત્યારે સુપરસ્ટાર રજનીકાંત પણ તેમાં સંડોવાઇ ગયો હતો. રજનીકાંત તામિલનાડુને તેના હિસ્સાનું પાણી મળવું જોઇએ, તેવી માગણી સાથે ચેન્નઇમાં ઉપવાસ પર બેઠો હતો. તેના વિરોધમાં બેંગલોરમાં રજનીકાંતની ફિલ્મ બાબાનું રિલીઝ અટકાવી દેવામાં આવ્યું હતું. ઇ.સ.૨૦૦૮માં પણ કર્ણાટકના ખેડૂતો તામિલનાડુને પાણી આપવાનો વિરોધ કરતા હતા તે જોઇને રજનીકાંતે તેમને લાત મારીને ભગાડી મૂકવાની હાકલ કરી હતી. તેના વિરોધમાં કર્ણાટકની સંસ્થાએ રજનીકાંતની ફિલ્મ કુસેલન બેંગલોરમાં રિલીઝ નહીં થવા દેવાય, તેવી ધમકી આપવી પડી હતી. રજનીકાંતે કર્ણાટકના ખેડૂતોની માફી માગીને સમાધાન કર્યું હતું, પણ તેના પ્રત્યાઘાત તામિલનાડુમાં પડ્યા હતા. તામિલનાડુના આર્ટિસ્ટ એસોસિયેશને રજનીકાંતને ઠપકો આપ્યો હતો કે તેણે તામિલનાડુનું ગૌરવ ઘટાડ્યું છે.

કર્ણાટકમાં તામિલનાડુની વિરોધી લાગણી એટલી પ્રબળ છે કે બેંગલોરના કેબલ ઓપરેટરોએ પોતાના નેટવર્ક પર તામિલનાડુની ૫૨ સેટેલાઇટ ચેનલો બતાડવાનું બંધ કરી દીધું છે. બેંગલોર શહેરમાં થિયેટરોમાં ચાલતી તમિળ ફિલ્મો ઊતારી લેવામાં આવી છે. જે કન્નડ ફિલ્મસ્ટારો કાવેરીનાં પાણી માટેની લડતને ટેકો ન આપે તેમની ફિલ્મોનો પણ બહિષ્કાર કરવાની ધમકી આપવામાં આવી રહી છે.  નદીના પાણીના મુદ્દે બે પ્રજા વચ્ચે આટલી દુશ્મનાવટ પેદા થાય તે માની ન શકાય તેવી હકીકત છે.

કપિલ શર્માએ ભ્રષ્ટાચારનો ભાંડો ફોડ્યો છે

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૧૨  સપ્ટેમ્બર , સોમવાર

 

ફરિયાદ કરવાની સજા :

મુંબઇ સુધરાઇમાં ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર ગણાય છે.

 

મુંબઇમાં જન્મેલો દરેક નાગરિક સુધરાઇના લાંચિયા કર્મચારીઓના ભ્રષ્ટાચારથી એટલો ટેવાઇ ગયો હોય છે કે તેને કદી વિચાર પણ નથી આવતો કે આ ભ્રષ્ટાચાર સામે તેણે કોઇને ફરિયાદ કરવી જોઇએ. કપિલ શર્મા નામનો કોમેડિયન મુંબઇમાં પેદા નથી થયો માટે તેણે સુધરાઇના ભ્રષ્ટાચાર સામે બીજા કોઇને નહીં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ કરવાની હિમ્મત કરી તેની સજા હવે તેણે ભોગવવી પડશે. કપિલ શર્માની ફરિયાદથી હચમચી ગયેલા મુંબઇ સુધરાઇના લાંચિયા કોર્પોરેટરો, વોર્ડ ઓફિસરો અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હવે કપિલ શર્માને એવો પાઠ ભણાવશે કે તે જિંદગીભર ફરિયાદ કરવાની હિમ્મત નહીં કરે. જો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કપિલ શર્માની ફરિયાદ સાંભળી હોય તો મુંબઇના લાખો નાગરિકોને ભ્રષ્ટ અને બિનકાર્યક્ષમ મ્યુનિસિપલ તંત્રના ત્રાસમાંથી મુક્ત કરવા તેમણે એક તપાસ સમિતિ ગઠિત કરવી જોઇએ અને કડક પગલાં લેવાં જોઇએ.

કપિલ શર્માનાં પ્રકરણની ચર્ચા કરીએ તે પહેલાં મુંબઇના નાગરિકો શા માટે ભ્રષ્ટાચાર સામે ફરિયાદ કરતાં ડરે છે, તે સમજવાની કોશિષ કરીએ. ધારો કે તમે મુંબઇના ઓપેરા હાઉસ વિસ્તારમાં એક ટેરેસ ફ્લેટ ખરીદ્યો છે. તમે ટેરેસ પર છાપરું બાંધવા માગતા હો છો, પણ તમને ખબર નથી હોતી કે આ છાપરું બાંધવા માટે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી લેવી પડતી હોય છે. તમે જુઓ છો કે આજુબાજુના ઘણા લોકોએ છાપરું બાંધ્યું છે, પણ કોઇની મંજૂરી લીધી નથી. તમે કોન્ટ્રેક્ટરને બોલાવીને છાપરું બંધાવી કાઢો પછી તમારી મુસીબત શરૂ થાય છે. બીજા દિવસે સ્થાનિક કોર્પોરેટર આવીને તેમને ચેતવણી આપી જાય છે કે તમારું બાંધકામ ગેરકાયદે છે, માટે તોડી પાડવામાં આવશે.

તમને વિચાર આવે છે કે મારી આજુબાજુના લોકોએ પણ છાપરાં બાંધ્યાં છે, તેને કેમ ચલાવી લેવામાં આવે છે? ત્રીજા દિવસે વોર્ડ ઓફિસર આવીને ધમકી આપી જાય છે કે જો અમુક રકમ તેને આપવામાં નહીં આવે તો તમારું છાપરું ૨૪ કલાકમાં તોડી કાઢવામાં આવશે. જો તમે રકમ ન આપો તો બિનકાર્યક્ષમ તંત્ર કાર્યક્ષમ બની જાય છે અને ૨૪ કલાકમાં તમારું છાપરું તોડી કાઢવામાં આવે છે. તમે જો ફરિયાદ કરવા જાઓ તો તમને કહેવામાં આવે છે કે તમારું છાપરું ગેરકાયદે હતું. તમે દલીલ કરો છો કે તો બીજાનાં છાપરાં કેમ તોડવામાં નથી આવતાં? તેનો કોઇ જવાબ આપતું નથી.

દિલ્હીમાં રહેતા કપિલ શર્માએ મુંબઇના વરસોવા વિસ્તારમાં ૧૦૦ ચોરસ મીટરના વિસ્તારમાં રો હાઉસ ખરીદ્યું હતું, જેમાં સ્ટુડિયો બનાવવાની તેની ગણતરી હતી. આ રો હાઉસમાં ગ્રાઉન્ડ પ્લસ વન ફ્લોરનું બાંધકામ હતું  અને તેની ઉપર ટેરેસ હતી. કપિલે જોયું કે તેની આજુબાજુના બધા રો હાઉસમાં ટેરેસ કવર કરવામાં આવી છે અને તેનો વ્યાપારી ઉપયોગ પણ થઇ રહ્યો છે. તેણે પણ પોતાની ટેરેસ કવર કરાવી અને સ્ટુડિયો બનાવ્યો કે તરત તેને મ્યુનિસિપલ કોર્પોરેશનની નોટિસ મળી કે આ રહેણાક વિસ્તાર છે, માટે તેનો કોમર્શિયલ ઉપયોગ કરી શકાય નહીં. વળી તેણે ટેરેસમાં ગેરકાયદે બાંધકામ કર્યું છે, તે પણ તોડી પાડવામાં આવશે. કપિલને નોટિસ તા.૧૬ જુલાઇએ મળી. ત્યાર બાદ તેની સાથે સોદાબાજી ચાલુ થઇ કે જો પાંચ લાખ રૂપિયાની લાંચ આપશો તો તમારી સામે કોઇ પગલાં લેવામાં નહીં આવે. ત્યારે કપિલને જાણ થઇ કે તેના બધા પડોશીઓએ આ રીતે મ્યુનિસિપલ ઓફિસરોને લાંચ આપીને કામ કરાવી લીધું હતું, માટે તેમના ગેરકાયદે બાંધકામને કોઇ આંચ આવી નહોતી.

કપિલ શર્મા તો પંજાબનું અને દિલ્હીનું પાણી પીને મોટો થયો હતો, માટે તેણે લાંચ આપવાનું મુનાસીબ માન્યું નહીં. મ્યુનિસિપલ ઓફિસરોએ તેને સજા કરતા હોય તેમ થોડા દિવસ રાહ જોઇને તા.૪ ઓગસ્ટે તેનું ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું. કપિલ શર્માએ જ્યારે ટ્વિટર દ્વારા વડા પ્રધાનને ફરિયાદ કરી ત્યારે મ્યુનિસિપલ ઓફિસરો પાસે જવાબ હાજર હતો કે કપિલે તેના રો હાઉસમાં ગેરકાયદે બાંધકામ કર્યું હતું, માટે તેને તોડી પાડવામાં આવ્યું છે. ટેકનિકલી મ્યુનિસિપલ ઓફિસરો સાચા છે અને કપિલ શર્મા ખોટા છે, પણ આ ચિત્રને બૃહદ્ પરિપ્રેક્ષ્યમાં જોવાની જરૂર છે. જે વરસોવા વિસ્તારમાં કપિલ શર્માનું રો હાઉસ આવેલું છે, તેમાં કેટલા માલિકો દ્વારા ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલું છે? તેમના પર કેમ કોઇ એક્શન લેવામાં આવતી નથી? તેમાં કેટલા લોકો કોમર્શિયલ એક્ટિવિટી કરે છે? શા માટે તેમના પર કોઇ પગલાં લેવામાં આવતાં નથી? આ સવાલનો જવાબ મેળવવામાં આવશે ત્યારે ખ્યાલ આવશે કે વરસોવા વિસ્તારમાં કેટલો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે?

કપિલ શર્માએ છેક વડા પ્રધાનને ફરિયાદ કરી તે પછી તેના રો હાઉસ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ બજાવવામાં આવી છે કે તેમની પાસે ક્યા ઓફિસરે લાંચ માગી હતી? તેમનું નામ આપો તો તેમની સામે પગલાં લેવામાં આવશે? આ નોટિસનો ઉદ્દેશ પણ કપિલને હેરાન કરવાનો છે. મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઇ કોર્પોરેટરો કે અધિકારીઓ ક્યારેય જાતે લાંચ માગતા નથી, પણ તેમના ચમચાઓ લાંચ માગે છે, જેના કોઇ પુરાવા હોતા નથી. કપિલ શર્મા જો કોઇ ઓફિસરનું નામ આપશે તો પણ તે ક્યારેય પુરવાર નહીં કરી શકે કે તેણે લાંચ માગી હતી. માટે છેવટે સાબિત થશે કે કપિલ શર્માની ફરિયાદ ખોટી હતી. પછી મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનની બદનક્ષી કરવા બદલ તેની સામે કેસ કરવામાં આવશે. મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દાયકાઓથી પ્રવર્તમાન આ બેફામ ભ્રષ્ટાચારને નાબુદ કરવાની તાકાત ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીમાં પણ નથી.

ડેન્ગ્યુમાં સાદા તાવની દવા જીવલેણ બની શકે છે

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૧૦  સપ્ટેમ્બર , શનિવાર

 

વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી :

તાવ શરીરનો દુશ્મન નથી પણ મિત્ર છે.

 

દર વર્ષે શરદ ઋતુ આવે ત્યારે દેશમાં તાવના વાયરા આવતા હોય છે. શરદ ઋતુમાં મરણદર પણ વધી જતો હોય છે. આ કારણે જ લોકોને શતં (સો)શરદ જીવતા રહેવાની શુભેચ્છા આપવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી દુનિયામાં ફ્લુ અને મેલેરિયા ઉપરાંત ડેન્ગ્યુ, ચિકનગૂનિયા તેમ જ સ્વાઇન ફ્લૂ જેવી નવતર બીમારીઓ દેખા દેવા લાગી છે. જાણકારો કહે છે કે ડીડીટી દ્વારા મેલેરિયા ફેલાવતા મચ્છરોને મારવા માટે જે અભિયાન ચલાવવામાં આવ્યું તેમાંથી મ્યુટેશન દ્વારા ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરો પેદા થયા છે. ડેન્ગ્યુનો ફેલાવો કરતાં મચ્છરો ગંદાં પાણીમાં નહીં પણ સ્વચ્છ પાણીમાં પેદા થાય છે. આપણા ઘરમાં દિવસના સમયે જે મચ્છરો ઉડતા હોય છે, તેમના શરીરમાં ડેન્ગ્યુના વાઇરસ હોય છે. આ મચ્છરના ડંખથી તે વાઇરસ આપણા શરીરમાં દાખલ થાય છે. જેમના શરીરની રોગપ્રતિકારક શક્તિ વધુ હોય છે, તેમને કાંઇ થતું નથી; પણ જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેઓ ડેન્ગ્યુનો ભોગ બને છે. ડેન્ગ્યુની કોઇ રસી હજુ સુધી શોધાઇ નથી. માટે જો ડેન્ગ્યુથી બચવું હોય તો આપણા ઘરની આજુબાજુ મચ્છરોની ઉત્પતિ ટાળવી જોઇએ અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઇએ.

રાજકોટના અનુભવી અને નિષ્ણાત તબીબ ડો. પ્રશાંત શાહ બહુ મહત્ત્વની ચેતવણી આપે છે કે ડેન્ગ્યુ જીવલેણ રોગ નથી; પણ જો તેને સામાન્ય તાવ સમજી તેની જાતે દવા કરવામાં આવે તો તે મોતનું કારણ પણ બની શકે છે. જો કોઇને ડેન્ગ્યુ થયો હોય અને તે તાવને ઊતારવા માટે વપરાતી એસ્પિરીન, ડિસ્પીરીન, બુફેન, વોવેરાન, કોમ્બિફ્લેમ, ઝુપાર વગેરે દવા લે તો મગજમાં આંતરિક રક્તસ્રાવ (હેમરેજ) થવાને કારણે દર્દીનું મોત પણ થઇ શકે છે. આ કારણે કોઇ પણ જાતનો તાવ આવે ત્યારે તેની જાતે સારવાર કરવાને બદલે ડોક્ટર પાસે જવું જોઇએ અને તેનું યોગ્ય નિદાન કરાવી લેવું જોઇએ.

ડેન્ગ્યુમાં અને સામાન્ય તાવમાં પાયાનો ફરક એ છે કે ડેન્ગ્યુ થાય ત્યારે શરીરનાં હાડકાં, સાંધા અને સ્નાયુઓ જાણે તૂટતા હોય તેવો અહેસાસ થાય છે. આ કારણે કેટલાક લોકો તેને બ્રેક બોન ડિઝીસ તરીકે પણ ઓળખે છે. ડેન્ગ્યુનો વાઇરસ શરીરમાં પ્રવેશ્યા પછી બેથી સાત દિવસમાં પોતાનાં લક્ષણો બતાવે છે. જો કોઇ પણ દવા લેવામાં ન આવે તો શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પેદા થાય છે, જે ડેન્ગ્યુના વાઇરસને મારી હટાવે છે અને દર્દીને આજીવન ડેન્ગ્યુ સામે લડવાની શક્તિ મળી જાય છે.

આ વાંચીને કોઇ પણ વ્યક્તિને સવાલ થશે કે ડેન્ગ્યુ થયો છે, તેવી ખબર પડ્યા પછી પણ તેની કોઇ પણ જાતની દવા ન લેવી જોઇએ, તેવી સલાહ ડોક્ટરો કેમ આપે છે? આ સવાલનો બહુ સમજવા જેવો જવાબ ડો. પ્રશાંત શાહ આપે છે કે, ‘‘આપણે એ સમજવાની જરૂર છે કે તાવ એ આપણા શરીરમાં ઉદ્ભવતી કુદરતી અને તંદુરસ્ત પ્રક્રિયા છે. જેમ આપણે દૂધ કે પાણીને વિષાણુમુક્ત કરવા ગરમ કરીએ છીએ તેમ આપણું શરીર પોતાને વિષાણુમુક્ત કરવા પોતાનું ટેમ્પરેચર વધારી દે છે. આ પ્રક્રિયાને સમજ્યા વિના આપણે તાવને આપણો દુશ્મન માની લઇએ છીએ અને તેને દૂર કરવા માટે એન્ટિબાયોટિક દવાઓ લેવા લાગીએ છીએ. ડેન્ગ્યુના તાવમાં કે સામાન્ય તાવમાં દવા લેવાને બદલે દર્દીના શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઇ રહે તેની કાળજી વધુ રાખવી જોઇએ. મોટા ભાગે ડેન્ગ્યુમાં જે મુસીબતો પેદા થતી હોય છે તે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવાને કારણે પેદા થતી હોય છે. આવું ન બને તે માટે દર્દીને નિયમિત સમયાંતરે હળવો પ્રવાહી ખોરાક આપ્યા કરવો જોઇએ. તાવ આવે ત્યારે દર્દીના શરીરમાં નાઇટ્રોજનનું નેગેટિવ બેલેન્સ થતું હોવાથી તેને રાંધેલો ખોરાક ભાવતો નથી. આ સંયોગોમાં તાવના દર્દીને રાંધેલો ખોરાક ખાવા માટે જબરદસ્તી કરવી જોઇએ નહીં. વળી તાવમાં પોતાં મૂકવા માટે બરફનાં ઠંડાં પાણીનો નહીં પણ નવશેકા ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઇએ.’’

ભારતની રાજધાની નવી દિલ્હીમાં દર વર્ષે ચોમાસામાં ડેન્ગ્યુ, ચિકનગૂનિયા અને મેલેરિયા જેવા તાવના વાવરો જોવા મળે છે, જેને કારણે ગભરાટ ફેલાઇ જાય છે. ઇ.સ.૧૯૯૬માં દિલ્હીમાં ડેન્ગ્યુના આશરે દસ હજાર કેસો નોંધાયા હતા, જેમાંના ૪૦૦નાં મોત થયાં હતાં. આ મોત ડેન્ગ્યુને કારણે નહોતાં થયાં પણ તેની ખોટી સારવાર કરવાને કારણે થયાં હતાં. ઇ.સ.૨૦૧૨માં દિલ્હીમાં ફરી ડેન્ગ્યુ ફાટી નીકળ્યો ત્યારે લોકોમાં એવી વાત ફેલાઇ ગઇ કે બકરાનું દૂધ પીવાથી કે પપૈયાંનાં પાંદડાં ખાવાથી શરીરમાં પ્લેટલેટ વધે છે અને ડેન્ગ્યુનો મુકાબલો કરી શકાય છે. આ કારણે દિલ્હીમાં બકરાનું દૂધ ૧૦૦ રૂપિયે લિટર વેચાયું હતું અને પપૈયાંનાં પાન દસ રૂપિયામાં વેચાયાં હતાં. નિષ્ણાતો કહે છે કે બકરાનાં દૂધથી કે પપૈયાંનાં પાનથી પ્લેટલેટ વધે છે, તેનો કોઇ વૈજ્ઞાનિક આધાર નથી.

જો શરીરમાં સામાન્ય તીવ્રતાવાળો ડેન્ગ્યુ હોય તો માથામાં દુ:ખાવો થાય છે, સાંધા દુ:ખે છે, ઊલટીઓ થાય છે અને ભારે તાવ આવે છે. જો ડેન્ગ્યુની તીવ્રતા વધુ હોય તો શરીર પર ચાઠાં પડી જાય છે, તેમાં ખંજવાળ આવે છે અને લોહી પણ નીકળવા લાગે છે. જો તીવ્રતા અત્યંત વધુ હોય તો નાક અને મોંઢાંમાંથી પણ લોહી નીકળવા લાગે છે. આવા સમયે તરત ડોક્ટર પાસે જવું જોઇએ અને તેમની સલાહ મુજબ પ્લેટલેટનું ચેકિંગ કરાવી લેવું જોઇએ. જો પ્લેટલેટનું પ્રમાણ ૧૦,૦૦૦ કરતાં ઘટી જાય તો જ તેનું ટ્રાન્સફ્યુઝન કરાવવાનું વિચારવું જોઇએ, કારણ કે તે સારવાર બહુ ખર્ચાળ છે. ઘણી વખત રોગથી જેટલા લોકો મરતા હોય છે, તેના કરતાં વધુ લોકો રોગ પ્રત્યેના અજ્ઞાનથી મરતા હોય છે. ડેન્ગ્યુ બાબતનું તમારું અજ્ઞાન કાયમ માટે દૂર કરવું હોય તો આ લેખ ફરીફરીને વાંચી જવા ભલામણ છે.

ચીન આખો દક્ષિણ સમુદ્ર પચાવી પાડવા માગે છે

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૯  સપ્ટેમ્બર , શુક્રવાર

 

ઝઘડાખોર દેશ :

કૃત્રિમ ટાપુઓ ઊભા કરી દરિયો પચાવી પાડવાની ચાલબાજી

 

ચીનની જમીનભૂખ કરતાં પણ તેની સમુદ્રભૂખ દુનિયાની શાંતિ માટે વધુ જોખમી પુરવાર થઇ રહી છે. ઇ.સ.૧૯૬૨ના યુદ્ધમાં ચીને ભારતનો ૬૦,૦૦૦ ચોરસ કિલોમીટર જેટલો ભૂખંડ પચાવી પાડ્યો હતો, પણ તાજેતરમાં તેણે સાઉથ ચાઇના સી તરીકે ઓળખાતો આખો મહાસાગર પચાવી પાડ્યો છે. ચાલુ વર્ષના જુલાઇ મહિનામાં પ્રાગની આંતરરાષ્ટ્રીય અદાલતે ચીનની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો તેને પણ ચીન ઘોળીને પી ગયું છે. તાજેતરમાં લાઓસમાં ચાલી રહેલી દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોની શિખરપરિષદમાં અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ ચીનની દાદાગીરી સામે જે કડક ભાષામાં વાત કરી છે તે જોઇને ભય પેદા થયો છે કે સાઉથ ચાઇના સીના મુદ્દે ચીન અને અમેરિકા અથડાઇ શકે છે.

સમુદ્ર પર ક્યા દેશનો અધિકાર હોવો જોઇએ? તે બાબતમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ૧૬૬ દેશો વચ્ચે એક સંધિ કરવામાં આવી હતી, જેમાં ચીન પણ સામેલ હતું. આ કરારના આધારે ફિલિપાઇન્સે ઇ.સ.૨૦૧૩માં પ્રાગની ઇન્ટરનેશનલ કોર્ટમાં ચીન સામે કેસ કર્યો હતો. દક્ષિણ ચીન સમુદ્રનું મહત્ત્વ એટલા માટે છે કે સમુદ્રમાર્ગે દુનિયાનો ૬૦ ટકા માલસામાન આ રસ્તે પસાર થાય છે. દક્ષિણ સમુદ્રને ચીન ઉપરાંત વિયેટનામ, બ્રુનઇ, મલેશિયા, ફિલિપાઇન્સ અને તાઇવાનની સરહદો સ્પર્શે છે. દર વર્ષે આશરે ૫,૦૦૦ અબજ ડોલરની કિંમત ધરાવતો માલસામાન આ રૂટ પરથી પસાર થાય છે.

આંતરરાષ્ટ્રીય કાયદાઓ પ્રમાણે કોઇ પણ દેશની સમુદ્રની સીમા તેની જમીનથી ૧૨ નોટિકલ માઇલ સુધી જ ગણાય છે. આ કાયદાને ચાતરી જવા ચીને દક્ષિણ સમુદ્રમાં ગેરકાયદે કૃત્રિમ ટાપુઓ ઊભાં કરી દીધાં છે. ચીની સરકારે વિયેટનામની દરિયાઇ હદની નજીકમાં ૨,૦૦૦ એકરનું ક્ષેત્રફળ ધરાવતો એક કૃત્રિમ ટાપુ પેદા કર્યો છે. દક્ષિણ સમુદ્રમાં હજારો વર્ષોથી પરવાળાની છાજલીઓ અસ્તિત્વમાં હતી, પણ ભરતીના સમયે તેના પર પાણી ફરી વળતું હતું. ચીની સરકારે સ્ટીમરમાં માટી મગાવીને તેના પર પાથરવાનું ચાલુ કર્યું હતું. જોતજોતામાં દરિયામાં નવો ટાપુ પેદા થઇ ગયો હતો. સુબી રીફ તરીકે ઓળખાતા આ ટાપુ પર ચીને વાયુ સેના માટે હવાઇ પટ્ટી તૈયાર કરી છે અને તોપો તેમ જ રડાર પણ ગોઠવી દીધા છે. આ ટાપુથી વિયેટનામનો કિનારો માત્ર ૨૦ કિલોમીટરના અંતરે આવેલો છે. સુબી રીફ ટાપુની તોપમાંથી ગોળો છોડવામાં આવે તો તે વિયેટનામની હદમાં જઇને પડે તેમ છે.

દક્ષિણ ચીન મહાસાગરમાં ચીન દ્વારા જે કૃત્રિમ ટાપુઓનું નિર્માણ કરવામાં આવ્યું છે તેનું આર્થિક અને વ્યૂહાત્મક મહત્ત્વ પણ છે. કહેવાય છે કે પરવાળાના ટાપુઓના પેટાળમાં ખનિજ તેલના અને ગેસના મોટા ભંડારો આવેલા છે. આ ભંડારો ચીનની ઉર્જાની જરૂરિયાત પૂરી કરી શકે તેમ છે.

થોડા સમય પહેલા અમેરિકાના નૌકાકાફલાએ ચીનના કૃત્રિમ ટાપુની નજીક પહોંચવાનો પ્રયાસ કર્યો તે પછી ચીનના નાયબ વિદેશ પ્રધાને અમેરિકાના રાજદૂતને મળવા બોલાવીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અમેરિકાનો દાવો છે કે ચીને જે કૃત્રિમ ટાપુ તૈયાર કર્યો છે તે ચીનની જમીન નથી પણ દક્ષિણ ચીન સમુદ્રનો ભાગ હોવાથી તેમાંથી કોઇ પણ દેશની સ્ટીમર પસાર થઇ શકે છે.

ચીનને ૧૪,૫૦૦ કિલોમીટર લાંબો સમુદ્રકિનારો મળ્યો છે. આ કિનારાની નજીક જે આશરે ૭,૩૦૦ ટાપુઓ આવેલા છે, તે બધાની માલિકી ચીની સરકારની છે. ઇ.સ. ૨૦૧૦ની સાલમાં ચીની સરકારે ટાપુઓ વેચવાનું શરૂ કર્યું તે પછી લગભગ ૬૦૦ ચીનાઓ ખાનગી ટાપુઓના માલિકો બની ગયા છે. મોટા ભાગના ધનકુબેરોઓ પર્યટનના કે માછીમારીના વિકાસ માટે આ ટાપુઓ ખરીદે છે.

ચીનની સરકારે ત્રણ વર્ષ પહેલા પેરાસેલની ખાડીમાં આવેલા વિયેટનામની માલિકીના વુડી ટાપુ પર પોતાનો કબજો જમાવી દીધો હતો. હવે ચીને વુડી ટાપુનો વિકાસ પર્યટનના કેન્દ્ર તરીકે કરવાનું શરૂ કરી દીધું છે. હાઇનાન ટાપુ પરથી ક્રુઝ બોટમાં સહેલાણીઓ રજાની મજા માણવા વુડી ટાપુ પર આવવા લાગ્યા છે. આ ટાપુ પર ચીને પોતાના માછીમારોને વસાવવા માંડ્યા છે. ટાપુ પર તેમના માટે પ્રાથમિક શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, રસ્તાઓ, માર્કેટ, બગીચાઓ વગેરે સવલતો પણ ઊભી કરવામાં આવી છે. ઇ.સ. ૨૦૧૩માં ચીને જપાનની માલિકીના ટાપુ પર પણ આવી જ રીતે કબજો જમાવી દીધો હતો.

દક્ષિણ ચીન સમુદ્રની સરહદે આવેલા ફિલિપાઇન્સમાં અમેરિકાનું કાયમી લશ્કરી થાણું છે. આ થાણાંથી ૨૩૦ કિલોમીટરના અંતરે સમુદ્રમાં સ્કારબોરો શોઆલ નામનું સ્થળ આવેલું છે, જેનો ઉપયોગ માછીમારી માટે કરવામાં આવે છે. અગાઉ આ સ્થળ ફિલિપાઇન્સના કબજામાં હતું, પણ ઇ.સ.૨૦૧૨માં ચીને તેના પર કબજો કરી લીધો હતો. થોડા દિવસ પહેલાં ચીની સ્ટીમરો સ્કારબોરો શોઆલ નજીક જોવા મળી હતી. ફિલિપાઇન્સનો દાવો છે કે ચીન આ વિસ્તારમાં પણ કૃત્રિમ ટાપુ બનાવી રહ્યું છે. જો ચીન તેના પર પોતાનું લશ્કરી થાણું સ્થાપશે તો ચીન અને અમેરિકાનાં લશ્કરી થાણાંઓ સામસામે આવી જશે, જેમાંથી ગમે ત્યારે યુદ્ધની પરિસ્થિતિ પેદા થઇ શકે તેમ છે.

ચીનની દરિયામાં ઘૂસણખોરી કરવાની આદતને કારણે જપાન, વિયેટનામ, દક્ષિણ કોરિયા, ફિલિપાઇન્સ અને મલેશિયા જેવા દેશો તેના દુશ્મન બની રહ્યા છે. ચીન ઉત્તરમાં રશિયા સાથે સરહદનો ઝઘડો ધરાવે છે, પૂર્વમાં જપાન સાથે તેનો સરહદનો ઝઘડો ચાલે છે, પશ્ચિમમાં ભારત સાથે છ દાયકાથી સરહદનો ઝઘડો ચાલી રહ્યો છે અને હવે તેણે વિયેટનામ સાથે પણ સરહદનો વિવાદ ઊભો કર્યો છે. આ રીતે પડોશી દેશોને દબાવીને ચીન એશિયામાં પોતાને મહાસત્તા તરીકે પ્રસ્થાપિત કરવા માગે છે.

રાહુલ ગાંધીની મહાખાટયાત્રા કેટલી સફળ થશે?

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૮  સપ્ટેમ્બર , ગુરુવાર

 

ખાટલાની લૂંટફાટના સૂચિતાર્થો :

મતદારોને મફતની આદત પાડવામાં જોખમ છે.

 

ભારતની ગરીબ પ્રજાની ઇમાનદારીની આપણે ગમે તેટલી તારીફ કરીએ; પણ આ ઇમાનદારી બેઇમાન બનવાની તકના અભાવને કારણે પેદા થયેલી છે. જો ગરીબ પ્રજાને તક મળે અને તેને સજાનો ભય ન હોય તો તેને બેઇમાન બનતા વાર લાગતી નથી તેની સાબિતી કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ઉત્તર પ્રદેશની મહાયાત્રાના પહેલા જ દિવસે મળી ગઇ છે. કોંગ્રેસે તેનાં રાજ દરમિયાન પ્રજાને મફતનું ખાવાની એવી કુટેવ પાડી છે કે દેવરિયામાં તેમને બેસવા માટે જે બે હજાર ખાટલાઓ આપવામાં આવ્યા હતા તેને પણ ભેટસોગાદ માનીને લોકો ઘરે લઇ ગયા હતા. કોંગ્રેસના વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે જ્યારે ઉત્તર પ્રદેશ સર કરવા માટે રાહુલ ગાંધીની મહાયાત્રાનું આયોજન કર્યું હશે ત્યારે તેમણે કલ્પના પણ નહીં કરી હોય કે મતદારોને ચર્ચા કરતાં ખાટલામાં વધુ રસ પડશે. હવે પ્રશાંત કિશોરે આવો ધબડકો અટકાવવા અને મહાયાત્રાને સફળ બનાવવા માટે કોઇ નવો તુક્કો અજમાવવો પડશે.

કોંગ્રેસ પક્ષ ૨૭ વર્ષથી ઉત્તર પ્રદેશમાં સત્તાથી વિમુખ રહ્યો છે. આ ૨૭ વર્ષ દરમિયાન મહદ્દંશે માયાવતીએ અને મુલાયમ સિંહે વારાફરતી રાજ કરીને ઉત્તર પ્રદેશને તારાજ કર્યું છે. ઇ.સ.૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં ભાજપના મોરચાએ ઉત્તર પ્રદેશની ૮૦ પૈકી ૭૩ બેઠકો કબજે કરીને માયાવતીને અને મુલાયમને ધૂળ ચાટતાં કરી દીધાં હતાં. આ ચૂંટણીમાં કોંગ્રેસને સમ ખાવા પૂરતી બે બેઠકો મળી હતી, જ્યારે માયાવતીનો પક્ષ તો પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. આ વાતાવરણમાં ઇ.સ.૨૦૧૭ની ચૂંટણી પછી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની સરકાર રચવાનું સપનું જોવામાં જ રાહુલ ગાંધીએ જબરદસ્ત બહાદુરીનું પ્રદર્શન કર્યું છે. આ બહાદુરી મૂર્ખતામાં ખપી ન જાય તે જોવાની જવાબદારી રાજનીતિના ચાણક્ય ગણાતા પ્રશાંત કિશોરે લીધી છે. ઉત્તર પ્રદેશમાં છેક ચોથાં સ્થાને રહેલા કોંગ્રેસ પક્ષને જો પહેલા સ્થાને નહીં લાવી શકે તો પ્રશાંત કિશોરની કારકિર્દી પણ જોખમાઇ જવાની છે.

ઇ.સ.૨૦૧૨માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી થઇ ત્યારે કુલ ૪૦૩ બેઠકોમાંથી રોકડી ૨૮ બેઠકો મળી હતી. આ ૨૮થી ૨૦૨ વચ્ચેનું અંતર કાપવું દુષ્કર છે, પણ પ્રશાંત કિશોરની સ્ટ્રેટેજીના જોર પર કોંગ્રેસ આ ફાંસલો મિટાવવાના ખ્વાબ જોઇ રહ્યું છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા જીતવા માટે જ્ઞાતિવાદનો વિરોધ કરતી કોંગ્રેસે જ્ઞાતિવાદના ધોરણે જ પોતાની વ્યૂહરચના ઘડી કાઢી છે.

ઉત્તર પ્રદેશના બ્રાહ્મણોને જીતવા તેણે મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તરીકે શીલા દીક્ષિતની જાહેરાત કરી છે, જેઓ ઉત્તર પ્રદેશના બ્રાહ્મણ પરિવારનાં પૂત્રવધૂ છે. મુસ્લિમ મતો મેળવવા માટે ગુલામ નબી આઝાદને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે. દલિત રાજ બબ્બરને ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. રાજપૂત આર.પી.એન. સિંહને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. લાખ રૂપિયાનો સવાલ એ છે કે બધી જાતિને ખુશ કરીને કોંગ્રેસ ૨૦૦નો આંકડો વટાવી શકશે?

ઉત્તર પ્રદેશ માટે કોંગ્રેસની રણનીતિ ઘડવાનું કામ પ્રશાંત કિશોરને સોંપવામાં આવ્યું ત્યારે તેમનો આગ્રહ એવો હતો કે ગાંધી પરિવારના કોઇ સભ્યનું નામ જ કોંગ્રેસના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે. પ્રશાંત કિશોરની ઇચ્છા રાહુલ ગાંધીને મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવાની હતી, પણ રાહુલ ગાંધી જોખમ લેવા તૈયાર નહોતા. પ્રશાંત કિશોરે બીજું નામ પ્રિયંકા વાડ્રા ગાંધીનું સૂચવ્યું, પણ પ્રિયંકા રાજકારણમાં બિનઅનુભવી હોવાથી મતદારો તેમનામાં વિશ્વાસ મૂકશે કે કેમ તેની શંકા હતી. છેવટે ત્રણ વખત દિલ્હીનાં મુખ્ય પ્રધાન બની ચૂકેલાં શીલા દીક્ષિતના માથે કળશ ઢોળવામાં આવ્યો હતો. શીલા દીક્ષિત મુખ્ય પ્રધાનપદનાં ઉમેદવાર હોય અને સોનિયા, રાહુલ તેમ જ પ્રિયંકા પોતાની તમામ તાકાત વડે તેમના માટે પ્રચાર કરે તો ગાડી ૨૮ બેઠકથી તો જરૂર આગળ વધી શકે તેમ છે. જો કોઇ ચમત્કાર થાય અને કોંગ્રેસ જીતી જાય તો તેની ફુલ ક્રેડિટ ગાંધી પરિવારને આપી શકાય; અને કોંગ્રેસ હારી જાય તો શીલા દીક્ષિતના માથે જવાબદારી નાખીને ગાંધી પરિવારને બચાવી શકાય. પ્રશાંત કિશોરે આવી આબાદ વ્યૂહરચના ગોઠવી કાઢી છે.

રાહુલ ગાંધીની મહાયાત્રાને સફળ બનાવવા માટે બે વચનો લોલિપોપની જેમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પહેલું વચન છે, કિસાનોનું દેવું માફ કરી દેવાનું. બીજું વચન છે, વીજળીનાં બિલમાં ૫૦ ટકા જેટલી રાહત આપવાનું. રાહુલ ગાંધીએ દેવરિયાની સભામાં જ રજૂઆત કરી હતી કે યુપીએ સરકારે કિસાનોનું ૭૦,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું તેમ જો કોંગ્રેસ સત્તા પર આવશે તો ઉત્તર પ્રદેશના કિસાનોનું દેવું પણ માફ કરવામાં આવશે. રાહુલ ગાંધી એ વાત ભૂલી જાય છે કે દેવું માફ કરવાની સત્તા બેન્કોને છે અને બેન્કોનો કન્ટ્રોલ કેન્દ્ર સરકારના હાથમાં છે. જો રાજ્ય સરકાર ખેડૂતો વતી બેન્કોનું દેવું ચૂકવી દે તો પણ આટલા રૂપિયા રાજ્ય સરકાર ક્યાંથી લાવશે? તેનો વિચાર રાહુલ ગાંધીએ કરવાની જરૂર નથી; કારણ કે ઉત્તર પ્રદેશમાં તેમની સરકાર બનવાની સંભાવના બહુ પાંખી છે.

ઉત્તર પ્રદેશની મુખ્ય સમસ્યા વીજળીનાં ભારે બિલો નથી પણ વીજળીની અછત છે. રાજ્યની ૧૬,૦૦૦ મેગાવોટની આવશ્યકતા સામે પુરવઠો ૧૪,૪૫૪ મેગાવોટનો જ છે. વીજળીની તંગીને કારણે ઉત્તર પ્રદેશનાં શહેરો રોજના આઠ કલાકના પાવર કટની પીડા વેઠી રહ્યા છે તો ખેડૂતોનો પાક સૂકાઇ રહ્યો છે. રાહુલ ગાંધીએ સસ્તી વીજળીને બદલે પૂરતી વીજળીનું વચન આપવું જોઇએ; પણ મફતના ખાટલામાં સંતુષ્ટ પ્રજા મફતનાં વચનોથી લોભાઇ જશે, તેમ રાહુલ ગાંધી માને છે.